
.
મને ગમે છે
મારું એકાંત.
.
ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારે માટેની શોધ
આરંભાતી હોય છે,
.
અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,
.
અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…
.
( પન્ના નાયક )

.
મને ગમે છે
મારું એકાંત.
.
ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારે માટેની શોધ
આરંભાતી હોય છે,
.
અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,
.
અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…
.
( પન્ના નાયક )
એની કવિતાએ
સ્ત્રીઓને બહેકાવી છે.
.
એની કવિતાએ
સ્ત્રીઓને
પોતાની સુષુપ્ત સંવેદનાને
ઢંઢોળવાનું કહ્યું છે
.
એની કવિતાએ
સ્ત્રીઓને
પગમાં પહેર્યાં છે એ ઝાંઝર નહીં
પણ સદીઓથી પહેરાવેલી બેડીઓ છે એમ મનાવી
એ બેડીઓને
ફગાવી દેવા કહ્યું છે
.
એની કવિતાએ
સ્ત્રીઓને
પતિના અવસાન પછી
મુરઝાયેલા ફૂલ જેમ
બાકીની જિંદગી જીવવાના આપણા રિવાજને
તિરસ્કૃત કરવા કહ્યું છે
.
એની કવિતાએ
સ્ત્રીઓને
છોકરીઓની સદાયે અવગણના કરતા
આપણા દંભી હિંદુ સમાજને
વખોડવા કહ્યું છે
.
એની કવિતાએ
સ્ત્રીઓને
“પુરુષની બુદ્ધિના પાંજરામાં
લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું
મંજૂર નથી”
એવો છડેચોક
પડકાર કરવાનું કહ્યું છે
.
એની કવિતાએ
હિંદુ લગ્નજીવનની કઠોરતા અને વિષમતાને
કોઈ છોછ વિના
નિર્ભિક રીતે રજૂ કરી
બીજી સ્ત્રીઓને
બોલવાનું કહ્યું છે
.
આવો,
આપણે બધા ભેગા થઈ
એની કવિતાનો બહિષ્કાર કરીએ !
.
( પન્ના નાયક )
રોજ રાતે
ભૂલું પડેલું
ચામાચીડિયું
મારા ઘરમાં પેસે;
ઊંધે માથે લટકવા
ગોતે જગા
ને
આમતેમ ભટકે
અહીંતહીં ભટકાય…
ઊંધમૂંધ પડ્યો હું
જોયા કરું,
ઊંધે માથે લટકવા
કેટલો પુરુષાર્થ !
.
( ધીરેન્દ્ર મહેતા )

.
બાળપણની બે સખીઓ ૨૦૦૯માં મળી ફરી. અરુણા પારેખ આવ્યા મુંબઈથી. અરુણા જાડેજા તો હતાં જ નવસારી. શા માટે મળ્યાં, ખબર છે ? પોતાનાં બહેનપણાંનાં પચાસ વર્ષ પૂરાં થયાં તે ઉજવવા ! રિક્ષા કરીને સવારથી સાંજ સુધી નાનપણની ખાસ ખાસ જગ્યાએ ગયાં. આખા નવસારીની પ્રદક્ષિણા કરી. બાળપણનું ગોઠિયાપણું મનભરીને વાગોળ્યું અને જીવનનો પરમ સંતોષ ગાંઠે બાંધ્યો. સુરેશ દલાલે કરેલા સંપાદન ‘મૈત્રી’માં અરુણા જાડેજાએ લેખ લખ્યો, શીર્ષક આપ્યું : ‘અરુણાથી અરુણા’ !
.
