માનવ જીવનની અનંત સંભાવનાઓ

માનવ જીવનની અનંત સંભાવનાઓ-અરુણ ‘યોગી’ પારેખ

અમારી દમણિયા સોની જ્ઞાતિના ગૌરવ સમા પદ્મભૂષણ લોર્ડ ડો. ભીખુભાઈ પારેખ તથા તેમના અનુજ શ્રી અરુણ ‘યોગી’ પારેખને બે-ત્રણ વખત સાંભળવાનો મોકો મળ્યો. આજે અહીં શ્રી અરુણભાઈની એક નાનકડી પુસ્તિકા વિશે માહિતી આપું છું.

.

શ્રી અરુણભાઈની આ પુસ્તિકા ગાગરમાં સાગર સમાન છે. જેમાં એમણે શબ્દશક્તિ, ઈચ્છાશક્તિ અને વિચારશક્તિ અને આ તમામ શક્તિઓને પ્રાણવંત રાખતી ધ્યાનશક્તિને ઓળખવા પર ખાસ ભાર મૂક્યો છે. સાથે સાથે રોજ પ્રાર્થના કરવા અને ઘરમાં મંદિર રાખવા સૂચન કર્યું છે.

.

લેખક પરિચય :

.

શ્રી અરુણ ‘યોગી’ પારેખ લેખક, વક્તા અને પરિસંવાદ સંચાલક છે. પરમહંસ યોગાનંદના ઉપદેશો તથા ચિંતન અને ધ્યાનની પોતાની વર્ષોની સાધનાને આધારે સાન હોઝે, કેલિફોર્નિઆ સ્થિત અરુણ ‘યોગી’ પારેખ માને છે કે આપણાં જીવનની અનંત સંભાવનાઓનો અહેસાસ કરવાનો એક માત્ર માર્ગ આપણા વણથંભ્યા માનસિક વલણો તથા જીવનની અવિરત માંગોમાંથી માનસિક સભાનતાને થોડો સમય વેગળી કરવાનો છે.

.

મુંબઈ તેમજ અમેરિકાની એટલાન્ટીક યુનિવર્સિટીના દર્શનશાસ્ત્રના સ્નાતક અરુણ પારેખે ૧૯૯૯માં વહેલી નિવૃત્તિ લઈ જાહેર વ્યાખ્યાનો, પ્રશિક્ષણ ને પરિસંવાદો દ્વારા સમગ્ર અમેરિકા અને ભારતમાં લોકો સમક્ષ જીવનને સમૃદ્ધ કરવાનો રાહ ચિંધવાના ધ્યેયને તેમનું જીવન સમર્પિત કર્યું છે.

.

“મારા જીવનનો ઉદ્દેશ્ય જ જીવને મને જે કંઈ શીખવ્યું છે તેની ઉપયોગીતામાં સૌને ભાગીદાર બનાવવાનો છે.”

.

તેઓ લાઈફ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ તથા પોઝીટિવ એટિટ્યુડ અને રિટાયરમેન્ટના પ્રોગ્રામો ઓફર કરે છે.

.

લેખકના અન્ય પુસ્તકો :

Powers of Our Mind

Success Is Your Birthright

Meditation – A Way To Take Charge Of Your Life

Only One Life To Live

.

માનવ જીવનની અનંત સંભાવનાઓ

પ્રકાશક :

આરતી ઈન્ટેગ્રેટેડ ટ્રેઈનિંગ

Website: www.ArtiPresentations.com

Email: Yogi@ArtiPresentations.com

.

પ્રાપ્તિસ્થાન :

(૧) શ્રી ઉન્મેશ જે કાપડિયા, શિવમ, બી-૧ શિવશક્તિનગર, તાડવાડી, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯.

ફોન નં. ૦૨૬૧-૨૭૬૧૪૭૫

.

(૨) શ્રી અંજન લાલાજી, આર-૧૦/૨, બાંગુર નગર, જયશ્રીધન સોસાયટી, ગોરેગામ (પ.) મુંબઈ-૪૦૦૦૯૦. ફોન નં. ૦૨૨-૨૮૭૯૮૫૦૯.

