Tag Archives: ગુજરાતી કવિતા

પાણી સ્તોત્ર

પાણીને પાણી ડુબાડે એવું પાણી જોઈએ,

પાણીથી પાણી ઉગાડે એને માણી જોઈએ.

.

પાણીને પણ માનવી જેવું જ મન કૈં હોય છે,

ચાલ, એને હાથ હળવે ઝાલી નાણી જોઈએ.

.

ધોધરૂપે ધસમસ પડે છે, પથ્થરો તોડી રહે,

હોય છે રેશમ સમું એ, ચાલ તાણી જોઈએ.

.

વાદળ ઉપર વાદળ પહેરી ગર્જતું ને દોડતું,

કોની પરે એ કેટલું વરસ્યું પ્રમાણી જોઈએ.

.

બર્ફમાં પામી રૂપાંતર ઊંઘતું ને જાગતું,

એ સમજવા હાથને પણ સ્પર્શની વાણી જોઈએ.

.

સમજાય જીવાનામૂલ્ય તો હાથમાં પાણી લીઓ,

શ્વાસ ને ઉચ્છવાસની સાચી કમાણી જોઈએ.

.

( યોસેફ મેકવાન )

આગ સળગે છે-રાજેશ વ્યાસ “મિસ્કીન”

ગજબ ધ્યાનસ્થ છું બાહર ને ભીતર આગ સળગે છે,

ન આવે ખ્યાલ સુદ્ધાં એમ જબ્બર આગ સળગે છે.

.

ડરી જાશે, તો શ્વાસો જાણતા બધ્ધું ઠરી જાશે,

હ્રદયના નામ પર એવી નિરંતર આગ સળગે છે.

.

પછી રોકાય ક્યાંથી બોલ સંસારી, એ અલગારી,

ગયું દેખાઈ જેને કે ઘરેઘર આગ સળગે છે.

.

પછી અદ્રશ્ય કોઈએ હાથ સાચવતો રહે, એને,

સતત આઠે પ્રહાર જ્યારે ખરેખર આગ સળગે છે.

.

તણખલાને ય આવે આંચ ના સંભાળતો – જોતો,

તકેદારી સ્વયમ રાખે છે ઈશ્વર આગ સળગે છે.

.

અને જે કૈ બચી જાતું બધું સોનું બની જાતું,

આ ચપટી રાખમાં મિસ્કીન સધ્ધર આગ સળગે છે.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ત્રણ કૃષ્ણ કાવ્યો-યોગેશ જોષી

(Devansh Raval, Valsad as Kanha)

.

દૂરથી

વહી આવતા

વાંસળીના સૂરનો

હળવોક

સ્પર્શ થતાં જ

વાંસવનમાં

વાંસ વાંસને

ફૂટ્યા ફૂલ !

*

પહાડ આ ઊઠાવવાને પ્રેમનો;

આંગળી મેં કૃષ્ણની માગી હતી.

*

મારગ

.

નથી મારા માથે ટોપલો.

નથી ટોપલામાં નવજાત કાનુડો.

નદીમાં ઊમટેલાં

ગાંડાતૂર પૂર જોઈને જ

ઝંપલાવ્યું’ તું આ…મ…

ને તોય

કેમ આ પાણી

બે ભાગમાં વહેંચાઈ જઈને

કરી આપે છે મારગ ?!

ક્યાં લઈ જવા ?!

.

( યોગેશ જોષી )

 

કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?-કૃષ્ણ દવે

.
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
ધૂળમાં એક-બે જોઈ પગલી જરા આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને !
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈ ને ?
.
ખેલતું, કૂદતું, શોધતું ગોદને, હૂંફનું બારણું જ્યાં સ્વયમ્ ખુલતું,
પાંપણોમાં પ્રવેશી જતું હોય શું ? આંખ મીંચી જતું ઝૂલતું ઝૂલતું,
કંઠ કોનો હશે ? ગીત કોના હશે ? કોણ પોઢાડતું હોય છે ગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
.
લ્હેરખીની હથેળી ફરે હેતથી વૃક્ષની ડાળના ગુચ્છશાં પર્ણમાં,
કોણ ગવડાવતું ગીત આ મર્મરી ? કૂંપળોના સ્વરો ગુંજતા કર્ણમાં,
કોણ આવે અને જાય પળમાં વળી, વ્હાલ કરતું રહે આમ લહેરાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
.
માત્ર હુંકારથી ગર્જનોથી ભર્યું જે નહીં સંભવે સિંધુના ક્હેણથી,
સ્હેજ ભીનાશથી, સ્હેજ મીઠાશથી, એ બધું સંભવે બિંદુ ના વેણથી,
કોણ મ્હેકી જતું હોય છે શ્વાસમાં ! કોણ ઉઘડી જતું હોય રંગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
.
( કૃષ્ણ દવે )