૧૯૫૦માં દિવાળીની તિથિએ મોસાળ સુરતમાં જન્મ. સમય હતો પરોઢનો, તેથી ભાઉએ નક્કી કરેલું કે દીકરો આવશે તો અરુણ અને દીકરી આવશે તો અરુણા નામ રાખીશું. પરિવાર મરાઠી, પણ આજે જીવનના સાતમા દસકમાં પહોંચેલાં અરુણા જીવનસિંહ જાડેજા સવાયાં ગુજરાતી છે ! નાનાજી સુરતમાં સંસ્કૃતનાં શિક્ષક, દાદાજી ગાયકવાડ સરકારની નોકરીમાં, પિતાજી ભીમરાવ શ્રીનિવાસ બિલગી સેન્ટ્રલ એક્સાઈઝમાં, પણ એમ. એ. થયેલા એટલે પૂરા સાહિત્યપ્રેમી, સરકારી નોકરીને લઈને બદલીઓ બહુ થાય, તેથી ઘણાં ગામનાં પાણી પીવા મળ્યાં. ઘરમાં શુદ્ધ મરાઠી સંસ્કારો, પિતાજીને ભાઉ અને માતાજીને આઈ કહેવાનું. ઘરમાં મધ્યમવર્ગીય મરાઠી વાતાવરણ. આઈ પણ શાળામાં શિક્ષિકા, સંગીતની બધી પરીક્ષા આપેલી, દિલરુબા સરસ વગાડે. આઈ-ભાઉ બન્ને પુસ્તકપ્રેમી, ઘરમાં મરાઠી સામયિકોની સાથોસાથ ગુજરાતી સામયિકો પણ આવે. લાઈબ્રેરીમાંથી પણ પુસ્તકો લઈ આવે. પુસ્તકો વાંચવા માટે ઘરમાં આઈ, ભાઉ અને અરુણા વચ્ચે પડાપડી થાય. અરુણા સૂઈ જાય પછી રસોડાનું બારણું બંધ કરીને આઈ, ભાઉ અંદર પુસ્તકો વાંચતાં હોય ! દરેક મરાઠી કુટુંબની જેમ સાંજે દીવાબત્તી ટાણે ‘શુભમ કરોતુ કલ્યાણમ’થી લઈને સાંધ્ય શ્લોકોનું પઠન થાય, પછી જ જમવાનું. રવિવારે બપોરે જમવા ટાણે ગીતાજીના કેટલા શ્લોક મોઢે થયા એની પૃચ્છા થાય પછી જ જમવાનું મળે. એવું જ સમર્થ રામદાસ સ્વામીના ‘મનાચે શ્લોક’નું ! પાછલી ઉંમરે પણ આઈ-ભાઉ ખૂબ વાંચતા રહ્યાં. અરુણાના જન્મ વખતે આઈ બહુ એનેમિક તો ભાઉ આઈને કહે કે ‘મીઠું ભલે ઓછું ખા, પણ વાંચજે ખૂબ !’ આઈ ઉત્સવપ્રિય, બધી વાતની એને ખૂબ હોંશ. રોજનું છાંટેલું આંગણું, રંગોળી ને પૂજેલો ઉંબરો. વારેતહેવારે સજાવટ, પાંચ પકવાન, પોસાય તેવાં નવા કપડાં, બધું અરુણાએ જોયું, માણ્યું, આત્મસાત કર્યું, આજ સુધી આચરણ કર્યું.
.
અરુણાબેન બીલીમોરામાં પહેલાં બે ધોરણ ભણ્યાં…પણ પછી દક્ષિણ ગુજરાતના ખરોલી, ચીખલી ગામની બુનિયાદી શાળામાં ભણવા મળ્યું. ત્યાં છાણ ગાર માટીથી લીંપણ કરવાની બહુ મજા આવે પણ જરાયે ફાવે નહીં. તકલી-રેંટિયો કાંતવાનું જરાય ના ગમે. માધ્યમિક સળંગ નવસારીની ડી. ડી. ગર્લ્સ હાઈસ્કુલમાં. અંગ્રેજી પાક્કું કરાવ્યું નવસારીમાં જ પારેખ ક્લાસીસ ચલાવતાં રતિલાલ પારેખે. રેન એન્ડ માર્ટિનનું ગ્રામર આજે પણ તેવું જ ચુસ્ત…ભાઉને થવું હતું પત્રકાર કે સાહિત્યકાર. વડીલોના આગ્રહ અને જમાનાની માંગ એટલે સરકારી નોકરીમાં જોડાઈ ગયેલા. પોતાનું અધુરું સ્વપ્ન અરુણા પૂરું કરે તેવી દિલની ઈચ્છા એટલે અરુણાને જે વિષય લઈ ભણવું હોય તેની છૂટ મળી, નસીબવશ અરુણા