Category Archives: પ્રાર્થના

હે પ્રભુ – શૈલા પંડિત

૩.

હે પ્રભુ,

મને લાગે છે કે

હું ઉન્નત થતો જાઉં છું.

 .

પહેલાં હું કહેતો :

‘હું જોઉં તો મને શ્રદ્ધા બેસે’.

 .

હવે કહું છું :

‘મને શ્રદ્ધા બેસે તો જ હું જોઈ શકું.’

 .

હે પ્રભુ,

મને એ જ પ્રમાણે દ્રષ્ટિ  આપતો રહેજે.

 .

૪.

હે પ્રભુ,

મારી તને એક પ્રાર્થના છે.

 .

મારા સંજોગો કપરા બને

ત્યારે મારા આત્મવિશ્વાસને ડગમગાવી દે

એવો કોઈ કટુ શબ્દ

મારા મોંમાંથી નીસરી ન પડે

તે માટેનું મનોબળ

મને સતત પૂરું પાડતો રહેજે.

 .

( શૈલા પંડિત )

હે ઈશ્વર – શૈલા પંડિત

હે ઈશ્વર,

મારી સામેનો સાગર અગાધ છે,

અને, મારી નાવડી નાનકડી,

તો મારા પ્રત્યે રહેમ નજર રાખજે.

 .

૨.

હે ઈશ્વર,

મને અંધકાર રુચતો નથી.

હું સદાય ઉજાસ ઝંખું છું.

 .

અંધકાર પર ફિટકાર વરસાવવો

એ કરતાં

એક કોડિયું પેટાવવું

હજાર દરજ્જે રૂડું છે.

.

આજના દિવસને

મારી સમસ્યાના એક અંશ તરીકે નહિ,

પણ

સમસ્યાના આંશિક ઉકેલ

તરીકે નિહાળી શકું

એવી મને સૂઝ આપ.

 .

( શૈલા પંડિત )

તેં બધું જ – સુરેશ દલાલ

તેં બધું જ આપ્યું છે. જે છે એ ભલે રહે. વધુ ને વધુ કશું જોઈતું નથી. ઈશ્વર પાસે સતત માગ માગ કર્યા કરીએ એટલે પ્રાર્થના તો ભીખમંગી થઈ જાય છે. પ્રાર્થનાના શબ્દો તો સસલા જેવા સુંવાળા હોવા જોઈએ. ઈશ્વર એ શબ્દોને ખોળામાં બેસાડે, એને પંપાળે, એને લાડની ટપલી મારે – પ્રાર્થનામાં નરી ભૌતિક વાસનાઓ ભરવાથી પ્રાર્થના પથ્થર જેવી વજનદાર થઈ જશે – એ તો ડૂબી જશે તળિયે કાયમને માટે. પ્રાર્થના તો હોય મયૂરમુખી નાવ જેવી – જે ઈશ્વરનાસરોવરમાં તર્યા કરે.

 .

આ સંસારમાં ચાલવાની જવાબદારી મારી પણ અમને સંભાળવાની જવાબદારી તારી. આ વન, એનાં ઝાડીઝાંખરાં, એમાં ભમતાં હિંસક પશુઓ – આ બધાંથી તું નહીં ઉગારે તો કોણ ઉગારશે ? એવું નથી કે આ પશુઓ અમારી બહાર જ હોય છે. અમારી ભીતર પણ જે પશુ છે એને તું તારે માર્ગે વાળ – અને પશુમાંથી કંઈ નહીં તો માણસ તો બનાવ. માણસ થઈને જન્મ્યા છીએ તો કમમાં કમ અમે માણસ તરીકે તો જીવી શકીએ. અમારે નથી થવું દેવ કે નથી થવું દેવદૂત. અમે જે છીએ તે સારા છીએ. અમારે પૃથ્વી પર સ્વર્ગ નથી જોઈતું. પૃથ્વી પૃથ્વી રહે અને અમે માણસ માણસ જ રહીએ તો પણ તેં અમને અહીં જે કર્મ માટે મોકલ્યા છે એની સાર્થકતા અનુભવાય અને જિંદગી સ્વયં પ્રાર્થના થઈ જાય.

