http://heenaparekh.com/2011/11/17/tamara-gaya-pachhi/
દિલને નથી કરાર તમારા ગયા પછી
આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી
.
યત્નો કર્યા હજાર તમારા ગયા પછી
લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી
.
વીતી રહ્યો છે એક સરીખો સમય બધો
શું સાંજ, શું સવાર તમારા ગયા પછી
.
ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી
આવી નથી બહાર તમારા ગયા પછી
.
મહેફિલ છે એ જ, એ જ સુરા, એ જ જામ છે
ચડતો નથી ખુમાર તમારા ગયા પછી
.
જીવનનો તાંતણો છે તમારા જ દમ સુધી
તૂટી જશે ધરાર તમારા ગયા પછી
.
‘નાઝિર’ને છેક ઓશિયાળો ના તમે કરો
કરશે ન કોઈ પ્યાર તમારા ગયા પછી
.
‘નાઝિરનો સાથ છોડી જનારા જરા કહો !
કોને કરે એ પ્યાર તમારા ગયા પછી
.
( નાઝિર દેખૈયા )



4 Comments
ખુબ જ સરસ
Nice.
Nice
ખૂબજ સુંદરભાવ સાથેની રચના !