સંબંધોની વારતા ! – કાજલ ઓઝા વૈદ્ય

મરતા – જીવતા

ઊઠતા – પડતા

દરેક હથોડા પાસે જાણે

બચવા માટે કરગરતા…

સંબંધોની વારતા !

 .

વારતા રે વારતા

ભાભા ઢોર ચારતા

એક હતો છોકરો

ન જાણે કોઈ એનું નામ

ન ગામ કોઈ,

ન ઠામ…

 .

દૂરદૂરથી આવતો-

એક ગુલાબનું ફૂલ આપી

છોકરીને સમજાવતો !

ને,

છોકરી કાયમ સમજી જ જતી,

કે

સમજવાનો પ્રયત્ન તો કરતી, કમસે કમ !

 .

એક દિવસ રિસાણી,

સમજણના બોજે ભીંસાણે….

શ્વાસે શ્વાસે બોજ લઈને,

દોષનો ટોપલો રોજ લઈને,

દોડી આગળ….

આગળ… આગળ ને આગળ.

 .

છોકરી ગુલાબનું શોધે ફૂલ !

સપનાંઓના ડબ્બા ગુલ !

હાથ જોડી,

ઘૂંટણ તાણી માગ્યા કરે એ રહેમ…રહેમ…

પાછળ બધું હેમખેમ

જેમ હતું એમનું એમ

તૂટી પડ્યો સઘળો વહેમ.

 .

પણ, છોકરો જેનું નામ-

અજબ એનું કામ,

ન ઠામ કોઈ, ન ગામ…

વાપરી જાણે બધાં પ્યાદાં

દંડ-ભેદ, સામ ને દામ.

 .

ઊઠે હથોડા – પડે હથોડા

વાગે ચાબૂક ઊછળે ઘોડા

હાથી- ઊંટ – દિવાન ને રાજા….

જીતતા ને હારતા,

અંદરોઅંદર મારતા.

 .

જાતે બિછાવેલી બાજી-

જાત સામે હારતા.

એક બીજાની સામે લડતી

સોગઠીઓ ને વારતા-

વારતા રે વારતા.

 .

જીવતા – મરતા

મરતા – જીવતા

ઊઠતા- પડતા

દરેક હથોડા સાથે

જાણે બચવા માટે કરગરતા…

સંબંધોની વારતા !

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

ઔદાર્ય,

ઉદારતા એ તો ઊંડાણે,

વધુ ઊંડાણે અડીંગો

જમાવી દેવાનો ઓચ્છવ !

પ્રશંસા અને પ્રચારની

કુંપળ ન ફૂટે એવા સાવ

પ્રછન્ન રહી હૃદયે કોળતા

અને વધતા વડલાનું

નામ ઉદારતા.

કર્તાભાવનું સાક્ષીભાવે

અવતરણ એજ ઔદાર્ય !

 

તું અક્ષયપાત્ર, ભિક્ષાપાત્ર અમે !

 

(૨)

સ્વ-ઓળખ,

નિજધામને ઓરડે,

આનંદ સમૃદ્ધિની

પૂજા એ જ સ્વ ઓળખ,

આળસ વગર વહેતા વહેતા

થતા વિસ્તારનું નામ

સ્વ-ઓળખ.

પ્રયત્નપૂર્વક પામવાનું નહીં,

પણ જે પડેલું છે તેને પામીને

પરમને ચરણે ધરી દેવાની

પ્રસાદ પૂજાનું નામ

સ્વ-ઓળખ !

 

તું શ્રેષ્ઠ, શૂન્ય અમે !

 

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

મને સપનું આવ્યું – સુરેશ દલાલ

મને સપનું આવ્યું

કે હું જંગલમાં રઝળપાટ કરું છું.

સમયની પારના કોઈક સમયમાં હું ફરી રહ્યો છું:

અડીખમ વૃક્ષ :

લીલાંછમ પાંદડાં, સોનેરી ફૂલ.

આંખને પાગલ કરીને ઘાયલ કરી મૂકે એવું

કોઈ શાશ્વત સૌંદર્ય.

કોઈક પશુ મારી નિકટ આવે છે :

હું ભયથી થથરું છું;

એ મને નિર્ભય થઈ જવાની વાત કરે છે.

