રસ્તા વચ્ચે – મણિલાલ હ. પટેલ

.

રસ્તા વચ્ચે પડાવ આવશે

મારી સાથે લગાવ આવશે

 .

આજે તું છો ઊભે પાણી

તને કોક પર ભાવ આવશે

 .

સામે આવ્યું ઠેલ નહીં તું

એ જ બની પ્રસ્તાવ આવશે

 .

જો અંધારાં ઓળખશે તું

અજવાળાંની નાવ આવશે

 .

કાળો પીળો તાવ આવશે

તૂરી કડવી રાવ આવશે

 .

ઘર-ઉંબર નહીં છોડે તો પણ

ઘણા કારમા ઘાવ આવશે

 .

આંગણ ફળિયું કૂવો પાદર

ફરી ફરી ના દાવ આવશે

 .

આઠે અંગો ઝૂર્યા કરશે

કોઈ સ્વજન ના કામ આવશે

 .

વહી ગયા એ વણજારા તો

વચમાં ખાલી વાવ આવશે

 .

( મણિલાલ હ. પટેલ )

તને ફોન કરું છું – સુરેશ દલાલ

.

તને ફોન કરું છું

ફોન મૂકવો પડે એટલે મૂકું છું.

ફરી પાછી લાગે છે ફોનની તરસ

હું વ્યાકુળ થઈને

તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી.

હું સ્વસ્થ રહીને

તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી.

એક વહેરાઈ ગયેલા જીવને

તું કરવત થઈને વહેર નહીં

કાનને શોષ પડે છે તારા અવાજનો

જીભ ઝંખે છે તારા નામને

એથી જ તો હું ફોન કરું છું.

ફોન મૂકું છું.

મારી તરસનો કોઈ અંત નથી.

 .

( સુરેશ દલાલ )

છે લાગણીની વાત – ભગવતીકુમાર શર્મા

.

છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,

હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.

 .

શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,

મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.

 .

મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,

જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.

 .

છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ

મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.

 .

દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ;

અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.

 .

ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,

છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.

 .

એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,

સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.

.

( ભગવતીકુમાર શર્મા )

કશું નથી – ભરત ભટ્ટ ‘પવન’

.

બારી કે બારણાંઓ ત્યાં હાજર કશું નથી,

બે-ચાર છબીઓ છોડીને અંદર કશું નથી.

 .

કોણે લખ્યું છે વાક્ય અદાલતની ભીંત પર ?

કે ‘ત્રાજવું નથી તો બરાબર કશું નથી’.

 .

છે રામ ન રહીમ – જગતમાં વિકલ્પ છે,

પણ પ્રેમથી વિશેષ ખરેખર કશું નથી.

 .

એવી સભામાં શક્ય છે સૌને જવું પડે,

જ્યાં માનપાન, સ્થાન કે આદર કશું નથી.

 .

ઊંડાણના વિષયમાં સ્પર્ધા જો થાય તો,

આંખોની સામે સાત સમંદર કશું નથી.

 .

‘શરમાળછે સ્વભાવે’ – બધાનો વહેમ છે,

બાકી ‘પવન’ને કાનો કે માતર કશું નથી.

 .

( ભરત ભટ્ટ ‘પવન’ )

લઘુકાવ્યો, હાઈકુ, તાન્કા, મુક્તક…

.

(૧)

પંખી

 .

મેં

એક દિવસ

એક પંખીને પૂછ્યું:

‘તને માણસ થવું ગમે ?’

તો પંખી કાંઈ ન બોલ્યું

ને ઊડી ગયું આકાશમાં !

.

( મધુકાન્ત જોષી )

 .

(૨)

 .

અછત અને પ્રાપ્તિ

.

પહેલાં હતું કે શું ખાવું ?

આજે થતું કે ખાવું શું !

 .

( જગન્નાથ રાજગુરુ )

 .

(૩)

.

મા

એક અક્ષરનો

મહાનિબંધ

 .

( જગન્નાથ રાજગુરુ )

.

(૪)

હીંચકો

 .

અહીં

આ જગ્યાએ

પહેલાં હીંચકા હતા.

હવે છે:

માત્ર હીબકાં !

 .

( મધુકાન્ત જોષી )

(૫)

 .

હમદર્દ

 .

તમે ઈચ્છો તે દર્દીને રક્તદાન

કદાચ ન પણ કરી શકો;

કેમ્કે દરેકનું એક

ચોક્કસ બ્લડગ્રુપ હોય છે.

પણ તમે કોઈ પણ વ્યક્તિના

દુ:ખના ભાગીદાર

જરૂર બની શકો છો…

કેમકે આંસુને

ગ્રુપ જેવું કશું હોતું નથી.

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’)

.

(૬)

 .

આંસુ : આંખોએ

ગોળાકાર ચિતરેલી

ચીસ ગળાની

( ‘પ્રભુ’ પહાડપુરી )

 .

