Category Archives: વાર્તા/નવલિકા

ચાંદરણા (૮) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ એ જીવનભર પાળવાનો વહેમ પણ હોય !

 .

પ્રેમનો લય તો અભિસારિકાના પદરવમાં હોય છે !

 .

પોતામાં સંતાયેલો અજાણ્યો પુરુષ ઓચિંતો પ્રગટ થઈ જાય તે પહેલો પ્રેમ !

 .

પ્રેમનો સંકોચ ? ઊઘડેલું ફૂલ ફરી કળી થવાનો નિષ્ફળ પ્રયત્ન કરે તે !

 .

ઝરણું અને પ્રેમ, પોતે જ પોતાનો માર્ગ કરી લે છે.

 .

સામેની આંખો પ્રતિબિમ્બ ઝીલે તો કોઈ અરીસા પાસે જતું નથી.

 .

પ્રેમમાં સાત તાળી પણ સપ્તપદી થઈ જાય છે.

 .

પ્રેમ હિમાલય છે, અને પહાડ સિસોટીનો પડઘો પાડતો નથી.

 .

શુદ્ધ અંતર માટે પારદર્શક આકાશ પણ અસહ્ય બની જાય છે.

 .

પ્રેમમાં મુઠ્ઠી વાળે છે તે આંગળીના ટેરવાનો સ્પર્શ રોમાંચ ગુમાવે છે.

 .

પ્રેમ એ જળમાં વિસ્તરીને પોતે જ મટી જતું વર્તુળ છે.

 .

પ્રેમનું સૌંદર્ય અરીસાના માપનું નથી હોતું !

 .

કાંટા ખેરવી નાખ્યા વિના પ્રેમ ‘કેવડિયો’ થઈ શકે નહીં.

 .

પ્રેમ પોતે જ વાસંતી સૌંદર્ય અને મહેક હોય છે.

 .

પ્રેમ હોય ત્યાંથી જ વિસ્તરે છે, તે આવ-જા કરતો નથી !

 .

પ્રેમ એવો મહેમાન છે, જે ઘરમાલિક થઈ જાય છે !

 .

પ્રેમ હોય છે પ્રાકૃતિક, પણ તેણે સાંસ્કૃતિક થવું પડે.

 .

પાત્રો બદલાય છે ત્યારે પ્રેમ નાટક થઈ જાય છે.

 .

હિંચકો અને પ્રેમ, બે જ દિશામાં આવ-જા કરે છે !

 .

પ્રેમનું સ્મિત બીજરેખા પાસે હોય છે, પૂર્ણચંદ્ર પાસે નહીં !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૭) – રતિલાલ ‘અનિલ’

‘વિરહ’ એ ‘નિકટની દૂરતા’નું નામ છે !

 .

પ્રેમના ઈંડાનું કવચ અંદરની ચાંચથી ભેદાય, ફૂટે !

 .

પ્રેમની પ્રતિક્રિયા પણ પ્રેમ જ હોય છે !

 .

પ્રેમપત્ર પર થયેલી સહી અવાચ્ય હોય તો યે વંચાય છે.

 .

પાણી ઢોળાવે,પ્રેમ સમાન સપાટીએ સરે છે.

 .

પ્રેમનાં તંતુ, વીણાના તંતુ હશે ? એમાંયે સ્પર્શ, ‘ઝંકાર’ બની જાય છે !

 .

પ્રેમ સુ-સંગત હોવાથી ‘અંગત’ હોય છે !

 .

પ્રેમીની ગુડબુકમાં માત્ર એક જ સરનામું હોય છે.

 .

આંસુ : પ્રેમ પણ કોઈવાર લિકવિડ પર ઊતરી જાય છે !

 .

પ્રેમ અને ઝરણું ખૂટ્યા વિના વહ્યા કરે છે.

 .

વિરહમાં જે બાદ થયું હોય તે જ શેષ રહે છે !

 .

વિરહ એ નજીકની દૂરતા અને દૂરતાનું સામિપ્ય હોય છે.

