નમસ્તસ્યૈ નમો નમ: (૪)

.

હે, મા ! જીવનમાં ઘટતી ઘટનાઓને સમજવાની અમારી અજ્ઞાનતા અમારા સુખ કે દુ:ખમાં સતત વધારો કર્યા કરે છે. દરેક ઘટના પાછળ ચોક્ક્સ કોઈ રહસ્ય હોય છે પણ અમે એને યથાર્થ રીતે સમજી શકતાં ન હોઈ સુખી કે દુ:ખી થઈએ છીએ.

.

કોઈનો જન્મ અમને આનંદ અર્પે છે તો કોઈનું મૃત્યુ અમને વિવશ બનાવી દે છે. આનંદ કે વિવશતા એ અમારા ચંચળ મનનો સ્વભાવ છે અને અમે એને વશ થઈને જીવતાં હોઈ આત્મીય અનુભવથી સદાય વંચિત રહીએ છીએ.

.

જે કંઈ થાય એ સારા માટે જ થાય છે એ મૂળ વાત અમે જેતે સમયે વિસરી જતાં હોઈ સુખ અને દુ:ખના ઝુલે અમે ઝૂલતાં રહીએ છીએ.

.

મા ! ઘટનાઓના મૂળમાં તારો કોઈ ચોક્ક્સ સંકેત હોય છે એ સમજવાની અમારી અજ્ઞાનતા કે અશક્તિ જ અમને અસ્થિર બનાવે છે. હા, તારો આ સંકેત કે સમજી શકે છે એ આવી પડેલી સ્થિતિને સહજતાપૂર્વક સ્વીકારીને દરેક સંજોગોમાં સ્થિર રહે છે. નરસિંહ કે મીરાં, તુકારામ કે કબીર-આ દરેકના જીવનમાં સંજોગો તો સર્જાયા જ હશે. પણ સર્જાયેલા એ સંજોગોને સમજવાની અને સ્વીકારવાની જે રીત છે એ આ મહાપુરુષોમાં અનોખી હોઈ જીવન વિશેનો એમનો સમગ્ર દ્રષ્ટિકોણ અલગ જણાય છે. જે કંઈ ઘટે છે એ પરમસત્તાની ઈચ્છાને આધીન હોય છે એ સત્ય તેઓ સમજી ચૂક્યાં હોઈ તેઓ દરેક પ્રસંગે વિતરાગ અને સ્થિતપ્રજ્ઞ રહી નિર્લેપ ભાવે જીવ્યા છે અને કર્મોનાં સારાં-માઠાં ફળોથી દૂર રહ્યાં છે.

.

મા ! આ પરમસત્તા કોણ છે એ અમને સમજાય તો અમારાં જ્ઞાનચક્ષુ ખૂલે અને તો જ અમે સુખ કે દુ:ખથી પર થઈ શકીએ.

.

પણ, મા ! અમને કોણ સમજાવે કે જગતની સર્વોચ્ચ સત્તા તું જ છે અને આ સમગ્ર જગત તારી જ માયા અને લીલાના પરિણામ સ્વરૂપ છે.

.

દેવતાઓ તારું સ્મરણ કરતાં બોલે છે :

.

दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै

ख्यात्वै तथैव कृष्णायै धूम्रायै सततं नम:

.

દુર્ગા, દુર્ગમ સંકટમાંથી પાર ઉતારનાર, સર્વની સારભૂતા, સર્વકારિણી, જે વિખ્યાત છે અથવા તો યથાર્થ જ્ઞાનરૂપા છે, કૃષ્ણા-શ્યામવર્ણની અને ધ્રુમાદેવીને સર્વદા નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમારાં જ્ઞાનચક્ષુ ખોલજે કે જેથી અમારા જીવનમાં ઘટતી કોઈ પણ પ્રકારની ઘટનાઓ અમને વિચલીત ન કરે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

(.

નમસ્તસ્યૈ નમો નમ: (૩)

3

.

હે, મા! અમારી આંખો અને કાન ખૂલ્લાં છે છતાંય અમને દેખાતું કે સંભળાતું કેમ નથી ? અમે જોવાનો અને સાંભળવાનો ડોળ તો જરૂરથી કરીએ છીએ પણ જે ખરેખર જોવાનું અને સાંભળવાનું છે એ તો અમે જોતાં કે સાંભળતાં જ નથી.

.

