Tag Archives: ગુજરાતી કવિતા

યુધ્ધ એ જ કલ્યાણ-એષા દાદાવાળા

પૂછયું કલમો પઢતા આવડે છે?

અઝાન બોલતા આવડે છે?

ને પછી પારકી બંદૂકોમાંથી ગોળીઓ વરસાવી…

મોતે પ્રવાસીઓ પાસેથી જિંદગીનો

જઝિયા વેરો ઉઘરાવ્યો…..

હવે તો એક જ ધર્મ,

વીરધર્મ….

યુધ્ધ એ જ ધર્મ…..

નજર સામે હિંદુ પતિને મરતો જોનારી

સુહાગનનો ધર્મ….

આંખો સામે પિતા નામના આકાશને

લોહીલુહાણ થતા જોનારા પુત્રનો ધર્મ…

સૈનિકનો ધર્મ,

નાગરિકનો ધર્મ,

મારો ધર્મ,

તમારો ધર્મ,

એક જ ધર્મ!

મંદિરનો ધર્મ,

મસ્જિદનો ધર્મ,

ગુરુદ્વારાનો ધર્મ,

ચર્ચનો ધર્મ,

એક જ ધર્મ,

વિક્રમ બત્રા, સોમનાથ શર્મા,

અબ્દુલ હમીદ, આલ્બર્ટ એક્કા,

અરદેશીર તારાપોર ને બાનાસિંઘ સરીખા

પરમવીરોનો ધર્મ,

આ દેશનો ધર્મ,

યુધ્ધ એ જ ધર્મ!

ભારતમાતાના લલાટે રકત રેડ્યું

સુહાગનોનાં લલાટેથી સિંદુર ભૂસ્યું,

ફરવા આવેલાને ગોળીએ દીધા

વડાપ્રધાનને સંદેશા દીધા….

મિસાઈલોને પડકાર ફેંક્યા,

વિમાનોને નોતરાં આપ્યા

શક્તિશાળી ગરૂડોને કહો પાંખો ફેલાવે,

હવે આકાશમાંથી સળગતું મોત વરસાવે….

હે દેશવાસીઓ….

વીરહાક પડી છે,

મીણની બત્તીઓને કબાટોમાં પૂરી રાખજો,

શાંતિના પૂતળાંઓને ઘરમાં ખોડી રાખજો,

કહેજો કબૂતરોને કપરો કાળ ભમે છે,

સફેદ હવે આપણા ધ્વજ નહીં

એમના કફનો હશે…

માતાઓ ભારતની હવે રાહ જુએ છે

ભારત માત્ર આદેશની રાહ જુએ છે

હવે ગજવો ઘોર ત્રિકાળ,

મહાભારતના કરો મંડાણ,

અખંડ ભારતનો કરો શંખનાદ,

ભારતમાતાની છે આણ,

“પાર્થ”ને કહો ચડાવે બાણ,

હવે તો,

યુધ્ધ એ જ કલ્યાણ…!!!!

.

( એષા દાદાવાળા )

આત્મજ્ઞાની કવિ – વિપુલ પટેલ

કવિ વિપુલ પટેલ (મૃત્યુ : ૨૧.૦૪.૨૦૨૫)

(1)

આ સૃષ્ટિના લયસ્તરો માં શાંતિ છે,

એ સમયમાં ‘ હું ‘બોઝલ થાય છે

એ બે ભ્રમર વચ્ચે સ્થિર થાય છે

ત્યારે જ

ત્યાં એક બાળક સતત રમત રમે છે

એ અંધકાર સાથે દોડે છે

એ પ્રકાશના કિરણોના પ્રવાહમાં

એક બુદ્ધનું બિન્દુ ખોળે છે

અંતે એ બિન્દુની ભીતર પ્રવેશ કરે છે

એ પ્રવેશદ્વાર જ છે,

ત્યાં જ એક આંખ દેખાય છે

ચેતનાની આંખ એ જ દાર્શનિક આંખ

એ તમારા કર્મો સાથે માયાળુ બની

માયા બજારમાં ફરે છે

પણ

એ કશું ખરીદતો નથી

કારણ દ્રષ્ટા છે

.

(2)

એ બાળક હવે કિશોર અવસ્થામાં પહોંચે છે

એના દેહમાં ફેરફારો થાય છે

એના ‘હું ‘ માં ફેરફાર થાય છે

એ માતા પાસે શક્તિ માંગે છે

એ ટનલમાં પ્રવેશે છે

ત્યાં આગના અંગારા છે

એક લાંબી મજલ કાપી બ્હાર નીકળે છે

એટલે જ

હિમાલય જેવો અદ્દલ હિમ આલય દેખાય છે

ત્યાં બાવન વીરો ખડગ લઈને બેઠા છે પણ

એ મૌન અને અડગ પગલે આગળના આગળ વધે જ છે,

એ સફેદ તળાવના કિનારે આવે છે,

એ તળાવમાં એક મુખાકૃતિ આવે છે

અને

એ કહે છે ‘તું ‘ કોણ ?

