પથ્થરોની ટેવ છે – આબિદ ભટ્ટ
પથ્થરોની ટેવ છે વાગ્યા કરે,
મન ઉપર લેવું નહીં ચાલ્યા કરે.
.
હોય છે પરિવાર મોટો એમનો,
વૃક્ષ જે પણ ચોતરફ ફાલ્યા કરે.
.
જિંદગી મારી ગણી ખેતર અને,
આ સમય ત્યાં દર્દને વાવ્યા કરે !
.
ચાંદની જોવાનો મનસૂબો લઈ,
આંધળો સૂરજ સતત જાગ્યા કરે !
.
ઘર, કબરને વેંતનું છેટું નથી,
તોય માણસ જોજનો ભાગ્યા કરે !
.
એક દાડો છોડ તુલસીનો કહે,
સાવ સૂનું બા વિના લાગ્યા કરે !
.
( આબિદ ભટ્ટ )