બળવત્તર છે – અંકિત ત્રિવેદી

ઈચ્છાઓ પણ બળવત્તર છે, પીડાઓ પણ બળવત્તર છે

લોહી નિચોવીને જીવ્યો છું, અફવાઓ પણ બળવત્તર છે

 .

રણ જેવું તોરણ બાંધે છે, ડમરીઓ રેતી રાંધે છે-

સાંજે આંખોમાં ઘેરાતા તડકાઓ પણ બળવત્તર છે

 .

ડાઉનલોડના સંબંધોમાં ભળીભાખળી ભાળ મળે છે,

જાત ઉછીની ઓળખ આપે રસ્તાઓ પણ બળવત્તર છે

 .

શું પૂછું ને જવાબ આપે, એવા દિવસો કોને માપે ?

કયા અંતને સાચો ગણવો ? ઘટનાઓ પણ બળવત્તર છે

 .

હું બોલું ને તમે સાંભળો વાત જુદી છે સમયસમય પર

સૌને સૌની રીતે ભજવે તખ્તાઓ પણ બળવત્તર છે

 .

( અંકિત ત્રિવેદી )

નિર્લેપ દ્રષ્ટિથી – ખલીલ ધનતેજવી

તમારા ઘરનાં દીવા રાતે રસ્તામાં હતા કે શું ?

પવન ફંટાઈ જાશે, એ ભરોસામાં હતા કે શું ?

 .

ઘરે પહોંચ્યોં તો દરવાજાએ પૂછ્યું ક્યાંથી આવો છો ?

સુગંધ આ શેની છે, સાંજે બગીચામાં હતા કે શું ?

 .

તમારા દિલના ધબકારા અજાણ્યા કેમ લાગે છે !

તમે પણ કાલે તરણેતરના મેળામાં હતા કે શું ?

 .

ઘણી વાતો, ઘણાં વર્ષો પછી કાલે કહી નાખી,

હવે એ પણ કહો, ગઈ રાતે સ્વપ્નામાં હતા કે શું ?

 .

તમે ચુપચાપ સાંભળતા રહ્યા, નિર્લેપ દ્રષ્ટિથી,

કે મારી રૂબરૂ બીજી જ દુનિયામાં હતા કે શું ?

 .

દિવસ રઘવાટમાં કાઢ્યો ને રાતે પણ નથી સૂતા,

તમારા પણ વહાણો કાલે દરિયામાં હતા કે શું ?

 .

ફરી બેચાર પથ્થર એ તરફથી આ તરફ આવ્યા,

તમે પાછા ખલીલ એના જ ફળિયામાં હતા કે શું ?

 .

( ખલીલ ધનતેજવી )

સાધુ ઐસા ચાહિએ – હરકિસન જોષી

ગેરૂઆ વસ્તર નહીં, ભભૂત ભસ્મ નહીં અંગ

સાધુ ઐસા ચાહિએ એકલ ઔર નિ:સંગ

 .

ટીવી પર ચમકે નહીં આપે નહીં વ્યાખ્યાન

સાધુ ઐસા ચાહિએ માન નહીં સન્માન

 .

આશ્રમ નહીં આસન નહીં, નહીં ટ્રસ્ટ મઠ ધામ

સાધુ ઐસા ચાહિએ નહીં સ્થાન નહીં ઠામ

 .

તિલક છાપ ચંદન નહીં, છત્ર મુગટ નહીં દંડ

સાધુ ઐસા ચાહિએ, ફંદ નહીં કોઈ ફંડ

 .

નામ નહીં ઓળખ નહીં, નહીં બિરુદ ઇલ્કાબ

સાધુ ઐસા ચાહિએ નિર્મલ બહેતા આબ

 .

નહીં તસ્વીર નહીં મૂરતી, પૂજન દે નહીં પાંવ

સાધુ ઐસા ચાહિએ જૈસી તરુવર છાંવ

 .

લિંગ ભેદ વ્યાપે નહીં ઐસા ચેતન દેહ

સાધુ ઐસા ચાહિએ પવન ઉડાઈ ખેહ

 .

