મીરાં યાજ્ઞિકની ડાયરી – બિન્દુ ભટ્ટ

.

કેટલીક વાતો લોકોના માનસને ઝંઝોડી નાંખનારી હોય છે અને છતાં ચૂપચાપ આવીને પસાર થઈ જાય છે. એના આવનજાવનથી કોઈનું વિશેષ ધ્યાન ખેંચાતું નથી. જાણે કંઈ બન્યું જ નથી એમ લોકો વર્તે છે. પત્રકારત્વના ક્ષેત્રમાં એક વાક્ય બહુ પ્રચલિત છે…”કૂતરું માણસને કરડે એમાં ‘સમાચાર’ જેવું કશું ન કહેવાય, પણ માણસ કૂતરાને બચકું ભરે તો એ અવશ્ય ‘સમાચાર’ છે”. આમ કંઈક ‘અસામાન્ય કરીને’ અથવા તો ‘અસામન્ય છે’ તેવો આક્ષેપ મૂકીને સતત જાહેર માધ્યમોમાં છવાયેલા રહેવાની ઘણાંને આદત છે. કોઈપણ વાતનો વિરોધ કરો, તેમાં વિવાદ ઉભો કરો એટલે તેના તરફ લોકોનું ધ્યાન આપોઆપ ખેંચાવાનું.

.

૧૯૪૪માં ઈસ્મત ચુગતાઈની ઉર્દૂ વાર્તા ‘લિહાફ’ (ચાદર)થી ખલબલી મચી ગઈ હતી. આજે દીપા મહેતાની ‘ફાયર’ ફિલ્મથી પણ એવી જ ખલબલી મચી છે. આ બંને કહાનીમાં સજાતીય (Lesbian) સંબંધો ધરાવતી બે સ્ત્રીની વાત છે. શું આટલા વર્ષો પછી પણ સમાજમાં વૈચારિક પરિવર્તનનું વાવાઝોડું નથી ફૂંકાયું ?

.

એક મહિલા કોર્પોરેટરને તેના જ ઘરમાં ધોળે દિવસે નિર્મમતાથી રહેંસી નાંખવામાં આવી. માસૂમ કૂમળી કળી જેવી બે છોકરીઓનું પ્રથમ અપહરણ, પછી બળાત્કાર અને પછી તે બંનેને મારી નાંખવામાં આવી તોય સમાજ ચૂપ છે. દહેજના ખપ્પરમાં કેટલીયે અરમાનભરી કન્યાઓ હોમાતી રહે છે, કેટલીયે દીકરીઓ યૌવનમાં પગ મૂકે તે પહેલાં દેહભૂખ્યા દલાલોના હાથે વેચાઈ જતી હોય છે અને ત્યારે પણ સમાજ તો ચૂપ જ રહે છે. સમાજને ખરેખર સ્પર્શતી આવી ઘણીબધી બાબતો પ્રત્યે સમાજે ઉદાસીનતા દર્શાવી છે. અને ‘ફાયર’ પ્રદર્શિત થવાથી તેની સામે મોરચાઓ કાઢવામાં, ભાષણો કરવામાં, તોડફોડ કરવામાં સમાજ હવે વ્યસ્ત છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એ દરેક વ્યક્તિનો અધિકાર છે. શું Lesbian સંબંધોને બદલે Gay સંબંધો ધરાવતા બે પુરુષોની વાત હોત તો ફિલ્મનો આટલો વિરોધ થાત ? આ વિરોધની પાછળ શું મૂળભૂત સ્ત્રીનો વિરોધ તો નથી ને ? સ્ત્રી કરે તે ખરાબ જ એવી માન્યતા તો નથી ને ? અથવા તો કદાચ આવા સંબંધો વધવાથી પુરુષો સાથેના સ્ત્રીના સંબંધમાં ફરક પડશે એવો ભય તો નથી ને ? પ્રશ્નો અને તેના ઉત્તરો હું સુજ્ઞ વાચકો પર છોડું છું. કારણ કે મારે બીજી વાત કરવી છે.

.