 .

પડછાયો માપ્યા કરે છે તે આકારને પામી શકતો નથી.

 .

પ્રેમ એ કરવા જેવું ‘પેન્ડિંગ કામ’ છે !

 .

એક નામ ન હોય તો ભરેલી ડાયરી પણ કોરી લાગે…

 .

પ્રેમ એક રહસ્ય છે તે ન ઉકેલાવાનો મધુર અજંપો પણ છે.

 .

પ્રેમ આંધળો નથી હોતો, બંધ આંખે જોતી દિવ્ય દ્રષ્ટિ હોય છે.

 .

પ્રેમનું શિક્ષણ પ્રતીક્ષાની ધીરજના પાઠથી શરૂ થાય છે.

 .

પ્રતીક્ષા ખાલી બારીને જીવતી ફોટોફ્રેમ બનાવી દે છે.

 .

પ્રેમ એ બંધ કળીમાં ગુપ્ત રહેલી સુવાસ જેવી અંગતતા છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૬) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ કહે છે કે અવકાશની ટોચે શિખર હોય છે !

 .

પ્રેમ પ્રેઝન્ટ જ હોય છે, પણ આઈટેમ હોતો નથી.

 .

પ્રેમ એ અનુભૂતિ છે, કોઈ દૈવી અનુષ્ઠાન, ક્રિયાકાંડ નથી.

 .

પોતામાં ન હોવાની સ્થિતિ પ્રેમ માટે અવકાશ રચે છે.

 .

પ્રેમ એક અર્થ છે, તે અર્થ છાયાની શીતળતા પણ છે.

 .

પ્રેમ વમળને પાણી પર રચેલો સાથિયો બનાવી શકે છે.

 .

પ્રેમ અને પ્રકાશને કહેવું પડતું નથી કે અમે શું છીએ.

 .

પ્રેમ એ કોઈ રાગ નહીં, મૂંગો લય હોય છે.

 .

ઔપચારિકતા પ્રેમને પણ કર્મકાંડી બનાવી દે છે.

 .

સોની વીંટી ઘડી રહે ત્યાં સુધી પ્રેમ થોભતો નથી.

 .

પ્રેમ ગોરંભાયેલું આકાશ વરસે એની અધીર પ્રતીક્ષા કરે છે.

 .

પ્રેમ તો સાગરમંથન કર્યા વિના મળી શકે એવું અમૃત હોય છે.

 .

શૂન્યમાં શૂન્ય ઉમેરવાથી તે એકનું બે થતું નથી. સઘન પ્રેમ ઉમેરાતા બેના એક થાય છે !

 .

પ્રેમમાં મૂંગું રહેતું હૃદય ધબકારાની ભાષામાં બોલે છે.

 .

આંખો આવકાર આપતી હોય તો જીભ શું કામ ‘વેલકમ’ બોલે !

 .

વિરહનો પ્રેમપત્ર ‘મેઘદૂત’ના પાનાં વચ્ચે દબાયેલો છે.

 .

‘મેઘદૂત’ નહીં, એનાં પાનાં વચ્ચે છુપાવેલો પ્રેમપત્ર ફરી ફરી વંચાય છે.

 .

પ્રેમના પ્રકાશમાં માત્ર એક જ દિશા દેખાય છે.

 .

પ્રેમ, બેઠો બેઠો ઉછળે છે, ચાલે છે તો દોડે છે !

 .

પ્રેમ, વિસ્તરવા પહેલાં કેટકેટલો સંકોચ અનુભવે છે !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૫) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ એ પ્રભાતનું નહીં, મધ્યાહ્નનું ઝાકળ હોય છે.

 .

પ્રેમમાં આકૃતિઓ ઓગળી જઈને અનુભૂતિ બની જાય છે.

 .

પ્રેમ એ ઉંઘમાં નહીં, યૌવનની જાગૃતિમાં આવેલું સ્વપ્ન છે.

 .

પ્રેમ એવો અદમ્ય ઉમળકો છે કે સાગર સરિતાને મળવા જાય છે !