પણ સાહિત્યઘેલી, અમદાવાદની આર્ટસ કોલેજમાં ગુજરાતી સાથે બી. એ. કર્યું. રોહિત પંડ્યા, ચીનુ મોદી, ઈલા નાયક જેવા ઉમંગભર્યા પ્રાધ્યાપકો મળ્યા. વકતૃત્વ, પાદપૂર્તિ સ્પર્ધાઓમાં વિજેતા બનવાની તક મળી. બોરસદ આર્ટસ કોલેજમાં એમ. એ. તો ડભોઈની કોલેજમાંથી બી. એડ કર્યું. સુરતની વાડિયા વિમેન્સ કોલેજમાં અધ્યાપકની નોકરી તો મળી પણ છાત્રાલયના ગૃહમાતા થવાની શરતે ! અરુણા હવે થયાં રેક્ટર કમ લેકચરર. હોસ્ટેલની બહેનો અરુણાથી માંડ બે-ચાર વરસ નાની. ઘર યાદ આવે તો છોકરીઓની સાથે અરુણા પણ પોતાના રૂમમાં જઈ રડવા બેસે. ભણાવવું બહુ ગમે, પ્રેમાનંદ, નરસિંહ ભણાવતાં અરુણા મેડમના સિક્કે આખો વર્ગ રડે ! છાપાંની પૂર્તિઓ, અખંડ આનંદ, જનકલ્યાણ વગેરે લીટી લીટી વાંચવાનાં. પણ પેલું રેક્ટરવાળું અરુણાને ન ફાવે, ભારે અઘરું લાગે ! સ્વભાવ નરમ તે છોકરીઓ ઉપર ધાક એવી ઊપજે નહીં. હા, છોકરીઓ અરુણાને ખૂબ માને, પણ અરુણાનું ના માને !…લગ્નની ઉંમર, રૂપે કરુપા તો નહીં જ પણ અરુણા પોતાને અરુપા માને. અઠ્ઠાવીશ વર્ષ થયાં છતાં મેળ ખાતો નહોતો…ત્યાં જીવને વળાંક લીધો….અરુણાએ ડભોઈમાં બી. એડ. કર્યું ત્યારે એની નાની બહેન મંગલની એક બહેનપણી હતી મંજુ જાડેજા. તેના પિતા ત્યારે ડભોઈના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર….એમની પછી તો સુરત બદલી થઈ. મંજુ અને મંગલનો નાતો અહીં પણ ચાલુ. મંજુ અરુણાને મળે, તેનો નાનો ભાઈ સુરેન અરુણા પાસે નિબંધ વગેરે લખાવવા આવે. અરુણા પણ એકલી એટલે મંજુના ઘરે જાય. મંજુના બાપુજી જુવાનસિંહ જાડેજા કદી ઘરે જ ના હોય. એ રાંદેર પોલીસ ઈન્સપેક્ટર. મંજુના બા અરુણાનું બહુ રાખે, પણ મંજુના બાપુજી સાથે કંઈ લેવાદેવા નહીં. અચાનક મંજુના બા કારમી બીમારીમાં સ્વર્ગે સિધાવ્યાં. બીજે વર્ષે મંજુનાં લગ્ન થઈ ગયાં. એના બાપુજી જાડેજા સાહેબની પાલનપુર બદલી થઈ ગઈ. સુરતમાં અરુણા માટે એક ઘર ઓછું થયું….લેક્ચરર તરીકે આઠ વર્ષ થયાં હતાં. ત્યાં એક દિવસ અચાનક ફરી જાડેજા સાહેબને મળવાનું થયું. ઓગણત્રીસ વર્ષ : લગ્નની ઉંમર વટાવી ગયેલી એક કન્યા અને પચાસ વર્ષનાં ચાર સંતાનોના વિધુર સદગૃહસ્થ મળ્યાં ! જાણે એકબીજાની રાહ જોતાં હોય તેવાં અધૂરા-અધૂરા બન્ને ! દોઢ વર્ષ વીતવા દીધું એ પ્રથમ આત્મીય મિલન પછી..! ચારેય સંતાનોની મરજી જાણી. તેઓ તો ઈચ્છતાં જ હતાં કે પિતાશ્રી ફરી ઠરીઠામ થાય. અરુણાના કુટુંબ દ્વારા સ્વાભાવિક વિરોધ થયો. અરુણા આગોતરું સજ્જ રહેવા ટેવાયેલાં. દોઢ વર્ષનું હોમવર્ક કરીને ત્રીસ વર્ષની ઉંમરે અરુણા હવે શ્રીમતી અરુણા જુવાનસિંહ જાડેજા બની…!