હું ભયને છુપાવીને

નિર્ભય થયો હોઉં એવો દેખાવ કરું છું.

 .

વિકરાળ પશુ અત્યંત નજાકતથી

મારી આંખ સામે જુએ છે.

હું એની આંખમાં આંખ પરોવું છું

અને મને પ્રતીતિ થાય છે

કે મરણથી છૂટવાનો કોઈ આરો નથી.

 .

હું થઈ જાઉં છું બટકણું વૃક્ષ :

પાંદડાં અને ફૂલો ખરી પડ્યાં છે

મારા સ્વપ્નની જેમ.

જાગીને જોઉં છું તો

મારી પથારીમાં જીવન કણસે છે

અને સૌંદર્ય આક્રંદે છે.

હું પડખું ફરીને

ફરી પાછો સૂઈ જવાનો પ્રયત્ન કરું છું:

કાનમાં આવેલાં આંસુને પાંપણથી લૂછી નાખું છું.

 .

( સુરેશ દલાલ )

વૈરાગ્ય – પ્રીતમ લખલાણી

ઓફિસે જવાની ચિંતામાં

ઉતાવળે બાલ્કનીમાં ઊભા

તમે બ્રશ કરતા હો

ને

રણકતી ફોનની ઘંટડી

સમાચાર આપે કે

પરોઢે

સૂર્ય ઊગવાના

કોડ જોતી મારી આંખ

સદા માટે બિડાઈ ગઈ.

હે દોસ્તો !

તમારા ભરચક કાર્યક્રમમાંથી

થોડોક સમય કાઢી

મારા શબને

વીજળીને બદલે

લાકડાની ચિતામાં બાળજો.

સ્મશાનને બાંકડે

બીડી ફૂંકતા

તમે બે ઘડી

વિચારી શકો

કે

માણસે

ધુમાડો થવા

આખી જિંદગી

કેટલી દોડધામ કરવી પડે છે !!!

 .

( પ્રીતમ લખલાણી )

કવિતામાં કશુંક – સુરેશ દલાલ

કવિતામાં કશુંક ન સમજાય એવું

હોવું જોઈએ

-માણસની જેમ.

બધું જ સમજાઈ જાય છે

પછી

કોઈ રહસ્ય નથી રહેતું.

 .

કિનારો અને સમુદ્ર

હંમેશાં એકમેકની સંગતમાં હોય છે

છતાં પણ

સમુદ્રના પ્રત્યેક મોજાને

સમજવાનો દાવો ખુદ સમુદ્ર પણ ન કરી શકે

તો પછી બાપડા કિનારાની તો વાત જ શી ?

કિનારો પણ એવી પાળ બાંધીને

બેસી ગયો છે

કે એ પોતાને પણ ઓળંગી શકતો નથી.

પછી બીજાને ઓળંગવાની તો વાત જ ક્યાં ?

 .

મારે કશું જ સમજવું નથી.

કેવળ જીવવું છે-

અનંત રહસ્ય સાથે.

 .

( સુરેશ દલાલ )

મા એટલે…(છઠ્ઠી માસિક શ્રદ્ધાંજલિ)

p9040337-web

(23/08/1938 – 25/12/2012)
Statue of Liberty-USA

ओ माँ

 .

बचपन में

तुमने ही कहा था

अच्छे लोग गुजर जाने पर

तारा बन जाते हैं…

अपने सारे अतीत

को पीछे छोड कर

आज तुम खुद

तारा बन गई हो…!

अतीत की यादों के झरोखों

में

तुम्हारी गायी….

लोरी

आज भी

दुनिया के दिये जख्मों पर

पूस की ठंडी बयार की

फूँक सी लगती है…..!

बहुत रात गये

खिडकी भर अंधेरे में

चौंक कर जब नींद

से जाग जाता हूँ

तब

छत पर फैले

आसमान में तुम्हारे नाम का

तारा ढूंढ लेना

भूलता नहीं हूँ

आज भी….

 .

( दीपक भास्कर जोशी )

 

તું અને હું – મધુમતી મહેતા

શબ્દની ગહેરાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

તેજની તનહાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

 .