 .

પ્રેમ એ આકાશના પ્રતિબિંબને આત્મસાત કરવા અરીસો બનતું શાંત સરોવર છે.

 .

વીજળીની ચપળ ગતિ અને પહાડની અચળતાનો સંગમ તે પ્રેમ !

 .

પ્રેમની માટી એક કૂંડામાં મોગરા અને જૂઈને ઉછેરે છે.

 .

પ્રેમપત્ર પાછો ફરે તો યે સરનામું બદલતો નથી.

 .

પ્રેમ એટલે એકોક્તિનું સંવાદ અને સંવાદનું એકોક્તિ થવું.

 .

નજીકના પ્રેમમાં દૂરનું વાત્સલ્ય હોય છે.

 .

પ્રેમ અને પુષ્પ અલંકાર છે, અસ્તિત્વ પણ છે.

 .

પ્રેમ એવી કોયલ છે, જે એક જ માણસ સાંભળે એવું ટહૂકે છે.

 .

પ્રેમ એ અરણ્યનું ઉદ્યાનમાં રૂપાંતર કરવાની જીવનકળા છે.

 .

આંસુ અંગત હોય છે, પ્રેમ તેને સહિયારાં બનાવે છે.

 .

સમય પ્રેમને શાંત કરે છે, ઘરડો કરતો નથી.

 .

સઘન થયે જતો પ્રેમ ઓછાબોલો થતો જાય છે.

 .

પ્રેમનું કોઈ લેખિત કે વાચિક બંધારણ હોતું નથી.

 .

ડિક્ષનરીના શબ્દો પ્રેમમાં નવા નવા અર્થો પામે છે.

 .

પ્રેમ દેવતાઈ હોય તો યે માણસના સ્વરૂપેજ હોય.

 .

પ્રેમ થોભે છે : મૂંઝાય છે : ધરતી સર્જું કે આકાશ ?

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૪) – રતિલાલ ‘અનિલ’

સંબંધોમાં વસતું એકાંત ‘સંસ્કારી’ હોય છે.

 .

સ્મિત કરે છે તેને હાથ લંબાવવાની જરૂર પડતી નથી !

 .

સગપણ હોય એટલે વળગણ તો હોય જ !

 .

પારદર્શક હોય તેને પડછાયો હોતો નથી.

 .

માણસ રોજ રોજ ઊંઘે ત્યારે એકવાર આથમે છે.

 .

એકાંત, એક ચોરાયેલું નામ ઉકેલવા મથ્યા કરે.

 .

ગુસ્સો : મારી બહાર હું !

શરમ : મારી અંદર હું !

 .

અજાણ્યા રહેવા માટે હવે ગુફામાં નહીં, સમાજમાં રહેવું પડે છે !

 .

માણસોને ફૂલ ખરીદવા માટે કોઈના મૃત્યુની રાહ જોવી પડે છે !

 .

છેલ્લાં આંસુ સૌની પાસે અનામત હોય છે.

 .

દરેક આંસુને એક ખાનગી સરનામું હોય છે.

 .

હોઠને એકબીજાનો દ્રઢ સ્પર્શ ગમે તે “મૌન” કહેવાય !

 .

પોતે જીર્ણ કરેલું પોતે જ રફુ કરવું એ જીવન છે.

 .

ગાલ પર પહોંચતા આંસુનું સરનામું બીજું જ હોય છે.

 .

સરનામા વગરની ટપાલ સૌને માટે હોય છે !

 .

જીવવું એટલે જોડામાં કાંકરો રાખીને ચાલવું…

 .

જીવતો માણસ અંધારામાં રહી ગયો એટલે એના મુર્દા પાસે દીવો કર્યો !

 .

વસંતને બારમાસી થવાનું મન થયું ને પ્રેમ થયો !

 .

પ્રેમ જાદુ નથી, એક જ ફૂલને ગુલદસ્તો બનાવી દેતી કળા છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૩) – રતિલાલ ‘અનિલ’

ધીરજનાં બારણાં રાત્રે પણ ખૂલ્લાં રહે છે.

