રઝળપાટ માટે – એસ. એસ. રાહી

.

અરણ્યોમાં તરસ્યું હરણ ના મળ્યું

અને કોતરોમાં ઝરણ ના મળ્યું.

 .

પ્રણયગ્રંથ ઉથલાવી નાખ્યો છતાં,

હૃદયસ્પર્શી કો’ અવતરણ ના મળ્યું.

 .

પુરાણા હરીફોએ ચાહ્યો મને,

નવા દોસ્તોનું શરણ ના મળ્યું.

.

હું મેળામાં અમથો ગયો તે છતાં,

મને કેમ એકેય જણ ના મળ્યું.

.

મને ‘રાહી’ હોવાનો અફસોસ છે,

રઝળપાટ માટેય રણ ના મળ્યું.

 .

( એસ. એસ. રાહી )

…કોણ, કોનામાં ? – વિશાલ જોષી

.

હવે તો મન ભરીને મન કહેતું : “કોણ, કોનામાં ?”

જુદી રીતે જુદાઈને સહેતું, કોણ કોનામાં ?

 .

થયું લ્યો, આગમન એનું અને આ ઘર કહી ઊઠ્યું :

નવું લાગે બધું શાને, રહેતું કોણ, કોનામાં ?

 .

નજાકત આપણા સંબંધની ફૂલો સરીખી છે,

મહેકે છે સુગંધી શ્વાસ લેતું કોણ, કોનામાં ?

 .

રડી છે માછલી આજે અને એ જાય બે કાંઠે,

નદી ખુદ એ વિચારે કે વહેતું કોણ, કોનામાં ?

 .

લખો પથ્થર ઉપર એ નામને પ્હોંચાય દરિયાપાર,

ન જાણે ‘સ્નેહ’ બાંધે રામસેતુ કોણ, કોનામાં ?

 .

( વિશાલ જોષી )

કામમાં આવ્યો – ગૌરાંગ ઠાકર

.

ગઝલ લખવાનો જીવનમાં અનુભવ કામમાં આવ્યો,

મને હું જાણવા લાગ્યો અને ભવ કામમાં આવ્યો.

 .

મને ત્યારે જ લાગ્યું દોસ્ત રાઘવ કામમાં આવ્યો,

જગતમાં જે ઘડી માનવ ને માનવ કામમાં આવ્યો.

 .

હવા નિષ્ફળ ગઈ સાંકળ ઉઘાડી નાખવામાં… પણ,

અમારા ઘરનાં ખાલીપાને પગરવ કામમાં આવ્યો.

 .

ઊભા છે આમ તો રસ્તાને રસ્તો દઈને રસ્તામાં,

છતાં રસ્તાને એ વૃક્ષોનો પાલવ કામમાં આવ્યો.

 .

હું પડછાયાને મારા પ્રેમનો પ્રસ્તાવ આપું ત્યાં,

ખરા ટાણે મને ભીતરનો વૈભવ કામમાં આવ્યો.

 .

અમે આદમનાં વંશજ સ્વર્ગમાંથી છો ધકેલાયા,

જગત માણી લીધું તારું પરાભવ કામમાં આવ્યો.

 .

( ગૌરાંગ ઠાકર )

તારા પ્રેમપત્રો વાંચું છું – સુરેશ દલાલ

.

તારા પ્રેમપત્રો વાંચું છું

મરેલા માણસની કુંડળીને

જ્યોતિષી વાંચતો હોય, એમ !

 .

હંસની પાંખ થઈને આવેલા કાગળોનું

હવે કશુંય મહત્વ નથી

તો પછી કયા મમત્વથી પ્રેરાઈને

સ્મૃતિના કબ્રસ્તાનમાં

હું આવી પહોંચ્યો છું ?

લાગણી નથી હોતી

ત્યારે જ માણસ લાગણીનું પૃથક્કરણ કરે છે.

ફાટી ગયેલું એક એક પરબીડિયું

સ્મૃતિની રઝળતી કબર છે.

અક્ષરોના મ્યુઝિયમમાં

અટવાય છે આંખ.

 .

કવર પરનું મારું નામ

મારું સરનામું

આ બધું જ જો એકાએક બદલાઈ જાય

ભૂતકાળ જો સુખની ક્ષણની જેમ કાયમ માટે અલોપ

થઈ જાય

તો

કદાચ થાય મારો પુનર્જન્મ.

પ્રેમ વિનાની સ્મૃતિને સાચવી રાખવી

એ વેશ્યાવૃત્તિને માંડવે લઈ જવા જેવી વાત છે.

 .

મારા નવા જન્મમાં

બારખડી શીખતી વખતે

હું કોઈ દિવસ પૂછીશ નહીં

કે પ્રેમ એટલે શું ?

 .

મને ખબર છે

કે પ્રેમ એટલે બે માણસો મળે તે

પ્રેમ એટલે બે માણસો

એકમેકને ગળે પડે તે.

