Author Archives: Heena Parekh

દોસ્ત! વાત મારી તું માન-અનિલ ચાવડા

દોસ્ત! વાત મારી તું માન,
જન્માષ્ટમી સાવ હવે નજદિક આવે છે તો આપણેય થઈ જઈએ ક્હાન!
દોસ્ત વાત મારી તું માન…
.
સપનાની છલકાતી મટકીઓ ફોડીને
મધમીઠા માખણને ખાઈએ,
ઇચ્છાની ગોપીઓ જો નહાવાને આવે તો
વસ્ત્રો લઈ આપણે સંતાઈએ,
વ્હાલપની વાંસળીને ફૂંકીને ચાલ ગાઈ આપણેય અદકેરું ગાન,
દોસ્ત વાત મારી તું માન…
.
આપણામાં બેઠો છે કાળમીઢ કંસ
એને પડકારી મેદાને હણીએ,
જીવતરના દરિયાની અંદર જઈ આપણેય
આપણી દુવારકાને ચણીએ!
એ પ્હેલા સમજી જઈ આપણે કે શ્વાસ ક્યાંક ખોઈ દે સુધ-બુધ-ભાન…
દોસ્ત વાત મારી તું માન…
.
( અનિલ ચાવડા )

જન્માષ્ટમી વિશેષ

સહુ ભાષા અને સાહિત્યપ્રેમીઓને મારાં સાદર પ્રણામ. શક્ય છે કે આજે જન્માષ્ટમી નિમિત્તે મારી પાસેથી હંમેશની જેમ કોઈ માહિતીસભર લેખ અપેક્ષિત હશે. જો કે સાચું કહું તો કદાચ મેં અત્યાર સુધી ઘણા બધા વાર, તહેવાર, ઉત્સવ, પર્વ કે ઘણી બધી મહાન હસ્તીઓ પર લેખ લખ્યાં હશે પણ મને લાગે છે હું હજી એટલી સમર્થ નથી કે ન તો કદાચ ક્યારેય થઈશ કે કૃષ્ણને કાગળ પર ઉતારી શકું કે એને મારાં શબ્દોની માયાજાળમાં બાંધી શકું.
શક્ય છે મારી આ રચના કદાચ સાહિત્યનાં કોઈ પણ પ્રકારમાં બંધ બેસતી ન હોય પણ મારી અંગત અનુભૂતિ આપ સહુ સમક્ષ આજે વહેતી મુકું છું. આજે જન્માષ્ટમી પર એક અલગ સંવાદ મારાં અંતરમન સાથેનો…!!
.
બોલ તને કોને મળાવું..???
——————————————
મારાં અંતરમનમાં એના કેટકેટલાં રૂપ હું નિહાળું.
મન કહે, બોલ તને કાના, કૃષ્ણ કે દ્વારકાધીશ ને મળાવું.
મેં કહ્યું, કાનો કૃષ્ણ કે દ્વારકાધીશ બધુંય એકનું એક!
મન કહે, કાયા ભલે એક પણ એની માયાનાં રૂપ અનેક.
મેં કહ્યું, નામમાં વળી અંતર કેવું? શાને આ ભેદ છાનો?
મન કહે, જેણે ચીર પૂર્યા એ કૃષ્ણ ને વસ્ત્રો ચોર્યા એ કાનો.
મન કહે, બોલ તને કાના ને મળાવું?
મેં કહ્યું, કાનો એટલે રાસલીલા ગોપીઓની,
વૃંદાવનમાં વગોવાતી એ માખણચોરીની,
ને સાનભાન ભુલેલી એ કાનાઘેલી રાધાની,
મને ન ગોઠી વાત વાંસળીનાં સુર રેલાવતા કાનાની..!!
મન કહે, બોલ તને કૃષ્ણને મળાવું?
મેં કહ્યું, કૃષ્ણ તો ભરથાર રુક્મણિનો,
એની આઠ-આઠ પટરાણીઓનો,
ને વધુમાં સોળહજાર એકસો રાણીઓનો.