ભીતરથી એક અવાજ આવે છે

રાવણ – અહિર્ રાવણ

એ સફેદ તળાવમાં ન્હાય છે

એ મનના સરોવરમાં મનનો મેલ ખાલી કરી

સાચેજ પેલા માન સરોવર જેમ

હવે એ અનેક સૂર્ય કિરણો નિહાળે છે

એ જ હિરણ્યાકક્ષ , હિરણ્યકશિપુ કે હિરણ્યગર્ભ જેવા હંસો જેવા દેખાય છે પણ

એ બગલા ભગત છે

એટલે

એ અડગ મનથી

બસ ચાલે છે…

બસ ચાલે છે….

એ જ વખતે એના પાસે અદ્રશ્ય લાકડી આવે છે

એ લાકડી હિમશિલામાં ડગે છે,

એ પેલા મેરુદંડ જેમ જ છે છતાંય

એ યુવાન ચાલે જ છે …..

એ ચાલે જ છે

.

(3)

હવે એ વૃદ્ધ થવાની તૈયારીમાં છે

એના વાળ સફેદ થયા છે

બરફવર્ષા અને બરફના ઢગલા અઢળક થાય છે

રસ્તામાં અઢળક દેવો મળે છે

એ દર્શન કરે છે

અંતે અંતિમ પડાવ આવે છે

એ અવસ્થામાં કલ્પનો ભયભીત છે

ગાત્રો થીજવી દે છે

આપણા એ જ કર્મો , કૃત્યો

ભયાનક રાક્ષસ બની આવે છે સામે

પંચાયતન દેવો ત્યારે જ પુજારી બની આવે છે

અને

પરિક્ષા કરવા કહે છે

એ કહે છે !

તમારા ઈષ્ટ દેવતાની પુજા કરો અને

સમર્પણ કરો

એ વૃદ્ધ મનના ખિસ્સામાંથી બધું જ ખાલી કરે છે

બસ ખાલી કરે છે….. ખાલી કરે છે….

(૪)

હદય સ્ફુરણાની અનુભૂતિ કરે છે

અંતે એક પ્રકાશપુંજ દેખાય છે

એક દિવ્ય જયોતિ બ્હાર ભીતર

એક જ

એક

ચિદાનંદ રુપમાં હદય બોલે છે

શિવોહમ્…..શિવોહમ્……શિવોહમ

ત્યાં જ એ મુક્તિ નારાયણના વૃદ્ધ દર્શન કરે છે અને

“અમે….. અમે ……અમે”

ત્યાં પેલો અવાજ હજુય હદયમાં ગુંજે છે

અતઃ કવિર્નામસ

.

( વિપુલ પટેલ )

 

એક અનોખા શબ્દ સાધક…જેમણે મૃત્યુદેવ સાથે જીવતેજીવત સતત સત્સંગ કર્યો એવા કવિશ્રી વિપુલ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ

મચ્છરદાનીમાં સૂવું એટલે-રમેશ આચાર્ય

મચ્છરદાની બાંધી દો,

સમયને સાંધી દો.

મચ્છરદાનીમાં સૂવું એટલે

માતાના ગર્ભમાં હોવાની અનુભૂતિ,

આઘે આઘે દેખાઈ રહેતી દ્યુતિ.

મચ્છરદાનીમાં સૂવું એટલે

આપણે સલામત અંતરે જીવવું,

જીવતરને માપસર સીવવું.

મચ્છરદાનીમાં સૂવું એટલે

આપણે માથે આકાશ હોવાનો અનુભવ કરવો,

એક ભવમાં બીજો ભવ કરવો.

મચ્છરદાનીમાં સૂવું એટલે

આટલી જગ્યા તો આપણી છે તેનો અહેસાસ,

નિરાંતના એક-બે શ્વાસ.

મચ્છરદાનીમાં સૂવું એટલે

છેડા મેળવવાની આવડત કેળવવી,

જાતને જાત સાથે હળવે હળવે હેળવવી.

મચ્છરદાનીમાં સૂવું એટલે

શબપેટીમાં જાતને ગોઠવવાની મથામણ

મચ્છરદાનીમાં સૂવું એટલે…

 

( રમેશ આચાર્ય )

 

તા. ૫-૧૧-૧૯૪૨ થી તા. ૨૫-૦૩-૨૦૨૫

સ્વર્ગસ્થ કવિ રમેશભાઈ આચાર્યને હાર્દિક ભાવાંજલિ.