પ્રેમ એટલે થોડીક પ્રતીક્ષા, થોડાક પત્રો,

કેવળ વાતો, કેવળ શબ્દો, થોડાંક સપનાં,

પ્રેમ એટલે હોટેલનું ટેબલ-

સામસામી પડેલી બે ખાલી ખુરશી,

કોઈક ખૂણે કામુક આલિંગનો,

થોડીક થ્રિલ, પૂરો થતો શો,

ફરી પાછી ફૂટપાથ

પ્રેમ એટલે થોડાંક સપનાં, અઢળક ભ્રમણા !

 .

વૈયક્તિક પ્રેમની પ્રતીક્ષાના

બધા જ ઝરૂખા કેમ નંદવાયેલા હોય છે ?

લખાયેલા પત્રો

અંતે તો ભૂતકાળની નિર્જન ગલીઓ છે.

આ ગલીઓમાં

ક્યારેક લાઉડ-સ્પીકર્સ મુકાયાં હશે,

રંગીન પરપોટાનાં તોરણો બંધાયાં હશે.

મારે તો ગલીની બહાર નીકળવું છે.

હતો, છે અને હશેની બહર નીકળવું છે.

જ્ઞાનીઓ કહ્યા કરે છે

કે મારે બહાર નીકળવું હોય

તો ભીતરમાં જવું જોઈએ.

 .

હમણાં તો

મારી ભીતર એક આખું નગર સળગ્યા કરે છે

એની અગ્નિજ્વાળાઓ મને પળેપળે વળગ્યા કરે છે.

 .

ટાઢક અને શાતા

બુદ્ધની મીંચાયેલી આંખમાં છે

અને મારી આંખોને તો

નહીં મીંચાવાનો શાપ છે.

.

અગ્નિજ્વાળાની દીવાલોથી વીંટળાયેલો હું

જાણે કે સ્મશાનમાં બેસીને

યશોધરાના પ્રેમપત્રો વાંચું છું.

 .

મરેલા માણસની કુંડળીને

જ્યોતિષી વાંચતો હોય, એમ !

 .

( સુરેશ દલાલ )

મળ્યા છે દિવસો – દિનેશ ડોંગરે “નાદાન”

.

મળ્યા છે દિવસો અમને નિરંતર ભાગવા માટે,

અને રાતો ગણીને તારલાઓ જાગવા માટે.

.

ઉદાસી બારસાખે બાંધવા માંડી છે તોરણિયાં,

ફરીથી રાગ મારી અવદશાનો રાગવા માટે.

 .

તમે વરદાનમાં એક જ કૃપાઓ એમ વરસાવી,

હવે તો હાથ પણ ઊઠતા નથી કૈં માગવા માટે.

 .

બધાં જોખમ ઉઠાવીને અમે ડૂબકી લગાવી છે,

હવે ઊંડાણ દરિયાનું ફરીથી તાગવા માટે.

 .

જશું અંધારમાંથી નીકળી અંધારમાં “નાદાન”

અને આ માર્ગ પથરાળો ચરણને વાગવા માટે.

 .

( દિનેશ ડોંગરે “નાદાન”)

કહો તો બારણાં ખોલું ! – મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’

.

જળાશયમાં તરે ઉંબર, કહો તો બારણાં ખોલું !

નિહાળ્યું સ્વપ્નમાં સરવર, કહો તો બારણાં ખોલું !

 .

ઘણાંયે પૂજવા મંદિર ગયા છે એ ખબર જાણી,

અહીં આવી ચડ્યા ઈશ્વર, કહો તો બારણાં ખોલું !

 .

હવાનો હાથ ઝાલીને સુગંધી ફૂલ પણ આવ્યાં,

થયો છે આંગણે અવસર, કહો તો બારણાં ખોલું !

 .

અહો આશ્ચર્યથી લોકો કરે છે વાત ફળિયામાં,

થવાનું છે કશું નવતર, કહો તો બારણાં ખોલું !

 .

હૃદયથી પ્રાર્થના કરતાં, ફળી છે તત્ક્ષણે ‘મરમી’,

પુરાવાઓ મળે નક્કર, કહો તો બારણાં ખોલું !

 .

( મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’)

અગિયાર લઘુકાવ્યો

(૧)

પ્હાડ પર

ઊગ્યા છે ઝાડ

કુહાડી

કટકા કરે છે

છાંયડાના.

 .

( કિશોર શાહ )

 .

(૨)

મેં જેને આખું ને આખું આકાશ આપ્યું

એણે મારી પાંખોને કાપી નાખી.

ચલો, હવે મિત્રને છોડીને

દુશ્મનના શરણે જઈએ.

મેં જેને આખો ને આખો સમુદ્ર આપ્યો

એણે મારી હોડીને હડધૂત કરી.

ચલો, હવે….

 .

( સુરેશ દલાલ )

 .

(૩)

મરી ગયેલા

પતંગિયાનું

પોસ્ટમોર્ટમ

કરવાનું જાણી

પુષ્પો રડી પડ્યાં.

 .

( ધનસુખલાલ પારેખ )

 .

