ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ એક વખત વખત હેલન કેલરને પૂછ્યું, “તમારાં જીવનની અભૂતપૂર્વ સફળતાનું રહસ્ય તમે શું ગણાવો છો? અંધ અને બધિર હોવા છતાં તમે આટલું બધું પ્રાપ્ત કેવી રીતે કરી શક્યાં ?”
હેલન કેલરે ઉત્તર વાળ્યો, “મારી સફળતા પાછળનું બધું જ શ્રેય હું મારાં શિક્ષિકા એમ સુલિવનને આપું છું. જો તે ન હોત તો હું આજે જે છું તેમાંનું કશું ન હોત.”
તમને કદાચ ખબર હશે કે મિસ એન સુલિવન પોતે પણ બાળપણથી અંશત: અંધ હતાં અને તેમને લગભગ પાગલ જેવાં ઠરાવી, એક પાગલખાનાના ભોંયરામાં બંધ કરવામાં આવ્યાં હતાં. નાનકડી એન તેની પાસે જનાર સૌ પર ક્યારેક હિંસક હુમલાઓ કરતી અને બાકીનો વખત સૂનમૂન બેસી રહેતી.
આ પાગલખાનાની એક આધેડ ઉંમરની નર્સને નાનકડી એનના સાજા થવા વિશે ઊંડી આશા અને શ્રદ્ધા હતાં. તે દરરોજ એન પાસે જતી સ્નેહ વરસાવતી. એન કોઈ પ્રતિસાદ ન આપતી છતાં તે એનની મુલાકાત લેવાનું ચૂકતી નહીં. ક્યારેક તે એન માટે કુકીઝ લઈ જતી.
ધીરે ધીરે ડોક્ટરોને એનના વર્તાવમાં પરિવર્તન આવતું દેખાયું. હિંસક વર્તણૂકની જગ્યાએ એનના વર્તનમાં કુમાશ દેખાવા માંડી. એનને ભોંયરામાંથી ઉપરના માળ પર લાવવામાં આવી, જ્યાં તેની હાલતમાં સુધારો થતો જ રહ્યો અને છેવટે એ દિવસ પણ આવ્યો, જ્યારે એનને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવી.
આ એન સુલિવનની ઈચ્છા હતી કે જેમ પેલી પ્રેમાળ નર્સે તેમને મદદ કરી હતી તેમ મોટી થઈને તે પણ બીજાઓની મદદ કરે. આ જ એન સુલિવનને નાનકડી હેલન કેલરમાં સંભાવનાઓ દેખાઈ. તેણે હેલનને પ્રેમ આપ્યો, તેની સાથે રમી, તેને શિસ્તબદ્ધ કરી, તેને ‘પુશ’ કર્યા કરી, કઠોર તાલીમ આપી. જ્યાં સુધી હેલન પૂર્ણપણે વિકસિત ન થઈ ત્યાં સુધી એન સુલિવને તેની સાથે કામ કર્યું.
આજે હેલન કેલરના કારણે વિશ્વભરમાં
અંધ-મૂક-બધિર બાળકોની સારવાર કરતી અને કાળજી લેતી સંસ્થાઓ
ઠેર ઠેર કાર્યરત છે અને વિકસી રહી છે.
આનું બધું શ્રેય હેલન કેલરને જાય છે.
પરંતુ એન સુલિવન ન હોત તો હેલન કેલર ન હોત.
અને પેલી પ્રેમાળ નર્સ ન હોત તો એન સુલિવન ન હોત.
એક નાનકડી બાળકીને એક સામાન્ય નર્સ પ્રેમ આપે છે તેની હકારાત્મક અસરો આજે વિશ્વભરમાં ક્યાં ક્યાં ફેલાઈ ચૂકી છે !