તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!
મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !
.
અમે ઓળખી શક્યાં નહીં ‘ને મૃગજળ પાછળ દોડ્યાં;
છીપ નીરખતાં રજત ગણીને અઢળક શાને મોહ્યાં ?
તૃષ્ણા કીધી ગગનકુસુમની, કેવળ પામ્યાં છલના;
સકળ વિશ્વનું છદ્મ લઈ, શું કરી કૃષ્ણની રચના ?
.
હશે, અમે અબળા તો મૂળથી બન્યાં કપટનો ભોગ !
તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!
.
વાંસ વધ્યાની પેર અમારો પ્રેમ ક્ષણેક્ષણ વાધ્યો;
છતાંય અંબર-ઊંચો માધવ નથી લગીરે સાધ્યો !
દેવ-દેવીઓ મથે છતાં ક્યાં ભાગ્ય શકે છે જાણી;
કહી શકે છે કોણ ? માછલી પીએ કેટલું પાણી ?
.
હોય ઉછીનું સુખ અસ્થાયી; અલ્પ પામીએ ભોગ !
તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!
મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !
.
( વીરુ પુરોહિત )