 .

( સુરેશ દલાલ )

મિથ્યા છે – કુન્દનિકા કાપડીઆ

.

[audio:http://heenaparekh.com/wp-content/uploads/2011/07/param-samipe-5.mp3|titles=param samipe 5]

.

હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરું

અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય,

તો મારું એ તપ મિથ્યા છે.

 .

હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું

અને મારાં કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ નિર્મૂળ ન થાય,

તો મારી એ પૂજા મિથ્યા છે.

 .

હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન કરું

અને મારા ચિત્તમાંથી અહંકાર અભિમાન મોટાઈનો ભાવ

નિર્મૂળ ન થાય, તો મારી ઉપાસના મિથ્યા છે.

 .

હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું

અને મારી ઈચ્છાઓ-વૃત્તિઓનું શમન ન થાય,

મારો દેહભાવ ઢીલો ન પડે,

તો મારી એ સાધના મિથ્યા છે.

 .

હે પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં

અને મારા જીવનમાં પ્રેમ કરુણા મૈત્રી આનંદ પ્રગટ ન થાય,

તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.

 .

( પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ, ઉદ્દગાર – અંકિત ત્રિવેદી )

.

[ આ પ્રાર્થના http://chhatbarashish.blogspot.com/2010/10/blog-post_22.html અને http://shivshiva.wordpress.com/2006/08/05/manan-chintan-2/ અને http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20080508/guj/supplement/d2.html બ્લોગ પર પોસ્ટ થઈ ચૂકી છે. પરંતુ શ્રાવણ માસના પ્રારંભે પ્રાસંગિક જણાતા ફરી પોસ્ટ મૂકું છું.

આ પ્રાર્થના અંકિત ત્રિવેદીના અવાજમાં સાંભળી શકાશે.]

 

એટલું તો કર – કિસ્મત કુરેશી

ભૂલ્યો હું ત્યાંથી પાછો ગણું, એટલું તો કર,

રેતી ઉપર ન ઘર હું ચણું, એટલું તો કર.

 .

દિલ મારું ગૂંચવાય છે શબ્દોની જાળમાં

મુજ દર્દ  મૌનમાં હું વણું, એટલું તો કર.

 .

મારે ક્યાં કોઈ આંખ તણી કીકી થાવું છે ?

કો’આંખનું ન માને કણું, એટલું તો કર.

 .

ઠંડે કલેજે કીધાં ઘણી લાગણીનાં ખૂન,

મારું અહમ હવે તો હણું, એટલું તો કર.

 .

પૂછે તું, ‘હા’ કહી હું ધરી દઉં છું ખાલી જામ,

એકાદ વાર ‘ના’ હું ભણું, એટલું તો કર.

.

ઊગમણું લાખ યત્ને યે किस्मतમાં ના રહ્યું,

ના ખૂંચવાય આથમણું, એટલું તો કર.

 .

( કિસ્મત કુરેશી )

તારા સિંહાસનેથી – રવીન્દ્રનાથ ટાગોર

તું તારા સિંહાસનેથી ઊતરીને મારી ઝૂંપડી પાસે આવીને ઊભો રહ્યો !

 .

એકલો એક ખૂણામાં બેઠો બેઠો હું તો મારું ગીત ગૂંજી રહ્યો હતો, અને એનો કોઈક સ્વર તારે કાને પડી ગયો હતો !

 .

-અને તું તારું સિંહાસન છોડીને; મારી ગરીબની ઝૂંપડીના દ્વારે આવીને ઊભો રહ્યો !

 .

તારા દીવાનખાનામાં મોટા મોટા ગવૈયાઓની મિજલસ જામે છે, ને અનુપમ ગીતો ત્યાં ગવાય છે, રાત અને દિવસ.

 .

પણ આ મારા અણઘડ સાદા ગીતગુંજનનો કોઈ સ્વર તારા પ્રેમતંતુને સ્પર્શી ગયો – અને તું ત્યાં આવીને ઊભો રહ્યો !