આવો જ વિષય લઈને ૧૯૯૨માં ગુજરાતીમાં બિન્દુ ભટ્ટની “મીરાં યાજ્ઞિકની ડાયરી” પ્રકાશિત થઈ હતી. આ લઘુનવલ ડાયરી સ્વરૂપે લખાયેલી છે. બિન્દુ ભટ્ટ એક અખબાર સાથેની તેમની મુલાકાતમાં જણાવે છે કે “આ પુસ્તકમાં એક અસુંદર સ્ત્રી દ્વારા સૌન્દર્યને પામવાની વાત કરી છે. પ્રેમની જરૂરિયાત અંગત છે. સમાજને અહિત થાય તેવા કોઈ સંબંધો ચલાવાય નહીં. પણ સમાજ ક્યારેક નોર્મલ સંબંધો વિશે પણ ઉગ્રતાથી પ્રતિભાવ આપતો હોય છે. દરેક પોતાની રીતે જીવન જીવે ત્યાં સુધી વાંધો લેવો ન જોઈએ. છતાં સ્વતંત્રતા બીજાને ઠેસ પહોંચાડે તેવી ન હોવી જોઈએ”.

.

કથાની નાયિકા મીરાં યાજ્ઞિકના આખા શરીરે કોઢ છે. તે પોતે આ બાબત પ્રત્યે ખૂબ જ સભાન છે. એક પ્રશ્ન મીરાંને સતત સતાવે છે કે “આ કાબરચીતરા સ્પર્શને ઓળંગીને કોણ પહોંચશે એના સુધી ?” પોતાની દુનિયામાં મસ્ત-વ્યસ્ત રહેતી મીરાંને એક જ મૈત્રી છે….એને ‘કાબરી’ કહીને સંબોધતી વૃંદા સાથે. વૃંદા એને ભલે આવું સંબોધન કરે છે પણ એ મીરાંના કોઢને મહત્વ નથી આપતી. એ તો માને છે કે “સૌન્દર્યને પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે”. વૃંદાનો આવો વ્યવહાર મીરાં માટે આત્મવિશ્વાસની ધરી છે. અને એની આવી લાગણીથી મીરાં તેને પોતાના જીવનમાં સ્થાન આપે છે અને એ સંબંધ ઘનિષ્ઠ બને છે.

.

પરણિત પ્રિન્સિપાલ કામાણી સાહેબ (કે.એમ.) અને વૃંદા એકબીજાના પ્રેમમાં છે. પણ વૃંદા એક સ્ત્રીના અધિકારને ઝૂંટવીને લગ્ન કરવા નથી માંગતી. અને એમ આ સંબંધ મંઝિલ સુધી પહોંચી શકતો નથી. કે.એમ. સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને લંડન ચાલ્યા જાય છે. વૃંદા ઉદાસ છે. નિરાશ છે. એકાકી છે.

.

પ્રેમ એ જીવવાનું કારણ છે. અને તેથી દરેક નોર્મલ વ્યક્તિને પ્રેમની ખોજ રહેતી હોય છે. પ્રેમ એટલે પ્રેમ….તે ગમે તેની વચ્ચે હોઈ શકે. વૃંદા સાથે એક જ રૂમમાં રહેવાથી મીરાંને સાથ સંગાથ મળે છે. વૃંદાની ગેરહાજરી તેને ઉદાસી અને એકલતાનો એહસાસ કરાવે છે. બંને ઉદાસ અને એકાકી મિત્રોને સંજોગો એકબીજાની નિકટ લાવે છે જે છેવટે શારીરિક સંબંધમાં પરિણમે છે. Love is finding yourself in another’s heart. શરીરના માધ્યમ દ્વારા અન્યમાં પ્રેમ શોધવાની મીરાં કોશિશ કરે છે પણ એને એ વાતનો ખ્યાલ તો છે જ કે વૃંદા માટે એ કે.એમ.ની અવેજી માત્ર છે. બંનેને પ્રિય એવું શિરીષ ફૂલ પોતાના જીવનમાં ક્યારે ખીલશે એનો મીરાંને ઈન્તઝાર છે. વૃંદા એને પ્રેમ નહીં પણ એનો ઉપયોગ જ કરતી હતી તે વાત સાબિત થાય છે જ્યારે વૃંદા મીરાંને અસ્પષ્ટતામાં રાખીને ડો. અજિત સાથે લગ્ન કરી લે છે.

