હું શું કરું ? – પ્રીતમ લખલાણી

ઝરમર ઝરમર

વરસતા આભને જોઈને

અમસ્તા જ

બારી ખોલું છું

અને પછી ઘડીક માટે

વિચારોના વંટોળે ચઢી જાઉં છું…

શું કરું ?

બસ ફક્ત અહીંથી ઊભીને

પેલા મન મૂકીને વરસતા

આભને નિરખ્યા કરું કે પછી

હડી કાઢતો બહાર દોડી જાઉં…

પણ મને દ્વિધામાં જોઈને

મારા વિચારો પર

ખડખડાટ હસતું

કંઈ પણ વિચાર કર્યા વગર

બસ બારીને ઉઘાડી જોઈ

ગઈકાલ સાંજથી

ટૂંટિયું વળીને પડેલું ઘર

દોડી ગયું

હરખ ઘેલા

આભ સંગે

છબછબિયા કરવા !

 .

( પ્રીતમ લખલાણી )

મા એટલે…(પાંચમી માસિક શ્રદ્ધાંજલિ)

1-Mummy-Home-001

(23/08/1938 – 25/12/2012)

મા એટલે મોં ભરાઈ જાય એવો એક અક્ષર ..

મા એટલે એક અક્ષર જેમાં વિશ્વ હોય …

મા એટલે એવો અક્ષર જેમાં વિશ્વ સમાઈ જાય ,શકે ..

મા એટલે બંધ હોઠ ખુલવાની ક્રિયા,

મા એટલે ખુલેલા હોઠમાંથી દુનિયાની દરેક ભાષામાં બોલાયેલો પહેલો શબ્દ…

મા એટલે દુનિયાનો ખૂણો, છેડો કે પછી દુનિયા ??

મા એટલે વહેંચ્યા પછી પણ અવિરત વધતું વહાલ…

મા એટલે મને લેવા પોતાની જિંદગીને મોતના હાથમાં સોંપીને મારો હાથ ઝાલીને દુનિયામાં લઇ આવતો દેવદૂત….

મા એટલે બાબી,

મા એટલે કારેલાનું શાકમાં રહેલું ગોળનું ગળપણ..

મા એટલે રસોઈ કરતા સાડીને છેડે લુછી જતો હાથ..

મા એટલે મારા હાસ્યમાં જોવાતું એનું હાસ્ય મારા દુઃખનું એની આંખમાંથી વહી જતું આંસુ…

મા એટલે મને સૌથી સમજાતી અને સમજતી વ્યક્તિ…

મા એટલે મારે માટે ખાટ્ટી મીઠી દાળ…

મા એટલે મોળો ભાત અને દહીં…

મા એટલે સૌના સપનામાં જાત ને ખોઈ નાખતું વ્યક્તિત્વ…

માનું સરનામું જે દુનિયાના કોઈ પણ દેશના ઘરમાં રસોડું હોય એવી વ્યક્તિ….

મા એટલે સૌથી પહેલી જાગીને સૌથી મોડી સુતી વ્યક્તિ….

માનો સ્પર્શ એટલે કોઈ પણ દુ:ખની પહેલી દવા..

મા એટલે મારા દુઃખમાં આખી રાતનો ઉજાગરો..

મા એટલે મારા સુખમાં પોતાની ચિંતાનો સદૈવ વૈભવ માણતી વ્યક્તિ…

મા એટલે મારી જિંદગી ને પહેલા થી છેલ્લા બિંદુ સુધી એનું ઋણી બનાવી દેતું વ્યક્તિત્વ..

મા એટલે અનુભવની પાઠશાળા….

મા એટલે પોતાના વ્યક્તિત્વ અને જીવનને કૈક કેટલાય ટુકડામાં કાપીને પણ અખંડ રહેતું એક વ્યક્તિત્વ..

મા એટલે દુનિયાનો સૌથી પહેલો જાદુગર જે એને મળેલા તમામ દુખોને સુખમાં અને હાસ્યમાં બદલી નાખી શકે…

મા એટલે પોતાનું વ્યક્તિત્વ અને ખુશી ભૂલી જવાની તાકાત ધરાવતી વ્યક્તિ…..