 .

દુનિયાના, નિત્ય ચાલી રહેલા મહાન સંગીતની વચ્ચે થઈને, રસળતો રસળતો તારે દ્વારે આવેલો મારો આ એક સાદો પ્રેમસ્વર તને સંભળયો, અને મારી એવી એક ફૂલની અંજલિ માટે, તું મારે આંગણે દોડ્યો આવ્યો !

 .

હે રાજાના રાજા ! ત્યારે જ મેં જાણ્યું કે તું એક જ રાજા છે, અને બીજા તમામ ભિખારીછે !

.

( રવીન્દ્રનાથ ટાગોર, ભાવાનુવાદ :ધૂમકેતુ )

ગીત ગાવા આવ્યો હતો – રવીન્દ્રનાથ ટાગોર

હું જે ગીત ગાવા આવ્યો હતો તે મારું ગીત તો હજી ગાવાનું રહી ગયું છે !

 .

મારો ઘણો સમય તો મારા વાજિંત્રના તાર મેળવવામાં જ ચાલ્યો ગયો. હજી ગીતની એ પળ મને આવી મળી નથી, હજી એ શબ્દો હૈયામાં ઊગ્યા નથી. માત્ર હૃદયમાં ઊંડું ઊંડું દર્દ છે, – પણ ન ગવાયેલાં ગીતનું !

 .

પરિમલનો ભંડાર તો અણઊઘડ્યો રહ્યોછે : માત્ર પવનની એકાદ બે લેરખીના નિ:શ્વાસ જ આવ્યા છે !

 .

મેં એ સૌન્દર્યસાગરની તો ઝાંખી પણ ક્યાં કરી છે ? કે એના શબ્દો – એમને પણ ક્યાં સાંભળ્યા છે ? કેવળ મારા ઘર પાસેથી પસારા થતા એના આછા પદધ્વનિને જ મેં ક્યારેક સાંભળ્યો છે !

 .

સારો દિવસ પસાર થવા આવ્યો છે. સંધ્યાનાં આછાં અંધારાં આ બાજુ ઢળે છે. માત્ર એની બેઠકની તૈયારીમં જ આટલો બધો વખત વીતી ગયો ! પણ હજી મારું કોડિયું પ્રગટ્યું નથી, ઘરમાં અજવાળું આવ્યું નથી. એને અંદર આવવાનું કયે મોંએ હું કહું ?

 .

કોઈક દિવસ, અનંતતાને પંથે કોઈક દિવસ, હું એને મળીશ, એ દૂર દૂરની આશામાં હું જીવું છું, પણ હજી એ ઝાંખીની પળ દેખાતી નથી !

 .

( રવીન્દ્રનાથ ટાગોર, ભાવાનુવાદ :ધૂમકેતુ )

ઝંખના – પલ્લવી શાહ

“મને ખબર છે હું મીરાં નથી અને મીરાં બનવું હોય તો મીરાં જેવું થવું પડે અને મારામાં એવી શક્તિ નથી. મને ખબર છે હું નરસૈંયો પણ નથી. જો મારે નરસૈંયો થવું હોય તો નરસૈંયા જેવું થવું પડે, અને મારામાં એવી શક્તિ નથી. મને એવી ભક્તિ આવડતી નથી, એવાં નથી ભજન આવડતાં. છતાં પણ બેસુરા રાગે હું તારાં ભજન ગાવાનો પ્રયત્ન કરું છું અને હાથમાં તંબૂરો લઈને તારા ગાન ગાવાને બદલે હાથમાં કલમ લઈને તારી પાસે માંગણીઓ મૂકે જાઉં છું. દિવસે દિવસે એ માંગણીઓ વિરાટ થતી જાય છે. મને ખબર છે જે દિવસે માંગણીઓ પૂરી થઈ જશે અને મારી પાસે માંગવા માટે કાંઈ નહિ રહે ત્યારે મારા બેસુરા રાગે ગવાયેલ મારાં ભજન આપોઆપ સુરીલાં બની જશે અને પછી મીરાં અને નરસૈંયો મારામાં આપોઆપ સમાઈ જશે.”

