.
વલસાડના અવ્વલ અનાવિલ…
.
એક જમાનામાં સુરતના ત્રણ નન્ના જાણીતા હતા : નર્મદ, નવલરામ અને નંદશંકર. દક્ષિણ ગુજરાતના અનાવિલોના ત્રણ મમ્મા કોણ ?
.
જવાબ છે : મોનજી રુદર, મહાદેવ દેસાઈ અને મોરારજી દેસાઈ. ચોથા મ મૂકવા હોય તો ગોસેવક મણિભાઈ દેસાઈને યાદ કરવા રહ્યા.
.
અનાવિલની વ્યાખ્યા શી ?
.
જે માણસ તમને પંપાળતો હોય તોય નખોરિયાં ભરે છે એવું લાગે એને અનાવિલ જાણવો. મોરારજીભાઈ અનાવિલ હતા.
.
કેટલાક માણસોની પર્સનાલિટી જ જરા વિશિષ્ટ હોય છે. એ પ્રશંસા કરવામાં કાયમ કરકસર કરે, પરંતુ ટીકા કરવામાં વાર ન લગાડે. એ સદ્દભાવ પ્રગટ કરવામાં વિલંબ કરે, પરંતુ અણગમો તરત પ્રગટ કરે. એ કોઈનો ઝટ સ્વીકાર ન કરે, પરંતુ એને દૂર કરવામાં ઉતાવળ કરે. મોરારજીભાઈ સામેવાળાને સ્નેહ કરતા હોય તોય એ માણસને તે વાતની ખબર ન પડે. વાણી કઠોર હતી એથી કાયમ એ શત્રુ ઉછેર કેન્દ્રના માલિક બની રહ્યા. શાસન (ગવર્નન્સ) કેમ કરવું એની સૂક્ષ્મ સમજ એમની પાસે હતી. એમની પાસે યોગ્ય નિર્ણય ઝડપથી લેવાનું સામર્થ્ય હતું. આવી શક્તિ ધરાવનારા દશરથના વિશ્વાસુ સુમન્ત્ર માટે વાલ્મીકિ રામાયણમાં ત્વરિતવિક્રમ: શબ્દપ્રયોગ થયો છે.
.
વડા પ્રધાન મટી ગયા પછી એ મરીન ડ્રાઈવ પર આવેલા ઓસિયાના ફ્લેટમાં રહેતા હતા. પાકિસ્તાનના સરમુખત્યાચાર જનરલ ઝિયા સાથે એમનો સંબંધ સારો હતો. બન્ને વચ્ચે ટેલિફોન પર લાંબી વાતચીત થતી. ઈરાનના શાહને પણ મોરારજીભાઈ માટે ખૂબ આદર. પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાન-એ-પાકિસ્તાન મોરારજીભાઈને નિવૃત્તિ દરમ્યાન મળ્યો. એ સ્વીકારવા માટે એ પાકિસ્તાન જવા તૈયાર ન થયા. એ સમયગાળામાં હું વારંવાર મોરારજીભાઈને મળવા જતો.
.
લાગ જોઈને મેં મોરારજીભાઈને પૂછ્યું :
.
‘આપે પાકિસ્તાન જવાની ના કેમ પાડી ?’
.
એમનો પ્રતિભાવ એક જવાબદાર અને રુઆબદાર રાષ્ટ્રપુરુષને શોભે એવો હતો. એમણે કહ્યું :
.
‘હું પાકિસ્તાન જાઉં તો પત્રકારો મોમાં આંગળાં નાખીને મારી પાસે ઈન્દિરા ગાંધીની વિરુદ્ધ બોલાવડાવે. મારે મારા દેશના વડા પ્રધાનની નિંદા પરદેશની ધરતી પરથી કરવી નહોતી. વળી હું ઈન્દિરાની ખોટી પ્રશંસા કરું કે એમનો બચાવ કરું તો મારે જૂઠું બોલવું પડે ! માટે મેં જવાની ના પાડી.’
.
ભારતને આવો શીલવાન વડા પ્રધાન ક્યારે મળશે ? રાજકારણી હોય એને જૂઠું ન બોલવાનું પોસાય ?
.
અશોક શાહ નામના યુવાનને મેડિકલમાં પ્રવેશ મળ્યો. એ યુવાને તે વખતના નાણાપ્રધાન મોરારજીભાઈને પત્ર લખીને આર્થિક મદદ કરવા વિનંતી કરી. મોરારજીભાઈએ પર્સનલ એકાઉન્ટમાંથી તરત જરૂરી રકમ મોકલી આપી. આજે એ યુવાન ન્યુયોર્ક રાજ્યના રોચેસ્ટર શહેરમાં પેટના રોગોના નિષ્ણાત તરીકે દાક્તરી સેવા આપી રહ્યો છે. હું અશોકભાઈને ઘરે ત્રણ વાર જઈ આવ્યો છું. એ આદરણીય મોરારીબાપુના ભક્ત છે.
