Skip links

તમે કહો તો રાધાજી – અવિનાશ પારેખ

.

પરવાળા શી પાનીને હું પાંપણથી પસવારું જી,

આંખમાં અજવાળાં આંજી હું ઝાંખપને સંવારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

બંસીમાં તો છેદ સાત ને સાવ ખાલી ખાલી જી,

કરે શ્વાસને કેદ પલકમાં તોય વા’લી વા’લી જી,

ખાલીપામાં સૂર સજી હું વાલપને અવતારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

આવનજાવન શ્વાસ તણા શણગારે કોનાં શમણાં જી,

ઉત્તરદક્ષિણ કોણ સમજાવે એ તો એની ભ્રમણા જી,

બંસી સાથે સાનમાં સમજી લેજો તમે પરબારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

કુંજનવનમાં રચું તમારી સંગે નિતનિત લીલા જી,

હૃદય ભવનમાં વસી રહ્યાં છો સદા તમે ગમતીલાં જી,

વાદવિવાદની વાત મૂકો ને છોડો મારુંતારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

( અવિનાશ પારેખ )

Leave a comment