હશે એ મિત્ર સાચો-હિમલ પંડ્યા

.

કહો ને! ક્યાં સુધી આ જિંદગી પર કાટ હોવાનો?
કદી એવો દિવસ પણ આવશે, ચળકાટ હોવાનો!
.
હંમેશા એ જ કરવું જે સુઝાડે માંહ્યલો તમને,
મૂકો દરકાર એની, બ્હાર તો ઘોંઘાટ હોવાનો!
.
લગાડો ના કદી એની કશીયે વાતનું માઠું;
હશે એ મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો!
.
કરું છું બંધ મુઠ્ઠીને, સરકતો જાય છે તો યે,
સમયનો વેગ જ્યારે પણ જુઓ, પૂરપાટ હોવાનો!
.
ગણીને ચૂકવ્યા એકેક શ્વાસો, તો જિવાયું છે,
ખબર ન્હોતી કે સોદો આ ય મોંઘોદાટ હોવાનો!
.
( હિમલ પંડ્યા )

વરસાદ વિશે પૂછ-દેવાયત ભમ્મર

વરસાદ વિશે પૂછ,માવઠાંનું રહેવા દે.

દરિયા વિશે પૂછ, નાવડાનું રહેવા દે.

.

પૂછ અગર પૂછવું હોય તો ભીંનાશ વિશે.

આપણાં વિશે પૂછ, તાપણાનું રહેવા દે.

વરસાદ વિશે પૂછ,માવઠાંનું રહેવા દે.

મૌસમ નથી અને જે વરસી પડ્યાં છે.

બાવરા વિશે પૂછ, સાગઠાનું રહેવા દે.

વરસાદ વિશે પૂછ,માવઠાંનું રહેવા દે.

.

નથી ખબર કે અળખામણું આગમન છે!

બાથ વિશે પૂછ, બાવડાનું રહેવા દે.

વરસાદ વિશે પૂછ,માવઠાંનું રહેવા દે.

જળ ભર્યા છે ઝબોળી ‘દેવ’ બેડલા.

કુવા વિશે પૂછ, પાવઠાનું રહેવા દે.

વરસાદ વિશે પૂછ,માવઠાંનું રહેવા દે.

.

( દેવાયત ભમ્મર )

પ્રગટી જ્યોત જ્યાં-રાજેશ વ્યાસ “મિસ્કીન”

ના રહ્યો વર્ષો જૂનો અંધાર પ્રગટી જ્યોત જ્યાં,

થઈ ગયું ઘર તેજનો અંબાર પ્રગટી જ્યોત જ્યાં.

.

એક સરખો છે બધે ધબકાર પ્રગટી જ્યોત જ્યાં,

દેહમાં હું દેહનીયે બ્હાર પ્રગટી જ્યોત જ્યાં.

.

તેલની માફક પુરાતું જાય છે કેવળ સ્મરણ,

માત્ર અજવાળું જ અપરંપાર પ્રગટી જ્યોત જ્યાં.

.

અણસમજમાં કેટલા આભાસ અંધારે રચ્યા,

ના કશું આ પાર કે ઓ પાર પ્રગટી જ્યોત જ્યાં.

.

વસ્ત્ર જુદાં લાગતાં’તાં સ્પર્શની સીમા થકી,

તેં વણેલા જોઉં સઘળા તાર પ્રગટી જ્યોત જ્યાં.

.

તું ઝલકતી સર્વ રૂપે, છે સ્વયમ સૃષ્ટિ જ તું,

શોધવો ક્યાં જઈ હવે સંસાર પ્રગટી જ્યોત જ્યાં.

.

પૂર કેવાં ઊમટ્યાં સઘળું તણાયાની મઝા,

ક્યાં હવે એ ગ્રંથ કે એ સાર પ્રગટી જ્યોત જ્યાં.

.

કોઈ મારાથી અલગ ના, હું અલગ ના કોઈથી,

થઈ ગયું કંઈ એમ એકાકાર પ્રગટી જ્યોત જ્યાં.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

કાંઈ પણ વાંધો નથી-મઘુમતી મહેતા

આ જગતની જાતરામાં કાંઈ પણ વાંધો નથી,

તે લખી તે વારતામાં કાંઈ પણ વાંધો નથી.

.

આંખ મીંચી ચાલવામાં મસ્તી, પણ જોખમ ખરું,

એમ લાગે, આપણામાં કાંઈ પણ વાંધો નથી.

.

જો પ્રયાસોના ગુબારા આભ આંબી ના શકે,

દોર એનો કાપવામાં કાંઈ પણ વાંધો નથી.