કંટકોનાં રાજ્ય છે ને શૂળના ત્યાં કાયદાઓ,

ફૂલની રુસવાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

 .

વાત લઈને વાયરાઓ વાય છે ચારે દિશામાં,

વાતની વડવાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

 .

ના મળ્યાં પળની પછીતે કે પ્રલયના અંધકારે,

પ્રેમની પરછાંઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

 .

જ્યાં નથી પડઘો કે પડછાયો કે ભણકારો હવામાં,

સ્તબ્ધતાની ખાઈમાંથી નીકળ્યાં છે તું અને હું

 .

આજ કિસા ગૌતમીની શોધ પૂરી થઈ ગઈ છે,

એક ચપટી રાઈમાંથી નીકળ્યાં છે તું અને હું.

 .

( મધુમતી મહેતા )

આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ? – સાવિત્રી (એક અધ્યયન) – જગદીશ વ્યાસ

મિત્રો, આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ?

Savitri

કથા તંતુ

‘સાવિત્રી’ની સમગ્ર કથા મહાભારતના આરણ્યક પર્વમાં ૨૪૮ અધ્યાયથી શરૂ થાય છે.

 .

સંતાન વિહોણો રાજવી અશ્વપતિ અઢાર વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે. તપશ્ચર્યાને અંતે ભગવતી સાવિત્રી દેવી પ્રસન્ન થઈ વરદાન આપે છે કે તેને ત્યાં અદ્વિતિય પુત્રી થશે. સાવિત્રી દેવીના વરદાનથી પ્રાપ્ત થયેલી પુત્રીનું નામ પણ સાવિત્રી રાખવામાં આવે છે. સત્યવાનના અલ્પાયુષ્યને જાણવા છતાં તે તેને જ જીવનસાથી તરીકે પસંદ કરે છે. લગ્ન પછી એક જ વર્ષમાં મૃત્યુ જેના ભાવિમાં છે એવા સત્યવાનને વરેલી સાવિત્રી, અશ્વપતિ રાજાની પુત્રી યમ ઉપર વિજય મેળવી એની પાસેથી સત્યવાન પાછો મેળવે છે. આ સમગ્ર કથાતંતુને ગૂંથીને શ્રી અરવિંદે તેમની અમર ‘સાવિત્રી’ રચી છે.

 .

સાવિત્રી આંકડાશાસ્ત્રમાં

‘સાવિત્રી’ ૮૧૬ પાનાનો ગ્રંથ છે.

‘સાવિત્રી’માં ૧૨ પર્વ છે.

‘સાવિત્રી’માં ૪૯ સર્ગ છે.

‘સાવિત્રી’માં ૪૯માંથી ૨૨ સર્ગ એકલા અશ્વપતિની યાત્રાના છે. એટલે કે ૮૧૬માંથી ૩૭૦ પાનાં માત્ર અશ્વપતિને ફાળવ્યાં છે.

‘સાવિત્રી’માં ૨૩૮૬૪ પંક્તિઓ છે.

બરાબર ૩૬૫મી પંક્તિએ સત્યવાનનું મૃત્યુ થાય છે.

સાવિત્રીનું ટાઈટલ ૨૪ અક્ષરોનું બનેલું છે.

શ્રી અરવિંદે સાવિત્રીનું પાંચ વખત પ્રૂફરીડિંગ કરેલું છે.

સાવિત્રીની કેટલીક પંક્તિઓ ૧૧ વખત મઠારવામાં આવી છે.

૪૦૦ પંક્તિઓ એવી છે જે શ્રી અરવિંદે એકીસપાટે ઉતરાવી છે.

૧૬૪૬માં ‘સાવિત્રી’ પર ૪૬૦ ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું.

સાવિત્રીમાં ૭ પ્રકારનાં અજ્ઞાનની ચર્ચા થઈ છે.

 .

સાવિત્રી શું નથી ?

(૧) સાવિત્રી મહાકાવ્ય સામાન્ય અર્થમાં જેને સાહિત્યકૃતિ તરીકે ઓળખવામાં આવે છે તેવી કોઈ સાહિત્યકૃતિ નથી.

