ફૂલ લઈને આવે-પન્ના નાયક

ફૂલ લઈને આવે
સાજન ફૂલ લઈને આવે
અપરાધીનો ભાવ લઈને ભૂલ થઈને આવે.

ફૂલની પાછળ કાંટાઓ પણ હોય
છતાંય છુપાય નહીં.
એવું શાને હોય કે ફરફરતી ફોરમની વચ્ચે
ભમરાઓ પણ ગાય નહીં ?
ચાર બાજુનો ચોરસ થઈને વર્તુળ લઈને આવે.
સાજન ફૂલ લઈને આવે.

ફૂલના મૂલને ચૂકવે છે
પણ ફ્લાવરવાઝનું શું ?
કાચની ઝીણી દીવાલ વચ્ચે
ડૂબતી સાંજનું શું ?
ગોકુળ ગોકુળ કરતો કરતો ધૂળ લઈને આવે.
સાજન ફૂલ લઈને આવે.

( પન્ના નાયક )

પંખીઓનાં અભયારણ્યોમાં વિહરું-મનોજ્ઞા દેસાઈ

પંખીઓનાં અભયારણ્યોમાં વિહરું છું
ત્યારે તેં કુરુક્ષેત્રમાં પેલી ટિટોડીને
દીધેલું ઘંટનું એક વિરાટ રક્ષાકવચ
અદ્રશ્ય રૂપે
મને દેખાય છે
આખાય અભયારણ્યને આવરી લેતું…

જ્યારે જ્યારે
ખગ્રાસ સૂર્યગ્રહણની તેજ-છાયા
એની ઓછાયા-પડછાયા
મારી આ ધરતીને વીંટળાઈ વળ્યા
ત્યારે મને
કોઈક વાર સૂર્યમાં તારું મુખ દેખાયું
એ જ શ્યામલતા
ને તેની ફરતાં એ જ તેજોવલય…

તો કોઈ વાર થયું
કે તારું સુદર્શનચક્ર તો નહીં હોય
યુદ્ધ વખતે અર્જુનના જીવનાર્થે
સૂર્ય સામે ધરી દીધેલું
અસ્તનો આભાસ ઊભો કરતું.

( મનોજ્ઞા દેસાઈ )

તમારો ચહેરો-નીતા રામૈયા

આસમાની તારલીએ ઝગમગે તમારો ચહેરો
ને તારલી જાય છુપાઈ તો કેવું લાગે

આરતીની દીવડીએ ઝગમગે તમારો ચહેરો
ને દીવડી જાય બુઝાઈ તો કેવું લાગે

વનરાજિની વેલડીએ ઝગમગે તમારો ચહેરો
ને વેલડી જાય સુકાઈ તો કેવું લાગે

મોગરાની પાંદડીએ ઝગમગે તમારો ચહેરો
ને પાંદડી જાય મૂરઝાઈ તો કેવું લાગે

આરતીની દીવડીએ ઝગમગે તમારો ચહેરો
ને દીવડી જાય બુઝાઈ તો કેવું લાગે

( નીતા રામૈયા )

મારા આંસુનું કારણ-પન્ના નાયક

મને ખબર ન પડે એમ
એક બાઈ
મારામાં ઘર કરી ગઈ છે.
એ એમ માને છે
કે
હું અને એ બન્ને એક જ છીએ
પણ હરગિજ
અમે એક નથી જ નથી
હું તો આનંદી, સંતોષી, ને સ્વચ્છંદી
ને
એ તો સદાયની અસંતોષી ને કકળાટિયણ
એને વારે વારે આવે છે રડવું
એટલે
બેગ ભરીને લાવેલા રૂમાલથી
લૂછ્યા કરે છે પોતાની આંખો,
નીચોવ્યા કરે છે આંસુભીના રૂમાલ એ કૂવામાં,
ને માપ્યા કરે છે એની સપાટી.
માલિક થઈ મને કબજામાં રાખવાના
એના અવિરત પ્રયત્નોમાં
હું એને ઝાઝી સફળ થવા દેતી નથી
એટલે એ બળ્યા કરતી હોય છે
ધુંધવાતા કોલસાની જેમ.
ક્યારેક મારા આંસુ
એને કારણે હોય છે.