તારણહાર બધાયનો પણ મને ન ગોઠે સંગાથ કૃષ્ણનો..!!
મન કહે, બોલ તને દ્વારકાધીશને મળાવું?
મેં કહ્યું, દ્વારકાધીશ તો જગતનો નાથ,
શોભાવે રથયાત્રા બની જગન્નાથ,
એની પ્રજા પર એનાં ચાર-ચાર હાથ
મને ન ગોઠે એ મુકુટધારી દ્વારકાધીશનો સાથ..!!
મનડું પૂછે, કાનો કૃષ્ણ કે દ્વારકાધીશ, તારે કરવી કોની હારે પ્રીત?
મેં કહ્યું, રાધા, રુક્મણિ કે મીરાં, હતી ક્યાં કોઈનીય હાર કે જીત!
જેણે એને જે રૂપે ચાહ્યો, એણે એને એ જ સ્વરૂપે પામ્યો.
રાધાનો કાન, રુક્મણિનો નાથ ને મીરાનો મોહન ઓળખાયો.
મારું મન તો સદાય ઝંખે છે એનો સાથ માત્ર એક જ રૂપે,
હું માત્ર એની સખી ને પામ્યો મેં એને મારા સખા સ્વરૂપે.
ઓ રે મનડાં ! ‘ઝીલ’ ને ક્યાંથી ગોઠે તારો કાનો, કૃષ્ણ કે દ્વારકાધીશ;
હું તો મોરપીંછ સમાન, વાંસળીનાં સુરમાં ક્યાંક એમ જ વહી જઈશ..!!
– વૈભવી જોશી ‘ઝીલ’
.
શ્રી કૃષ્ણને દેવ કહેવા, જગતનાં પાલનહાર કહેવા, પથદર્શક કહેવા, જગતગુરુ કહેવા, સખા કહેવા કે પછી કદાચ કૃષ્ણ માટે વપરાતાં તમામ વિશેષણો અતિક્રમી જવાય ને છતાંય કૃષ્ણ એટલે શું એ કહી ન શકાય.
.
કૃષ્ણ એટલે જેને પ્રેમ કરી શકાય, એનો મોહ હોય, એનું આકર્ષણ હોય, એની તરફ વગર કોઈ કારણે તમે ખેંચાઈ જાઓ એવું વશીકરણ હોય, એના પર આંધળો વિશ્વાસ નહિ પણ સંપૂર્ણ શ્રદ્ધા મૂકી શકાય, એની સામે રડી શકાય, એની સાથે ઝગડી શકાય, એના પર હક કરી શકાય, એના જેટલું અંગત કોઈ જ નહિ, એની સામે હળવા થઈ શકાય, એની આગળ સંપૂર્ણ સમપર્ણ કરી શકાય, એની સામે શરણાગતિ સ્વીકારી શકાય કે પછી કૃષ્ણ એટલે જેમાં એકાકાર થઈ શકાય.
.
આ ગીત બહુ પ્રચલિત છે ‘ગોરી રાધાને કાળો કાન….’ મને હંમેશા એવું લાગ્યું છે કે કૃષ્ણ સાથે કાળો રંગ કદાચ એટલા માટે જોડાયેલો છે કેમ કે કાળો રંગ બધા પર ચડે પણ કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ ચડતો નથી. એવી જ રીતે જેનાં પર કૃષ્ણનો રંગ ચડ્યો હોય પછી એના પર બીજા કોઈનો રંગ ચડે ખરાં ??
.
કૃષ્ણ એટલે મનુષ્ય તરીકે આદર્શ જીવન જીવીને બતાવનાર, જન્મતાની સાથે જ દરેકેદરેક પ્રતિકૂળતાઓનો સામનો કરી બતાવનાર, સામાન્ય મનુષ્યની જેમ પ્રેમ કરી શકનાર અને વિરહની વેદના પણ ભોગવી જાણનાર, માતાપિતાથી છુટા પડ્યાનું દુઃખ હોય કે એના પ્રિય એવા ગોકુળવાસીઓ, મથુરા, એની રાસલીલા, બાળપણનાં મિત્રો, રાધા, ગોપીઓ સર્વેને છોડી જવાનું દુઃખ હોય. આ બધામાંથી પસાર થઈ કુરુક્ષેત્ર સુધી પહોંચવાની યાત્રા સરળ તો નહિ જ હોય ને !