.

પૃષ્ઠ : ૨૦

.

મૂલ્ય : Indian Rs. 20/-

US $ 5.00

ભયની સૂચિ

દરેક વખત ડરતાં રહેવા કરતાં

તો સારું છે

એક વાર

ડરનું પોતાનું

લિસ્ટ બનાવી લે

જાણી લે

એમના વિશે

અને પછી ડરવું

એક-એકથી

.

ડર આવે સૌથી પહેલાં

એ બારણેથી

જે ખુલ્લું હતું

એ કહેતાં-

અમે તમને ભય-મુક્ત કરીશું

કોને કહીએ એ વખતે

અને હમણાં પણ કોને કહીએ

સૌથી વધારે એમનાથી જ ડરીએ છીએ.

.

ભયભીત કર્યા ગુરુજનોએ

સૌથી વધારે

પિતૃઓએ ભયભીત કર્યા

સ્વામી, પ્રિયજન, સગાસંબંધીઓએ પણ…

.

મિત્રોથી પણ ઊંડે ઊંડે ભયભીત છીએ

કોણ જાણે ક્યરે કોણ ખતમ કરશે

વિશ્વાસોથી

.

બહુ દૂરથી

એક ઈશારામાં

સમગ્ર સૃષ્ટિ નષ્ટ કરવાવાળાથી

ડરેલા છીએ,

અને ડરતાં રહીએ છીએ પળેપળે

એકલા સૂતાં-જાગતાં ભીડમાં

પણ પોતાના પડછાયાથી પણ ડરીએ છીએ

.

ડર બહાર ઘાયલ થવાના

ભીતર પડ્યા પડ્યા મરી જવાના

લૂંટાઈ જવાના, સપનાના, ભયથી

ભર નિદ્રામાં ડરવાના

સ્વપ્નામાં જાતે મરી જવાના ભયથી

.

સહેલું નથી લિસ્ટ બનાવવાનું

ડરનું

ભયભીત કંપિત કરી મૂકે છે

આટલા બધા ભય વિચારીને

અને જાણીને એમનાં કારણો.

.

( અંબિકા દત્ત, અનુ. સુશી દલાલ )

કોને ખબર ?

એક પરપોટો પુન: પાણી થશે, કોને ખબર ?

આપણી પૃથ્વી ય ધૂળ ધાણી થશે, કોને ખબર ?

.

જાત ઓળખતાં જ અણજાણી થશે, કોને ખબર ?

શાહીના સ્પર્શે સહજ શાણી થશે, કોને ખબર ?

.

ઊડતા પંખીની પરછાંઈ જે પકડે જાળમાં

પારધી એ સતનો સહેલાણી થશે, કોને ખબર ?

.

આવી પહોંચી છે કોઈ ગંગા પ્રગટવાની ઘડી

કઈ ક્ષણે કથરોટ આ કાણી થશે, કોને ખબર ?

.

બહુરૂપી છે જિંદગી: ઝીંકાઈને એ ધણ થશે

પીલવાને એ તરત ધાણી થશે, કોને ખબર ?

.

કેટલાં વર્ષે મળ્યો મોકો તો મળીએ એમને

એ બહાને આજ ઉઘરાણી થશે, કોને ખબર ?

.

પાથરી બિસ્તર કબરનો શી રીતે સૂવું,-કહે ?

કે સલાહે, મિત્ર, સૂફિયાણી થશે, કોને ખબર ?

.

અવનવીન અર્થો લઈ સરતો સમય સંસારમાં

તે છતાં આ વિશ્વ જૂનવાણી થશે, કોને ખબર ?

.

સાચવી લો ઓસના ટીપાંનો ઈશ્વર આંખમાં

જો સરી જાશે તો સરવાણી થશે, કોને ખબર ?

.

( હરીશ મીનાશ્રુ )

મારું જીવન તમે લઈ લો

[audio:https://heenaparekh.com/wp-content/uploads/2010/09/03-Track-3.mp3|titles=03 – Track 3]

.

મારું જીવન તમે લઈ લો, અને એને

હે પ્રભુ, તમને સમર્પિત થવા દો.

