મૂંઝવણ-પન્ના નાયક

મેં મારો એક ખૂણો પસંદ કરી લીધો છે.
કદાચ આ ખૂણાને કારણે જ હું
વધુ ને વધુ એકલી થતી જાઉં છું.
અને છતાંય
ફરી ફરી કહું છું
કે
મેં મારો એક ખૂણો
પસંદ કરી લીધો છે.
આ ખૂણામાંથી મને અત્યારે તો દેખાય છે
આરસમઢ્યાં પગથિયાં.
પગથિયાંની એક પાર
કાચના દરવાજા
બીજી પાર
સજાવટનો એક ભાગ હોય તેવાં
ખજૂરીનાં ઝાડ
હું કાચના દરવાજાને જોઉં છું
અને ઝાડને પણ.
ખૂણામાં બેઠાં બેઠાં
હું
મનોમન
કોઈક એક પગથિયા પર
ઊભી રહું છું.
મને ખબર નથી
કે
કાચની પેલે પાર
મારા જીવનનો
કોઈ નવો પ્રારંભ હશે
કે
ખજૂરીનાં ઝાડ સાથે
સ્વાભાવિક રીતે જ સંકળાયેલું
રણ હશે ?

( પન્ના નાયક )

…શરુ કર્યું છે-દિવ્યા સોની “દિવ્યતા”

દોડવાની તકલીફ પડતાં જ, મેં ચાલવાનું શરુ કર્યું છે;
વગર હિસાબે વેડફાતી જિંદગી માપવાનું શરુ કર્યું છે !

મશ્કરીઓમાં જે વેડફી, તક ફરી પામવાનું શરુ કર્યું છે,
જાત અનુભવે પકવેલી સલાહ મેં આપવાનું શરુ કર્યું છે.

ઘણું ઘુટ્યું તારું, હવે નામ મારું જ લખવાનું શરુ કર્યું છે,
અનમોલ દર્દ મારું મેં મારા સુધી જ રાખવાનું શરુ કર્યુ છે.

સાંકડા-મન વહેવારો મોકળાશથી શાખવાનું શરુ કર્યું છે,
છૂટે દુનિયા, પણ સિદ્ધાંતે મારા જ જીવવાનું શરુ કર્યું છે.

કળયુગમાં મૃત્યુએ આ માથે આવી નાચવાનું શરુ કર્યું છે,
જોઈશે જ એ અર્થી મેં આજથી શણગારવાનું શરુ કર્યું છે.

(દિવ્યા સોની “દિવ્યતા”)

ન વીજ ચમકી-જયા મહેતા

ન વીજ ચમકી
ન ગડગડાટ થયા
ન પવન ફૂંકાયો
ન વરસ્યું આકાશ સાંબેલાધાર
ને તોયે તણાઈ ગયું વિશ્વ આખું ? !
અહીં ત્યાં સર્વત્ર બધું
ઉજ્જડ વેરાન.
ઝૂલતી ખુરશી પડી છે
સ્થિર
ખાલીખમ
તાકી રહી છે ચાર આંખો
કોરીધાકોર
સૂમસામ ઓરડા.
ઘર જાણે
આખેઆખું ઊભું ઊભું જ
સુકાઈ ગયેલું ઝાડ !

( જયા મહેતા )

-નહીં-સોનલ પરીખ

૧.
બધે બધે ને કશે નહીં
સગડ ક્યાંય પણ હશે નહીં
હૃદય બધાનું થઈ જશે
તોય કોઈનું થશે નહીં

શીખવું તો બસ એક જ આ
હોવું ને ન પણ હોવું
પ્રેમ કરી લેવો પૂરો ને
હળવેથી છોડી જોવું
આકાશ કોઈ આકાર નથી
વાદળની મુઠ્ઠી થશે નહીં.

અંત વગરની સફરનો આ
નાનો શો એક પડાવ ફક્ત
ઈચ્છાઓનો આ ભાર લઈને
દોડ શાને જીવ સતત
આવીને જે આવ્યું નહોતું
તે જઈ જઈને પણ જશે નહીં.

૨.
મૃત્યુ એટલે
દેહની દીવાલ તૂટવી
અને
અંદરના ને
બહારના આકાશનું
એક થઈ જવું.

( સોનલ પરીખ )

ધૂળનો અર્થ-કરસનદાસ લુહાર

વિસ્મયનો રોપ આંખથી નિર્મૂળ થૈ ગયો,
ને ધૂળનો જ અર્થ પછી ધૂળ થૈ ગયો.

એવી ફૂટી સુગંધના સંદર્ભને અણી;
પર્યાયે ફૂલનો હવે તો શૂળ થૈ ગયો.

ખુલ્લાણના ખયાલને જે ટૂંપતો હતો,
એ ઓરડો શેં આજ અનુકૂળ થૈ ગયો ?

જ્યારે નગર શરીર ઉપરથી સરી પડ્યું,
ત્યારે પવન એક પાતળું દુકૂળ થૈ ગયો.

