NOTHINGNESS – ગુણવંત શાહ

મેં તારી રાહ જોઈ –

છેલ્લું કિરણ

અંધારાને શરણે ગયું ત્યાં સુધી.

પછી

નિ:શ્વાસને સોણલાં ફૂટ્યા;

ને

ભીનીભીની વીજળી ય ચમકી

પણ

મેઘલી રાતે મને સંભળાતા પગરવમાં

તારા ઝાંઝરે સાદ ન પુરાવ્યો.

ગઈ રાતે તો

હતું જ કે તું આવશે

પણ … … …

હવે તું આવે ત્યારે

કદાચ હું નહિ હોઉં.

અને છતાં ય

મારું ન-હોવું પણ

ભર્યું ભર્યું બની રહેશે;

તું

આવે

તો !

 .

( ગુણવંત શાહ )

વહાલપ – માણેકલાલ પટેલ

તમે ફૂલ બનવાનું પસંદ કરશો કે વેલ

એવું જો કોઈ મને પૂછે

તો

હું તો વેલ બનવાનું જ પસંદ કરું

કેમ કે,

ફૂલ રાતે ખરી પડે છે

જ્યારે વેલ રાત-દિવસ

લીલીછમ રહી

વહાલપ વરસાવ્યા કરે છે.

ખીલીને ખરવા કરતાં

જો

લીલોતરીનું અવિરત વહાલપ

વેલ બની વીંટળાઈ રહેવામાં
મળતું હોય તો પછી એના પર

ફૂલ ખીલે કે ન ખીલે તેથી શું ?

 .

( માણેકલાલ પટેલ )

તારા સિંહાસનેથી – રવીન્દ્રનાથ ટાગોર

તું તારા સિંહાસનેથી ઊતરીને મારી ઝૂંપડી પાસે આવીને ઊભો રહ્યો !

 .

એકલો એક ખૂણામાં બેઠો બેઠો હું તો મારું ગીત ગૂંજી રહ્યો હતો, અને એનો કોઈક સ્વર તારે કાને પડી ગયો હતો !

 .

-અને તું તારું સિંહાસન છોડીને; મારી ગરીબની ઝૂંપડીના દ્વારે આવીને ઊભો રહ્યો !

 .

તારા દીવાનખાનામાં મોટા મોટા ગવૈયાઓની મિજલસ જામે છે, ને અનુપમ ગીતો ત્યાં ગવાય છે, રાત અને દિવસ.

 .

પણ આ મારા અણઘડ સાદા ગીતગુંજનનો કોઈ સ્વર તારા પ્રેમતંતુને સ્પર્શી ગયો – અને તું ત્યાં આવીને ઊભો રહ્યો !

 .

દુનિયાના, નિત્ય ચાલી રહેલા મહાન સંગીતની વચ્ચે થઈને, રસળતો રસળતો તારે દ્વારે આવેલો મારો આ એક સાદો પ્રેમસ્વર તને સંભળયો, અને મારી એવી એક ફૂલની અંજલિ માટે, તું મારે આંગણે દોડ્યો આવ્યો !

 .

હે રાજાના રાજા ! ત્યારે જ મેં જાણ્યું કે તું એક જ રાજા છે, અને બીજા તમામ ભિખારીછે !

.

( રવીન્દ્રનાથ ટાગોર, ભાવાનુવાદ :ધૂમકેતુ )

મને ગમશે…- અલ્પા નાયક મોદી

અરેરે…..!

તું આમ હતાશ શાને થઈ ગયો ?

તું ખરી ગયેલું પુષ્પ હશે તો

મને તારામાં રસ સીંચી

ભમરો થઈને તારી સમીપ આવવાનું ગમશે

તારી પાનખરને વસંત બનાવી

મને તારી પ્રિયતમા થવાનું ગમશે.

તારી નિરાશાઓને

આશાને ઊર્મિઓ વડે ભીંજવવાનું ગમશે.

તારા દર્દ અને

મારા આનંદની અદલાબદલી કરવાનું મને ગમશે.

તારી આંખોના અશ્રુ છીનવી લઈ

તને મારા હોઠનું હાસ્ય આપવાનું મને ગમશે.

મારું વ્યક્તિત્વ તને સમર્પી દઈ

તારી પ્રતિભા ખીલવવાનું મને ગમશે.