.

મારા આ હાથ તમે લઈ લો, અને એમને

તમારા પ્રેમના આવેગથી ગતિમાન બનવા દો.

.

મારી ક્ષણો અને મારા દિવસો તમે લઈ લો

અને એને અવિરામ સ્તુતિમાં વહેવા દો.

.

મારા આ પગ તમે લઈ લો અને એમને

તમારા માટે ઝડપી અને સુંદર બનવા દો.

.

મારો અવાજ તમે લઈ લો

અને મને કેવળ, હંમેશાં મારા પ્રભુ માટે જ ગાવા દો.

.

મારા હોઠ લઈ લો, અને એમને

તમારા સંદેશાઓથી ભરેલા રાખો.

.

મારું રૂપું લઈ લો અને મારું સોનું લઈ લો

એક કણ પણ હું મારી પાસે ન રાખું.

.

મારી બુદ્ધિ લઈ લો અને એની દરેક શક્તિનો

તમને ઠીક લાગે તેમ ઉપયોગ કરો.

.

મારી સંકલ્પશક્તિ લઈ લો

અને એને તમારી બનાવી લો

હવે પછી એ મારી ન રહે.

.

મારું હ્રદય લઈ લો, એ તો તમારું પોતાનું જ છે

એને તમારું રાજસિંહાસન બનાવો.

.

મારો પ્રેમ લઈ લો, મારા પ્રભુ !

એના ખજાનાનો ઢગલો હું તમારા ચરણે ઠાલવું છું.

.

મારી જાત તમે લઈ લો

અને હું હંમેશાં, ફક્ત, સંપૂર્ણપણે

તમારા માટે જ બની રહીશ.

.

( ફ્રાન્સેસ રિડલે હેવરગલ )

.

( “પરમ સમીપે”માંથી, ઉદ્દગાર : અંકિત ત્રિવેદી )

ચાડિયો

ખેતરમાં

માણસ આકારનો ચાડિયો જ શા માટે

.

કોઈ શિકારી બાજ અથવા

હિંસુ પશુની પ્રતિકૃતિ મૂકી શકાય

.

પણ માણસને ખબર છે કે

આમ કરવાથી પંખીઓ ડરતાં નથી

.

તેઓ બાજની પાંખ નીચે

બિલ્લીના પેટ ઉપર

કે સિંહના મોંની બખોલમાં

માળા બાંધશે

દાણા ખાશે અને ખવરાવશે

.

માણસ અને ચાડિયા વચ્ચેનો ભેદ

પંખીઓ પારખી શકતાં નથી

.

માણસ

સાપ જેમ સરકે છે

બિલ્લી જેમ લપાઈને છાપો મારે છે

બાજની જેમ ચીલઝડપ કરે છે

અને ચાડિયા જેમ

સ્થિર થઈ ઊભો રહી જાય છે.

.

( અરવિંદ ભટ્ટ )

વણજારા

ઉતાર પોઠ, સાંઢણી ઝુકાવ, વણજારા !

હવે તો બસ કે આ છેલ્લો પડાવ, વણજારા !

.

કયા પડાવનો પીડે અભાવ, વણજારા !

હજી છે કેટલાં બાકી તળાવ, વણજારા !

.

કયા તે વણજારાને કરવી રાવ, વણજારા !

દીધો તેં વણજારા જેવો જ ઘાવ, વણજારા !

.

ગયાં ક્યાં તાંસળીભર્યા અમલ અને કેસર ?

બન્યો શું અંજળીઓમાં બનાવ, વણજારા ?

.

રહે ન સાંઢણી… ન રાવટી… ન તું કે હું…

દઈ તે આખરી કરપીણ ઘાવ, વણજારા !

.

ન મેંય શંખલાં આ પ્રાણમાં પરોવ્યાં હોત

ન હોત તારીમારી વચ્ચે વાવ, વણજારા !

.

( લલિત ત્રિવેદી )

લાગે છે મને

મારી જ શ્રદ્ધાનો હવે એ જાદુ લાગે છે મને

કે લીમડો કડવો હવે આ સ્વાદુ લાગે છે મને

.