.

“તેં મને મનુષ્ય તરીકે જન્મ આપી તારા હસ્તાક્ષર કરી દીધા. એની મને ખુશી ખુબ છે. આજે આ દુનિયા હું તારી આંખે જોઈ રહી છું. એ દુનિયા કેટલી મોટી છે ? એમાં વસતાં માનવીઓ, વૃક્ષો, ફૂલો, ફળો, પશુઓ, પંખીઓ વગેરે જોતાં આ આંખો ધરાતી જ નથી. આટલું વિશાળ આકાશ અને એટલો જ વિશાળ દરિયો. જ્યાં પણ નજર પહોંચે ત્યાં તારી કરામત હોય જ. તેં મનુષ્ય ને જન્મ આપ્યો એમાં પણ તારી કરામત, તું તો તારા હસ્તાક્ષર કરીને છૂટી ગયો, મને જન્મ આપ્યો અને તારી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો અને મારા પર કેટકેટલી જવાબદારીઓનો બોજો નાખી દીધો છે, ખબર છે તને ? અને આ કાંઈ મારી એકલીની વાત નથી. દરેક મનુષ્ય કે જેને તેં આ ધરા ઉપર જન્મ આપ્યો છે તેની ઉપર કેટલો બોજો નાખી દીધો છે અને તું … તું ઉપર બેઠો બેઠો બધા તમાશા જોયા કરે છે. તને આ બધું જોઈને એમ પણ થતું નથી કે મારે હવે મનુષ્યને જન્મ આપવા બંધ કરવા જોઈએ ? ક્યાંથી થાય ? બોજો તો અમ મનુષ્ય એ વેંઢારાવાનો છે ને ? તારે ક્યાં કોઈ જવાબદારી છે ? આ બધી જવાબદારીઓને પૂરી કરતાં કરતાં, તારી નજદીક રહેવા, તારી સાધના કરવા સમય ફાળવવો હોય તો ફાળવી જ નથી શકાતો. છતાં પણ હું મનમાં ને મનમાં તો તને યાદ કર્યા જ કરીશ. તને ચાલશે ને ?”

.

( પલ્લવી શાહ )

કાંઈ ન માગું નાથ – સુરેશ દલાલ

ચાલવા માટે રસ્તો જોઈએ : ઝાલવા માટે નાથ

આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ !

કંઠમાં એકાદ ગીત દઈ દે

હોઠ ઉપર એક સ્મિત

આંખના મારા આંસુમાં હું

ભીંજવી દઉં પ્રીત.

દિવસ હોય કે રાત પણ મને જોઈએ તારો સાથ

આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ !

દરિયો મારે જોઈતો નથી

ઝરણું હોય તો બસ,

હું તો તારા વ્હાલમાં વ્હાલમ

થઈ જાઉં છું વશ.

આશ્લેષ અને આલિંગને સકળને લઉં બાથ

આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ !

.

( સુરેશ દલાલ )

પ્રેમ વિશે – અજ્ઞાત

[audio:http://heenaparekh.com/wp-content/uploads/2011/05/09-Track-91.mp3|titles=09 – Track 9]

.

અમે બધા પ્રેમ વિશે વાતો કરીએ છીએ, ભગવાન !

પણ આ પ્રેમ ખરેખર શું છે ?

.

એ પ્રિયજનના સાન્નિધ્યનો આનંદ છે ?

તેનાં સુખદુ:ખને પોતાનાં  ગણવાની એકરૂપતા છે ?

પોતાના પહેલાં બીજાનો ખ્યાલ કરતી કાળજી છે ?

પોતાની અંતરતમ અનુભૂતિઓમાં બીજાને સહભાગી બનાવતી શ્રદ્ધા છે ?

.

ચોક્કસ, એ સાથે માણેલી મઝાઓ

શરીરનાં સુખો અને ઉષ્માભર્યા આલિંગનો કરતાં ઘણું વધારે કંઈક છે.