.

અપમાન, અસ્વીકાર, અવહેલનાનો ડંખ મીરાંને મૂંઝારો અને માનસિક તનાવ બક્ષે છે. તે દરમ્યાન જ એ માર્કસવાદી કવિ ઉજાસ અગત્સના પરિચયમાં આવે છે. ક્રાન્તિકારી ઉજાસની કવિતામાં આક્રોશ છે. વિધુર અને એક પુત્રીનો પિતા એવો ઉજાસ “હમ તો બે-ઘર હૈ ! I don’t have a home !“ કહે છે ત્યારે મીરાંને એના પ્રત્યે સહાનુભૂતિ થાય છે. ઉજાસનું સાન્નિધ્ય મેળવીને મીરાં એના તરફ ઢળે છે. એ ઉજાસના પ્રેમમાં છે તેવો તેને અહેસાસ થાય છે. અને એનો એ એકરાર પણ કરે છે. Love makes life more meaningful and complete. પોતે બધાથી કંઈક અલગ છે, ઊણી છે તેવું મહેસૂસ કરતી મીરાં ઉજાસના સહવાસમાં પોતે ‘નરી સ્ત્રી’ છે તેવું અનુભવે છે.

.

ઉજાસ વાત તો આત્માના સૌન્દર્યની કરે છે પણ એય છેવટે એક સામાન્ય માનવી જ નીકળે છે. જો પ્રેમ હોય તો લગ્ન સિવાયના સેક્સને પણ ખરાબ ન માનતી મીરાં ઉજાસ સમક્ષ શારીરિક સમર્પિત થાય છે. પણ ઉજાસ જ્યારે એના પર આક્રમકતાથી તૂટી પડે છે ત્યારે મીરાં હેબતાઈ જાય છે. એને ખૂબ આઘાત લાગે છે. જ્યારે ઉજાસ સમાજ સમક્ષ એને એક મિત્ર તરીકે સ્વીકારવાની પણ હિંમત નથી બતાવી શકતો ત્યારે એને વધુ દુ:ખ થાય છે. Silent પ્રેમને માણવા માંગતી મીરાં ઉજાસના Violent attitudeને સહન નથી કરી શકતી. ઉજાસના આવા વર્તન માટે પણ એ છેવટે પોતાના કાબરચીતરા શરીરને દોષીત માને છે. આ સંબંધથી પણ એ કશું જ પામી શકતી નથી. સિવાય કે જીવન પ્રત્યે નિરસતા.

.

વૃંદા અને ઉજાસ….એમ નદીના બે કિનારાઓની વચ્ચેથી પ્રેમની શોધ કરતાં કરતાં મીરાંના હાથમાં છલના સિવાય કંઈ જ આવતું નથી. સ્ત્રી અને પુરુષ એમ બબ્બે અનુભવો ભ્રમ પૂરવાર થાય છે. એને કોઈમાં રસ નથી રહેતો, એને કંઈ કરવું ગમતું નથી. પ્રેમની અપૂર્ણ શોધની મથામણ પછી મીરાં ફરી એકાકી રહી જાય છે. અને વેદના વ્યક્ત કરે છે……..

.

“સતત ગૂંગળાઉં છું. હવે તો જાણે દિશાઓએ પણ મારાથી મોં ફેરવી લીધું છે”.

.

અને આમ એક વર્ષના સમયપ્રવાહમાં વિસ્તરેલી “મીરાં યાજ્ઞિકની ડાયરી” પૂર્ણ થાય છે.

.

મીરાં યાજ્ઞિકની ડાયરી – બિન્દુ ભટ્ટ

પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન

પૃષ્ઠ : ૧૮૮

કિંમત : રૂ. ૬૦.૦૦

.

[ આ પુસ્તક પરિચય માર્ચ ૧૯૯૮ના “પારિજાત”માં પ્રકાશિત થયો હતો.]

.

નવાં નવાં – હરિશ્ચંદ્ર જોશી

નકશા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં

રસ્તા તો એના એ જ છે ચરણો નવાં નવાં

.

આ રેતના નગરમાં વિહવળ તમામ આંખ

મૃગજળ તો એનાં એ જ છે હરણો નવાં નવાં

.