જો ભીતરે ઊતરી જતું ગત જન્મ જેવું આ નગર

કોઈ ગઝલના શેર જેવું દાદુ લાગે છે મને

.

તારાં સ્મરણનાં ડાકુ મનના ડુંગરા ઘમરોળતા-

ને આંસુના અસવાર પ્રસંગો કાદુ લાગે છે મને

.

આ શ્વાસ મારા સ્થળ-સમયની સોગઠાંબાજી જ છે !

અર્થાત મારું જીવવું આ પ્યાદું લાગે છે મને

.

દિવાસળી પેટાવીને બેસી રહો મનવા ! તમે

જીવી જવાનું એ જ સૂત્ર સાદું લાગે છે મને

.

( જયેન્દ્ર શેખડીવાળા )

અજમાવી ગયા

કૈં અજબ તરસીને તરસાવી ગયા,

આપણે ફાવટ વગર ફાવી ગયા.

.

કોણ ભીતર ભાવનું ભૂખ્યું હતું,

જે મળ્યું એ સર્વ અપનાવી ગયા.

.

એક પણ પાનું ન વાંચ્યું કોઈ દી,

ગ્રંથ સઘળા એ જ સમજાવી ગયા.

.

જિંદગીભર સાથ મન ઝંખ્યા કરે,

હાથ છેલ્લે એમ લંબાવી ગયા.

.

સાવ તરસી આંખમાં એનાં સ્મરણ,

આજ પણ છલક્યાં ને છલકાવી ગયા.

.

મ્હેં બચાવ્યા જેને કપરા કાળમાં,

તક મળી ત્યારે એ સપડાવી ગયા.

.

તોડતો પળપળના પથ્થર એકલો,

એ સહજ પાતાળ પ્રગટાવી ગયા.

.

એ બધા તો નીકળ્યા સપના ફક્ત,

ભરબપોરે રણમાં રઝળાવી ગયા.

.

નામ કોનાં કોનાં ગણશું ક્યાં લગી?

સૌ કલા પોતાની અજમાવી ગયા.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

ઝળઝળિયાંએ ઘેરી લીધા

શૂન-ચોકડી રમતાં રમતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

વળ ચઢાવી વાતો કરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

૯-૧૫ની ટ્રેન પકડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

બાજી હારી પાછા ફરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

દર્પણના નગરોમાં ફરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

ખુદની સામે ખુલ્લાં પડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

ભીડ વચાડે રસ્તો કરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

ખોવાયેલો ચહેરો જડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

મહેરામણથી બહાર નીકળતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

સામે પૂરે તરતાં તરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

સપનાંના ઓશીકે સૂતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

બિસ્તર ઉપર પડખાં ઘસતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

ખાલીપાને ભરતાં ભરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

આદિલજીને સ્મરતાં, સ્મરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

[ આદિલ સાહેબની સ્મૃતિને અર્પણ ଓ]

.

( હરિહર જોશી )

સ્કેચ

મળી…

ફ્રોકમાં.

ખુશ થઈ.

રિબિન બંધાવી-

લખોટી ટીંચી-

દોડ્યાં, ગબડ્યાં-

આળોટ્યાં રેતીમાં…

પાંચીકા ઉછાળ્યા..

ધબ્બાં, ચૂંટીઓ…

ને કીટ્ટા !!

પછી થોડાં ગંભીર-

પ્લાઝામાં-

બ્લેક કોફી ને ફ્રેંચ ટોસ્ટ,

નક્કી કર્યું

પપ્પાને મળી લેવાનું

ડેઈટનું,

હનીનું !!!

ચિમ્પુ-મીનીનું… !..!!…

બેતાળાંની ફ્રેઈમનું-

પછી બોખાં થવાનું-

નદીના કિનારેની બેંચનું-

ચૂંચી આંખે

હાથમાં હાથનું

ને ગળચટ્ટી

મિઠાઈવાળા શ્રાદ્ધનું-

બસ, ને

છૂટાં પડ્યા

.

(જયંત દેસાઈ)