૭.
હે પ્રભુ,
મને સૂરજમાં પૂરી શ્રદ્ધા છે,
ભલે તે વાદળો પાછળ ઢંકાઈ ગયો હોય.
.
મને બીજના અસ્તિત્વ વિષે
કોઈ શંકા નથી,
ભલે તે જમીન હેઠે
મારાથી અણદીઠું પડ્યું હોય.
.
મારી શ્રદ્ધા હજી પણ અડગ છે,
ભલે મને છેહના અનુભવો થયા હોય.
.
પ્રેમમાં મારો વિશ્વાસ હજી ડગ્યો નથી,
ભલે મને
કેટલીયે વાર જાકારો મળ્યો હોય.
.
અને,
ભલે તારા તરફથી
મને કોઈ અવાજ સાંભળવા ન મળ્યો હોય,
ભલે તું મૌન રહ્યો હોય,
તો પણ
મને તારામાં પૂરી શ્રદ્ધા છે.
.
૮.
હે પ્રભુ,
તું હંમેશા મારો પથદર્શક બની રહેજે.
.
હું એકલે હાથે ઝઝૂમતો હોઉં,
ત્યારેમને પૂરતું બળ આપજે.
.
હું મારી વ્યથા ભોગવતો હોઉં
ત્યારે મને સાંત્વન પૂરું પાડજે.
.
હું નાસીપાસ થઈ જાઉં
ત્યારે મારામાં શ્રદ્ધા પૂરજે.
.
મારે માટે તારા જેવો કોઈ પથદર્શક નથી,
મૂંઝવણકાળમાં મને હંમેશ દિશા ચીંધતો રહેજે.
.
( શૈલા પંડિત )

