
વરસાદમાં
મકોડાને પાંખ ફૂટે છે
શા માટે ?
તેઓ જાણતા નથી
પણ નવા ગાંભીર્યથી
ગોળ ગોળ ફરે છે
તેમની ગતિ થાય છે
ભૂતલથી આકાશ ભણી
તેજથી તિમિર ભણી
નથી પ્રાપ્તવ્ય નથી સ્પર્ધા
નથી સાથનીયે પરવા
તેમના જીવનમાં આવ્યો છે
એક નવો ઉન્મેષ
નવો આનંદ
જે આકાશ ભણી જોયુંયે નહોતું
તે હવે તેમનું છે
તેમનું પોતાનું
સ્વેચ્છાએ વિહરવું
ના કોઈ બંધન ન ડર
બસ આહલાદક આકાશી સફર
.
પાંખો ચોવીસ કલાકથી વધુ
ટકતી નથી
એ તેઓ જાણતા નથી
જાણવાની શી જરૂર એમને
આપણને કે કોઈને પણ ?
પરમ સત્ય એ છે
કે પાંખો ઊગી છે
વરસાદનાં પહેલાં છાંટણાં સાથે
એમને-અને આપણને
ઓહ, જો આપણને એનું ભાન હોત !
.
( ધીરુબહેન પટેલ )