(૨) મહાકવિ શ્રી અરવિંદનો કેવળ કલ્પનાવિહાર નથી.

(૩) મનોમય ચેતનાના સ્તરે સર્જાયેલી કોઈ કવિતા માત્ર નથી.

(૪) શબ્દોની સુમેળભરી લયબદ્ધ રચનામાત્ર નથી.

.

શ્રી અરવિંદ અને રાજા અશ્વપતિ

એક તફાવત

‘સાવિત્રી’ મહાકાવ્યનો અભ્યાસ કરતી વખતે શ્રી અરવિંદ અને રાજા અશ્વપતિ વચ્ચેનો તફાવત સમજી લેવો ખૂબ જરૂરી છે. આ અંગે ટૂંકમાં ત્રણ મુદ્દા યાદ રાખવા જેવા છે.

(૧) ‘સાવિત્રી’ મહાકાવ્યમાં ‘અશ્વપતિ’ નામ સતત આવ્યા કરે છે. ‘સાવિત્રી’ ઉપર લખાયેલાં લગભગ તમામ પુસ્તકોમાં આ શબ્દપ્રયોગ થતો રહ્યો છે. અને હવે તો તેમ કરવું એક પરંપરા થઈ ગઈ છે. સામાન્ય વાચકો પરંપરાને સત્ય તરીકે સ્વીકારતા થઈ જાય છે.

(૨) વાસ્તવમાં અશ્વપતિની જગ્યાએ શ્રી અરવિંદ એક વંચાવું જોઈએ. અશ્વપતિ શબ્દપ્રયોગનો અભ્યાસ આપણને સતત પ્રાચીન વાર્તા તરફ લઈ જાય છે. ખરા અર્થમાં મહાકાવ્યનો પહેલો અર્ધો ભાગ અને એક મહાન ભાવિના પાયા નાખવાની મથામણરૂપે આલેખાયો છે. અશ્વપતિ ભૂતકાળની દંતકથાનું પાત્ર છે. જ્યારે શ્રી અરવિંદ માનવીના મહાન ભાવિનું પ્રતીક છે.

(૩) અશ્વપતિ એ વાર્તાનું એકમાત્ર પાત્ર છે જ્યારે શ્રી અરવિંદે સાવિત્રીમાં પોતાની નક્કર આધ્યાત્મિક અનુભૂતિનું વર્ણન કર્યું છે. તે તેમના અનુભવો અથવા તેમની આત્મકથા છે. આમ શ્રી અરવિંદ અશ્વપતિ કરતાં વિશેષ એવી બાબત છે જેનું વર્ણન થઈ શકે એમ નથી.

.

મહાકાવ્યનાં પ્રતીકો અને પાત્રસૃષ્ટિ

સાવિત્રી:

મહાકાવ્યમાં સાવિત્રી જગદંબાના અવતારનું પ્રતીક છે. પ્રકાશ અને જ્ઞાનની દેવી છે. અને તે સત્યવાનને મૃત્યુના સકંજામાંથી મુક્ત કરવા અને વિશ્વને દિવ્ય જીવન બક્ષવા અવતાર લે છે.

 .

સત્યવાન :

સાવિત્રીનો પતિ છે. તેનો આત્મા મૃત્યુલોકમાં અવતરે છે. તે જગત આત્માનું પ્રતીક છે.

 .

અશ્વપતિ :

સાવિત્રીનો પિતા છે. તે સમગ્ર માનવ સમાજનો પ્રતિનિધિ છે. તે મા ભગવતીને પ્રસન્ન કરે છે. તે પૃથ્વી પર દિવ્ય જીવન અવતરે તે માટે અંધકારનાં પરિબળો સામે લડે છે. તે યોદ્ધાનું પ્રતીક છે.

 .

રાણી:

રાજા અશ્વપતિની પત્ની અને ‘સાવિત્રી’ની માતા છે. તે સામાન્ય સ્ત્રીનું પ્રતીક છે. મહાભારતમાં તેનું નામ માલવી છે. સાવિત્રી મહાકાવ્યમાં તેનું નામ નથી.

 .

