દર્પણ-પ્રીતમ લખલાણી

દર્પણ

૧.
સોળ વર્ષની કન્યા
નજરે ચઢતાંજ
આળસ મરડીને ઊઠે
દર્પણ !

૨.
રાજમાર્ગે ઊભેલ ગાંધીજીની
પ્રતિમાને
મેં પૂછ્યું :
‘સ્વતંત્ર ભારતમાં-
તમારો સાચો વારસ કોણ ?’
બાપુની પ્રતિમાએ આંગળી
ચીંધી
પાનવાળાના ગલ્લે દેખાતા
દર્પણ તરફ…

૩.
અકસ્માતથી નંદવાઈ
ગયેલા
દર્પણના પ્રત્યેક ટુકડામાં
મારો ચહેરો જોઈ
હું ચીસ પાડી ઊઠું છું
કે મારામાં
આટલા બધા હું !!!

૪.
જો દર્પણે ન બતાવ્યા હોત
દશરથને શ્વેત વાળ તો
રામને ગાદી સોંપવાનો
વિચાર
આવ્યો ન હોત
ને તેમને ન જવું પડ્યું
હોત વનમાં.

( પ્રીતમ લખલાણી )

ચિન્મય શાસ્ત્રી

1235025_634812679897042_1793002434_n

અમદાવાદના રહેવાસી યુવા કવિ ચિન્મય શાસ્ત્રીનો જન્મ 24 મે 1995ના રોજ બોરીવલી, મુંબઇમાં થયો હતો. (પિતા: તીલક શાસ્ત્રી, માતા: રીટા શાસ્ત્રી). તેમણે ધોરણ- 12 (Commerce) સુધીનો અભ્યાસ અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાંથી 2012માં પુરો કર્યો. ત્યારબાદ 2015માં એન.આર ઈન્સ્ટિટ્યુટ ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (GLS) અમદાવાદમાંથી B.B.A ની ડિગ્રી મેળવી. હાલ તેઓ આઇ.સી.એફ.એ.આઇ બિઝનેસ સ્કૂલ (IBS) મુંબઇ ખાતે M.B.Aનો અભ્યાસ કરી રહ્યા છે. 2011માં અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિસદમાં આયોજિત ‘ગઝલ લેખન શીબિર’ માં તેમણે ગઝલના બંધારણ વિશેની તાલીમ મેળવી અને 2012માં એમના કાકા કુમાર જૈમિનિ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ગઝલસર્જન આરંભ્યુ. અમદાવાદની બુધસભા અને બુધસભાના મિત્રોના સાંનિધ્યએ પણ તેમના સર્જનમાં અગત્યનો ભાગ ભજવેલ છે. 2013માં તેમની ગઝલ પ્રથમ વખત ગુજરાતી કવિતાનાં રુતુપત્ર ‘કવિલોક’ માં સ્થાન પામી. ત્યારબાદ તેમની રચનાઓ અન્ય સામાયિકો જેવા કે કવિતા, ગઝલવિશ્વ, શબ્દાલય,ધબક અને તમન્નામાં સ્થાન પામી.

મો. 7738962819
E-mail ID: chinmay455470@yahoo.com

બંદીવાન તડકો-મનીષા જોષી

વર્ષો જૂની એ ઈમારત પર
ઐતિહાસિક તડકો પથરાયેલો છે.
એ ઈમારત કોણે બંધાવી, શા માટે બંધાવી,
તેના સ્થાપત્યની શૈલી કઈ,
તે કંઈ જ જાણવામાં મને રસ નથી.
પણ આ તડકો આજે, હજી સુધી કેમ અહીં છે
તે વિચાર મને સતાવે છે.
રોજ તો આ સમયે
તડકો
આ ઈમારતના પેલા ખૂણા પાસેથી ઓસરી ગયો હોય છે.
આ સમયે એટલે કયા સમયે ?
મેં છેલ્લે ક્યારે જોયો હતો આ તડકો ?
હું ક્યારેય પણ ક્યાંયથી પણ
પાછી વળતી હોઉં ત્યારે
આ ઈમારત પાસેથી પસાર થતી વેળા
જરૂર જોતી
કે તેના કયા ખૂણે, કઈ બારીએ,
ભીંતના કયા વળાંકે,
ક્યારે, કેટલો તડકો પથરાયેલો હોય છે
અને ક્યાં તેનો પડછાયો હોય છે.
સમય તો ત્યારે હોતો જ નહીં.
સમય તો જાણે
મનના કોઈ ખૂણે કેદ.
હું ઓળખું માત્ર તડકાને.
તડકામાં ઝાંખા થઈ ગયેલા
આ ઈમારતના પથ્થરો,
એ પથ્થરોની તિરાડોમાં તડકાનું ભરાવું,
પથ્થરનું ખરવું, તડકાનું વેરાવું,
એ ઈમારતનું અહીં હોવું,
મારું અહીંથી પસાર થવું
આ તમામને એક અલિપ્ત અર્થ છે.
એટલે જ સ્તો,
આજે કેમ હજી સુધી અહીં છે આ તડકો ?
પડછાયાની આ કેવી નવી પ્રથા ?
શું મારા હાથમાંથી સરી રહી છે
સમય પરની સત્તા ?
પડછાયાના પ્રદેશમાં
એકલા અસહાય તડકાને
હું જોઈ રહી છું, બંદીવાન.

