જીવી લીધું-સાહિલ

હતી ડંખ દેતી ડગર-છતાં અમે હસતાં હસતાં જીવી લીધું
અને લોહિયાળ સફર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

હતી વાત વસમી છતાં રહ્યા છીએ સત્યની તરફેણમાં
ન થઈ કદાપિ કદર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

અમે ખાઈ ઠોકરો જાળવ્યો છે મલાજો એમના માનનો
પડ્યા ઘાવ આઠે પ્રહર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

દીધી હાથતાળી મરણને તોય ક્યાં વાત પૂરી થઈ હતી
હતો જીવવાનોય ડર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

છે દિલાસો અમને એ વાતનો તમે હાથ ઝાલ્યો છે એટલે
હતો માથે તડકો પ્રખર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

છે તૂટેલી ભીંત-નમેલી છત-નથી બારી કે નથી બારણાં
વીતી એ જ ઘરમાં ઉંમર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

જો પૂછો તો ‘સાહિલ’ લોકને છે નવાઈ કેમ-તે શી રીતે,
છે નગુણું આખું નગર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું

( સાહિલ )

બે લઘુ કાવ્યો-વિપાશા

(1)
જીદ છે
તમને જોવાની(1)
જીદ છે
તમને જોવાની
ચામડી ચીરી
બહાર આવી.
ચામડીમાં
ગરી જઈશ
પાછી

(2)
નસો વચ્ચે જકડાઈ
જીવું છું
એમને હું જોઉં છું,
ગભરાયેલા થથરતા
શું એ મને જુએ છે
તોફાને ચડેલી નસો વચ્ચે
ભરાયેલી
શાંત
મને ?

(વિપાશા)

અનારકલી – લલિત ત્રિવેદી

અનારકલી

સબૂર ! જાનેસલીમ ! ખૂબસૂરત, અનારકલી !
તું થૈ ગઈ છો નરી કેફિયર, અનારકલી !

બતાવ શું છે હવે અસલિયત, અનારકલી !
શું ધડકનો જ છે લાગી રૈયત, અનારકલી !

ઉદાસ તન્હા સલીમ પૂછે છે શરીરમાંથી-
શરીર ક્યારે છે મિથ્યા…મમત, અનારકલી !

જો હુસ્ન કહેવાતો એ તાજ ઊતરી જાશે
બતાવશે કે કેટલું છે સત, અનારકલી !

આ જંગ અકબરેઆઝમ અને સલીમ નથી
શકલ બની ગઈ છે પાણીપત, અનારકલી !

શહેનશાહ જલલુદ્દીન મહમ્મદ અકબર
અસલ તો છે શહેનશાહ વખત, અનારકલી !

તું ગીત સંગ-એ-મરમરનું ને હું મર્મર છું
હું પાંદડાંની ઝીણી હેસિયત, અનારકલી !

( લલિત ત્રિવેદી )

કે પછી – સોનલ પરીખ

કે પછી

થોડી અલપ ઝલપ વાતો
થોડા સઘન સ્પર્શ
થોડા તેજ શ્વાસ
થોડું ખાવું પીવું
-ને શો પૂરો
દિલ ખોલવાનું વાતાવરણ
બંધાતું હોય
ત્યાં જ સંભળાય
તારું ‘બાય’, ‘હું ફોન કરું છું’.
ઊંડો શ્વાસ લઈ
મન બારણા બંધ કરે
લાગે છે,
એક ખાસ વાતાવરણ
બંધાય
એટલે તું ચેતી જાય છે-
ઊભો થઈ જાય છે
પોતાને સમેટીને
કે પછી સામે હોય તો પણ
ચાલ્યો જાય છે
અદ્રશ્ય દીવાલની પાછળ
જેટલો હું તને ઓળખું છું
તારા ડરના અનેક ચહેરાને
ચહેરાઓના વનમાંથી
તારો અસલી ચહેરો જો, ઈશ !
ને પરોવ
એક વાતાવરણની આંખમાં આંખ
-જો તારે મને પૂરેપૂરી પામવી હોય તો
ત્યાં સુધી
હું સાચવી રાખીશ જતનથી
મારી અડધીપડધી જાતને
તારા માટે
કે પછી
મારા માટે…

( સોનલ પરીખ )

ભટકતા રહીએ ! ( કરસનદાસ લુહાર )

ભટકતા રહીએ !

અમે ભટકતા રહીએ એ ભાઈ!
અમે ભટકતા રહીએ !
જીવતર જેવા જીવતરથી બસ
આમ છટકતા રહીએ !

ક્યાંય ઠેકાણું કે ઠામ નહીં,
કહેવાનું યે ગામ નહીં,
આભ-ધરાની વચ્ચોવચ લો-
અમે છટકતા રહીએ !
રે ભાઈ, અમે ભટકતા રહીએ !

ઘરનાં સોણાં બે-ઘર રાખી,
રઝળું હોવું ગાડે નાખી,
થાક્યા તો કોઈ નામ ભુલાયાં-
ગામ છેવાડે અમે અટકતા,રહીએ,
રે ભાઈ, અમે ભટકતા રહીએ !