.
એક અંગત પ્રસંગની વાત કરું ?
.
હું ત્યારે સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગમાં પ્રોફેસર અને હેડ હતો. મોરારજીભાઈ ડુમસ આવે ત્યારે હું એમને અચૂક મળવા જતો. સુરતના નગરજનો મોટી સંખ્યામાં મારાં ગીતા-પ્રવચનો સાંભળવા માટે આવી પહોંચતા. ડુમસ જઈને મારા પ્રવચનમાં ઉપસ્થિત રહીને ગીતાના તત્વજ્ઞાન અંગે બે શબ્દો શ્રોતાઓને કહેવાની મેં મોરારજીભાઈને વિનંતી કરી. એનો સ્વીકર કરીને એમણે આપેલા સમયે સુરતના જીવનભારતી હોલમાં ઉપસ્થિત થયા અને બોલ્યા. એ ૯ ઓક્ટોબર, ૧૯૮૩નો દિવસ મારે માટે અને સુરતીઓ માટે યાદગાર બની ગયો !
.
એમના જેવા સ્વચ્છ રાજપુરુષ હવે દીવો લઈને શોધવા જઈએ તો પણ જડે એમ નથી. આજે તો ઠેર ઠેર તમને દિગ્વિજયસિંહ જ મળવાના ! સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં લોકસભામાં નાણાપ્રધાન તરીકે નવ-નવ વાર બજેટ રજૂ કરવાનો વિક્રમ હજી મોરારજીભાઈના નામે છે. એમની પર્સનાલિટી અત્યંત પ્રભાવશાળી હતી.
.
મોરારજીભાઈને શત્રુ પેદા કરવાની ઉતાવળ રહેતી. જો એ મધુરભાષી હોત તો નહેરુ પછી જરૂર ભારતના વડા પ્રધાન બન્યા હોત. કડવાં વેણ ઉચ્ચારવાં એ એમની હોબી હતી શું ?
.
એ આખાબોલા હતા એથી બોલતી વખતે આખા ને આખા (ઈન્ટિગ્રેટેડ) રહી શકતા હતા. વડા પ્રધાન હતા ત્યારે ઉત્તર ભારતના કોઈ શહેરમાં એમનું જાહેર પ્રવચન થયું ત્યારે એક પત્રકારે કહ્યું :
.
સર ! તમારું પ્રવચન ઉત્તમ હતું. તરત જ મોરારજીભાઈએ એ પત્રકારને કહ્યું :
.
‘વડા પ્રધાનો ક્યારે પણ નબળું પ્રવચન કરતા નથી.’
.
એમના જવાબમાં રહેલી તેજલ ધાર સમજવા જેવી છે.
.
( ગુણવંત શાહ )
હેપ્પી બર્થ ડે મોરારજી(ભાઈ)દેસાઈ!
શત્રુ ઉછેર કેન્દ્રના માલિક, પંપાળે તો ય નખોરિયા…. વગેરે વાળી ગુણવંતભાઈની એક એક વાત સાચી છે.
તેઓ યુનિક હતા એ એમની જન્મ તારીખથી જ સાબિત થઈ જાય છે ને !
શે’ર કરવા બદલ આભાર .
હેપ્પી બર્થ ડે મોરારજી(ભાઈ)દેસાઈ!
શત્રુ ઉછેર કેન્દ્રના માલિક, પંપાળે તો ય નખોરિયા…. વગેરે વાળી ગુણવંતભાઈની એક એક વાત સાચી છે.
તેઓ યુનિક હતા એ એમની જન્મ તારીખથી જ સાબિત થઈ જાય છે ને !
શે’ર કરવા બદલ આભાર .
anavil mean nirdosh ( dosh rahit).. Gunavant shah we want more article Hon. Moraraji Desai
anavil mean nirdosh ( dosh rahit).. Gunavant shah we want more article Hon. Moraraji Desai
આદરણીય શ્રી મોરારજી દેશાઈ ની જીવનની અલપ ઝલપ શ્રી ગુણવંત ભાઈની કલમે આજે તેમના જન્મ દિન નિમિત્તે તમારા દ્વારા માણવા મળી તે બદલ આભાર !
આદરણીય શ્રી મોરારજી દેશાઈ ની જીવનની અલપ ઝલપ શ્રી ગુણવંત ભાઈની કલમે આજે તેમના જન્મ દિન નિમિત્તે તમારા દ્વારા માણવા મળી તે બદલ આભાર !