વડોદરાના ડી.વાય.એસ.પી. જુવાનસિંહ જાડેજાની દીકરીઓ જ પોતાની નવી મા માટે પાનેતર, ઘરચોળું અને હાથીદાંતનો શુકનનો ચૂડલો લઈ આવી. ચારેય સંતાનોનાં લગ્ન તો થઈ ગયેલાં. સંતાનોને અરુણાએ કહેલું : ‘તમારા માટે તો હું આજે પણ તાઈ છું, તમારા બાપુજી સાથેનો મારો સંબંધ બદલાયો છે.’ મોટી દીકરી નિર્મળા અને જમાઈરાજ ધર્મેન્દ્રસિંહે મન મોટું કરી પોતાની ત્રીજી અને સૌથી નાની દીકરી મીકુ અરુણાતાઈના ખોળામાં મૂકીને એમને માતૃત્વ અર્પ્યું. અરુણાતાઈ તો ન્યાલ થઈ ગયાં !…આમ છતાં, અરુણાને અઘરું તો પડ્યું. અ-સાધારણ સંજોગોમાં, માથે તો ઓઢવાનું પણ ગામડે લાજ પણ કાઢવાની. બહુ વખણાયેલી પેલી નિખાલસતા ગામડામાં જોવા ન મળી. અરુણાબહેનના જ શબ્દોમાં કહું તો : ઉંમર સિવાય પણ ઘણો તફાવત. એ ઊંચા, હું નીચી. એ ગુજરાતી, હું મરાઠી. એ ક્ષત્રિય, હું બ્રાહ્મણ. એમનો સમાજ પ્રમાણમાં બંધિયાર, હું ખુલ્લા વાતાવરણમાંથી આવેલી. એ ગુસ્સાવાળા, હું પ્રમાણમાં શાંત. પૂરાં ૨૧ વર્ષનો તફાવત, પણ એમણે ક્યારેય કપલ લગાડ્યો નહીં. સધિયારામાં ઉંમરનો બાધ ક્યાં નડે ? હા, મીકુની નાનકડી બહેનપણીઓ કહે કે તારા નાના બાપુના વાળ તો ધોળા છે પણ તારા નાનીમા ડાઈ કરે છે. મીકુ મને પૂછે કે હેં, તાઈ ડાઈ એટલે શું ? મીકુને હું કેમ સમજાવું કે બેટા હું ય ડાઈ નથી કરતી પણ… લગ્નનાં ત્રીજે વર્ષે વડોદરાથી અમદાવાદ બદલી અને ત્યાં જ ૧૯૮૮માં જુવાનસિંહ જાડેજા નિવૃત થયા. ૧૯૮૩ થી ૨૦૧૩, પૂરાં ત્રીસ વર્ષથી અમદાવાદ. ‘લગ્નને ૩૨ વર્ષ પૂરાં થયાં. બન્નેનો એક સરખો શોખ, સંગીત, મોટેભાગે શાસ્ત્રીય ! વર્ષમાં બે વાર તો કચ્છમાં જવાનું જ. કારણ કચ્છમાં અમારા ભાઈઓનો લગભગ ૮૫ જણનો પરિવાર. સાસુ-સસરા સ્વર્ગે સિધાવ્યાં અને મીકુ (સીઈપીટી) સેપ્ટમાંથી પદવીધર બની અમેરિકા ગઈ. થયું કોઈ સારું કામ કરીએ. ઘરેથી, માનદ, કોઈ પગાર નહીં, અંધશાળામાં રીડર બની. દસ-બાર ધોરણના સવાર ને કોલેજના બપોરે, એમ અંધ વિદ્યાર્થીઓ ઘર આવે. ઘરની જેમ જ આ બાળકો માટે પણ હું તાઈ. ભણતર સાથે સંસ્કાર સિંચન પણ કરું જ.’