એ ઊંડી સમજ અને આનંદથી ભરેલું કોઈક તત્વ છે

જે બધું હૃદય વડે પારખે છે, તર્ક વડે નહિ;

તે લે છે તેથી વધુ આપે છે,

લેવાની ઈચ્છા વગર આપે છે,

આપે છે અને યાદ રાખતો નથી.

,

તે ભય વગર પોતાનું હૃદય ખુલ્લું કરે છે

અને આક્રમક થયા વિના, અંતરનાં ઊંડાણોમાં પ્રવેશે છે.

તે એકીસાથે મૃદુ અને શક્તિશાળી હોય છે,

જીવનને તે વધુ જીવંત બનાવે છે

અને ગમે તે થાય, તજી જતો નથી.

.

પ્રેમ હોય છે ત્યારે

ઝર ઝર વહેતા ઝરણાની જેમ

જીવન વહેતું અને મધુર બની જાય છે.

તે સામાન્ય ક્ષણોને સુખથી પ્રકાશિત

અને સામાન્ય ઘટનાઓને સોનાકણી જેવી મૂલ્યવાન બનાવે છે.

.

પ્રેમમાં જે ઉત્તમ હોય તે બીજાને આપીએ છીએ

અને પોતાની પસંદગી બીજા પર ઠોકી બેસાડતાં નથી

પ્રેમમાં માગણી, આગ્રહ, જીદ નથી

કારણકે તે સામા માણસના દ્રષ્ટિબિંદુથી જોઈ શકે છે

તેથી તે પોતાની વાત મનાવવાની બળજબરી કરતો નથી.

.

પ્રેમ એટલે શ્રદ્ધા ને વિશ્વાસ

નિશ્ચલતા અને નિષ્ઠા

પ્રેમ એટલે હળવું મન અને ગીત ગાતા હોઠ

પ્રેમ એટલે હાથમાં હાથ પરોવીને ચાલવું

અને હૃદયથી હૃદય સાથે વાતો કરવી

સાથે સહન કરવું

અને સાથે પ્રાર્થના કરવી.

.

પ્રેમ સાથે ચડેલાં કપરાં ચડાણ છે

અને ઝંઝાવાતોનો કરેલો મુકાબલો છે

અને પ્રેમ એ ઈશ્વરના મુખ ભણી સાથે જોઈ

પ્રસન્નતાથી સાથે ઊંચકી લીધેલો ભાર છે.

.

અમે અમારી જાતને જ ચાહીએ ત્યારે કેદી બની રહીએ છીએ

બીજાને ચાહીએ ત્યારે અમને પાંખો ફૂટે છે

અમે અમારી જાતને જ ચાહીએ

ત્યારે અમને એટલા ઓછા ચાહીએ છીએ.

પ્રેમ અમને અમારા કૂંડાળમાંથી બહાર લઈ જાય છે

બીજાને ચાહીએ ત્યારે અમે વિશાળ બનીએ છીએ

અમારી અંદર એક ગતિનો સંચાર થાય છે

અંધકાર અજવાળામાં આંખો ખોલે છે.

.

દુનિયાની દરેક વસ્તુ, દરેક પ્રાણી, દરેક માણસ

માટીનો નાનામાં નાનો કણ પણ

સ્નેહ માટે ઝંખે છે.

.

બધા અન્યાય ને અત્યાચાર

વેરઝેર ને ધિક્કાર

શોષણ ને હિંસા

પ્રેમના અભાવમાંથી જન્મે છે.

.

અમે ખરેખર પ્રેમ કરી શકીએ, તો અમારી જાતને બદલી શકીએ

અમે પ્રેમ કરી શકીએ, તો દુનિયાનો ચહેરો બદલી શકીએ.

.

પૃથ્વી પરના દરેક સીમિત પ્રેમની પાછળ

તમારી અસીમતાનો સૂર છે.

અમે સમગ્ર હૃદયથી જ માત્ર નહિ

સમગ્ર જીવનથી પ્રેમ કરી શકીએ

તો અમે તમને પણ પામી શકીએ પ્રભુ !

.

(અજ્ઞાત)