( પન્ના નાયક )

ખારવાની વહુ-મનીષા જોષી

એ ખારવાના ગયા પછી
શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ.
એક વાર મેં એને જોઈ,
દરિયાની સાવ નજીક ઊભેલી.
ધારીને જોયું તો
એના મોંમાંથી કરચલા ખરી રહ્યા હતા.
એ કરચલા જમીન પર પડતાવેંત
દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ.
એ ખારવાની વહુ પણ
ધીમેથી આગળ વધી રહી હતી
દરિયા ભણી.
પણ એ તો કરચલા જેમ
દરિયામાં ભળી ન શકી.
પાછી વળી ગઈ એ પોતાની વસાહત તરફ.
હવે હું ક્યારેક જોઉં છું એને.
એ પોતાના ઘર આગળ
સતત પથ્થરોની પાળ બાંધવામાં વ્યસ્ત હોય છે.
એને ભય છે કે દરિયો
ભાળી ગયો છે એનું ઘર
અને આગળ વધી રહ્યો છે એના તરફ.
એને ભય છે કે એની કૂખમાં છે હવે
નર્યું ખારું પાણી.
એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ
ફેલાઈ ગઈ છે આસપાસની વસાહતોમાં.
દરિયાના નામનો
વાસો લઈને ધૂણતી એ સ્ત્રી
જ્યારે દરિયો એના ઘટમાં આવે ત્યારે
કોઈ જબરી તાકાતથી ધૂણવા માંડે છે.
નવી ખેપ પણ જઈ રહેલા ખારવાઓ
આવે રહ્યા છે એના દર્શને.
એ આપી રહી છે જાતજાતના આશીર્વાદ
અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ.

( મનીષા જોષી )

દરેક પ્રેમ-ગગન ગિલ, અનુ. નલિની માડગાંવકર

દરેક પ્રેમ તમારે ઘરને ઉંબરે આવીને
સહુ પ્રથમ પૂછે છે કે
તું મારે ખાતર બારીમાંથી નીચે કૂદી શકીશ ?
પોતાની છાતી ચીરી શકીશ ?

દરેક પ્રેમ આમ જ પૂછે છે કે
તું તારા નાજુક બાહુથી
મારી જોડે ઊડી શકીશ ?
પ્રેમ તમારા ઘરને ઉંબરે આવતો હોય છે
ઉતાવળે પાછો ન ફરવા માટે
એને જવું હોય છે
એકાદ પર્વત કે ખીણની દિશામાં
સાગર કે નદીની દિશામાં
એ પૂર્વયોજના વગર
તમારા ઘરની દિશામાં આગળ વધે છે.
અને જાણવા ઈચ્છે છે કે
તમે એની સાથે ડૂબવા તૈયાર છો કે નહીં ?
પ્રેમ તમને સ્વેચ્છાએ મરવાની
પૂરેપૂરી સંમતિ આપે છે.

( ગગન ગિલ, અનુ. નલિની માડગાંવકર )

તેઓ ક્યાંય જતા નથી…………

(23/08/1938 – 25/12/2012)

(23/08/1938 – 25/12/2012)