સવારે ઉઠીએ ત્યારે ઉષાને નિહાળવાનું તો ચૂકી જ જવાય છે. સૂર્યોદય એ રોજની ઘટના હોઈ અમારી આંખો રોમાંચથી છલકાઈ નથી જતી. સૂર્યાસ્ત સમયે અમે એવાં અટવાયેલાં હોઈએ છીએ કે અમારે મન આથમતા એ સૂરજની કોઈ કિંમત જ નથી. મા ! કલકલ વહેતા ઝરણાને, સાગરની લહેરોને, ખીલતાં પુષોને, ડોલતાં વૃક્ષોને, પાંગરતી લતાઓને, કલરવ કરતાં પક્ષીઓને, પ્રકાશ અને હવાને અને તારા તેમજ ચંદ્રને અમે ક્યાં જોઈએ કે સાંભળીએ છીએ ?

.

મા ! અમને ભૂખ યાદ આવે છે પણ પાચનની પ્રક્રિયાને ભૂલી જઈએ છીએ. નોકરી અને ધંધાની હાયવોયમાં તારી હાજરીને વિસરી જઈએ છીએ. રૂપિયા કમાવવાની લાલચમાં લક્ષ્મીનું સાચું સ્વરૂપ પણ અમને યાદ રહેતું નથી.

.

અમારી દિનચર્યા પણ અમને વિસ્મય પમાડે તેવી છે. સવારથી મોડી રાત સુધી દોડધામ કરીને થાકી જઈએ ત્યારે પથારીમાં ઢગલો થઈ જઈએ અને સવારે ઉઠીએ ત્યારે આળસ મરડવાની સાથે અહંકારને લઈને પથારી છોડતાં અમે કોણે સૂવાડ્યા અને કોણે જગાડ્યાં એનો વિચાર કરતાં નથી.

.

સ્વભાવવશ અમે અમારા સંબંધોને કેવા સ્વાર્થી બનાવી દીધા છે ! અમે દરેક સંબંધોને કોઈને કોઈ નામ તો જરૂર આપીએ છીએ પણ એમાંના ભાવને ભૂલી જઈએ છીએ.

.

મા ! તારી પાસે આ છે અમારી ઓળખાણ ! બજારમાંથી નાળિયેર ખરીદીને સીધું ખાવામાં અને એ જ નાળિયેર તારા ચરણોમાં ધરાવી પ્રસાદરૂપે આરોગવામાં આખી મીઠાશ બદલાઈ જાય છે તેમ અમે સાંભળ્યું છે કે શરીરની વિવિધ ઈન્દ્રિયો દ્વારા થતાં કાર્યો જો તારે કાજ કરવામાં આવે તો એ કાર્યોનું પરિણામ પણ બદલાઈ શકે છે. જીવન આખું સુવાસિત બની જાય છે.

.

દેવતાઓ તારું સ્મરણ કરતાં બોલે છે :

.

कल्याण्यै प्रणतां वृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नम:

नैऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै ते नमो नम:

.

શરણાગતોનું કલ્યાણ કરનારી સિદ્ધિરૂપા દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. રાક્ષસોની લક્ષ્મી નૈઋતી, રાજાઓની લક્ષ્મી તથા શિવપત્ની શર્વાણી સ્વરૂપા જગદંબા તને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમારી સર્વે ઈન્દ્રિયોની શક્તિ તારે કાજ વહે એવી અમને બુદ્ધિ બક્ષજે કે જેથી કુબુદ્ધિ, કુમતિ અને કુકાર્યોથી દૂર રહેવાની અમારી સમજણ ખીલે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

નમસ્તસ્યૈ નમો નમ: (૨)

.

હે, મા ! જીવનમાં ન યાદ રાખવાનું અમે યાદ રાખીએ છીએ અને તારા અનેક ઉપકારોને ભૂલી જઈએ છીએ. ઘણી વખત સત્ય અસત્ય લાગે છે તો અસત્ય સત્ય ભાસે છે. ભ્રમિત થયેલાં અમે ઘણી વખત તારો અપરાધ પણ કરી બેસીએ છીએ. છતાં પણ તું ક્યારેય અમારા પર અપકાર કરતી નથી.

.

