ચાંદરણા (૨) – રતિલાલ ‘અનિલ’

મારા કેટલાક અસ્વીકારે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે.

 .

હાથમાં બીજાનો હાથ હોય ત્યારે તે પ્રેમી નહીં, તો જોશી હોય.

 .

સ્મૃતિ ભૂતકાળના દોરા પર ભવિષ્યનો પતંગ ચગાવે છે.

 .

સંપ્રદાયોથી ધર્મ થીંગડાવાળા પિતામ્બર જેવો લાગે છે.

 .

માણસ વસ્તુ જેવો હોય તો પછડાય છે, પણ પસ્તાતો નથી !

 .

પોતાની બહાર પોતાને શોધનારને બીજો માણસ જ મળે છે.

 .

વાંચો ત્યારે પોતાને શબ્દોથી નહીં, અર્થથી ભરો !

 .

માણસ હાડપિંજર ન હોય તોયે ‘ખોપરી’ હોઈ શકે છે.

 .

દુનિયા ક્યારેય સારી નહોતી, દરેક વખતે માણસો સારા હતા.

 .

પાણી પડે છે, પછડાય છે અને ઘાયલ થયા વિના ચાલવા માંડે છે.

 .

પાણી બરફ બને તો યે તેને પાણી રહેવું જ ગમે છે.

 .

માણસ ચાલે છે ને કહે છે : માથા પરથી આકાશ જાય છે.

 .

કોરા આંસુ લૂછવા માટે માણસ જ રૂમાલ થઈ શકે.

 .

સંપ્રદાયની તિરાડ કહે છે કે હું ઈશ્વરનું પ્રવેશદ્વાર છું.

 .

યમરાજા, માણસનું સરનામું બદલવા માટે જ અઅવે છે.

 .

આંગળા, આંગળા સાથે જ રમે ત્યાં સુધી સારું હોય છે.

 .

થાંભલાનું પહેલું કામ પોતાનો ભાર ઊંચકવાનું હોય છે.

 .

ઈશ્વરના હાથમાં ઘૂઘરો આપવો હોય તો એમને કાનુડો બનાવવા પડે.

 .

મોંઘા ધૂઘરામાં કાંકરા સસ્તા જ હોય છે.

 .

દિવાળી દૂર હોય તો પણ દીવો દૂર ન હોવો જોઈએ.

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.