જેઓ પંચતત્વમાં લીન થયાં છે તે ક્યાંય ગયાં નથી,
તેઓ તો પડછાયાની જેમ અડીખમ તમારી સાથે જ છે.
તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી,
તેઓ તો માટીની મહેક લઈ વનાંચલમાં વિસ્તરી ગયાં છે.
ને દુ:ખ-દર્દ સમેટી લઈ પ્રગાઢ તરુવરમાં વેરાઈ ગયાં છે.
તો તો કલકલતા ઝરણાંમાં ને ખળખળતી સરીતાઓમાં વહી ગયાં છે,
ને પ્રશાંત મહાસાગરમાં નિદ્રાધીન થઈ ગયાં છે.
જેને તમે મૃતાત્મા કહો છો તે ક્યાંય જતાં નથી,
ઘરમાં, ખેતરમાં કે અડાબીડ ભીડમાં તેઓ અત્ર, તત્ર, સર્વત્ર છે.
તેઓ તો આવનારી પેઢીઓમાં ને માતાના ધાવણમાં છે.
તેઓ તો મંદ સમીર રૂપે હળુહળુ થતા તરુવરમાં ઝૂમી રહ્યાં છે.
ને લીલાંછમ પર્ણોના મર્મર નાદમાં ગુંજી રહ્યાં છે.
તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી,
તેઓ તો અગ્નિકુંડમાંથી દિવ્યજ્યોત સ્વરૂપે અવતરીને,
આપણે આંગણે તુલસીક્યારે ઝળહળે છે
જેને તમે મૃતાત્મા કહો છો તે ક્યાંય જતાં નથી,
તેઓ તો પંચતત્વ રૂપે આપણી આસપાસ જ રહે છે.
એમની સ્મૃતિગાથા સદા આપણી મનોભૂમિમાં જીવંત જ રહે છે.
એટલે જ તો તેઓ ક્યાંય જતાં નથી,
તેઓ તો પડછાયાની જેમ અડીખમ આપણી સાથે જ રહે છે.

( અજ્ઞાત કવિ, મૂળ અંગ્રેજી, મુક્તાનુવાદ : બકુલા ઘાસવાલા )

પછી ત્યાં સહી કરી દેજે-પ્રજ્ઞા વશી

સમી જાયે બધી અટકળ, પછી ત્યાં સહી કરી દેજે
જીવે નિરાંતની બે પળ, પછી ત્યાં સહી કરી દેજે

ઉધામા શ્વાસનાં ફોગટ લઈ દોડે જીવનભર પણ
રહે છે કેમ તું પાછળ, પછી ત્યાં સહી કરી દેજે

નથી સમજી શકાતું મૌન, એનો આ મૂંઝારો છે
અરે ! મન વાંચ પળ બે પળ, પછી ત્યાં સહી કરી દેજે

અલગ છે પ્રેમની ભાષા ચતુરાઈ ન ચાલે ત્યાં
ઠગે તારું જ તુજને છળ, પછી ત્યાં સહી કરી દેજે

સદીની ઊપજે અહીંયા મળ્યાં છે શ્વાસ થીજેલાં
મળે સંવેદનાની કળ, પછી ત્યાં સહી કરી દેજે

અગર છે ડૂબવાની વાત તો કિનાર શા માટે
મળે મઝધારનું જો તળ, પછી ત્યાં સહી કરી દેજે

( પ્રજ્ઞા વશી )

જીવને કાંઠે-એસ. એસ. રાહી

જીવને કાંઠે મને લાવી દીધો,
સાવ છેલ્લા શ્વાસે તડપાવી દીધો

આંસુઓને ઠામ-ઠેકાણું મળ્યું
રિક્ત કૂવો તુર્ત છલકાવી દીધો

તે પછી તો શાંત થઈ ગઈ એ નદી
જ્યાં કળશ મૃગજળનો પધરાવી દીધો

સાંભળી જો મેં કથા એકલવ્યની
ધૂળમાં મેં અંગૂઠો વાવી દીધો

રાતભર પીવડાવી હેતલ ચાંદની
એક માણસને મેં બહેકાવી દીધો.

ભર અષાઢે રાખતી’તી દૂર તું
આ ઉનાળે પ્રેમ વરસાવી દીધો ?

હું નિવાસી કોલસાની ખાણનો
કેમ ‘રાહી’ને તેં ચમકાવી દીધો ?

( એસ. એસ. રાહી )

નથી પૂરા થતા-મનીષ પરમાર

રાતના પાના નથી પૂરા થતા,
આંસુઓ છાના નથી પૂરા થતા.

એ શમા બળતી રહી છે રાતભર,
તોય પરવાના નથી પૂરા થતા.

કેટલા જન્મોથી ચાલ્યા આવતા,
દર્દ એ ઘાના નથી પૂરા થતા.

છેક છેલ્લા શ્વાસ લગ છોડે નહીં,
પ્રેમ દીવાના નથી પૂરા થતા.

વારતા ચાલ્યો અધૂરી મૂકીને,
મર્મ હોવાના નથી પૂરા થતા.

( મનીષ પરમાર )