તારો ક્રોધ પણ માટી ખાતા અબુધ બાળકને વઢવા જેવો હોય છે. શા માટે તું અમને આટલું બધું હેત કરે છે એ અમારી સમજમાં આવતું નથી. અમે તો તારા માટે કંઈ જ કર્યું નથી. છતાંય ડગલેને પગલે તું અમારી સાથે જ હોય છે. તું જ અમારી પ્રેરણામૂર્તિ છે. છતાંય અમે કેવાં સ્વાર્થી છીએ ? સારું થાય તો એનો જશ અમે અમારી જાતને આપીએ છીએ અને ખરાબ કે ન ધાર્યું થાય તો એમાં તને નિમિત્ત બનાવીએ છીએ.

.

મોટા ફાયદા માટે તને નાની લાલચ આપીને તારી પાસેથી કામ કઢાવવા મથીએ છીએ. ત્યારે તને અમારી સ્વાર્થવૃત્તિ ઉપર હસવું આવતું હશે.

.

મા ! શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના ભેદને અમે જાણતાં નથી. તારા તરફની અતૂટ ભક્તિને લીધે જો અમારા જીવનમાં કોઈ ચમત્કારો સર્જાતા હોય તો એને અંધશ્રદ્ધા માની અવગણવા કે શ્રદ્ધાનું પરિણામ સમજી આવકારવા એ જ અમને સમજાતું નથી. અંધશ્રદ્ધા વિશે તો ઘણા કહે છે. પણ તેઓ શ્રદ્ધાની સાચી સમજ આપી શકતા નથી.

.

એક કુટુંબમાં પણ અમે કંકાશ કર્યા વિના રહી શકતાં નથી. કોઈ અમારો વિશ્વાસ કરે તેમ નથી. અમે એ પણ જાણીએ છીએ કે જો સ્વાર્થ ન હોય તો કોઈ અમારી સાથે સંબંધ રાખી શકે તેમ નથી. છતાંય તું અમને તારા ચરણોમાં સ્થાન આપે છે. એનાથી બીજું મોટું અહોભાગ્ય અમારા માટે શું હોઈ શકે ?

.

જેનો ગુનો કરીએ એ જ અમને માફ કરે એ તો મા, આ જગતમાં તારા સિવાય કોઈ ન હોઈ શકે.

.

દેવતાઓ તારું સ્મરણ કરતાં બોલે છે :

रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नम:

ज्योत्स्नायै चेन्दुरुपिण्यै सुखायै सततं नम:

.

રૌદ્રાને નમસ્કાર, નિત્યા, ગૌરી અને ધાત્રીને વારંવાર નમસ્કાર છે. જ્યોત્સ્નામયી, ચંદ્રરૂપિણી અને સુખસ્વરૂપા દેવીને સતત પ્રણામ છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા તરફની અમારી શ્રદ્ધાને દ્રઢ બનાવજે કે જેથી અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અમારી સમ્યક દ્રષ્ટિ ખીલે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

.

( મન્નીમા )

નમસ્તસ્યૈ નમો નમ: (૧)

આજથી શરુ થતી નવરાત્રિ “મા”ની આરાધના, ભક્તિ અને અનુષ્ઠાન કરવાના દિવસો છે. તંત્રોક્ત દેવીસુક્તના ઘણાં શ્લોકો પર “મન્નીમા”એ પોતાના સહજ ભાવોદ્દગારને વાણીના પુષ્પોમાં ગૂંથીને એક એક શ્લોકસુમનને જગતજનની મા અંબાના ચરણોમાં અર્પણ કર્યા છે. જે “નમસ્તસ્યૈ નમો નમ:” નામના પુસ્તક રૂપે પ્રકાશિત થયા હતા. આ પુસ્તકના પ્રથમ નવ લેખો નવરાત્રિના નવ દિવસ દરમ્યાન માણીશું. આ લેખોને મારી સાઈટ પર મૂકવાની સંમતિ આપવા બદલ હું “મન્નીમા”નો આભાર માનું છું.

(૧)

.

હે, મા ! જાણવાના ભ્રમમાં જીવતાં અમે કંઈ જ જાણતાં નથી. સ્વાર્થ અને મોહમાં સપડાયેલાં અમે અનેકવાર ન કરવાનું કરી બેસીએ છીએ. અનેકવાર તારો અપરાધ થઈ જાય છે. છતાં પણ જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે તારા સિવાય અન્ય કોઈનું શરણ સાંભરતું નથી.

.

