તમે શરણે થશો કે ?

સમયની આણ વર્તે છે, તમે શરણે થશો કે નહિ ?

બધેબધ તેજ વરસે છે, તમે શરણે થશો કે નહિ ?

કદી ભીનાશ અડકે છે ? તમે શરણે થશો કે નહિ ?

અધર પર સ્મિત ચમકે છે… તમે શરણે થશો કે નહિ ?

તમે ઝંખો સુવાસિત શબ્દ-સોનું હાથ-હોઠોથી…

બધાં મૂછોમાં મલકે છે, તમે શરણે થશો કે નહિ ?

દઝાડે એ, સતાવે છે, હરાવે છે, રડાવે છે…

છતાં રમવા નિમંત્રે છે, તમે શરણે થશો કે નહિ ?

પ્રલોભન ભૂલ કરવાનાં અહીં ડગલે ને પગલે છે…

જીતેલી બાજી સરકે છે, તમે શરણે થશો કે નહિ ?

(બકુલેશ દેસાઈ)

કોણ છે?

હું સતત મરતો રહ્યો, જીવે તે કોણ છે?
આ હવાના વસ્ત્રને સીવે તે કોણ છે?

http://www.heenaparekh.com

પુષ્પ થૈને વૃક્ષડાળે હું ખીલી રહું;
મૂળભીનાં જળ સતત પીએ તે કોણ છે?

http://www.heenaparekh.com

હું મને પણ આયનામાં જોઈ ના શકું;
આંખની પાછળ રહી જુએ તે કોણ છે?

http://www.heenaparekh.com

હું પણછ ને હું જ પંખી, ડાળ છું અહીં;
બાણ થૈને લક્ષ્યને વીંધે તે કોણ છે?

http://www.heenaparekh.com

જિંદગી છે એક માયાવી હરણ સમી-
તર્જનીના ટેરવે ચીંધે તે કોણ છે?

http://www.heenaparekh.com

(આહમદ મકરાણી)

મરવું

.

કોઈએ કહ્યું છે :

માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે

મરણ સાથે.

આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે ?

કે લગ્નની ભયંકરતા તરફ ?

.

‘મરવું’માંથી વાસ આવે છે

બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,

કોહવાતા લાકડાની,

મરઘાના ખાતરની,

વરસોથી ન ખૂલેલા, હવડ હવાબારી વગરના

સંબંધની,

લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો,

હવે શ્રીફળ પધરાવો. ચાર બાજુએ ચાર ચાંદલા કરો,

અક્ષત લગાડો, હાથમાં ઊંચકીને ત્રણ વખત માથે અડાડો,

કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા… મિ….’ની વાસ આવે છે

‘મરવું’માંથી.

.

કૂંપળમાંથી કોલસો

વ્હેલમાંથી તેલ

-કેવા કેવા વેશ કાઢે છે, આ ‘મરવું’

.

ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,

પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,

ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,

યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું.

.

(ઉદયન ઠક્કર)



તારી બારી પર

તારી બારી પર

ઝરમર ઝરમર વરસાદ પડે છે

તે હું છું

તારી બારી પર

એક ફૂલ ઝૂકેલી ડાળી છે

તે હું છું

તારી બારી પર

એક પંખીનો ટહુકો છે

તે હું છું

તારી બારી પર

હવાની અદ્રશ્ય લ્હેરખી છે

તે હું છું.

ઉઘાડ-બંધ થતી તારી બારી

તે પણ હું છું

તારી બારીની અંદર

કે બહાર

માત્ર હું છું

(ઉમાકાન્ત શ્રીનાથ)

બાપો

મૂળ વલસાડના અને થોડા વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા શ્રી જયંત દેસાઈની આ કવિતા દક્ષિણ ગુજરાતની લાક્ષણિક બોલીમાં લખાયેલી છે. આને પ્રાર્થના કે ભજન કહેવું મુશ્કેલ છે. કવિ ખૂબ જ સહજતાથી અને આત્મીયતાથી ઈશ્વર સાથે એવી રીતે વાત કરે છે જાણે કે ઘરની વ્યક્તિ કે મિત્ર સાથે કરતાં હોય. કવિ આ કવિતામાં ઈશ્વરને બાપો, ડોસો કહીને સંબોધે છે અને પોતાની ફરિયાદો કરે છે. પણ કવિનો દેસાઈ મિજાજ-કોઈથી ન દબાઈ જવાનો મિજાજ અહીં છતો થયા વિના રહેતો નથી. તે ઈશ્વરને ડોફો કહીને એ મિજાજમાં ધૂળ કાઢી નાખવા માટે ધમકી આપે છે. આ મિજાજ જોઈને વલસાડના જ મોરારજી દેસાઈ યાદ આવ્યા વિના રહેતા નથી. તેઓ પણ આવા જ મિજાજ માટે જાણીતા હતા.