તન મન હરિ કો દે દિયા આપ હરિમે લીન

સાધુ ઐસા ચાહિએ જૈસી જલમે મીન.

.

( હરકિસન જોષી )

વિદ્યાર્થીઓ માટે સફળતાનાં સ્વર્ણિમ સૂત્રો – સ્વામી વિવેકાનંદ

સ્વામીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે

સ્વામીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે

.

(૧)

મારાં બાળકો !

યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો

જ પાપ કરે છે અને અસત્ય બોલે છે.

બહાદુર માણસો હંમેશા નીતિમાન હોય છે.

નીતિમાન બનો.

બહાદુર અને સહૃદયી બનો.

 .

(૨)

મારા મિત્રો !

તમારા એક સગાભાઈ તરીકે:

જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે;

હું તમને કહેવા માંગુ છું કે આપણે જોઈએ છે

સામર્થ્ય, સામર્થ્ય;

અને હર સમયે સામર્થ્ય.

 .

(૩)

ખડા થાઓ

અને મર્દ બનો.

મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે;

મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે.

ચોમેર મર્દ બનાવનાર

શિક્ષણની આપણને જરૂર છે.

 .

(૪)

ગરીબ લોકો માટે જેનું હૃદય દ્રવે તેને

હું ‘મહાત્મા’ કહું છું, નહિ તો એ ‘દુરાત્મા’ છે.

હે મહાન આત્માઓ !

ઊઠો, જાગો !

આ દુનિયા દુ:ખના દાવાનળમાં ભડકે બળે છે

ત્યારે તમે સૂઈ શકો ખરા ?

.

(૫)

વીર યુવકો !

શ્રદ્ધા રાખો કે તમારા સહુનો જન્મ

મહાન કાર્યો કરવા માટે થયો છે.

કુરકુરિયાંના ભસવાથી ડરી જશો નહિ;

અરે, આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત

થશો નહિ. પણ ઊભા થાઓ અને કામે લાગો !

 .

(૬)

પવિત્રતા, ધૈર્ય અને ખંત બધાં વિધ્નોને જીતી લે છે.

નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો.

ખરાબ સંસ્કારોને દબાવવાનો

એક માત્ર ઉપાય એ જ છે.

પવિત્રતા એ સૌથી મોટી શક્તિ છે;

તમામ વસ્તુઓ એનાથી ડરે છે…

 .

(૭)

પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિકતા

કહેતા ; નવો ધર્મ કહે છે કે

જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.

શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી

આવવાનું જ છે. કોઈપણ વસ્તુથી ડરો નહી,

તમે અદ્દભુત કાર્ય કરી શકશો.

 .

(૮)

જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો ! તેમાં મોત છે.

જે કાંઈ બળ હોય તેને નર્કમાં જઈને પણ પકડો.

નીતિમાન થજો,

શૂરવીર બનજો.

ઉદાર હૃદયના થજો.

જાનને જોખમે પણ વીર, ચારિત્રવાન બનો.

 .

(૯)

પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહિ,

યશથી પણ નહિ, વિદ્યાથી પણ નહિ

માત્ર પ્રેમથી લાભ થાય છે;

માત્ર ચારિત્ર્ય જ

મુશ્કેલીઓની વજ્ર જેવી દિવાલો

તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

 .

(૧૦)

કાર્ય કરવું એ ઘણું સારું છે.

પરંતુ તે વિચારમાંથી આવે છે.

એટલે મસ્તકને ઉન્નત વિચારોથી,

સર્વોચ્ચ આદર્શથી ભરી દો;

તેમને દિનરાત તમારી દ્રષ્ટિ તરફ રાખશો તો

તેમાંથી મહાન કાર્યોનો જન્મ થશે.

.

(૧૧)

બહાદુર, હિંમતવાન માણસો

કે જેના લોહીમાં જોમ,

જ્ઞાનતંતુઓમાં તાકાત,

લોખંડી માંસપેશીઓ અને

પોલાદી સ્નાયુઓ હોય તેવાની જરૂર છે;

નરમ અને પોચી ભાવનાઓ નહીં

 .