.
આપણે બધા આજ સુધી કૃષ્ણને મોટા ભાગે બાળ સ્વરૂપે યાદ કરતા આવ્યા છીએ કે એની રાસલીલાઓ યાદ કરતા આવ્યા છીએ. જોકે અંગત રીતે મને એ કૃષ્ણ ગમે છે જેણે ધર્મની રક્ષા માટે શસ્ત્રો ઉગામવા કહ્યું, ‘પાર્થ ને કહો ચડાવે બાણ…’ અધર્મ સામે એમની ભાષામાં વાત કરી, એમનાં કપટ અને કૂટનીતિનાં ઉત્તર સામે મુત્સદ્દીગીરી વાપરી.
ખાસ તો ભીષ્મની પ્રતિજ્ઞા જે યથાવત રાખવાનાં કારણે આ મહાભારતનું મહાભીષણ યુદ્ધ રચાયું એની સામે કુરુક્ષેત્રની મધ્યમાં બધા વચ્ચે પોતાની જ લીધેલી પ્રતિજ્ઞા તોડી શસ્ત્રો ઉગામ્યાં અને આખાય જગતને એક મહત્વનો સંદેશ આપ્યો કે પ્રતિજ્ઞા એ ધર્મ અને માનવકલ્યાણ કરતાં મોટી તો ન જ હોઈ શકે.
.
ચંદ્રવંશીઓને પોતે લીધેલી પ્રતિજ્ઞાઓનું બહુ અભિમાન પછી એ મહામહિમ ભીષ્મ હોય કે જેનાં સારથી સ્વંય કૃષ્ણ પોતે છે એવો અર્જુન પણ એ પ્રતિજ્ઞાઓનાં મૂલ્યો એમની પ્રજાએ ભોગવ્યા ત્યારે પોતે સ્વયં નારાયણ હોવા છતાં ધર્મ અને માનવકલ્યાણ માટે જે પોતાની જ લીધેલી પ્રતિજ્ઞા તોડી શકે એ મારે મન કૃષ્ણ !
.
કૃષ્ણ એટલે માતા ગાંધારીનાં શ્રાપને પણ આશીર્વાદ સમજી પ્રેમથી ગ્રહણ કરનાર. કૃષ્ણ એટલે પરિશ્રમનો મહિમા સમજાવવા ખાંડવવનને ઇન્દ્રપ્રસ્થમાં ફેરવનાર. કૃષ્ણ એટલે સમય વર્તીને રણને છોડનાર. કૃષ્ણ એટલે કહેવાતા સભ્ય સમાજે ત્યજેલી સોળહજાર એકસો પૂજનીય નારીઓનો તારણહાર.
.
કૃષ્ણ એટલે કહેવાતા ક્ષત્રિયોથી ખીચોખીચ ભરેલી સભામાં દ્રૌપદીનાં ચીર પૂરનાર સ્ત્રી સન્માનનો રક્ષક. કૃષ્ણ એટલે ક્ષમ્ય ભૂલો માટે ક્ષમા કરનાર પણ એક હદ વટાવ્યા પછી અક્ષમ્ય અપરાધ માટે સુદર્શન છોડનાર. કૃષ્ણ એટલે કળયુગમાં જીવન કેવી રીતે જીવવું એનું આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડનાર.
.
ટૂંકમાં કહું તો કૃષ્ણ એટલે વાસ્તવિકતાનો સંપૂર્ણ સ્વીકાર, નિરાકાર તોય જેનામાં એકાકાર થઈ ભળી જવાય એ મારે મન કૃષ્ણ..!! એક કૃષ્ણપ્રેમી કહો કે કૃષ્ણઘેલી કહો એનાં તરફથી સહુને જન્માષ્ટમીની કૃષ્ણમય શુભેચ્છાઓ..!!
.
( વૈભવી જોશી )

