હોમ બોલશે – સુધીર પટેલ

જ્યાં જ્યાં તમે પગલાં કરો એ ભોમ બોલશે,

તારા-ગગનની સાથ, સૂરજ-સોમ બોલશે !

 .

ચૂપકી તમે સાધી ભલે, પણ વાત નહિ બને;

છે જેટલાં તન પર, બધાં એ રોમ બોલશે !

 .

કરશે અવળચંડાઈ શબ્દો જે ઘડી હવે,

લૈ હાથ બાજી, નાદ ઊઠશે, ઓમ બોલશે !

 .

ઊઘડી રહી છે આ ગઝલ પણ જો ધીરે ધીરે,

વાતાવરણ ખીલશે, સ્તવન ને સ્તોમ બોલશે !

.

તું રાખજે તૈયાર તારી જાતને ‘સુધીર’,

તો થૈ જવાશે હવ્ય જ્યાં એ હોમ બોલશે !

 .

( સુધીર પટેલ )

હિમાલયના શૃંગો – કિશોરસિંહ સોલંકી

.

હિમાલયના શૃંગો

બરફાચ્છાદિત, એકની પાછળ એક,

અડખે પડખે, અનંત, દુર્ગમ

ઊંચા, સીધાં અને ચડવામાં અતિ દુષ્કર

એમની સામે જોઈને પામર બની જવાય છે.

 .

જેમ જેમ એમની પાસે જતા જઈએ છીએ

એનું ચઢાણ ઊંચે ને ઊંચે જતું જાય છે

ચઢાણ સીધું નથી અને શિખરો દૂર પણ નથી

ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે, પણ એવા હોતા નથી.

 .

એવું જ આપણાં સપનાંઓનું હોય છે

જોવામાં સુંવાળાં અને મખમલી લાગે

જેથી લોકો એમાં રાચે-નાચે અને નશામાં રહે.

 .

આપણી ધારણા કરતાં યાત્રા ઘણી અઘરી હોય છે

અગાઉ લાગતી સરળ,એવી તો એ હોતી જ નથી.

કોઈપણ ચઢાણ ઘણું કપરું હોય છે

પણ જેમ જેમ ચડતા જઈએ, રસ્તો આપોઆપ કપાતો જાય છે.

 .

( કિશોરસિંહ સોલંકી )

જુઓ ટકોરા મારી – લાલજી કાનપરિયા

જળની ઉપર તરતો રે એક પરપોટો

જુઓ ટકોરા મારી સાચો છે કે ખોટો ?

 .

ખેલ બધો છે આકારોનો, વસ્તુ એક જ હોય

કૈંક ભોમિયા ભૂલા પડ્યા છે, પાર ઊતરે કોઈ !

અસલ ચીજ છોડીને ભજવો શાને ફોટો ?

જળની ઉપર તરતો રે એક પરપોટો.

 .

એક ક્ષણમાં વામન લાગે, બીજી ક્ષણ વિરાટ

કોઈ કહે છે નિરાકાર ને કોઈ કહે છે ઘાટ !

તરસ છીપશે કેમ, છે મૃગજળ પાછળ દોટો !

જળની ઉપર તરતો રે એક પરપોટો.

 .

( લાલજી કાનપરિયા )

આ પુસ્તક તમે જોયું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

અયોધ્યાથી અરણ્ય (હાઈકુ સંગ્રહ) – ધનસુખલાલ પારેખ

 

પ્રકાશક : રન્નાદે પ્રકાશન

 

પૃષ્ઠ : ૩૦

 

કિંમત : ૨૫

 

હીંચકે ઝૂલે ચકીબાઈ (બાળકાવ્યો) – ધનસુખલાલ પારેખ

 

પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ

 

પૃષ્ઠ : ૩૬

 

કિંમત : ૩૦

ચાલને જઈએ દૂર – પન્ના નાયક

અહીંનું બધું પડતું મૂકી ચાલને જઈએ દૂર.