અસ્તિત્વને ઉશ્કેરતું કારણ છે આટલું,
કે, શ્વાસ શ્વાસને જ પ્રતિકૂળ થૈ ગયો !

( કરસનદાસ લુહાર )

પરછાઈ-નઈમ શેખ

જિન્દગાની સાવ હરજાઈ નથી,
તું નથીનો અર્થ તનહાઈ નથી.

ભાગ્ય સામે કર્મની મારી લડત,
સ્વસ્થ સ્પર્ધા છે હરીફાઈ નથી.

તું મળે છે કેટલાં વર્ષો પછી,
કેમ માની લઉં કે મહેંગાઈ નથી.

આંખ મીંચુ તો ય હું ગબડું નહીં,
મારી આજુ-બાજુમાં ખાઈ નથી.

છે બધું સુખદ પરંતુ દુ:ખ છે,
તું નથી ને તારી પરછાઈ નથી.

( નઈમ શેખ )

હયાતી-પ્રજ્ઞા દી. વશી

દોડતો કેવો રહ્યો એ દરબદર
જિંદગી ! હાંફી રહી કારણ વગર !

ભર વસંતે એટલો મ્હોરી ઊઠું
કે પછી ફરકે નહીં કો, પાનખર.

વૃક્ષની ડાળે નિરાંતે ઝૂલતું,
ક્યાં ગયું એ માતબર લીલું નગર ?

કેદ કરવું મારે આખું વિશ્વ, પણ
દ્રષ્ટિ આપી તે ય પાછી માપસર

મન થયું બસ એટલે આવી પડી
ઘર નથી, તો કાફી છે મીઠી નજર.

ચાર ભીંતોને તમે જ્યાં ઘર કહ્યું
ત્યાં અમે જીવી લીધું બસ ઘર વગર.

મૌનના સંવાદ એવા બોલકા,
ખાલીપો મુજ થૈ ગયો બસ તરબતર.

શબ્દ સાથે હર ક્ષણે જીવી મરી,
આ હયાતી એટલે થૈ ગઈ અમર.

( પ્રજ્ઞા દી. વશી )

અંસુઅન લીલા-જગદીપ ઉપાધ્યાય

નમણી આંખો વત્તા આંસુ,
કામણગારી સત્તા આંસુ.

ચાલ પિછાણી શકો નહીં તો,
ખવડાવી દે ખત્તા આંસુ.

કૈંક ઝવેરાતોથી અદકી,
મોંઘામૂલી મત્તા આંસુ.

જુદાઈની જ્યાં વસ્તી રહેતી-
પ્રેમનગરના લત્તા આંસુ.

ડાળ ગઝલ કેરી વાસંતી,
લીલાં લીલાં પત્તા આંસુ.

( જગદીપ ઉપાધ્યાય )

વાત જ ક્યાં છે ?-કૃષ્ણ દવે

મારા જેવી એકા’દિ પણ ત્યાં લીલીછમ વાત જ ક્યાં છે ?
પથ્થર તોડીને ઉગવાની એનામાં તાકાત જ ક્યાં છે ?

એવો દાવો છે જ નહીં કે મધદરિયે ભૂલા ના પડીએ,
પણ અમને અજમાવી જુએ એવો ઝંઝાવાત જ ક્યાં છે ?

ઊગવાનું અહીં છે જ નહીં તો આથમવાની વાત જ કેવી ?
મારી છે પોતાની દુનિયા એમાં દિવસ રાત જ ક્યાં છે ?

તું દેખાડે છે જે વસ્તુ એ જ ખરું આકાશ હોય તો,
સૂરજ, ચાંદો, વાદળ, પંખી, તારાઓની ભાત જ ક્યાં છે ?

કોણ પૂછે છે અહીં પાયાને ? બધા ટોચ પાછળ ભાગે છે
મૂળ મૂકી નિરાંતે ઊગે ઉઘડે એવી જાત જ ક્યાં છે ?

ઉપરછલ્લા ઘા જીલી જીલીને હું કંટાળી ગ્યો છું
એક ઝાટકે જાય સોંસરો એવો અહીં આઘાત જ ક્યાં છે ?

( કૃષ્ણ દવે )

પાર કાઢે-ચંદ્રેશ શાહ

લાગણીની ધાર કાઢે,
તું ગજબનો સાર કાઢે !

છે જડીબુટ્ટી આ શબ્દો,
મનનો કેવો ભાર કાઢે !

રાખવું ટટ્ટર છે સર, પણ
તે ફૂલોનો હાર કાઢે !

દર્દમાંથી જો ગઝલ જન્મે,
દર્દમાંથી બહાર કાઢે !

દુશ્મનોનું ભાગ્ય તો જુઓ,
દોસ્ત ખુદ હથિયાર કાઢે !

નામ હરિનું ભજ તું ચંદ્રેશ,
ભવમાંથી એ પાર કાઢે !

( ચંદ્રેશ શાહ )