સંસારી સંબંધીઓના સહયોગના મૂળમાં રહેલા સ્વાર્થે અમે ખૂબ નિરાશ થયાં છીએ. એમના પ્રેમને પીછાણી લીધો છે. એમના હેતને ઓળખી લીધું છે. કોઈનામાં વિશ્વાસ બેસતો નથી. સંસારના સંબંધો તરફની અમારી દોટ આંધળી છે તેથી સમગ્ર વિશ્વમાં ભટકીને આખરે તારી પાસે જ ક્ષમાની ઝોળી ફેલાવતાં ઊભા છીએ.

.

તું અમારી ભૂલોને ક્ષમા કર. અમને સદ્દબુદ્ધિ આપ અને સન્માર્ગે ચાલવાની શક્તિ આપ. તારી ભક્તિના રંગમાં રંગાવાની અમારી તીવ્ર ઈચ્છા છે. જીવનની ક્ષણેક્ષણ તારા નામ અને કામમાં વ્યતિત થાય એવી અમને તારા તરફથી પ્રેરણા મળી રહે તો જ અમારું જીવવું સાર્થક બને અન્યથા કૂવામાંના દેડકાંની જેમ ફૂલાઈને ફરનાર અમે માત્ર ભ્રમમાં જ જીવ્યા કરીશું.

.

અમે બોલીને તને શું કહીએ ? છતાં લાગણીવશ કેટલુંક બોલવા જેવું અને ન બોલવા જેવું પણ બોલાઈ જાય છે. એને તારી સ્તુતિ સમજીને સ્વીકારજે. ક્ષણેક્ષણ તું રક્ષા કરજે. દુ:ખ અને સુખની વ્યાખ્યા તું મને સમજાવજે.

.

કદાચ અમારા વર્તનથી કોઈને દુ:ખ થતું હોય તો અમને એટલી શક્તિ આપ કે ક્યારેય અમે કોઈનું દિલ ન દુભાવીએ. અમારા હ્રદયનું એવું પરિવર્તન કર કે જેમાં તારો નિવાસ થાય અને અમને ક્ષણેક્ષણના વર્તનમાં સતત જાગૃતિ રહ્યા કરે. તું જ અમને આ બધું શીખવ અને સમજ તેમજ શક્તિ પૂરાં પાડ.

.

કોઈ વાતની તું કસોટી કરે તો એમાંથી પાર ઊતરવાની પણ શક્તિ આપજે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:

.

नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:

नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम

.

દેવીને નમસ્કાર છે. મહાદેવી શિવાને સર્વદા નમસ્કાર છે. જગત જનની જગતકારણ એટલે કે પ્રકૃતિ અને મંગળ સ્વરૂપ ભદ્રાને નમસ્કાર છે. અમે તે જગદંબાને નિયમપૂર્વક નમસ્કાર કરીએ છીએ.

.

મા ! અમારા હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા ચરણોમાં સ્થાન આપજે કે જેથી અહંકારથી અમે ફૂલાઈ ન જઈએ અને અજ્ઞાનથી, ભૂલથી અને બુદ્ધિ ભ્રાન્ત થવાના લીધે તારી ભક્તિમાં ઓટ ન આવે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

( મન્નીમા )

(

આયના ફૂટ્યા

કોઈ મારું ન થયું કોઈ સંબંધો ન તૂટ્યાં,

ડાળખી સાવ લીલી રહી અને પર્ણો ન ફૂટ્યાં.

.

કોઈ ગોફણના જાણે હોઈએ અમે પથ્થર,

ક્ષણોના હાથમાંથી રોજ એ રીતે છૂટ્યાં.

.

લો આવજો મલશું સ્મરણના મેળામાં,

એક તો દૂરનાં સગપણ અને અંજળ જ્યાં ખૂટ્યાં.

.

ખબર ન રહી કે આરપાર જઉં છું વીંધાતો,

ફૂલ આવેશમાં આવીને કેટલાં ચૂંટ્યાં?

.

ભરીને ખોળામાં એની કરચ ગણું સપનાં,

એના હાથેથી જે મિસ્કીન આયના ફૂટ્યા.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

ક્યાં હોય છે

આ અમરફળને અડકવાની તલપ ક્યાં હોય છે

આપણી જિજીવિષા એવી પ્રબળ ક્યાં હોય છે

.

મેં રમતમાં ને રમતમાં શબ્દ ઉછાળ્યો હતો

શોધવા નીકળી પડ્યો પણ જળકમળ ક્યાં હોય છે

.