અવિરત તને યાદ કરી

મને ભૂલી જવાનુંય મને ગમશે.

તારામાં જ મારો પ્રાણ પૂરી

તારું અટલ અસ્તિત્વ ટકાવી રાખવાનું મને ગમશે !

 .

( અલ્પા નાયક મોદી )

અષાઢ – રત્નો

અસાડ આવ્યો હો સખી, કેમ કરી કાઢું દન;

નાથ નમેરા થઈ રહ્યા, હૃદે પડ્યાં રે રતન.

 .

અસાડો રે ઘન ઉલટ્યો, માગ્યા વરસે રે મેહ;

વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ.

 .

મોરના સોર સોહામણા, દાદુર બોલે રે જોર;

કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર.

 .

રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝળકે રે મન;

દીવડો દીસે બિહામણો, નાવ્યા જગના જીવન.

 .

લીલા ચરણા અવનીએ ધર્યા, તરુવર ગેરગંભીર;

પંખીડે માળા રે ઘાલિયા, જ્યાં ત્યાં ભરિયાં રે નીર.

 .

જોગીડા પણ પંથ પરહરી, બેઠા એક આસન;

રત્નાના સ્વામી રે શામળા, આવો જગના જીવન.

.

( રત્નો )

ઓફિસ – ગુણવંત શાહ

ક્યારેક

સ્ટિરિયો પરથી વહેતા

બેગમ અખ્તરના શબ્દોને

ઘૂંટડેઘૂંટડે પીએ છે મારા કાન.

એમ થાય કે

શબ્દો સાથે વહ્યા કરું, બસ વહ્યા કરું

પણ

આ સવાદશ તો થયા

અને

હજી તો મારે … … …

ક્યારેક

ઝરૂખે બેઠો

જોઈ રહું છું શ્રાવણની જલધારા

થાય છે કે

નાહ્યા કરું બસ નાહ્યા કરું

અને

ભીંજવી દઉં મારા કોરાકોરા જીવનને

પણ … … …

 .

( ગુણવંત શાહ )

ગીત ગાવા આવ્યો હતો – રવીન્દ્રનાથ ટાગોર

હું જે ગીત ગાવા આવ્યો હતો તે મારું ગીત તો હજી ગાવાનું રહી ગયું છે !

 .

મારો ઘણો સમય તો મારા વાજિંત્રના તાર મેળવવામાં જ ચાલ્યો ગયો. હજી ગીતની એ પળ મને આવી મળી નથી, હજી એ શબ્દો હૈયામાં ઊગ્યા નથી. માત્ર હૃદયમાં ઊંડું ઊંડું દર્દ છે, – પણ ન ગવાયેલાં ગીતનું !

 .

પરિમલનો ભંડાર તો અણઊઘડ્યો રહ્યોછે : માત્ર પવનની એકાદ બે લેરખીના નિ:શ્વાસ જ આવ્યા છે !

 .

મેં એ સૌન્દર્યસાગરની તો ઝાંખી પણ ક્યાં કરી છે ? કે એના શબ્દો – એમને પણ ક્યાં સાંભળ્યા છે ? કેવળ મારા ઘર પાસેથી પસારા થતા એના આછા પદધ્વનિને જ મેં ક્યારેક સાંભળ્યો છે !

 .

સારો દિવસ પસાર થવા આવ્યો છે. સંધ્યાનાં આછાં અંધારાં આ બાજુ ઢળે છે. માત્ર એની બેઠકની તૈયારીમં જ આટલો બધો વખત વીતી ગયો ! પણ હજી મારું કોડિયું પ્રગટ્યું નથી, ઘરમાં અજવાળું આવ્યું નથી. એને અંદર આવવાનું કયે મોંએ હું કહું ?

 .

કોઈક દિવસ, અનંતતાને પંથે કોઈક દિવસ, હું એને મળીશ, એ દૂર દૂરની આશામાં હું જીવું છું, પણ હજી એ ઝાંખીની પળ દેખાતી નથી !

 .

( રવીન્દ્રનાથ ટાગોર, ભાવાનુવાદ :ધૂમકેતુ )

પાર પહોંચીને – ભરત યાજ્ઞિક

પાર પહોંચીને પ્રવાહિત થઈ જશું

પુલકમાં પ્રગટીને પુલકિત થઈ જશું

.

ક્યાં જરૂર છે અસ્ત્રની કે શસ્ત્રની ?