મૃગજળ મેલાં દરિયા તરીએ,
કાળી લૂ ભીતરમાં ભરીએ,
સળંગ શ્વાસો શેં લઈએ કે-
છૂટક તૂટક સતત બટકતા રહીએ,
રે ભાઈ, અમે ભટકતા રહીએ !

( કરસનદાસ લુહાર )

તાન્કા – ઉમેશ જોષી

તાન્કા

સમય તારો
પગરવ સાંભળી
અરધ રાતે
શ્રદ્ધાદીપ પ્રગટું
એક પળ માટેય…
***
તરફડે છે
પાછોતરો સમય
ઢોલિયે સૂતો
જાળમાં ફસાયેલી
માછલીની જેમ જ.
***
સ્તબ્ધ સમય
સળવળે છે ફરી
નયનમાં, ને
સગપણ સંધાય
સમજણનાં હવે.

( ઉમેશ જોષી )

આવવાનું ને જવાનું થાય છે – ચિરાગ ઝા “ઝાઝી”

આવવાનું ને જવાનું થાય છે
આપણાથી ક્યાં કશું રોકાય છે.

એક ઈચ્છા રોજ ઈશુ થઈ જાય છે,
અવદશાના સ્તંભ પર દેખાય છે !

ચાંચ મારી એક ચકલી ઊડી ગઈ,
ને અરીસો એકલો અકળાય છે.

માત્ર પૂઠું જોઈ પુસ્તક લઈ ગયાં,
એ વગર વાંચે બધે અથડાય છે.

નીકળી ગઈ ચીસ સારસની પછી,
એજ લયમાં ગીત પણ સરજાય છે.

જીવને ઝાઝી ભલે લય ના મળે,
મૃત્યુ છંદોબદ્ધ રીતે ગાય છે.

( ચિરાગ ઝા “ઝાઝી” )

સામે કાંઠે જઈને તારું વસવું બહુ મર્માળુ છે – સુરેન્દ્ર કડિયા

સામે કાંઠે જઈને તારું વસવું બહુ મર્માળુ છે
આપણ બેની વચ્ચે ધસમસ કરોળિયાનું જાળું છે

ક્યાંક ઢળેલી સાંજ અને આ ક્યાંક ઝળહળ જેવું શું ?
ચહેરો વાદળ-છાયો છે ને આંખોમાં અજવાળું છે

એક દિવસ તો દર્પણમાં નાજુક ચહેરો જોવા મળશે
તારી જુલ્ફો વચ્ચે વહેતો વાયુ બહુ શ્રદ્ધાળુ છે

લેવું-કરવું કાંઈ નથી ને ભાવ અમસ્તો હું પૂછું
એણે ચપટીક બાંધી કીધું, સસ્તું છે, અજવાળું છે

જો ખોલું તો હું જ ખૂલું ને બંધ થવાનું નામ નહીં
નગરી-નગરી, દ્વારે-દ્વારે લક્ષણવંતુ તાળું છે

( સુરેન્દ્ર કડિયા )

જો અચાનક સાંજ પડશે, તો પછી તું શું કરીશ – સુરેન્દ્ર કડિયા

જો અચાનક સાંજ પડશે, તો પછી તું શું કરીશ !
તારી છાયા તુજને નડશે, તો પછી તું શું કરીશ !

તું પવનમાં પૃષ્ઠ ઉપર કાઢી નાખ જલદી
વૃક્ષના ભાવો ગગડશે, તો પછી તું શું કરીશ !

એક સપનું આંખનું સાકાર કરવાનું કરી લૈ
જો એ આંસુ થઈને દડશે, તો પછી તું શું કરીશ !

તું ભલે વરદાન લઈ પારસમણિમય થઈ ગયો
હાથ તારો તુજને અડશે, તો પછી તું શું કરીશ !

કાં વિચારોની અ-ધ-ધ-ધ ઊંચાઈ પર ચડ્યો !
એક પગલું જો લથડશે, તો પછી તું શું કરીશ !

( સુરેન્દ્ર કડિયા )

ક્યાં કશું કહેવાય છે અંદર ને અંદર – સુરેન્દ્ર કડિયા

ક્યાં કશું કહેવાય છે અંદર ને અંદર
મ્યાન પણ મૂંઝાય છે અંદર ને અંદર

સોંસરો નીકળે પવન જે નાભિમાંથી
આજ એ અટવાય છે અંદર ને અંદર

બહાર કેવાં બુંદ કે ભીનાશ કેવી
આંખ પણ છલકાય છે અંદર ને અંદર

ના પડે કે ઊપડે એકેય પડદો
દ્રશ્ય તો ભજવાય છે અંદર ને અંદર

હાથમાં લે રોજ, પણ ખોલી શકે ના
પત્ર ભીનો થાય છે અંદર ને અંદર

( સુરેન્દ્ર કડિયા )