જીવનને જરી જાણ્યું, ન જાણ્યું પૂરું થતું

ડાઘુ તો એના એ જ છે મરણો નવાં નવાં

.

વાસંતી વસ્ત્ર ઓઢે કે પહેરે નરી હવા

વૃક્ષો તો એનાં એ જ છે પરણો નવાં નવાં

,

શ્રદ્ધાને સાચવી રહ્યું આંગણ યુગો પછીય

મંત્રો તો એના એ જ છે શ્રમણો નવાં નવાં

.

ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં

સિક્કા તો એના એ જ છે ચલણો નવાં નવાં

.

નીકળ્યો હરીશ પહોંચવા તારી ગલી સુધી

નકશા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં

.

( હરિશ્ચંદ્ર જોશી )

પરમહંસના મોતી

૧.

એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા એ તો સારું, પરંતુ એવી ભાવના રાખવી નહીં કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું જાણજો કે નિરાકાર પણ સાચું તેમ જ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હોય તેને પકડી રાખજો.

.

૨.

સંસારનું બધું કામ કરવું, પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું. ઈશ્વરભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલવો તો ઉલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાન થઈ જાઓ. હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહીંતર એનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારના કામમાં હાથ લગાડવા જોઈએ.

.

૩.

સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ-પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહીં. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિરૂપી માખણ કાઢી લો. એ માખણ સંસારજળમાં રાખી મૂકો તો તેમાં ભળી ન જાય, તર્યા કરે.

.

૪.

ઈશ્વર પ્રાણીમાત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવુંમળવું ચાલે; જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે, એટલે કંઈ વાઘને ભેટી પડાય નહીં !

.

૫.

કોઈ કોઈ એમ ધારે કે વધુ પડતું ‘ઈશ્વર ઈશ્વર’ કરવાથી મગજ બગડી જાય. એમ થાય નહીં. આ તો અમૃતનું સરોવર, અમૃતનો સાગર ! વેદમાં તેને ‘અમૃત’ કહ્યું છે. એમાં ડૂબી જવાથી મરાય નહીં, અમર થવાય.

.

૬.

જો તાળબંધ ઓરડાની અંદરનું રત્ન જોવાની અને મેળવવાની ઈચ્છા હોય તો મહેનત કરી ચાવી લાવીને બારણાનું તાળું ઉઘાડવું જોઈએ. ત્યારપછી રત્ન બહાર કાઢવું જોઈએ. નહીં તો ઓરડો તાળાબંધ, તેના બારણાની બહાર ઉભા ઉભા વિચાર કરીએ, કે આ બારણું મેં ઉઘાડ્યું, આ પેટીનું તાળું ખોલ્યું, આ રત્ન બહાર કાઢ્યું; એમ માત્ર ઉભા ઉભા વિચાર કરવાથી કાંઈ વળે નહીં. સાધના કરવી જોઈએ.

.

૭.

એમ ધારવું એ સારું નહીં કે મારો ધર્મ જ સાચો ને બીજા બધાના ધર્મો ખોટા. બધા માર્ગોએ થઈને ઈશ્વરને પામી શકાય. હ્રદયની વ્યાકુળતા હોય તો બસ.

.

૮.

નામનું ખૂબ માહાત્મ્ય છે ખરું, પણ અનુરાગ ન હોય તો શું વળે ? ઈશ્વરને માટે પ્રાણ આતુર થવા જોઈએ. નામ લીધે જઈએ છીએ, પણ મન કામકાંચનમાં પડ્યું હોય, એથી શું વળે ? વીંછીંનો કે મોટા કરોળિયાનો ડંખ એકલા મંત્રથી ન મટે, છાણાનો શેક-બેક કરવો જોઈએ.

.

૯.

જેની પાકી ખાતરી છે કે ઈશ્વર જ કર્તા છે અને હું અકર્તા, તેનાથી પાપ થાય જ નહીં. જે નાચવાનું બરાબર શીખ્યો હોય તેનો પગ તાલથી બહાર પડે જ નહીં. અંતર શુદ્ધ થયા વિના ઈશ્વર છે એવી શ્રદ્ધા જ બેસે નહીં.

.

૧૦.