જળમાં ઊંડે જઈને બસ એટલું જાણી શક્યા

માછલીને મન કશુંયે તળ અતળ ક્યાં હોય છે

.

પોતપોતાની પરકમા લઈને સહુ ઘૂમ્યા કરે

બેસવું ધૂણી ધખાવીને સરળ ક્યાં હોય છે

.

તારી ઝોળીમાં કયું ફળ છે હે બાવા ભરથરી

લાખ બાણું માળવાની પણ મમત ક્યાં હોય છે

.

( અરવિંદ ભટ્ટ )

રાબેતા મુજબ થાય છે

નાની અમથી વાતમાં સરહદ ચણાતી જાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

જાળ નજરોની બહુ લાંબે સુધી ફેલાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

શાંત પાણીમાંય હોડી ધમપછાડા ખાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

હર ક્ષણે પંખીની ખાલી આંખ ક્યાં વીંધાય છે !

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

વર્ષો પછી સંબંધનાં વસ્ત્રો ય સંકોચાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

જળ નથી ત્યાં જળ, ક્ષિતિજે લ્હેરાતું દેખાય છે

બાકીનું બધું રાબેતા મુજબ થાય છે

.

( હરિહર જોશી )

વિશ્વદર્શન

એક સાંજે-

સાત વર્ષના મારા દીકરાએ,

એના ખભા કરતાં લગભગ ડબલ સાઈઝની

સ્કૂલબેગ ખભેથી ઉતારતાં, મને પૂછ્યું-

મમ્મી ! તને ‘ફેઈસ રીડીંગ’ આવડે ?

હું જરા ચોંકી ગઈ…

પછી-સ્વસ્થ થઈ મેં પૂછ્યું

‘ફેઈસ રીડીંગ’ એટલે શું ?

એ બોલ્યો-

જો હું તને શીખવું.

હું એને એકીટશે જોતી રહી…

એ સડસડાટ બોલવા માંડ્યો,

આપણે જેની સાથે વાત કરતાં હોઈએ-

એનો ફેઈસ જોવાનો, એની આઈઝ જોવાની.

તેથી આપણને ખબર પડે કે-

તે આપણો ફ્રેન્ડ છે કે એનીમી ?

હું ચૂપચાપ એની ભોળી આંખો જોતી રહી.

મને એની ભોળી-કુતૂહલ આંખોમાં-

અનેક પ્રશ્નોના ખડકલા દેખાયા;

મને એ – ખીણમાં પ્રશ્નોનાં ઉત્તરો ખણતો અનુભવાયો

તો શું…

હું આ ઘટનાને ‘વિશ્વદર્શન’ કહી શકું ? !

.

( હિના મોદી )

સાહિબ-ત્રિપદી(3)

(3)

.

સાહિબ, સંભાળે છે ધૂરા

ઊગેલા મનસૂબા આપોઆપ જ થાતા પૂરા.

.

ટોળે વળતો સામેથી આ પંથ સામટો પગમાં.

મુકામ આવી જીવતો થાતો જાણે કે રગરગમાં.

.

કાળમીંઢ ચિંતાના પહાડો થાશે ચૂરેચૂરા !

સાહિબ સંભાળે છે ધૂરા.

.

વાવી જાતું કોણ અને અહીં કોણ ઉગાડી જાતું ?

ખેતરના ઊભા શેઢાને એનું અચરજ થાતું !

.

સૌની સાથે રહે સારથિરૂપે સાચા શૂરા

સાહિબ સંભાળે છે ધૂરા.

.

( નીતિન વડગામા )

સાહિબ-ત્રિપદી

(૧)

.

સાહિબ, આપો એવી માળા

એક સામટાં ઉઘાડે એ નાનાં મોટાં તાળાં.

.

ટાઢ-તાપ વેઠીને નાહક ઊભે મારગ ભટક્યાં !

પડતાં ને આખડતાં તોયે ક્યાંય કદી ના અટક્યાં !

.

નજર પડે ત્યાં રુદિયાં કેવાં થૈ જાતાં રઢિયાળાં !

સાહિબ આપો એવી માળા.

.

એક અગોચર તંતુથી ભમતા જીવને બાંધો.

ફાટેલા જીવતરનું વસ્તર હળવે રહીને સાંધો.

.

મધરાતે સૂરજ ઊગે ને થાય બધે અજવાળાં !

સાહિબ, આપો એવી માળા.

.

( નીતિન વડગામા )