મા એટલે અર્ધી ઊંઘમાં અનુભવાતો વાળમાં આંગળીઓ વાળો હાથ….
મા એટલે શું ??  જેનો એક માત્ર અંશ હું …મારો અણુ એ અણુ એટલે મા….

 .

(પ્રીતિ ટેલર )

મૃત્યુ – અનિલ ચાવડા

(૧)

મૃત્યુ

આપણને દરરોજ

તમાકુની જેમ

ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે

એક દિવસ

એ આપણો

સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.

 .

(૨)

એક દિવસ

મૃત્યુ નામે એક અદ્રશ્ય પંખી આવશે

આપણને એની તીક્ષ્ણ

અને ધારદાર ચાંચ વડે

ખોતરી કાઢશે

સમયના શરીરમાંથી

મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ !

 .

(૩)

એનાં લગ્ન થયા હશે ?

કોની સાથે ?

કોઈ બાળક હશે ખરું ?

કે પછી નિસંતાન ?

જો નિસંતાન હોય તો

એને વાંઝિયાપણાનો અફસોસ થતો હશે ?

કોઈ ડોક્ટરની સલાહ કે ટ્રીટમેન્ટ તો લેતું હશે ને ?

પણ મૃત્યુ બાપડું ‘કેવું’…

નપુંસક !

મૃત્યુ નામની એક નપુંસક ચીજ

એક દિવસ બધાને સંભોગી લેશે…

 .

( અનિલ ચાવડા )

વધઘટ કરો – આહમદ મકરાણી

દીપના ઉજાસમાં થોડીઘણી વધઘટ કરો

જાતના સહવાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

પૂમડાં માફક સહજ આકાશમાં ઊડી જઈશ;

ફૂંકથી વાતાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

થૈ જશે મદહોશ, પાગલ આ ભ્રમર પણ-

ફૂલની સુવાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

જિંદગીનું એક નાટક તો સતત ભજવાય છે

પાત્રની ગુંજાશમાં થોડીઘણી વધઘટ કરો

 .

માન મારું તો વધે છે યા ઘટે છે-જોઈએ,

રોજના લિબાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

( આહમદ મકરાણી )

એ તરફ – શૈલેશ ટેવાણી

જવું જ હોય તો જરા ચાલો ને એ તરફ,

અહીં છે ઘર અજાણ તો ચાલો ને એ તરફ.

 .

દિશા બતાવી થાય છે દરવેશ પણ અલોપ,

બચી છે જરી હામ તો ચાલો ને એ તરફ.

 .

અજવાળું પણ નથી અને અંધાર પણ નથી,

રસ્તો નથી અજાણ તો ચાલો ને એ તરફ.

 .

માટીની મહેક છે અને એકાદ ગ્હેક  પણ,
ટોળું છુટી ગયું છે તો ચાલો ને એ તરફ.

 .

સરનામું આમ પણ હવે ઝાંખું થતું રહ્યું,

છૂટી ગયું છે ગામ તો ચાલો ને એ તરફ.

 .

( શૈલેશ ટેવાણી )

ચાલ આપણે – દુર્ગેશ ઉપાધ્યાય

ચાલ આપણે એકબીજાને કાગળ લખીએ,

ભીતરના ગમને આંખોમાં સાજળ લખીએ.

 .

ભાગ્યતણી રેખા બધી અટવાઈ ગઈ છે,

લાવ, હથેળી તારી રે, કો’ વાદળ લખીએ.

 .

દૂર દૂર છો રહ્યાં આપણે પ્રેમ સંબંધે,

પતંગિયાંની પાંખો પર કો’ વાવડ લખીએ.

 .

નજર મળ્યાની વાત આમ શું વિસરી જાઓ,

આજ ઘેરાતી આંખોમાં કો’ કાજળ લખીએ.

 .

રાત-દિવસ છે સથવારો જો વિરહનો તો,

પાંપણના ઓવારે હવે કો’ ઝાકળ લખીએ.

 .

( દુર્ગેશ ઉપાધ્યાય )

આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ? – હૈયું, કટારી અને હાથ

2-Image (25)

 

1-Image (26)

.