’તમે’ અને ‘તમારું’ એનું નામ જ્ઞાન; ‘હું’ અને ‘મારું’ એ અજ્ઞાન.

.

( રામકૃષ્ણ પરમહંસ )

જીવું છું – રમણિક સોમેશ્વર

તાણ સતત તાણ લઈને જીવું છું

વેદનાનું હું પરિમાણ લઈને જીવું છું

.

સાવ લાગું છું તને શાંત સપાટી ઉપર

લોહીમાં કેટલાં રમખાણ લઈને જીવું છું

.

જીવનને કોઈએ સાગર કહ્યું એ વેળાથી

હુંય કાંઠે તૂટેલું વ્હાણ લઈને જીવું છું

.

હોય મારામાં; તમારામાં, કોઈનામાં પણ

રોજ ઘટનાઓ કચ્ચરઘાણ લઈને જીવું છું

.

ફક્ત સચવાયેલી છે દંતકથાઓમાં જે

એ હવડ વાવનું ઊંડાણ લઈને જીવું છું

.

( રમણિક સોમેશ્વર )

મને ન શોધો – ભગવતીકુમાર શર્મા

મને ન શોધો ડોટ-કોમમાં;

હું છું કેવળ હરિઓમમાં.

.

પોથી, પુસ્તક, માળા ફોગટ;

રામનામ છે રોમ-રોમમાં.

.

કુંડળીમાંથી છલાંગ મારું;

પકડાઉં ના શુક્ર-સોમમાં.

.

માટીમાં છે મૂળિયાં મારાં;

વ્યક્ત કદી ના થાઉં વ્યોમમાં.

.

કુંડ, અગ્નિ ને ઋત્વિક હું છું,

હું હોમાઉં હવન-હોમમાં.

.

કફન ખસ્યું તો ફૂલ નીકળ્યા;

કબીર ક્યાં છે કોઈ કોમમાં ?

.

( ભગવતીકુમાર શર્મા )

ડોશીની વાતો – બાબુ સુથાર

યમરાજ કહે : ચાલો ડોશી, તમારો ટાઈમ થઈ ગયો.

ડોશી કહે : અરે હોય, હજી તો મારે ઘણું કામ કરવાનું બાકી છે.

યમરજ કહે : હવે શું બાકી છે ડોશી ? મોટા દીકરાના ઘરે પણ દીકરા છે અને એમના ઘરે પણ દીકરા છે.

ડોશી કહે : ઘણું કામ બાકી છે હજી તો, તમને ખબર નહીં પડે.

યમરાજ કહે : ડોશી વચોટ તો અમેરિકામાં છે,

એય ખાધેપીધે સુખી છે.

તો ચાલો હવે.

ડોશી કહે : ના ભૈ ના.બૌ કામ બાકી છે હજી તો.

બે-ચાર વરસ પછી આવજો.

યમરાજ કહે : નાનાને ત્યાં પણ હવે તો શાન્તિ છે બા.

એને માથે કોઈ ચિન્તા નથી,

પોતે ભણે છે

ને દીકરીને અમેરિકામાં ભણાવે છે.

દીકરો પણ નોકરી કરે છે.

હવે તો ચાલો.

ડોશી કહે : ના, મારો ટાઈમ નથી થયો હજી,

તમ તમારે જાવ. મારો ટાઈમ થશે ત્યારે હું તમને સામેથી બોલાઈ લે.

યમરાજ કહે : તો શું કામ બાકી છે ડોશી, બોલોને.

”ભૈ, પેલો વચલાં ઘરાંવાળો પૂંજીયો

વાલોળનું શાક આલી જ્યો સ.

એ શાક કરવાનું સ

અને એને પણ વાડકી આલવાનું સ”, ડોશીએ કહ્યું.

એ સાંભળતાં જ યમરાજા પાછા ગયા.

એઓ હજી પણ રાહ જુએ છે

પેલો વચલાં ઘરાંવાળો પૂંજીયો

ડોશીને શાક આલતો બંધ થાય એની.

.

( બાબુ સુથાર )

આ મુજબ – મુકેશ જોષી

આપને જોયા પછી જે કંઈ થયું તે આ મુજબ

આંખ લૂછી તે છતાં જે રહી ગયું તે આ મુજબ

.