માત્ર દ્રષ્ટિ ફેંક ખંડિત થઈ જશું !

 .

હાથમાં મેં સાચવ્યા હસ્તાક્ષરો

સ્પર્શતાં અક્ષરમાં અંકિત થઈ જશું

 .

ઓળખાણો આ અભાગી જીવને

નેતિના નાતે પરિચિત થઈ જશું

 .

તું વિભક્તિ સાત છોડે, તો જરૂર

માત્ર સંબોધે સંબંધિત થઈ જશું

 ,

ઉત્ખનન કર મારા તું અવશેષને

જર્જરિત રૂપેય શોભિત થઈ જશું

 .

બૂમ પાડી તો સ્મરણ હાજર થયાં

યાદ કર અમને તો ગ્રંથિત થઈ જશું

 .

એ જ તો આપણી અસ્ક્યામતો

વેદના વેચો તો વંચિત થઈ જશું

 .

( ભરત યાજ્ઞિક )

क्या तू मेरी बात ना जाने – नन्दिनी मेहता

मैं ना कहूं तो क्या तू मेरी बात ना जाने

हर बात कहकर ही क्या कोई जाने

मैं ना कहूं तो क्या तू मेरी बात ना जाने

 .

बहुत सी बातें कही न जायें

बहुत सी कहनी न आयें

बहुत सी कहने लायक न पायें

मैं ना कहूं तो क्या तू मेरी बात ना जाने

 .

यों तो बहुत सी वातों में

कुछ बात होती नहीं

किंतु कभी कुछ नहीं में बहुत हो जाये

मैं ना कहूं तो क्या तू मेरी बात ना जाने

 .

मुख से चाहे मैं और कुछ कह जाऊं

फिर भी तू भीतर की असली जाने

तो मैं जानूं

मैं ना कहूं तो क्या तू मेरी बात ना जाने

 .

बात तो वह हुई

जो मैं न जानूं फिर भी तू जाने

मुझसे ज्यादा मुझसे आगे

तू मेरी जाने

तभी तू मुझसे मेरा अधिक माना जाये

मैं ना कहूं तो क्या तू मेरी बात ना जाने

 .

( नन्दिनी मेहता )

હું નક્કી કરું છું કે – કવિતા ચોકસી

હું નક્કી કરું છું કે તને પહાડ જેટલો ભાર આપીશ,

પણ જ્યારે તું સામે આવે છે

ત્યારે તને ફૂલ દેવાનું જ મન થાય છે.

હું નક્કી કરું છું કે તારી પાસે હું ખૂબ ખૂબ વ્હાલ માગીશ,

પણ જ્યારે તું મળે છે

ત્યારે તને ખૂબ ખૂબ વ્હાલ દેવાનું મન થાય છે

હું નક્કી કરું છું કે તારી સામે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડીશ,

પછી તારી છાતીની ઓથે તો હસી પડાય છે

હું જ્યારે તારી સાથે હોઉં છું,

ત્યારે મેં નક્કી કરેલું હું ભૂલી જાઉં છું

અથવા એવું કરવાનું મને સારું લાગતું નથી….

મારાં નક્કી કરેલાં સમીકરણો મારે છોડવાં પડે છે

અથવા મારાથી છૂટી જાય છે.

આ તો લાગણી જેવું, ધોળાં-ધોળાં સુગંધી ફૂલ જેવું જ

કંઈક થયું, કેમ ?

મારી આ વાત તને કરવી છે.

પણ હું જ્યારે તને આ વાત કહેવાનું મનોમન નક્કી કરું છું,

અને આપણે મળીએ છીએ

ત્યારે તો આ વાતને બદલે

આકાશ, વાદળાં, ચંદ્ર-સૂરજ કે વૃક્ષ-તારાની વાતો જ શરૂ થઈ જાય છે,

વસંત કે વરસાદ

અથવા ગુલમ્હોર કે ગરમાળો –

આવી વાતોની વેલ વધતી હોય છે –

મારે જેવું થાય છે, તેવું તને તો નથી થતું ને ?

હું એવું માની લઉં કે મારી નક્કી કરેલી વાતો

તેં નક્કી કરેલી વાતોને ગુપચુપ મળતી હશે ?!!!!……

અને

એટલે હું નક્કી કરું છું પણ…..

 .

( કવિતા ચોકસી )