આપણી પોલીસ આજે પણ ‘મે આઈ હેલ્પ યુ’નાં બોર્ડ પ્રદર્શિત કરવા છતાં સમાજને બહુ ખપમાં આવતી ન હોય તેવો વ્યાપક અનુભવ અને માન્યતા છે. ક્યાં તો તે રાજકારણીનું કહ્યું કરે છે, ક્યાં તો તે પૈસા ખાઈને કામ કરે છે, પરંતુ સામાન્ય માણસની મુશ્કેલીના સમયે તે ભાગ્યે જ મદદે આવે છે. જુવાનસિંહ જાડેજા ૧૯૫૧માં કચ્છમાં પોલીસ ખાતામાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે જોડાય છે અને ૩૮ વર્ષની નોકરી બાદ ડેપ્યુટી કમિશનર પોલીસ તરીકે ૧૯૮૮માં નિવૃત્ત થાય છે. તેમણે જે હિંમતપૂર્વક અને કોઈની શેહશરમ ભર્યા વિના સમાજહિતમાં જે કામગીરી બજાવી તેની કારકિર્દી ગાથા ઉપર લખી તે વ્યાપક લાગણીને ખોટી ઠેરવે છે. પુસ્તકના વાચન પછી એવું કહી શકાય કે પોલીસ હોય તો આવી ! અથવા આવા પોલીસો તંત્રમાં વધુ પ્રમાણમાં હોવા જોઈએ વગેરે વગેરે.

 .

૮૦ પછીની ઉંમરે જુવાનસિંહ પોતાની સ્મૃતિનો કબજો લઈ બેઠેલા નોકરીના પ્રસંગો અકબંધ અને અંકોડાબદ્ધ રીતે જાતે લખે છે જે કચ્છ અને સૌરાષ્ટ્રનાં બે દૈનિકોમાં હપ્તાવાર પ્રગટ થાય છે. જાણીતા અને અજાણ્યા વાચકોનો પ્રેમાદર મેળવી જાય છે. અને છેલ્લે તેમનાં જીવનસાથી, જાણીતાં લેખિકા અરુણા જાડેજા, આખા પ્રકલ્પને પુસ્તક રૂપે પ્રગટ કરી તેને પૂર્ણતા બક્ષે છે. વિવિધ તબક્કે આત્મવિશ્વાસ અને હિંમતની કેવી કસોટી થાય છે અને તેમાંથી જુવાનસિંહ સફળતાપૂર્વક કેવી રીતે બહાર આવે છે એ ઘટનાઓ તો જાતે વાંચીએ તો જ મઝા આવે.

 .

સૌથી મહત્વની વાત એ છે કે બધી ઘટનાઓ અને અનુભવો ખૂબ પારદર્શક રીતે રજૂઆત પામ્યા છે. ક્યાંય આત્મશ્લાઘા કે દિલચોરી કરી હોય તેવું જણાતું નથી. ભાષા પણ અત્યંત સાદી-સીધી અને સામે બેસીને વાતચીત કરતા હોય તેવી. તેમણે લખ્યું છે કે તેમના આદર્શ તેમના પિતાશ્રી શિવુભા મેરજીભા જાડેજા (ખેડોઈ) અને મોકાજીભાઈ ડોશાજીભાઈ જાડેજા (નળિયા) હતા. એમના આદર્શોનું પાલન કરતા હોવા છતાં તેઓ પ્રમાણસરના પ્રામાણિક હતા તેવો એકરાર તેમણે કર્યો છે. પૈસો એ જરૂરિયાત છે. પણ વૈભવ નથી અને સ્વમાન કે આબરૂના ભોગે થતું વર્તન શોભનીય નથી. એટલે કે સ્વમાન ગીરવે ન મૂકવું જોઈએ તથા પોલીસની ફડક લોકો પર રહેવી જોઈએ. આવી પોતાની માન્યતાઓ તેમણે પ્રગટ કરી છે. છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સમક્ષ પોલીસખાતાની બદીઓ વિશે તેમણેવિચારપૂર્વક અને નિખાલસતાભર્યા જવાબોમાં પોતાના વિચાર પ્રગટ કર્યા છે.

 .