.
જુવાનસિંહની નોકરી આકરી હતી, વળી બન્ને મળ્યાં હતાં મોડાં, એટલે સાથે તો નિરાંતે રહ્યાં જ ન હતાં. તેથી ૨૦૦૦ની સાલમાં નિર્ણય કર્યો કે : બચેલો સમય સહજીવનની સુગંધ માણવામાં જ ગાળવો છે માટે સમાજના કે સાહિત્યના કોઈપણ કાર્યક્રમમાં ન જવું. અરુણાબેન આજ સુધી સાહિત્યના એક પણ કાર્યક્રમમાં ગયાં નથી, તેથી તેમને કોઈએ જોયાં નથી. હા, ઘરે બેસીને સાહિત્ય જગત સાથે તેમનો સંબંધ પ્રગાઢ છે. વચ્ચે એક વાચકે તેમને કહેલું : આ તો સારું છે કે જનકલ્યાણમાં તમારો ફોટો આવે છે નહીં તો અમને એમ કે સાચે જ કોઈ અરુણા જાડેજા છે ખરાં કે નહીં ? દિલાવરસિંહ જાડેજાએ અખંડ આનંદથી અરુણાબેનને લખતાં કર્યાં. કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ સામે ચાલીને પુ. લ. દેશપાંડેના અનુવાદનું કામ સોંપ્યું. વિનોદ ભટ્ટ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલની પ્રેરણા અને રતિલાલ બોરીસાગર તો ‘ફાધર, ફિલોસોફર એન્ડ ગાઈડ.’ અરુણાબહેન આદરથી કહે છે : લોકો સાત ગરણે ગાળીને પાણી પીવે. સાહિત્યની બાબતે હું ‘સાગરે’ ગાળીને પાણી પીવું છું, બધું બોરીસાગર સાહેબને પૂછી પૂછીને જ કરવાનું. ૨૦૦૫માં પહેલો અનુવાદ બહાર પડ્યો ને આજ સુધીમાં બારેક અનુવાદો આવ્યા, વખણાયાને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પણ પામ્યા ! મૌલિક લેખો અનેક લખાયા. પોતાનાં મૌલિક બે પુસ્તકો ‘લ-ખવૈયાગીરી’ અને ‘સંસારીનું સાચું સુખ.’
.
પતિ મહોદયની પોલીસ કારકિર્દી-ગાથા પતિ પાસે લખાવી, સંકલન કરી ‘હૈયું, કટારી ને હાથ’ પુસ્તક છપાયું અને પોંખાયું પણ ! રસોઈ એમનો સ્વભાવ છે. રસવતી અને સરસ્વતી બેઉની કૃપા છે. એમના ૪૮મા વર્ષે ગાડી અને પચાસમા વર્ષે કોમ્પ્યુટર ચલાવતાં શીખ્યાં છે. મંજુએ બાવનમાં વર્ષે પ્રવેશેલી અરુણાતાઈને પેજ મેકરમાં ગુજરાતી ટાઈપ શીખવ્યું. આજે અરુણાબહેન ફોન પર વાતો કરવા કરતાં શુદ્ધ ગુજરાતીમાં કોમ્પ્યુટર પર પત્રવ્યવહાર વધુ પસંદ કરે છે. સાલસ, સહજ અને સ્વીટ એવાં અરુણા જાડેજા વાત પૂરી કરતાં કહે :’દર દશેરાએ ક્ષત્રિય રિવાજ પ્રમાણે શસ્ત્રની અને મરાઠી રિવાજ પ્રમાણે સરસ્વતીની પૂજા સાથે જ થાય. આમ શસ્ત્ર-સાહિત્ય પૂજા એ અમારા સહિયારાપણાનું પ્રતીક.’
.
( ભદ્રાયુ વચ્છરાજાની )
.
