મારી જનમોજનમની પ્રાર્થના છે :
હે સૂર્યનારાયણ પ્રકટો.
.
કાળી રાતને, વાતને, સદીઓની જમાતને
ચીરીને પ્રકટો.
ઈતિહાસનાં જુઠ્ઠાં જંગલોને બાળી નાખો.
હજીયે અમે એના એ જ વિષચક્રમાં
શાણપણની મશાલ લઈને
ભટક્યા કરીએ છીએ
પાગલોનાં પગલાં ગણતા.
.
યુદ્ધ, હારજીત, પ્રપંચ, કાવાદાવા, છળકપટ
તીર, તલવાર, ભાલા, અશ્વ, હાથી
બંદૂક, ટેન્ક, વિમાન, તોપ…
કોઈ કેમ હજી લગી થાકતું પણ નથી ?
.
મારી જનમોજનમની પ્રાર્થના છે :
હે સૂર્યનારાયણ પ્રકટો.
.
( સુરેશ દલાલ )