બે’ક પંખી, બે’ક વાદળ, સૂર્યને બદલે દીવો

આટલું આકાશ કોઈ દઈ ગયું તે આ મુજબ

.

‘આપ મારી જિંદગી છો’ સો વખત ગોખ્યું હતું

સો કરી વાતો છતાં જે રહી ગયું તે આ મુજબ

.

એક શીશીમાં સુગંધીદાર ડૂસકાંઓ રડે

મોગરાનું ફૂલ અત્તર થઈ ગયું તે આ મુજબ

.

સૂર્ય વેચી મેં ખરીદી રાત પૂનમની અને

કોઈ મારો ચાંદ લઈ ગયું તે આ મુજબ

.

( મુકેશ જોષી )

રોજ સૂરજ આથમે છે – નીતિન વડગામા

આભનો દરિયો તરીને રોજ સૂરજ આથમે છે,

પાંદડાં માફક ખરીને રોજ સૂરજ આથમે છે.

.

રોજ ઊગીને સજા એ ડૂબવાની ભોગવે છે,

તોય પણ હાથે કરીને રોજ સૂરજ આથમે છે.

.

આગ વરસાવે બપોરે, એ જ પાછો સાંજ વેળા,

સાવ ઝીણું ઝરમરીને રોજ સૂરજ આથમે છે.

.

ગાઢ સગપણ તોડવું પણ એમ તો સહેલું નથી કૈં,

વાદળોને કરગરીને રોજ સૂરજ આથમે છે.

.

તારવે છે એક મોટું તથ્ય એ હળવે રહીને,

પાંગરીને-ઊછરીને રોજ સૂરજ આથમે છે.

.

( નીતિન વડગામા )

આયનો – તુરાબ હમદમ

જેટલું કોઈ ગરજતું હોય છે,

એટલું ક્યાં એ વરસતું હોય છે.

.

કો’ક દિ આવી ચડે કોઈ સ્મરણ,

કેટલી પીડા સરજતું હોય છે.

.

એક પરપોટો હતો ફૂટી ગયો,

કોઈનું ક્યાં કંઈ ઉપજતું હોય છે.

.

જીવ નાદાની કરી લે છે કદી,

મન બધી વાતે સમજતું હોય છે.

.

આયનો એકીટશે જોયા કરે,

જો કોઈ શણગાર સજતું હોય છે.

.

આમ ઊગી નીકળી ‘હમદમ’ ગઝલ

શબ્દનું કેવું ઉપજતું હોય છે.

.

( તુરાબ હમદમ )

કાશ ! – ગુણવંત શાહ

[ડો. કૈલાસ સંઘવી વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત આજે સવારે ૧૦.૦૦ વાગ્યે ડો. મોંઘાભાઈ મેમોરિયલ હોલ, વલસાડ ખાતે ડો. ગુણવંત શાહનું વ્યાખ્યાન છે. આ નિમિત્તે ડો. ગુણવંત શાહની એક કવિતા આજે ખાસ પોસ્ટ કરું છું.]

.

અંધારી રાતે ચાલતી વેળા પગમાં કાંટો ભોંકાય ત્યારે

એક પગે ઊભા રહીને

બીજા પગમાંથી કાંતો કાઢતી વખતે

આકાશના તારા પર નજર ઠેરવવી

એને હું વિષાદયોગ કહું છું.

*   *

આંખમાં આંસુ ખૂટે નહીં ત્યારે

માણસ એક એવો ખભો ઝંખે

જેના પર માથું ટેકવીને નિરાંતે રડી શકાય.

આવો ખભો ન મળે ત્યારે

પોતાના ઘૂંટણ પર આંસુ સારવાં સારાં

પરંતુ

ગમે તે ખભો તો ન જ ચાલે.

Don’t waste your tears please !

*   *

રક્તદાન આપનાર અને લેનાર બે જણ

એકબીજાને ન મળે તો ય મળેલા ગણાય.

ખૂન કરનારો જેને ખતમ કરે તેને મળે છે

અને છતાંય

મળવાનું ચૂકી જાય છે.

સામી વ્યક્તિને મળવાનું માનીએ તેટલું સહેલું નથી.

કાશ ! આપણે મળી શક્યાં હોત !

.

( ગુણવંત શાહ )