“વિશ્વ સાહિત્ય સંગમ” બ્લોગ પર અરુણાબેન જાડેજાનો પરિચય :
.
http://gujaratisahityasangam.wordpress.com/2012/06/03/arunaben-jadejaa/
.
આ સાઈટ પર અરુણાબેન જાડેજા દ્વારા અનુવાદિત, સંપાદિત પુસ્તકોની માહિતી :
.
હૈયું, કટારી અને હાથ – જુવાનસિંહ જાડેજા, સંકલન : અરુણા જાડેજા
.
શ્યામની બા – સાને ગુરુજી, અનુવાદ : અરુણા જાડેજા
.
ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત, અનુવાદ : અરુણા જાડેજા
તપસ્વી તૃણ ઉપર બેઠા હો એમ હું ને કલમ બેઠા
સરસતી ! એક પગલું પાડવા હું ને જનમ બેઠા ?
.
રૂઝવવા’તા અમુક આઘાત ઉજવવા’તા અમુક જજબાત
રૂડા બે-ત્રણ સ્મરણની જુઈમાં હું ને જખમ બેઠા ?
.
કમળની પાંદડી છે કે તિલસ્માતી કોઈ સંધ્યા ?
સરોવર-શા મૃદુલ એકાંતમાં હું ને સ્વયમ બેઠા !
.
ન ઘંટારવ હતા કોઈ કે ના તો ગુંજ અજાનોની
સબદના તારના અજવાસમાં હું ને સનમ બેઠા !
.
ખુદા બેઠા’તા…હું બેઠો’તો ને લોબાન વ્હેતા’તા…
ખુદા ! આ કૈ ઈબાદતગાહમાં હું ને ભરમ બેઠા !
.
( લલિત ત્રિવેદી )
કદી કદી હું સ્વગત અચિંતા મને પૂછી બેસું છું;
રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!
.
ઘેલા કેવા હતા ? વિચારી, આજે આવે હસવું;
ધૂન હતી, જ્યાં હાથ પહોંચે, શ્યામ નામ બસ લખવું !
મોરપિચ્છનાં વસન વીંટાળી, જઈ મધુવનમાં ઝૂમ્યાં;
ચંદ્રપ્રકાશે ભાળી, કહાનાનાં પદચિહ્નો ચૂમ્યાં !
થતું હતું ત્યારે, ઉદ્ધવજી ! હું તે શું નું શું છું !
રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!
.
એક દિવસ પણ વીતે નહીં, માધવનાં મિલન વિનાનો;
અષ્ટગંધ મહેકે અંગે, જ્યાં સંગ કરું કહાનાનો !
વૈભવ સઘળો અસ્ત થયો, માધવ મથુરાએ જતાં;
નિશ્વાસી ઉચરું કેવળ : तेहिना दिवसा हता I
.
દર્પણ સઘળાં ફોડ્યાં, ઉદ્ધવ ! જોતાં વદન ડરું છું !
કદી કદી હું સ્વગત અચિંતા મને પૂછી બેસું છું;
રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!
.
( વીરુ પુરોહિત )
તું જ કહે કે તારા વિના બીજું અમને કોણ કહી સમજાવે કે આ વાદળ વાદળ વરસે તો
વાટ વાતમાં ભીંજવતી આ ફરફર પાછી સાતે યુગમાં યાદ કરીને પાછળ પાછળ ફરશે તો
.
નાનકડી આ વાત અવરને માનો કે સૂઝી ગઈ તોયે અંદર પેસી સમજે એને કેમ કરીને
સમજે તો પણ એ લોકો તો ભરી સભામાં અઘરું અઘરું કહેશે નહીં કે પ્રેમ કરીને
કહી દે નહીં તો વાદળથી વાસેલા ઘરમાં ક્યાંક આપણી ઝીણી ઝીણી જાત રણકશે તો
વાટ વાતમાં ભીંજવતી આ ફરફર પાછી સાતે યુગમાં યાદ કરીને પાછળ પાછળ ફરશે તો
.