(૧૨)

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય

તો તમારી પાસે પ્રચંડ ખંત

અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.

ખંતીલો માણસ કહે છે :

‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત

પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’

.

(૧૩)

સખત પરિશ્રમ કરો.

પવિત્ર અને શુદ્ધ બનો

એટલે ઉત્સાહ આવશે જ.

આપણાં જીવન

સારાં અને પવિત્ર હોય તો જ દુનિયા

સારી અને પવિત્ર થઈ શકે.

 .

(૧૪)

ઈચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા…

સમુદ્ર તરવો હોય તો

તમારામાં લોખંડી ઈચ્છાશક્તિ જોઈશે;

પહાડો વીંધી નાખવા જેટલું બળ જોઈશે;

તમે કમર કસીને તૈયાર રહો…

કશાની પણ ચિંતા ન કરશો !

 .

(૧૫)

વીરતાભર્યા વચનો અને

એથીયે વધુ વીરતાભર્યા કાર્યોની જ

આપણને જરૂર છે.

 .

( સ્વામી વિવેકાનંદ )

 

વાણી કબીરની – હરકિસન જોષી

દેખાય નહીં ઘાવ, કળા તારા તીરની !

સૌરભ ન પારખી શકી લીલા સમીરની !

 .

પીડા તરસની લઈને ભટકતા’તા વાટમાં

પનઘટ ઉપર લઈ ગઈ વાણી કબીરની !

 .

માણસને જોવો જોઈએ માણસ રૂપે બધે

એ ઝૂંપડું હો કે હો હવેલી અમીરની

.

ધારું તો હાથ ઝાલી લઉં હું સૌના દેખતા

મર્યાદા નડે તેં સનમ ખેંચી લકીરની !

 .

આંખોમાં રહી એકલા આકાશની ઝલક

બહેતર દશા છે આજ તો તારા ફકીરની !

 .

( હરકિસન જોષી )

ત્યાં સુધીમાં – મુકેશ જોષી

ચાલ પિંકુ, તને એકથી અનંત ગણતાં શીખવાડું

મમ્મી, એ કેવી રીતે ?

આપણે તારા ગણીએ

મમ્મી, હું તો સૂઈ જાઉં છું, ઊંઘ આવે છે

પછી એ ગણવા બેઠી

ગણતાં ગણતાં વચ્ચે વાદળ આવી ખડખડ હસી પડ્યાં ને ભૂલ પડી

ગણતાં ગણતાં ઝબક ઝબકતાં તારા ધડધડ ખરી પડ્યાં ને ભૂલ પડી

ગણતાં ગણતાં મંદ ચાલ લૈ ચાંદ-ચાંદની ફરી વળ્યાં ને ભૂલ પડી

સવારે રાતીચોળ આંખો જોઈ

પિંકુએ ધીરજ ખોઈ

મમ્મી કેટલા દિવસથી તારા ગણે છે ?

કેટલા દિવસ ગણીશ ?

એ તો આપણને છોડી ગયેલા તારા પપ્પા આવશે ને ત્યાં સુધીમાં

તો ગણાઈ જશે.

 .

( મુકેશ જોષી )

મેઘધનુષ – મુકેશ જોષી

આ તો કહેતા કહેવાઈ ગયું તમને હું ચાહું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે સૂરજના પડખામાં જિંદગી વીતાવું છું.

 .

વાયરાએ એવી તે મારી શું આંખ મૂઈ ખુશ્બુએ દાબડી ખોલી

વાણીને ગોખાવી રાખ્યું’તું મૌન તો ય આંખોને ટેવ છે તે બોલી

આ તો કહેતા કહેવાઈ ગયું ફૂલો સજાવું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે બાગમાં હું જ મારી જાતને વાવું છું

 .