(૧) ‘પોલીસખાતામાં લાંચનું પ્રમાણ ઓછું હોય છે પણ લાંચ આપનારને લાંચ આપ્યા પછી એનો કોઈ નાણાકીય લાભ મળતો નથી એટલે પછી એ લાંચ આપનાર પોતે જ બૂમાબૂમ કરી મૂકતો હોય છે, પોલીસને વગોવી મૂકે છે.’

 .

(૨) ‘હું તો માનું છું કે ગુનેગાર પર બને તેટલો ત્રાસ ગુજારીને ગુનો શોધી કાઢવાનો પ્રયત્ન થવો જોઈએ જેથી બીજી વાર ગુનો કરતી વખતે એના પર ગુજારવામાં આવેલો આ ત્રાસ એની નજર સામે રહ્યા કરે.’ (પાન – ૭૮થી ૮૦)

 .

કેટલેક ઠેકાણે રાજકારણીઓનાં અને અધિકારીઓનાં નામો અપાયાં છે તો કેટલેક ઠેકાણે અપાયાં નથી, તેમાં જુવાનસિંહનો વિવેક પ્રગટ થાય છે. સારા પોલીસ અધિકારીએ ધ્યાને રાખવા જેવી બાબતો લેખકે પરિશિષ્ટ રૂપે રજૂ કરી છે. આમ નવા અને કામ કરતા પોલીસો માટે આ પુસ્તકનું શૈક્ષણિક મૂલ્ય ઘણું બધું છે. પોલીસતંત્રની આંટીઘૂંટી અને કાવાદાવા વચ્ચે એક બહાદુર અને હિંમતવાન અધિકારી કેવું બેનમૂન કામ કરી શકે છે તે જાણવા અને પ્રેરણા મેળવવા આ પુસ્તક વાંચવું રહ્યું.

 .

( ડંકેશ ઓઝા )

 .

આ પુસ્તકમાંથી મને ગમતા અંશો :

 .

અમારા પોલીસખાતાના એમણે (મોકાજીભાઈએ) થોડાક મહત્વના સિદ્ધાંતોનો પાઠ મને આપેલ જેનું મેં હંમેશાં પાલન કરેલ. જેમાં મુખ્યત્વે…

–     એક તો જ્યાં મોત એટલે ખૂન, આપઘાત, અકસ્માત હોય ત્યાં બીજા કોઈની વાત સાંભળવી નહીં, આત્મા કહે એ જ કરવું.

–     લૂંટ, ચોરી, વિશ્વાસઘાત, ઠગાઈ, ધાડ જેવા મિલકતા વિરુદ્ધના ગુનાઓમાં ગુનેગાર પાસેથી ક્યારેય પૈસા લેવા નહીં.

–     કોઈ પણ ગુનામાં પૂરેપૂરી ચકાસણી કરીને જ ગુનેગારને પકડવો પણ ત્યારે કોઈ ખોટો એટલે નિર્દોષને જાણીજોઈને પકડવો નહીં, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું.

–      કોઈ પણ, બાઈમાણસ જો એ ખરેખર ગુનેગાર ના હોય તો એની સાથે હંમેશાં સારો જ વ્યવહાર કરવો.

–     કોઈને ખોટાં વચન આપવાં નહીં અને જો કોઈને વચન આપો તો એ પાળી બતાવો.

–     કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં, તમારા બોલ પર દરેકને ભરોસો પડે તેવું કરો.

 .

હું કચ્છમાં હતો ત્યારથી મિયાણા કોમના ઘણા માણસો તેમજ ગુનેગારોના સંપર્કમાં આવવાનું થયેલ. એ બધા રીઢા ગુનેગારો અને ખતરનાક ખરા પણ સામે મારા જન્મજાત સંસ્કારોને લીધે અને જિંદગીના થતા ગયેલા અનુભવોને લીધે મનમાં એવી પાકી ગ્રંથિ બંધાતી ગઈ છે કે તમારું મોત લખાયું હશે તો કોઈ બચાવી શકશે નહીં અને મોત નહીં લખાયું હોય તો કોઈ મારી શકે નહીં. એ સત્તા તો ફક્ત ઈશ્વરના હાથમાં રહેલી છે. હું તો એમને મોઢે કહેતો, ‘હું તમારા બધાની રગેરગ જાણું છું. તમે લોકો ખૂન કરી શકો છો, બહારવટું ખેડી શકો છો, ચોરીચપાટી કરી શકો છો, મોટી મૂછો કે થોભિયાં રાખો, હાથમાં ધારિયાં અને ખભે કુહાડી રાખીને સુરેંદ્રનગરની બજારમાંથી નીકળો, તમારી ઘરવાળી અને છોકરીઓ ઘરે દારૂ વેચે કે દારૂ પીવાવાળા તમારા ઘરે આવે પણ તમારામાં સાચા મરદ કેટલા નીકળે ! મને તો તમે ક્યારેય બિવડાવી નહીં શકો.’