(૪)

વર્તમાન

પોતાનો ચહેરો

અરીસામાં જુએ તે પહેલાં

અરીસાએ પોતાની પીઠ ફેરવી લીધી.

 .

( જગદીશ ઉપાધ્યાય )

 .

(૫)

તારામાં અને મારામાં

ફરક માત્ર આટલો જ:

તું જેને સ્મૃતિ કહે છે

હું એને જખમ કહું છું

 .

( સુરેશ દલાલ )

 .

(૬)

આંખમાં સંતાડેલા વાદળ

આમ

છડેચોક

ખુલ્લા તડકામાં

વરસી પડશે

એની

મને પણ

ક્યાં ખબર હતી ?

 .

( પન્ના નાયક )

 .

(૭)

મોરના

કેકારવનો

પડઘો અર્થાત

ઈન્દ્રધનુ !

.

(રમેશ પટેલ )

 .

(૮)

કોઈના

ટાઈમટેબલના ખાનામાં

ગોઠવાઈ જવાના

પ્રયત્નમાં જ

હું

ફેંકાઈ ગઈ છું

ટાઈમટેબલની બહાર…

 .

( પન્ના નાયક )

 .

(૯)

કઠિયારાને

ખૂબ ગમે છે વૃક્ષો

એની કુહાડીના

હાથા કરતાં પણ…

 .

( કિશોર શાહ )

 .

(૧૦)

તારી

પ્રેમ કરવાની રીત

મને ગમે છે.

મારી રાતને

અજંપો આપીને

મારા દિવસને

તટસ્થ કરવાનું

સૂઝે છે તને….

 .

( પન્ના નાયક )

 .

(૧૧)

એક વિરાટ રંગમંચ પર

ઘેરાયેલો ઊભો છું હું

પ્રતીક્ષા કરતો:

ક્યારે પડદો ઊપડે ?

એક રંગમંચ પર

એકલો ઊભો છું હું

પ્રતીક્ષા કરતો

ક્યારે પડદો પડે ?

 .

( કિશોર શાહ )

અજંપો – તુરાબ ‘હમદમ’

.

નથી એ ચપટી નગરનો અજંપો,

મને રોજ પીડે છે ઘરનો અજંપો.

 .

રડે નહીં કદી આમ ઝાકળના રૂપે

હશે રાતને રાતભરનો અજંપો.

 .

નથી જંપ હોતો કદી ઓસરીને

સતત કોરી ખાએ ઉંબરનો અજંપો.

 .

લીલોછમ્મ લાગું ભલે બહારથી હું,

મને રોજ ડંખે ભીતરનો અજંપો.

 .

પીળા એટલે થઈ ગયા પાન લીલા

ઝળૂંબે સતત પાનખરનો અજંપો.

 .

( તુરાબ ‘હમદમ’ )

હું ગૌતમ નથી – ખ્યાલીલુર રહેમાન આઝમી

.

હું ગૌતમ નથી

પણ જ્યારે હું મારા ઘરની બહાર નીકળ્યો

ત્યારે મને હતું

કે હું મારો પોતાનો તાગ લઈશ-

હું પણ વૃક્ષની છાયામાં બેસીશ

મારા પર પણ પ્રબુદ્ધત્વનો ઉદય થશે

 .

પણ મારી સાથે

શરીરની આગ સળગતી હતી

ઘરની બહાર પવન સખત ફૂંકાતો હતો

જ્વાળાઓ વધુ ને વધુ તેજ થતી હતો

અને પ્રત્યેક વૃક્ષ બળી બળીને ખાખ થઈ ગયું

હવે હું વનમાં એકલો

માત્ર મારા પડછાયા સાથે

અને પડછાયાના પણ પડછાયા સાથે ભમું છું

ચારેબાજુ નરી શૂન્યતા છવાઈ ગઈ છે

 .

( ખ્યાલીલુર રહેમાન આઝમી, અનુ. સુરેશ દલાલ )

 .

મૂળ રચના : ઉર્દૂ

સાંભરણ તે ક્યાં ગયા – જગદીશ ઉપાધ્યાય

.

વૃક્ષ લીલું, હીંચકો ને બાળપણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

ધૂળવંતા રાજવી ને રાજવણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

કોઈ વેળા બાગમાં જઈ સાવ અમથું એક લીલું પાંદડું તોડી અને

ફૂલને છંછેડવાના ગાંડપણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

હું થતો માયુસ જ્યારે, થૈ જતા પંખી સહુ સૂનાં તમારા બાગમાં

નીર જેવા પારદર્શક આવરણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

સાદ સામે ઓટલેથી કોઈ દેતું, ‘કેમ દેખાતો નથી ? દિવસો થયા’

એ ટહુકો, એ રસમ, એ સાંભરણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

ના વળે અંધાર ઘેરી દીપ તેથી એક જલતો રાખવા કાજે સતત

ગામ, શેરીમાં થતા જે જાગરણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

( જગદીશ ઉપાધ્યાય )