અરધું આકાશ તમે જોયું છે એટલે અંદર પતંગિયાં ડરે છે

સાચું કહું તો એ ઊડે છે જ્યાં જ્યાંથી જિંદગીના રંગ ત્યાં ખરે છે

આ તો કહેતા કહેવાઈ ગયું સપના રંગાવું છું

બાકી મેં કોઈ દિવસ કીધું કે મેઘધનુષ આંખથી પાછા વળાવું છું.

.

( મુકેશ જોષી )

ડોકિયું – મુકેશ જોષી

એને સીધા બેડરૂમમાં આવવાની ટેવ

ભીના ખુલ્લા વાળ રાખીને ઊભી રહું તો

પવન થઈને ફરે સુગંધી જંગલમાં

 .

ચાંદલો કરવા કંકુ ડબી ખોલું તો

આઇનામાંથી ડોકિયું કરી મને લાલમલાલ કરી દે

 .

સાડીની પાટલી વાળતી હોઉ તો

બારીમાંથી વાદળ થઈ ડોકિયું કરે

 .

તકિયા પર તો માથું મુકાય જ નહીં

એના શરીરની સુગંધ…

એટલે

હવે તો કીચનમાં જ સમય વીતાવું

તો ય

કોફીની વરાળમાં

દાળના વઘારમાં

કૂકરની સીટીમાં

એ સીટી માર્યા કરે

મને લાગે છે

ઘણા સમયથી હું માત્ર કાંદા સમાર્યા કરું છું.

 .

( મુકેશ જોષી )

…ખોઈ બેઠો છું-એક તઝમીન – લલિત ત્રિવેદી

આજ સૂનકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

ઝીણો ઝણકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

એની ઇ ભોમકાના અણસારા… વૈખરી પાર થાતાં ઉદગારા..

જોગી ! ઇ તાર ખોઈ બેઠો છું, … એક આકાર ખોઈ બેઠો છું

 .

કોને શોધું છું, કયા વેશે છું… આ કયા દેશે અહર્નિશે છું…

ક્યારે વણજાર ખોઈ બેઠો છું… એક આકાર ખોઈ બેઠો છું

.

ક્યારે હું એકટસ ન જોઈ શક્યો…ક્યારે હું એક પગ ઊભી ન શક્યો

કે હું સ્વીકાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

એક નિષ્કંપ વેળની વાટે…કોના વિનાની વાવના કાંઠે…

એક અસવાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

રેન બુઝાઈ ગઈ છે, આવી જા… પેન રણકતી નથી, આવી જા…

હું ઈંતેઝાર ખોઈ બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

તારાં પાણીડે ખેલવા માટે… તારા પાલવડે પોઢવા માટે…

હું નિરાકાર બેઠો છું, એક આકાર ખોઈ બેઠો છું

 .

( લલિત ત્રિવેદી )

…પતંગિયા કહેશે – લલિત ત્રિવેદી

કળીની સુરખિ-શો મત્લઆ પતંગિયા કહેશે

કુમાશ તારી, ને મિસરા પતંગિયા કહેશે !

 .

ઘુઘવતી માટી લગ રસ્તા પતંગિયા કહેશે !

ફૂટે ક્યાં ખુશ્બુનાં ઝરણાં, પતંગિયા કહેશે !

.

કવિ ! બગીચા સાથે તારે વાત કરવી છે !

તો શીખ ફૂલની ભાષા, પતંગિયા કહેશે !

 .

નદીમાં છે તે થનગનાટ છે પવનમાં પણ

લઈને પાંખમાં ગાણાં, પતંગિયા કહેશે !

 .

ભરી સભા હશે…ઋતુઓ ને બાગ સુણતાં હશે

ખરેલાં પર્ણની ગાથા પતંગિયા કહેશે !

.

“પદાર્થ પામવો જો હોય તારે મર્મરનો-

-લખ્યાં છે તૃણ ઉપર કક્કા”, પતંગિયા કહેશે !

 .

જઈશ ત્યારે હિસ્સો રેશમી દઈને જઈશ

ભલે ક્ષણિક છે આ કાયા, પતંગિયા કહેશે !

.

( લલિત ત્રિવેદી )