જ્યારે બજરંગબલી જાગશે !-કૃષ્ણ દવે

જ્યારે બજરંગબલી જાગશે !

લંકામાં આગ ફરી લાગશે, જ્યારે બજરંગબલી જાગશે !
એક ગદામાં જુઠ્ઠાણું ભાંગશે, જ્યારે બજરંગબલી જાગશે !

સેવા હનુમાન કરે એવું ઈચ્છો છો તો પહેલા તો લઈ આવો રામ
ભાગેલી નહીં એ તો જાગેલી જીન્દગીના દોડી દોડીને કરે કામ

ચરણરજ એની એ માથે ચડાવશે ને બેસવાનું સામેથી માંગશે

જ્યારે બજરંગબલી જાગશે !

આ તો છે આખ્ખી’યે દુનીયાના દાદા ને દાદાને સળીયું ના હોય
વિકૃતિ જન્મે જ્યાં એવા દિમાગની તો સાફ સૂફી કરો ધોઈ ધોઈ

મંદિરને બદલે શોકેશ બની જાશે ત્યાં જેને હનુમંતપણું ત્યાગશે

જ્યારે બજરંગબલી જાગશે !

(કૃષ્ણ દવે)

अमृता प्रीतम को उनके जन्मदिन पर याद करते हुए

॥ अमृता प्रीतम को उनके जन्मदिन पर याद करते हुए ॥

आज अमृता प्रीतम जीवित होतीं तो जीवन का शतक पूरा कर चुकी होतीं।

उनका जन्म 1919 में 31 अगस्त के दिन हुआ था। वे हमारे साथ 31 अक्तूबर, 2005 तक रहीं।

उनकी शताधिक पुस्तकें पाठकों के बीच सदा चर्चित रहीं, वे उनके आगमन की प्रतीक्षा करते रहते थे। अपनी निजी ज़िंदगी में वे एकदम बिंदास थीं, कभी कुछ नहीं छिपाया। खोजी पत्रकारों को ध्वस्त करते हुए वे अपने बारे सब कुछ खुद ही उजागर कर देती थीं, लिख देती थीं। यही कारण था कि उनकी आत्मकथा ‘रसीदी टिकट’ हर पाठक ने पढ़ी। उन्हें अपने कृतित्व के लिए भारत सरकार ने पद्मभूषण से भी सम्मानित किया था।

जब 1982 में उन्हें ज्ञानपीठ पुरस्कार दिए जाने की घोषणा हुई, मैं राजस्थान विश्वविद्यालय जयपुर में पढ़ रहा था। थोड़ी बहुत पत्रकारिता भी कर लेता था। यह समाचार सुन कर, मैं अगले दिन राजस्थान के एक प्रसिद्ध समाचार पत्र राजस्थान पत्रिका के लिए उनका साक्षात्कार लेने के लिए, उनसे दिल्ली जाकर मिला।

एक 22-23 साल के लड़के को टेप रेकॉर्डर और कैमरा लिए देख कर उन्होंने स्नेह से मेरे सर पर हाथ रखते हुए पूछा- तुम मुझे समझ पाओगे? अभी तो कोई इश्क का तजुरबा भी नहीं होगा तुम्हारे पास। मैं शरमा कर रह गया। मैंने कहा – मैंने आपकी कई सारी किताबें पढ़ी हैं। कुछ को तो रास्ते में पढ़ता हुआ आया हूँ।

उन्होंने बड़े स्नेह से इंटरव्यू दिया और चलते हुए कहा- मेरे सभी फोटो मुझे दे देना, उनसे इश्क मत कर बैठना वरना इमरोज़ का दिल बैठ जाएगा।
पास के कमरे में बैठे इमरोज़ धीरे-धीरे मुस्कुरा रहे थे।

आज वह पुराना चित्र आपके लिए खोजा है।

( राजेश्वर वशिष्ठ )

ફરી શકતો નથી-કુમાર જૈમિની શાસ્ત્રી

એક એકલતા મને તારા સુધી લઈ જાય છે,
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી.

તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું,
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.

કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે-
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

તું જશે તો આ જગત જાણી જશે તારા વગર,
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.

સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે,
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.

( કુમાર જૈમિની શાસ્ત્રી )

માધવને પ્રશ્ન-દિનેશ ડોંગરે

ગોકુળમાં ઝૂરતી રાધા ને
મીરાં થઈ છે દીવાની મેવાડમાં,
મથુરામાં માધવને પૂછો કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

રાધાનાં શમણાં થઈ જાયે સાકાર
પછી મીરાંની ભક્તિનું શું ?
મીરાં ધારોકે કરે વૈતરણી પાર
તો રાણાની આસક્તિનું શું ?