 .

બીજા વાવટા ફરકાવે એ માટે આપણે કાપડ વણવાનું છે.

 .

આશા કબરની માટીને કહે છે, બહાર સૂર્ય છે.

 .

કબર ખોદનારને પોતાના ભવિષ્યની જાણ હોવી જોઈએ.

 .

પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે સેતાન કામ કરે છે.

 .

પરપોટાની વોર્નિંગ છે, સમય છે, મારામાં મોઢું જોઈ લ્યો !

 .

ઊંઘમાં સરવાળો કરનારની પણ બાદબાકી થઈ જાય છે.

 .

પવન ધૂળને વહેણ, વંટોળોયો વમળ બનાવે છે.

 .

ખાલી થયાની અનુભૂતિ ચાના કપને ગરમ રાખે, માણસને નહીં.

 .

ખાનગીમાં પયગમ્બર થશો તો તમને કોઈ શૂળી પર નહીં ચડાવે !

 .

માણસ તો પોતાના વિના પણ ચલાવી લે એવો સગવડિયો છે.

 .

ખોળો પાથરવા પહેલાં લાલ જાજમ પાથરવી પડે છે !

 .

કબર એવું ઢાંકણ છે, જે ઉઘડતું નથી.

 .

માણસ ઉંબરને ઓળંગ્યા વિના પોતાને ઉલ્લંઘી જાય છે.

 .

તમારા અનુસંધાનોને તમે સંબંધો કહો છો !

 .

બારણાં બંધ કરવાથી જગત કંઈ બહાર રહી જતું નથી.

 .

સુખનું પડીકું હોય કે પારસલ – તે ખૂટી જ જાય છે.

 .

છેલ્લી સાન ન આવે એ અવસાન કહેવાય.

 .

દરેક ચાલતો માણસ કશાકમાં રોકાયેલો, અટકેલો હોય છે.

 .

છાપરું તૂટતું નથી, ઉપરવાળા પરનો ભરોસો તૂટે છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૨) – રતિલાલ ‘અનિલ’

મારા કેટલાક અસ્વીકારે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે.

 .

હાથમાં બીજાનો હાથ હોય ત્યારે તે પ્રેમી નહીં, તો જોશી હોય.

 .

સ્મૃતિ ભૂતકાળના દોરા પર ભવિષ્યનો પતંગ ચગાવે છે.

 .

સંપ્રદાયોથી ધર્મ થીંગડાવાળા પિતામ્બર જેવો લાગે છે.

 .

માણસ વસ્તુ જેવો હોય તો પછડાય છે, પણ પસ્તાતો નથી !

 .

પોતાની બહાર પોતાને શોધનારને બીજો માણસ જ મળે છે.

 .

વાંચો ત્યારે પોતાને શબ્દોથી નહીં, અર્થથી ભરો !

 .

માણસ હાડપિંજર ન હોય તોયે ‘ખોપરી’ હોઈ શકે છે.

 .

દુનિયા ક્યારેય સારી નહોતી, દરેક વખતે માણસો સારા હતા.

 .

પાણી પડે છે, પછડાય છે અને ઘાયલ થયા વિના ચાલવા માંડે છે.

 .

પાણી બરફ બને તો યે તેને પાણી રહેવું જ ગમે છે.

 .

માણસ ચાલે છે ને કહે છે : માથા પરથી આકાશ જાય છે.

 .

કોરા આંસુ લૂછવા માટે માણસ જ રૂમાલ થઈ શકે.

 .

સંપ્રદાયની તિરાડ કહે છે કે હું ઈશ્વરનું પ્રવેશદ્વાર છું.

 .

યમરાજા, માણસનું સરનામું બદલવા માટે જ અઅવે છે.

 .

આંગળા, આંગળા સાથે જ રમે ત્યાં સુધી સારું હોય છે.

 .