એ લોકોનું કહેવાનું તો એમ થાય કે વાદળ છે તે વરસે એમાં જરા જેટલું નવતર ક્યાં છે
અહીં કોઈને જાણ નથી કે રેશમ દોરે કૂવો સિંચતા ગાગર છટકી જાય તો એમાં અવસર ક્યાં છે
તું ને હું બસ બે જ જણાએ જાણ્યું છે કે જગમાં નહીં ને ક્યાંય કદીયે જળ પછવાડે જળ તરસે તો
તું જ કહે કે તારા વિના બીજું અમને કોણ કહી સમજાવે કે આ વાદળ વાદળ વરસે તો
.
( ધ્રુવ ભટ્ટ )

(23/08/1938 – 25/12/2012)
.
मां संवेदना है, भावना है, अह्सास है
मां जीवन के फुलों में खुशबु का वास है।
मां रोते हुए बच्चे का खुशनुमा पलना है
मां मरुस्थल मे नदी या मीठा – सा झरना है।
मां लोरी है, गीत है, प्यारी-सी थाप है
मां पुजा की थाली है, मन्त्रो का जाप है।
मां आंखो का सिसकता हुआ किनारा है,
मां गालों पर पप्पी है, ममता की धारा है।
मां झुलसते दिलो मे कोयल की बोली है,
मां मेहंदी है, कुमकुम है, सिंदुर है, रोली है।
मां कलम है, दवात है, स्याही है,
मां परमात्मा की स्वयं की गवाही है।
मां त्याग है, तपस्या है, सेवा है,
मां फुँक से ठंडा किया हुआ कलेवा है।
मां अनुष्ठान है, साधना है, जीवन का हवन है,
मां चुडी वाले हाथो के मजबुत कंधो का नाम है,
मां चिन्ता है, याद है, हिचकी है,
मां बच्चे की चोट पर सिसकी है।
मां चुल्हा-धुआ-रोटी और हाथो का छाला है,
मां जिंदगी की कड़वाहट में अमृत का प्याला है।
तो मां की कथा अनादि है, अध्याय नही है. . . . . . .
. . . . . और मां का जीवन मे कोइ पर्याय नही है।
तो मां का महत्व दुनिया मे कम नही हो सकता ,
और मां जैसा दुनिया मे कुछ हो नही सकता ।
मै कविता की ये पंक्तियाँ मां के नाम करता हुं,
मै दुनिया की प्रत्येक मां को प्रणाम करता हुं ।
.
( पं. ओम व्यास ओम )
હતી એ હામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું,
રખડતા ગમનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.
.
મને તું પ્હાડ ગણ તો ગણ, જરી વાંધો નથી વ્હાલા !
નદીના નામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.
.
ગલીમાં પેસતાં પ્હેલું જ આવે ઘર પુરાણું, પણ
વતનના ગામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.
.
પડે છે સાંજ પણ ટકરાય છે ક્યાં પ્યાલીઓ અહીંયા ?
બુઢા ખૈયામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.
.
સમય આપી શકે ‘ઈર્શાદ’ કલ્પ્યાં બહારનાં અચરજ
હું ચારે ધામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.
.
( ચિનુ મોદી )

(૧)
આ ભીંતને અહીં સ્પર્શો
અહીંથી ડાબી બાજુ તરફ
બે હાથ આગળ વધો
પછી ત્રણ વેંત નીચે ઊતરો
ત્યાં
તમને એક સોંસરું છિદ્ર મળશે
એ છિદ્રમાંથી
ભૂરું આકાશ જોઈ શકાશે.
.
(૨)
દૂરની ક્ષિતિજે
આથમી જતા
સૂર્યને
ભીંત
ઊંચી થઈ થઈને
જુએ છે.
.
(૩)
ક્યારેક
આ ભીંત
કાગળની માફક
ધ્રુજે છે.
.
(૪)
માછલીઓની જેમ
પર્ણોના પડછાયા
ભીંતની ત્વચા પર તરે
ત્યારે
ઊંડે ઊતરે ગયેલ
ભીંતના પગોને બાઝેલી
રાતી માટી
સળવળે છે.
.
(૫)
તિરાડોથી ભરાયેલ
આ ભીંતને
બારણું નથી.
.
(૬)
શું કરું
તો
ભીંત જાગે ?
.
( કમલ વોરા )