મારા કેટલાક અસ્વીકારે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે.
.
હાથમાં બીજાનો હાથ હોય ત્યારે તે પ્રેમી નહીં, તો જોશી હોય.
.
સ્મૃતિ ભૂતકાળના દોરા પર ભવિષ્યનો પતંગ ચગાવે છે.
.
સંપ્રદાયોથી ધર્મ થીંગડાવાળા પિતામ્બર જેવો લાગે છે.
.
માણસ વસ્તુ જેવો હોય તો પછડાય છે, પણ પસ્તાતો નથી !
.
પોતાની બહાર પોતાને શોધનારને બીજો માણસ જ મળે છે.
.
વાંચો ત્યારે પોતાને શબ્દોથી નહીં, અર્થથી ભરો !
.
માણસ હાડપિંજર ન હોય તોયે ‘ખોપરી’ હોઈ શકે છે.
.
દુનિયા ક્યારેય સારી નહોતી, દરેક વખતે માણસો સારા હતા.
.
પાણી પડે છે, પછડાય છે અને ઘાયલ થયા વિના ચાલવા માંડે છે.
.
પાણી બરફ બને તો યે તેને પાણી રહેવું જ ગમે છે.
.
માણસ ચાલે છે ને કહે છે : માથા પરથી આકાશ જાય છે.
.
કોરા આંસુ લૂછવા માટે માણસ જ રૂમાલ થઈ શકે.
.
સંપ્રદાયની તિરાડ કહે છે કે હું ઈશ્વરનું પ્રવેશદ્વાર છું.
.
યમરાજા, માણસનું સરનામું બદલવા માટે જ અઅવે છે.
.
આંગળા, આંગળા સાથે જ રમે ત્યાં સુધી સારું હોય છે.
.
થાંભલાનું પહેલું કામ પોતાનો ભાર ઊંચકવાનું હોય છે.
.
ઈશ્વરના હાથમાં ઘૂઘરો આપવો હોય તો એમને કાનુડો બનાવવા પડે.
.
મોંઘા ધૂઘરામાં કાંકરા સસ્તા જ હોય છે.
.
દિવાળી દૂર હોય તો પણ દીવો દૂર ન હોવો જોઈએ.
.
( રતિલાલ ‘અનિલ’ )