( મનીષા જોષી )

સમજીને-આબિદ ભટ્ટ

માણ, ક્ષણને, હજાર સમજીને,
જિંદગીને તુષાર સમજીને !

આકરી પાનખર, સકળ કાજે,
હું તો જીવ્યો બહાર સમજીને !

ભીંત છે તો જરૂર પડવાની,
કર મરામત દરાર સમજીને !

પ્રેમ પામ્યો વસંત ક્યારે ના,
તેં કર્યો વ્યવહાર સમજીને !

કર સહન વાયદા ખિલાફીને,
જુલ્મનો છે પ્રકાર સમજીને !

દર્દા મેં કેટલાંક પાળ્યાં છે,
દિલને મળશે કરાર સમજીને !

( આબિદ ભટ્ટ )

હિંડોળો-પ્રીતમ લખલાણી

૧.
એકાંતે ઝુકાવતો મને
હિંડોળો આપે છે
ખુદ અને ખુદાથી
વાત કરવાનો અવકાશ !

૨.
દોસ્તો ! નિરાંતે ક્યારેક
કાન દઈને સાંભળજો
હિંડોળાની કિચૂડ કિચૂડ વ્યથા
બસ, એ જ ઘડીએ
સમજાઈ જશે હિંડોળા જેવી
નારીજીવનની કથા !

૩.
સોપારી વેતરતો,
ડેલી, ફળિયું અને ઓસરીને
નીરખતો હિંડોળો,
સૂંઘતો હોય છે છીંકણીની જેમ
હર ક્ષણને.

૪.
સાચું કહું તો કોણ માનશે ?
આ હિંડોળા થકી જ
સાહિત્ય-સર્જનને મળે છે
સર્જક-કાફલો !

( પ્રીતમ લખલાણી )

ક્રોધ : કારણ – નિવારણ (૩) – ઓશો

૧.
અને તમે વિચારવા લાગો છો-
‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે.
હું તે માટે પ્રયત્ન કરીશ-
યમ-નિયમ સાધીશ,
આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ—
મારે તેનાથી મુક્ત થવું જ છે.’

આ રીત તમે તમારું અધૈર્ય બતાવો છો.

તમે આ અધીરતાથી જણાવી દીધું કે-
જે છે તેનાથી તમે રાજી નથી,
જે છે તે સાથે તમે સહમત નથી.
તમે કંઈક બીજું ઈચ્છો છો.

અને બસ, તે ક્ષણથી તમે અશાંત થવા લાગ્યા.

૨.
તમે જ્યારે ક્રોધથી લાલપીળા
થઈ જાઓ છો ત્યારે
પશુ બની જાઓ છો.

ક્રોધ કરવો સરળ છે
પરંતુ તે સ્થિતિમાં
તમે કેટલો વખત રહી શકશો ?
ક્રોધની બહાર તો આવવું જ પડશે.

કોઈ પણ વ્યક્તિ સતત ક્રોધની
સ્થિતિમાં ન રહી શકે.

તમે જ્યારે તે સ્થિતિમાંથી
નૈસર્ગિક સ્થિતિમાં પાછા આવશો
ત્યારે પહેલાં કરતાં પણ
વધુ નખાયેલા, વધુ વિષાદગ્રસ્ત હશો.

એવી કોઈ વ્યક્તિ નહિ મળે, જેણે
ક્રોધ કર્યા બાદ પસ્તાવો ન કર્યો હોય,
કે-આ મેં શું કર્યું ?’

( ઓશો )

કીડી-પ્રીતમ લખલાણી

૧.
રાતી
કીડીનું
પગેરું શોધવા
કાળી કીડી
ભટકે
સફેદ ખાંડની
ઢગલીમાં.

૨.
શબ્દને
શ્વેત કાગળ પર
શિસ્તબદ્ધ
હારમાં ઊભેલ જોઈ,
સાકરના કણને
રેઢો મૂકી
કીડી
એક શબ્દને છેવાડે
આશ્ચર્યચિહ્ન સમી
ઊભી રહી ગઈ !