(૭)

 

વૃક્ષોતિ

 .

કોઈ પણ ભેદભાવ વગર

સૌને મારી છાયામાં

બેસવા દઉં છું…

એ આશાએ કે

આમાંથી કોઈ તપસ્વી જેવો

પથિક આવી બેસે

અને મને

છાંયડો મળી જાય !

 .

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )

 .

(૮)

 .

વ્યથાઓ ફરી બારમાસી બને છે !

ફરી શૂન્યતાઓ સુવાસી બને છે !

તરે છે ફરી શક્યતાના તરાપા,

ફરી ઝંખનાઓ ખલાસી બને છે !

 .

( નિર્મિશ ઠાકર )

 .

(૯)

 .

ત્યારે અને અત્યારે

 

પેલી જૂના ઘરમાં

કશું નહોતું

આપણે હતાં.

આ નવા ફ્લેટમાં

બધું છે

આપણે નથી !

 .

( દેવરાજ ચૌહાણ )

 .

(૧૦)

 .

રામના પુસ્તકમાંથી

મને મળ્યું

શબરીના બોરનું

એક પાનું…

 .

( અબ્દુલ ગફાર કાઝી )

 .

(૧૧)

 

તાન્કા

 .

રંગ ફુવારો

ઊડ્યો, આભ રચાયું

મેઘધનુષ

ભૂલકાંની આંખમાં

વિસ્મયનો દરિયો

 .

( ધનસુખલાલ પારેખ )

 

(૧૨)

 .

 

ખરેલા ફૂલો

વીણે – આંગણા મહીં

એકલો વૃદ્ધ

 .

( મુસ્તાક એમ. શેખ )

મારે તો જોઈએ – ચંદ્રકાંત શેઠ

.

મારે નથી જોઈતું સ્વર્ગ

નથી જોઈતું મુક્તિફળ;

મારે તો જોઈએ કેવળ પાણી,

મારા તરસ્યા ગામની પરબ ચાલતી રહે માટે.

 .

મારે નથી જોઈતા નવનિધિ;

મારે નથી જોઈતાં અષ્ટસિદ્ધિફળ;

મારે તો જોઈએ કેવળ ધાન,

મારા ભૂખ્યા ગામની ઘંટી ચાલતી રહે માટે.

 .

મારે નથી જોઈતી ગાડી,

ને નથી જોઈતી લાડી;

મારે તો જોઈએ બસ માડી.

મારા થાકેલા ગામને ખોળે લઈ સુવાડવા માટે.

 .

( ચંદ્રકાંત શેઠ )

હશે ખરો કોઈ – લાભશંકર ઠાકર

.

અંદરનું

અંદર આવેલું, અંદરની બાજુનું

મારું આંતરિક કદાચ

પગથિયાં વગરનું છે.

કદી હું એમાં જઈ શક્યો નથી.

કોઈ સદી એવી નથી કે

મેં

ટકોરા ન માર્યા હોય.

મને લાગે છે કે અંદર કોઈ હોય

તો

તે

સાંભળતો નથી.

એને હાથ હશે ? પગ હશે ?

એને નહિ થતું હોય મન બહાર આવીને

મને મળવાનું.

હશે ખરો કોઈ અંદર ?

 .

( લાભશંકર ઠાકર )

પહોંચ્યા ન ફરિશ્તાઓ – ભગવતીકુમાર શર્મા

.

પહોંચ્યા ન ફરિશ્તાઓ, પયમ્બર નહીં પહોંચે,

માણસની આ ઔલાદને ઈશ્વર નહીં પહોંચે !

 .

તારા સુધી કાગળ અને પત્તર નહીં પહોંચે,

આંગળીઓ બરફ થૈ ગઈ, અક્ષર નહીં પહોંચે.

 .

બપ્પોર ઢળી સાંજ, કવેળાનું અંધારું;

ભૂલું પડ્યું બાળક તે ફરી ઘર નહીં પહોંચે.

 .

બસ, આટલો ઈન્સાફ હું માગું છું જગતમાં:

નિર્દોષના માથા સુધી પથ્થર નહીં પહોંચે.

 .

મારી આ વ્યથાને તો હું ચૂપચાપ સહી લઈશ,

તારા સુધી મારું કોઈ કળતર નહીં પહોંચે.

 .

આ કેવી સપાટીની અનુભૂતિ મળી છે !

છે બહાર બધી ભીડ તે ભીતર નહીં પહોંચે.

 .

ઝળહળ છે મહેફિલ, છતાં ખૂણામાં છે ઝાંખપ,

લાગે છે ત્યાં લગ કોઈ ઝુમ્મર નહીં પહોંચે.

 .

તેં સ્વપ્ન તો ભવભવનાં બનાવ્યાં છે પરંતુ

એ ક્ષણ સુધી આ શ્વાસની હરફર નહીં પહોંચે.

 .

( ભગવતીકુમાર શર્મા )