ભાંગશે ભવભવની ભાવઠ મોકલું છું,
શબ્દના લે તીર્થ અડસઠ મોકલું છું.
.
કૈંક રાતોએ સિતારાઓ મઢ્યા છે,
એ જ એકલતાનો બાજઠ મોકલું છું.
.
યાદના શ્લોકો ને સ્મરણોની ઋચાઓ,
એ અનાદિ કાળનો મઠ મોકલું છું.
.
પ્રાણને ઈચ્છા કદી ના થાય અમથી,
કોણ પાંચમની કરે છઠ મોકલું છું.
.
ગામ તો “મિસ્કીન” કરીને જાય હિજરત,
જાય ક્યાં કાંઠા સૂકાભઠ મોકલું છું.
.
( રાજેશ વ્યાસ “મિસ્કીન” )
.
ગઝલ ગુચ્છની “મોકલું છું” રદીફ વાળી ૧૫ ગઝલો આપણે ક્રમશ: માણી. આ ગઝલ ગુચ્છ વિશે રાજેશભાઈ કહે છે છે કે..”આ ગઝલ ગુચ્છની ગઝલો એક સાથે જ આવેલી છે. ૭મી મેની એ રાત હતી જ્યારે પ્રથમ ગઝલ આવી. છેલ્લી ગઝલ લખાઈ ત્યારે મ્હોંસૂઝણું થવા આવ્યું હતું. આ ગઝલોના કાફિયા ભિન્ન છે. કાફિયાઓથી લઈને સમગ્ર સર્જનપ્રક્રિયા મારે માટે તે રાતે આશ્ચર્યજનક રહી છે. આગ જે લાગી છે ઘટઘટ મોકલું છું. આગ જે લાગી છે નસનસ મોકલું છું. આ બે પંક્તિમાં પુનરુક્તિ દોષ ગણાય. મારી દ્રષ્ટિએ ગમતા દોષ ક્ષમ્ય દોષ છે. આથી રહેવા દીધા છે.”