અહીંની કોઈ માયા નહીં,

અહીંની કોઈ છાયા નહીં,

અહીં ગાયેલાં ગીત બધા જઈએ ભૂલી સૂર.

 .

કોઈ અજાણ્યા ઝાડની ઉપર

બાંધીએ જઈને માળો,

હોય શિયાળો કાતિલ છોને

કારમો હોય ઉનાળો,

મોસમની વાત આઘી કરી અળગી કરી નીકળી જઈએ,

ઊમટી આવ્યાં આપણને ક્યાંક ખેંચી જતાં કોઈ નદીનાં પૂર.

 .

એક નિરાળી દ્રષ્ટિ હશે,

એક નિરાળી સૃષ્ટિ હશે,

આપણે તો બસ આપણા મહીં

રમતાં જશું ભમતાં જશું,

આભથી થતી વૃષ્ટિ હશે,

કોઈ ઋણાનુંબંધ હશે ને આપણો એ સંબંધ હશે,

ને પ્રેમને નામે આપણે કદી થઈશું નહીં ક્રૂર.

 .

( પન્ના નાયક )

સંકેલો હવે – મુકેશ જોષી

શ્વાસ ખૂટતા જાય છે આ જાત સંકેલો હવે

આ કૈંક સંકોચાય છે આ વાત સંકેલો હવે

.

ના તમે ઊડી શકો, ના સ્વપ્ન પણ ઊડી શકે

આ પાંખ પણ વહેરાય છે આ આભ સંકેલો હવે

 .

આંખ મીંચી તીર મારીને નિશાનો સાંધતા

એ તીર ખાલી જાય છે આ હાથ સંકેલો હવે

 .

સૂર્યની તો વાટ જોવાનું હવે રહેવા જ દો

આ આગિયા બુઝાય છે આ રાત સંકેલો હવે

 .

એક પળ ઊભા રહે, ના એમ પણ ઈચ્છો તમે

આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે

 .

( મુકેશ જોષી )

તારી કને – રવીન્દ્રનાથ ટાગોર

તારી કને આ મારું છેલ્લું નિવેદન છે

મારા અંતરતમ ઊંડાણમાંથી મારી સઘળી દુર્બળતા

દ્રઢ બળે છેદી નાખ, મારા પ્રભુ !

 .

સંસારમાં તેં મને જે ઘરમાં રાખ્યો છે તે ઘરમાં

બધાં દુ:ખ ભૂલીને હું રહીશ.

 .

કરુણા કરીને તારે પોતાને હાથે તેનું એક બારણું

નિશદિન ખુલ્લું રાખજે.

 .

મારાં બધાં કાર્યોમાં અને બધી ફુરસદમાં

એ દ્વાર તારા પ્રવેશ માટે રહેશે.

તેમાંથી, તારા ચરણની રજ લઈને વાયુ મારા હૃદય પર વાશે

એ દ્વાર ખોલીને તું આ ઘરમાં આવશે

હું એ બારણું ખોલીને બહાર નીકળીશ.

.

બીજાં કોઈ સુખ હું પામું કે ન પામું, પણ આ એક સુખ

તું માત્ર મારે માટે રાખજે.

એ સુખ કેવળ મારું અને તારું હશે, પ્રભુ !

એ સુખ પર તું જાગ્રત રહેજે.

બીજું કોઈ સુખ તેને ઢાંકી ન દે

સંસાર તેમાં ધૂળ ન નાખે

બધા કોલાહલમાંથી એને ઊંચકી લઈને

તું એને જતન કરી તારા ખોળામાં ઢાંકી રાખજે.

બીજાં બધાં સુખો વડે ભલે ભિક્ષાઝોળી ભરાય

એ એક સુખ તું મારે માટે રાખજે.

 .

બીજા બધા વિશ્વાસ ભલે ભાંગી પડે, સ્વામી!