બારાખડીના
અક્ષરે
કીડીને
કાનમાં
એવું તે શું કહ્યું હશે
કે
દેશી હિસાબમાં
ફેરફુદરડી ફરવાનું
ભૂલીને
તે
ચટકા ભરતી થઈ ગઈ !

૪.
કીડી
એટલે
ચૂપચાપ
ખોવાઈ ગયેલ
ક્ષણનું
એક પગલું !

( પ્રીતમ લખલાણી )

ચાર રચનાઓ-ચિનુ મોદી

૧.
અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચંદ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા
મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.

૨.
નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જા
દરિયા જેવો દરિયો લાગે આ બ્હીઘેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.

૩.
પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા
મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા.

૪.
બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા
જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા.

( ચિનુ મોદી )

ઝાંઝર-ચિનુ મોદી

હું
રણકાવું ત્યારે રણકવાનું
ઝણકાવું ત્યારે ઝણકવાનું
આમ
જાતે જાતે રણઝણવાનું નહીં
સમજ, સમજ; તું ઝાંઝર છે.
હું કહું :
“બસ, બહુ થયું.”
એટલે મંત્રમુગ્ધ કરતા
તારા ઝંકાર
તારે સમેટી લેવાના, શું ?
હું
રિસાઈને કોપભવનમાં હોઉં
કે
ભરી ભીડથી છૂટવા
એકદંડિયા મ્હેલમાં હોઉં
ત્યારે, જાતે જાતે ઝણકીને, મને
ખલેલ પહોંચાડવાની નહીં-
અબે, તું ઝાંઝર છે
પગમાં પહેરેલું રહે, માથે ચડી ના બેસ.

( ચિનુ મોદી )

કુલદીપ કારિયા

Kuldeep Karia

કવિ કુલદીપ કારિયાનો જન્મ રાજકોટના પડધરીમાં ૨૪ જૂલાઈ ૧૯૮૭ ના રોજ થયો હતો. (પિતા: રાજેન્દ્રભાઈ કારિયા, માતા: લતાબેન કારિયા). ૨૦૦૫માં કલ્યાણ હાઈસ્કૂલ (રાજકોટ) માંથી ધોરણ-૧૨ (કોમર્સ)) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ૨૦૦૮માં રાજકોટની જે. જે કુંડલીયા આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી બી.કૉમ થયા. ૨૦૦૯માં તેમણે અમદાવાદની ભવન્સ કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કૉમ્યુનિકેશ ખાતેથી જર્નાલિઝમમાં પૉસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે દિવ્યભાસ્કર દૈનિકમાં સબ-ઍડિટર તરીકે (૨૦૦૯ થી ૨૦૧૧), મીડ-ડેમાં સિનિયર સબ-ઍડિટર તરીકે (૨૦૧૧ થી ૨૦૧૨), ગુજરાત સમાચારમાં સબ-ઍડિટર તરીકે (૨૦૧૨ થી ૨૦૧૩) કામ કરેલ છે. વચ્ચે તેમણે અભિયાન મૅગેઝિનમાં રિપોર્ટર તરીકે (એપ્રિલ ૨૦૧૩ થી જુન ૨૦૧૩) પણ સેવાઓ આપી છે. હાલમાં તેઓ રાજકોટ ખાતે ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કાર્યરત છે. કવિ કુલદીપ કારિયાએ સાહિત્ય સર્જનનો પ્રારંભ માત્ર તેર વર્ષની ઉંમરે કર્યો હતો. ૨૦૧૩માં તેમની ગઝલ (ઝાટક્યો પલંગ ત્યાં તરત બ્હાર નીકળ્યા, ઓશીકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા) પહેલી વાર ગુજરાતના પ્રશિષ્ટ સામાયિક ‘નવનિત સમર્પણ’ માં પ્રકાશિત થઈ. ત્યારથી લઈને અત્યાર સુધી તેમની રચનાઓ નિયમિતપણે ગુજરાતના શિષ્ટમાન્ય સામાયિકો શબ્દસૃષ્ટી, ગઝલવિશ્વ, કવિલોક, કવિતા વગેરેમાં પ્રકાશિત થતી આવી છે. તેમણે કવિતાના ગીત, ગઝલ અને અછાંદસ જેવા કાવ્યપ્રકારોમાં કામ કર્યુ છે. નવેમ્બર ૨૦૧૫માં તેમણે સાહિત્ય અકાદમી દિલ્હી ખાતે ‘યંગ રાઈટર ફેસ્ટિવલ’માં ગુજરાતી ભાષાના પ્રતિનિધી તરીકે કાવ્યપાઠ કરેલ છે.

મો. નં. 9409404796
E-Mail ID: kuldeepkaria@gmail.com