 .

હૈયું, કટારી અને હાથ – જુવાનસિંહ જાડેજા, સંકલન : અરુણા જાડેજા

પ્રકાશક : સ્વાતિ પ્રકાશન

પૃષ્ઠ : ૧૬૮

કિંમત : ૨૦૦/-

સાચો કહું – ઈશિતા દવે

બંધ સાંકળ સ્હેજ જો ખખડાવ તો સાચો કહું,

તું હૃદયના બારણા ખોલાવ તો સાચો કહું.

 .

જઈ હિમાળે હાડ ગાળી નાખવા સ્હેલા જ છે,

જિંદગીના જંગમાં જો આવ તો સાચો કહું.

.

તું પરીક્ષા કાયમી લીધા કરે, દેતો ખરો,

દીપ પાણીમાં અહીં પ્રગટાવ તો સાચો કહું.

.

ચોપડીના ચાર પાનાઓ ભણાવે થાય નહિ,

અર્થ ટહુકાનો જરા સમજાવ તો સાચો કહું.

 .

કોઈની પણ હા હજુરી શું કર્યા કરવી ભલા,

ના ગમે તો રોકડું પરખાવ તો સાચો કહું.

 .

( ઈશિતા દવે )

…જવાનું છે – સાહિલ

તોફાન વીંધી સામા કિનારે જવાનું છે

ને એય તુંબડાના સહારે જવાનું છે.

.

ઝાલી અવરની આંગળી બે ડગલાં ચાલી લ્યો !

અંતે તો પંડના જ પનારે જવાનું છે.

 .

ઈચ્છા મુજબ જવાય છે ક્યાં કોઈ પણ સ્થળે,

જ્યાં પણ જવાનું એના ઈશારે જવાનું છે.

 .

નીચાં નિશાન રાખવાની વાત ના કરો

ધરતી ઉપરથી સીધા સિતારે જવાનું છે.

 .

તરતા રહો તો સાથ વમળનો નહીં છૂટે,

‘સાહિલ’ ડૂબ્યા પછી જ કિનારે જવાનું છે.

 .

( સાહિલ )

ગયો છું – ભગવતીકુમાર શર્મા

શોધી જો શકો, શોધજો, ખોવાઈ ગયો છું;

અંધારામાં હું જાતથી અથડાઈ ગયો છું.

.

સામેથી મને આવતો જોઈ હું હસ્યો’તો,

કિન્તુ  એ ગલીથી પછી ફંટાઈ ગયો છું.

 .

આવ્યો’તો આ દુનિયામાં લઈ લાગણી અઢળક;

અડધી જ સફરમાં ઘણો ખર્ચાઈ ગયો છું.

 .

થાવું જો પ્રગટ હોય તો આ છેલ્લી ઘડી છે;

ક્ષમતાથી વધારે હું વલોવાઈ ગયો છું.

 .

મધ્યાહ્નના સૂરજનો કશો ડર નથી મનમાં;

હું ચાંદની રાતોમાંયે અંજાઈ ગયો છું.

 .

મૃત્યુના ફરિશ્તાની જરૂરત ન કશી છે;

જઈ એને કહો કે હું સમેટાઈ ગયો છું.

 .

ઈચ્છો તો મને વચ્ચેથી ફાડી યે શકો છો;

કાગળ છું, ઘણી વાર વંચાઈ ગયો છું.

 .

( ભગવતીકુમાર શર્મા )