બાપો

હું લાગમાં લીધો,
હું લાગમાં લીધો…!
બરોબ્બર ગચરાઈ’વો તેં
બાકી, કે’વું પડે હેં!!
તું ડોહો ને ઊં તારો પોઈ’રો…
એટલો હોં તે વિચાર નીં કઈ’રો!
હાંને હારું તેં મને
આ દુનિયામાં લાવી’ને લાઈ’ખો?
મારો વાંક હું ઉતો?
ને મારે કાં કંઈ જોઈતું ઉતું?
ખાલી ફોગટનો મરાવી લાઈ’ખો!
નિહાળમાં માસ્તરોએ કીધું
કે હારા પોઈરા બનવાનું,
તો ઉં બઈ’નો!
ચોપડામાં વાંઈ’ચા કરતો, ને પછી
હારો માણસ હો બઈ’નો!!
પણ મને તેં કાં ઠરીને બેહવા દીધો?
આ ફા લાઈ’ખો ને વરી તે ફા લાઈ’ખો!
ને છેલ્લે તો જે ફેંઈ’કો તે આ
દહ અજાર માઈલ દૂર આવીને પઈ’ડો!
જે લોકો સાલા ઉંધા ધંધા કરતાં ઉતાં
તેને નીને મને હાંને હારું તેં
આટલો દુ:ખી ક’ઈરો હેં?
તું હું એમ માને કે ઊં દબાઈને બેહી રે’વા
ને કંઈ ની બોલા? અરે ડોફા!
ભગવાન થેઈ ગીઓ તો હું થીયું?
ઊં તો તારી હો, ધૂળ કાઢી લાખા, કે’ઈ દે’ઊ!
વરી લેવાનું કંઈ મલે ની ને અમથો
મને આ ભવાડામાં ખેંચી લાઈ’વો!
જોતે…પાછો! અઈ’હાં હું કરતો છે?
તારા બધ્ધાં ફોટા ને મૂ’રતી, ઘરમાંથી કાઢી
ની લાખું તો મારું નામ ની!
બોઊ થહે તો ગાંડો થેઈ જવા ને
એમ માના કે મારો કોઈ બાપો ઊતો જ ની!
જો અક્કરમીના પડિયાં કાણા ઓ’ય તો
હક્કરમી બનીને હો હું કાંદો કાઈઢો?
કાં દા’ડો વઈ’ળો બોલ?
ચૂપ કેમ થેઈ ગીઓ
કંઈ ફાટ તો ખરો!! મોઢામાંથી!
.
[ગચરાઈ’વો-ગળચી દબાવી, પોઈરો-છોકરો, હક્કરમી-સદ્દકર્મી, અજાર-હજાર, ફા-બાજુ, અઈ’હા-હસ્યા]
.
જુલાઈ ૯ ૨૦૦૫ રાત્રે ૯.૦૦ પમોના
.
જયંત દેસાઈ

વાર લાગી

બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતાં વાર લાગી
હાર ને જીતથી પર હતા એટલે ખેલતાં ખેલતાં વાર લાગી

ઝેલતાં ઝેલતાં વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવાપણાનો
પ્રિય પીડા હતી, કષ્ટ અંગત હતાં ગેલતાં ગેલતાં વાર લાગી

કોઈ રાખ્યાં નહીં માર્ગનાં વળગણો, કોઈ પરવા કરી નહિ સમયની
ટહેલતાં ટહેલતાં છેક પહોંચી ગયા, સહેલતાં સહેલતાં વાર લાગી

ચંદ્ર-સૂરજ વિના આમ અમને અમે ધીમે-ધીમેકથી ઓળખાયા
મૌનના ગર્ભમાંથી અસલ તેજને રેલતાં રેલતાં વાર લાગી

ભૂલતાં ભૂલતાં ભાન ભૂલ્યા, પછી ઝૂલતાં ઝૂલતાં ખૂબ ખૂલ્યા
ખૂલતાં ખૂલતાં પણ તમારા સુધી ફેલતાં ફેલતાં વાર લાગી

આમ અનહદ વરસતી કૃપાના અમે માંડ પીધા હશે બેક પ્યાલા
ઝીલતાં, ઝાલતાં, મ્હાલતાં, માણતાં, મેલતાં મેલતાં વાર લાગી

.જવાહર બક્ષી

બહાર ના શોધે-સુધીર પટેલ

બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે, પાનબાઈ !

એમ બસ આઠે પ્રહરની મોજ રાખે પાનબાઈ !

આપણે ડૂબી ગયા ને એ તરે છે એટલે,

વિષયોનો ના કશોયે બોજ રાખે, પાનબાઈ !

જ્યાં તમે ને હું પડી ગ્યાં ત્યાં જ ઊભા એય પણ,

દ્રઢ નિશ્ચયની અડીખમ ફોજ રાખે, પાનબાઈ !

વેણ કૈં ગંગાસતી બોલે નહીં વારંવાર,

ટેક લીધી એક દી તે રોજ રાખે, પાનબાઈ !

ફક્ત દીવાથી નહીં ફેલાય અજવાળું ‘સુધીર’,

વેણ બોલી ઊજળાં કૈં ઓજ રાખે, પાનબાઈ !

(સુધીર પટેલ)