એક વિશ્વાસ સદા ચિત્તમાં જોડાયેલો રહેજો.

 .

જ્યારે પણ જે અગ્નિદાહ હું સહન કરું

તે મારા હૃદયમાં તારું નામ અંકિત કરી દેજો.

 .

દુ:ખ જ્યારે મર્મની અંદર પ્રવેશે

ત્યારે તે તારા હસ્તાક્ષર લઈને આવે

કઠોર વચન ગમે તેટલા આઘાત કરે

સર્વ આઘાતોમાં તારો સૂર જાગી ઊઠે.

 .

પ્રાણના સેંકડો વિશ્વાસ જ્યારે તૂટી જાય

ત્યારે એક વિશ્વાસમાં મન વળગેલું રહે.

 .

( રવીન્દ્રનાથ ટાગોર )

प्रेम को जगाओ – ओशो

.

प्रेम को जगाओ.

और मैं जानता हूं कि तुम परमात्मा के प्रेम में

एकदम नहीं पड सकते.

तुमने अभी पृथ्वी का प्रेम भी नहीं जाना.

तुम स्वर्ग का प्रेम कैसे जान पाओगे ?

इसलिए मैं निरंतर कह रहा हूं

कि मेरा संदेश प्रेम का है.

पृथ्वी के प्रेम को तो जानो.

तो फिर वही प्रेम तुम्हें

परमात्मा के प्रेम की तरफ ले चलेगा.

अभी तो तुमने प्रेम को जाना ही नहीं.

पृथ्वी का प्रेम नहीं जाना,

किसी स्त्री का प्रेम नहीं जाना,

किसी पुरुष का प्रेम नहीं जाना,

किसी मित्र का प्रेम नहीं जाना,

प्रेम से वंचित हो तुम,

तुम कैसे परमात्मा का प्रेम जानोगे ?

 .

( ओशो )

ઉઘાડે પગે ન અમસ્તો – સિકંદર મુલતાની

 ઉઘાડે પગે ન અમસ્તો ચમન તરફ દોડ્યો,

ઈજન વસંતે દીધું તો સુમન તરફ દોડ્યો !

 .

બધા મુકામ નકામા થયા જો સાબિત તો,

વિહંગ-પાંખ સજી હું ગગન તરફ દોડ્યો !

 .

પ્રગટતી આગ હતી દિલ મહીં કરુણાની,

ભડકતી રાખવા જ્વાળા પવન તરફ દોડ્યો !

 .

કે મ્યાન કેમ ન તલવાર દુશ્મનોની હો ?

કલમ કરે ગ્રહીને હું કવન તરફ દોડ્યો !

 .

જવાની ગઈ… ને ઠરી-ઠામ ના થવાયું તો,

ખભે ઉપાડી હું ઘડપણ વતન તરફ દોડ્યો !

 .

કફન-દફન તણી ચિંતા નથી ‘સિકંદર’ને,

કે દેહ-દાન કરીને જીવન તરફ દોડ્યો !

 .

( સિકંદર મુલતાની )

રસ્તો કરી આપે – નીરવ વ્યાસ

દરિયો, પહાડો ભલભલા રસ્તો કરી આપે,

મારી પુકારોને હવા રસ્તો કરી આપે.

 .

ઘરમાં કરીને કેદ નીકળ્યા છો તો જાણી લો;

અમને તે ઘરના આયના રસ્તો કરી આપે.

 .

અટકી પડી છે સાવ અધવચ્ચે ગઝલ મારી;

શબ્દોને કહો, આવી જરા રસ્તો કરી આપે.

 .

ઠોકર પછી પણ માર્ગના સૌંદર્યને નીરખે;

એવા જ પગલાને ખુદા રસ્તો કરી આપે.

 .

તું તો ગણતરીમાં શિખર પર જઈ ચઢે ‘નીરવ’;

ક્યાંથી તને મિત્રો બધા રસ્તો કરી આપે ?

 .

( નીરવ વ્યાસ )