નારદ :

ત્રિકાલજ્ઞ નારદમુનિ, સાવિત્રી અને સાવિત્રીની માતાને અલગ અલગ રીતે અસર પહોંચાડે છે. તે સાવિત્રીના તેજસ્વી ધ્યેયને આકારબદ્ધ કરી આપે છે. પ્રેમની શક્તિ મારફતે અજ્ઞાન પર વિજય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને ક્રિયાવંત કરે છે. નારદ ટીખળનું પાત્ર નથી.

 .

દ્યુમત્સેન :

સત્યવાનનો પિતા છે. સાલ્વા દેશનો રાજવી છે. તેનું રાજ છીનવી લેવામાં આવ્યું છે. તે અંધાપો ભોગવે છે. તે માનવ અંધકારનું પ્રતીક છે. તે માનવ મનનું પ્રતીક છે.

 .

રાણી :

સત્યવાનની માતા અને સાવિત્રીના સાસુ છે. તે પણ અંધાપો ભોગવે છે.

 .

યમદેવ :

ભારતીય સંસ્કૃતિમાં યમને પણ દેવ ગણવામાં આવ્યા છે. યમ માત્ર મૃત્યુનું પ્રતીક નથી, અજ્ઞાનતા, અંધકાર અને દિવ્યતા સામે લડનારું કોઈ પણ તત્વ યમ છે. યમદેવનું બીજું નામ ધર્મરાજા છે.

 .

‘સાવિત્રી’ મહાકાવ્યમાં જુદી જુદી ઋતુઓનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. શ્રી અરવિંદને વસંત ઋતુ ઘણી ગમતી હતી. આ બધી ઋતુઓ પણ પ્રતીક છે.

 .

ઉનાળો : પૃથ્વીની અભીપ્સાનું પ્રતીક છે.

 .

ચોમાસું : સ્વર્ગમાંથી ઊતરતું વરદાન.

 .

વચગાળાની મોસમ : વિકાસની પ્રક્રિયાનું પ્રતીક છે.

 .

વસંત ઋતુ : ફળ અથવા નવા બાળકના જન્મનું પ્રતીક

 .

સાવિત્રી (એક અધ્યયન) – જગદીશ વ્યાસ

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર

પૃષ્ઠ : ૧૩૮

કિંમત : ૧૦૦/-

પ્રથમ આવૃત્તિ : ૨૦૦૧, પુન:મુદ્રણ : ૨૦૦૩

વાણી પછીનું મૌન – સુરેશ દલાલ

વાણી પછીનું મૌન

મને ડાળી પરના ગુલાબ જેટલું

સુંદર લાગ્યું.

 .

પથ્થરમાંથી પ્રકટતું ઝરણ

મને વૈશાખી મોગરા જેટલું

મ્હેકતું લાગ્યું.

 .

તારા સાન્નિધ્યને કારણે જ

કાદચ, આ બધું સુંદર લાગતું હશે.

 .

તારા સાન્નિધ્યમાં

મને એમ થયા કરે છે

કે હું વૃક્ષ થઈને ઊગી શકું છું

પંખી થઈને ઊડી શકું છું

સાંજની શીતળ હવા થઈને

પર્વતના ખભા પંપાળી શકું છું

અને નદી થઈને વહી શકું છું.

 .

તારું સાન્નિધ્ય સ્વયમ સૌંદર્ય

સૌંદર્ય એકલું હોય છે

કદીયે એકલવાયું નથી હોતું.

 .

( સુરેશ દલાલ )

સાંજને સમયે – સુરેશ દલાલ

હું સાંજને સમયે

મારા જ ઘૂઘવતા દરિયાની પાસે

મારા જ અડીખમ ખડક પર બેસીને

આંખ મીંચીને પ્રાર્થના કરું છું,

બંધ આંખે શોધું છું

મારો પોતાનો પરમેશ્વર.

મારે બુદ્ધને બાળી નાખવા છે

મારે કૃષ્ણને કાળી યમુનાની અંદર

કાયમને માટે પધરાવી દેવા છે.

મને ઉછીના ઈશ્વર જોઈતા નથી

બંધ આંખે જ્યારે

મને મારો ઈશ્વર મળશે

ત્યારે જ

મારા આકાશમાં સૂર્યોદય થશે.

 .

( સુરેશ દલાલ )