.

સ્વપ્નમાં નહીં આંખ સામે એક પળભર આવ તો,

જિંદગીભર જાણવામાં કાંઈ પણ વાંધો નથી.

.

કેફ કાયમ હોય ના-એ સત્યને સમજી પછી,

ઘૂંટ બે-ત્રણ માણવામાં કાંઈ પણ વાંધો નથી.

.

આપની પરછાઈ મોટી આપથી જો થાય તો,

દીપને સંતાડવામાં કાંઈ પણ વાંધો નથી.

.

( મઘુમતી મહેતા )

અપના ધૂણા અપના ધૂવાં-લલિત ત્રિવેદી

અપના કરગઠીયાં ને છાણાં…અપના ધૂણા અપના ધૂવાં,

દીધા ચેતવી દાણેદાણા… અપના ધૂણા અપના ધૂવાં.

.

સમિધ થઈ ગ્યા તાણાવાણા… અપના ધૂણા અપના ધૂવાં,

ચેતી ગયા’ ટાણા ને વ્હાણા… અપના ધૂણા અપના ધૂવાં.

.

ઘરમાં જેમ ફરે ધૂપદાન…એમ કોડિયે ઠરે તૂફાન…

એમ ઓરડા થઈ ગયા રાણા… અપના ધૂણા અપના ધૂવાં..

.

આંખ વાખ અરુ સાખ ચેતવી…અંત અરુ શરૂઆત ચેતવી…

ઝગવી દીધા દાણેદાણા… અપના ધૂણા અપના ધૂવાં.

.

એક ચીપિયો ઐસા દાગા…ભરમ હો ગયા ડાઘા…વાઘા…

ખાણાના ખૂલ ગયા ઉખાણા… અપના ધૂણા અપના ધૂવાં..

.

એક નજર ને શક ને હૂણા, એક પલક ને ધખ ધખ ખૂણા,

ધૂવાં કર દિયા ઠામ ઠિકાણા… અપના ધૂણા અપના ધૂવાં.

.

આભ સોસરું ત્રિશૂળ ખોળ્યું …નાભ સોસરું જળમૂલ ખોલ્યું,

ઔર ધૂવાંમાં થાપ્યાં થાણાં… અપના ધૂણા અપના ધૂવાં.

.

( લલિત ત્રિવેદી )

જાણી જો-સંજુ વાળા

નદીનું નામ લઈ જળજોગ જાણી જો,

સપરમી પળ મળી છે તો પ્રમાણી જો.

.

સમય તું સાચવે, પાળે વચન કિન્તુ,

થવાની હોય ત્યાંથી પણ કમાણી જો.

.

પ્રથમ ચશ્માંના લેન્સીસ સાફ કર બંધુ,

પછીથી ગંધ જો, ને રાતરાણી જો.

.

અહીં છે ઊગવું, આથમવું સઘળું એક,

સમય શું ચીજ છે એ પણ પિછાણી જો.

.

ઋતુઓનો કશોએ અર્થ ક્યાં સરતો ?

નથી થાતી અવસ્થાની ઉજાણી જો.

.

ઘણું એ આપમેળે લયમાં આવી જાય,

પ્રમાણી હોય રસભર આદ્ર્રવાણી જો.

.

જરા ખંખેરી નાખું ખેસથી ખેપટ,

પછી તું ભાત, રંગો, પોત, પાણી જો.

.

બચે તો માત્ર એક જ શબ્દ બચવાનો,

બધુંએ થઈ જવાનું ધૂળધાણી જો.

.

( સંજુ વાળા )

વર્ષો પછી પ્રેમિકાને મળતાં…-અનીલ ચાવડા

ઓળખ્યોને હું કોણ છું ?

પાપણ પર ઝૂલતો’તો, તમને કબૂલતો’તો, આભ જેમ ખૂલતો’તો એ જ હું

ઓળખ્યોને હું કોણ છું ?

.

ચોપડીનાં પાનાંમાં સુક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું’તું કોણ ?

તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું’તું કોણ ?

કળીની જેમ ફૂટતો’તો, તમને ઘૂંટતો’તો, તોય સ્હેજ ખૂટતો’તો એ જ હું

ઓળખ્યોને હું કોણ છું ?

.

લાગતો’તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો’તો થઈને વરસાદ

સુક્કાભટ ખેતરમાં ત્યારબાદ ખીલ્યો’તો મોલ ખૂબ આવ્યું કંઈ યાદ ?

યાદ ન’તો રહેતો જે આંસુ થઈ વહેતો જે તોય કંઈક કહેતો જે, એ જ હું.

ઓળખ્યોને હું કોણ છું ?

.

( અનીલ ચાવડા )