કાન્હા બીજું તો શું કરીએ!-દેવાયત ભમ્મર

(Viansh Parekh, Canada as Kanha)
.
કાલાવાલા કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
ધ્યાન તારું ધરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
.
આવ્યો વ્હાલાં અવની પરે.
વિધ વિધ કર્યા કામ.
આંતરડી વ્હાલાં સૌની ઠરે.
હજું, લેતાં તારું નામ.
શ્યામ તને સમરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
કાલાવાલા કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
.
હશે કેવું રૂપ તિહારું!
કેવો હશે તું કહાન!
સંગ રહેવા તારી સારું.
લોક ભૂલી જતાં ભાન.
કલ્પનાં ગોકુળની કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
ધ્યાન તારું ધરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
.
વખત અઢળક વહી ગયો.
વહેતો રહ્યો વનમાળી.
‘દેવ’ હૃદયમાં રહી ગયો.
ત્રિવિધ તાપને ટાળી.
તારાં નામે તરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
કાલાવાલા કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
.
( દેવાયત ભમ્મર )

દોસ્ત! વાત મારી તું માન-અનિલ ચાવડા

દોસ્ત! વાત મારી તું માન,
જન્માષ્ટમી સાવ હવે નજદિક આવે છે તો આપણેય થઈ જઈએ ક્હાન!
દોસ્ત વાત મારી તું માન…
.
સપનાની છલકાતી મટકીઓ ફોડીને
મધમીઠા માખણને ખાઈએ,
ઇચ્છાની ગોપીઓ જો નહાવાને આવે તો
વસ્ત્રો લઈ આપણે સંતાઈએ,
વ્હાલપની વાંસળીને ફૂંકીને ચાલ ગાઈ આપણેય અદકેરું ગાન,
દોસ્ત વાત મારી તું માન…
.
આપણામાં બેઠો છે કાળમીઢ કંસ
એને પડકારી મેદાને હણીએ,
જીવતરના દરિયાની અંદર જઈ આપણેય
આપણી દુવારકાને ચણીએ!
એ પ્હેલા સમજી જઈ આપણે કે શ્વાસ ક્યાંક ખોઈ દે સુધ-બુધ-ભાન…
દોસ્ત વાત મારી તું માન…
.
( અનિલ ચાવડા )

જ્યારે બજરંગબલી જાગશે !-કૃષ્ણ દવે

જ્યારે બજરંગબલી જાગશે !

લંકામાં આગ ફરી લાગશે, જ્યારે બજરંગબલી જાગશે !
એક ગદામાં જુઠ્ઠાણું ભાંગશે, જ્યારે બજરંગબલી જાગશે !

સેવા હનુમાન કરે એવું ઈચ્છો છો તો પહેલા તો લઈ આવો રામ
ભાગેલી નહીં એ તો જાગેલી જીન્દગીના દોડી દોડીને કરે કામ

ચરણરજ એની એ માથે ચડાવશે ને બેસવાનું સામેથી માંગશે

જ્યારે બજરંગબલી જાગશે !

આ તો છે આખ્ખી’યે દુનીયાના દાદા ને દાદાને સળીયું ના હોય
વિકૃતિ જન્મે જ્યાં એવા દિમાગની તો સાફ સૂફી કરો ધોઈ ધોઈ

મંદિરને બદલે શોકેશ બની જાશે ત્યાં જેને હનુમંતપણું ત્યાગશે

જ્યારે બજરંગબલી જાગશે !

(કૃષ્ણ દવે)

ફરી શકતો નથી-કુમાર જૈમિની શાસ્ત્રી

એક એકલતા મને તારા સુધી લઈ જાય છે,
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી.

તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું,
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.

કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે-
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

તું જશે તો આ જગત જાણી જશે તારા વગર,
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.

સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે,
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.

( કુમાર જૈમિની શાસ્ત્રી )

માધવને પ્રશ્ન-દિનેશ ડોંગરે

ગોકુળમાં ઝૂરતી રાધા ને
મીરાં થઈ છે દીવાની મેવાડમાં,
મથુરામાં માધવને પૂછો કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

રાધાનાં શમણાં થઈ જાયે સાકાર
પછી મીરાંની ભક્તિનું શું ?
મીરાં ધારોકે કરે વૈતરણી પાર
તો રાણાની આસક્તિનું શું ?

ક્યારેક આંગળીએ ઊંચકો ગોવર્ધન
ક્યારેક જઈ બેસો છો પહાડમાં
મથુરામાં માધવને પૂછે કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

ગોધૂલી ટાણે ઝાલર બજે ને
પછી વાંસળીના સૂર રેલાય,
ગોકુળ, મથુરા, વૃન્દાવન, દ્વારકા
બધે તારી જ ફોરમ ફેલાય.

રાધા ને મીરાં તો જીભે ચઢી
સોળ-સહસ્ત્ર ધબકે છે નાડમાં…
મથુરામાં માધવને પૂછે કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

( દિનેશ ડોંગરે )

સુવાસ લૈ-મનીષ પરમાર

શબ્દ આવ્યા હોય તારા શ્વાસ લૈ,
આ હવા તારી ફરે સુવાસ લૈ.

પાંપણો ખૂલી રહી અંધારમાં,
ક્યાં ગયા છો આંસુનો અજવાસ લૈ ?

થોડુંક નીચે નમ્યું’તું ડાળ પર,
પંખી તો ઊડી ગયું આકાશ લૈ.

તોય હું મૃગજળ સુધી પહોંચ્યો નહીં-
કેટલા જનમોની જૂની પ્યાસ લૈ.

દાટવાને ક્યાંય મળતી ક્યાં જગા ?
ક્યારનો ઊભો હતો હું લાશ લૈ.

( મનીષ પરમાર )