ક્યારેક આંગળીએ ઊંચકો ગોવર્ધન
ક્યારેક જઈ બેસો છો પહાડમાં
મથુરામાં માધવને પૂછે કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

ગોધૂલી ટાણે ઝાલર બજે ને
પછી વાંસળીના સૂર રેલાય,
ગોકુળ, મથુરા, વૃન્દાવન, દ્વારકા
બધે તારી જ ફોરમ ફેલાય.

રાધા ને મીરાં તો જીભે ચઢી
સોળ-સહસ્ત્ર ધબકે છે નાડમાં…
મથુરામાં માધવને પૂછે કે કેટલાં
શમણાં છે પાંપણની આડમાં ?

( દિનેશ ડોંગરે )

સુવાસ લૈ-મનીષ પરમાર

શબ્દ આવ્યા હોય તારા શ્વાસ લૈ,
આ હવા તારી ફરે સુવાસ લૈ.

પાંપણો ખૂલી રહી અંધારમાં,
ક્યાં ગયા છો આંસુનો અજવાસ લૈ ?

થોડુંક નીચે નમ્યું’તું ડાળ પર,
પંખી તો ઊડી ગયું આકાશ લૈ.

તોય હું મૃગજળ સુધી પહોંચ્યો નહીં-
કેટલા જનમોની જૂની પ્યાસ લૈ.

દાટવાને ક્યાંય મળતી ક્યાં જગા ?
ક્યારનો ઊભો હતો હું લાશ લૈ.

( મનીષ પરમાર )

શીરીં નથી-ચીનુ મોદી

શીરીં નથી ને ક્યાંય તે ફેરફાર પણ નથી,
સાકી નથી, સુરા નથી, ‘ઈર્શાદ’ પણ નથી.

પંખીની આંખો ખૂલી, આકાશ ના દીઠું,
પાંખોને તે વાતની ફરિયાદ પણ નથી.

આંસુનાં પૂર આવતાં એ નદી નથી,
કોણે કહ્યું કે દેશમાં વરસાદ પણ નથી.

મારા ઘરેથી તારા ઘરે આવતા લગી,
નડતર હતાં કે ન હતાં, યાદ પણ નથી.

હાથે પગે બેડી છે ને શ્વાસ પર સાંકળ,
ફાંસીની સજા છે અને જલ્લાદ પણ નથી.

( ચીનુ મોદી )

પ્રશ્ન સાચો છે-એસ. એસ. રાહી

સૂરજ ઊગ્યા પછી શાને ઢળે છે ? પ્રશ્ન સાચો છે,
ને શાને ચાંદને કેવળ મળે છે ? પ્રશ્ન સાચો છે.

તું બારીમાં ચણાવે ભીંત તો લોકો મને પૂછે,
‘કયા હેતુથી તમને સાંકળે છે ?’ પ્રશ્ન સાચો છે.

હૃદયના શંખનાદો તું નથી જો સાંભળી શકતી,
તો મારું મૌન ક્યાંથી સાંભળે છે ? પ્રશ્ન સાચો છે.

સરોવરની સપાટી પર નીરવતા ગાય છે ગીતો,
ને તળિયું છીછરું કાં ખળભળે છે ? પ્રશ્ન સાચો છે.

દીવાઓ પણ નથી બળતા ને અજવાળું થયું છે ગુમ,
ને આખી રાત કાં માચીસ બળે છે ? પ્રશ્ન સાચો છે.

( એસ. એસ. રાહી )

તો પછી શું કરો તમે ?-એસ. એસ. રાહી

ભીંતો જ ખળભળે તો પછી શું કરો તમે ?
બારીને કળ વળે તો પછી શું કરો તમે ?

અધમણ લઈને બાજરો બેઠા છો તમે પણ,
ઘંટીના પડ ગળે તો પછી શું કરો તમે ?

ચહેરો છુપાવવાના કરો યત્ન તમે પણ,
પરદાઓ ટળવળે તો પછી શું કરો તમે ?

શઢનો ને હલેસાનો ભરોસો કરો વધુ,
જો નાવ ઊછળે તો પછી શું કરો તમે ?

મંઝિલ નજીક હોય ને પહોંચાય તરત પણ,
રસ્તો જ ખુદ વળે તો પછી શું કરો તમે ?

( એસ. એસ. રાહી )