થાંભલાનું પહેલું કામ પોતાનો ભાર ઊંચકવાનું હોય છે.

 .

ઈશ્વરના હાથમાં ઘૂઘરો આપવો હોય તો એમને કાનુડો બનાવવા પડે.

 .

મોંઘા ધૂઘરામાં કાંકરા સસ્તા જ હોય છે.

 .

દિવાળી દૂર હોય તો પણ દીવો દૂર ન હોવો જોઈએ.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧) – રતિલાલ ‘અનિલ’

ratilal_anil_2

.

બહારના અંધકાર માટે બારીની તિરાડ પ્રવેશદ્વાર બનતી નથી.

 .

સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે.

 .

કેટલાક પોતે થાકે છે, કેટલાકનું મૃત્યુ થાકે છે.

 .

કોરી સ્લેટને હથેળી પણ કહી શકાય.

 .

કોઈવાર બેડી જ બે હાથને નજીક લાવે છે.

 .

દીવાના પૂમડા અને અત્તરના પૂમડા વચ્ચે પસંદગી કરવાની છે.

 .

મૃત્યુની દિશા બદલાય, પણ મસાણની દિશા ન બદલાય.

 .

પોતીકી ફૂંક ન હોય તો વાંસળી વાગતી નથી.

 .

માણસે પહેલા ભિક્ષાપાત્ર ઘડ્યું પછી પ્રાર્થના રચી !

 .

કેટલી બધી માંદગીના વિસામે થાક ઉતાર્યા પછી મૃત્યુ આવે છે.

 .

મારા બધા હસ્તાક્ષરો ચેકબુકની બહાર છે.

 .

છેલ્લી સફર એટલે પોતાના જ બારણેથી પોતે પાછા ફરવું.

 .

ચિત્તમાં સમગ્ર વિશ્વ હોય તો કોઈપણ માણસ ટાપુની નાળિયેરી નથી.

 .

જ્ઞાનની જેમ અજ્ઞાન પણ કોઈ ખીંટી પર ટીંગાયેલું હોય છે.

 .

પોતાની આંખે પોતાને જોવામાં અરીસો મદદ કરતો નથી.

 .

મારાં આંસુમાં દરિયો નથી, મારું લૂણ છે.

 .

જીવનમાં નથી એટલાં માનાર્થે બહુવચન ભાષામાં છે !

 .

હિમાલય ગંગામાં સ્નાન કરવા પડે તો ગંગા જ ન રહે.

 .

અવાચ્યને વાંચવા માટે માણસને અંતરની આંખ મળી છે.

 .

હવે દરેક લસરકો એક ઉઝરડો બની જાય છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

સાહિત્ય એમનો શોખ ને રસોઈ એમનો સ્વભાવ – ભદ્રાયુ વચ્છરાજાની

Arunaben Jadeja

.

બાળપણની બે સખીઓ ૨૦૦૯માં મળી ફરી. અરુણા પારેખ આવ્યા મુંબઈથી. અરુણા જાડેજા તો હતાં જ નવસારી. શા માટે મળ્યાં, ખબર છે ? પોતાનાં બહેનપણાંનાં પચાસ વર્ષ પૂરાં થયાં તે ઉજવવા ! રિક્ષા કરીને સવારથી સાંજ સુધી નાનપણની ખાસ ખાસ જગ્યાએ ગયાં. આખા નવસારીની પ્રદક્ષિણા કરી. બાળપણનું ગોઠિયાપણું મનભરીને વાગોળ્યું અને જીવનનો પરમ સંતોષ ગાંઠે બાંધ્યો. સુરેશ દલાલે કરેલા સંપાદન ‘મૈત્રી’માં અરુણા જાડેજાએ લેખ લખ્યો, શીર્ષક આપ્યું : ‘અરુણાથી અરુણા’ !

 .

૧૯૫૦માં દિવાળીની તિથિએ મોસાળ સુરતમાં જન્મ. સમય હતો પરોઢનો, તેથી ભાઉએ નક્કી કરેલું કે દીકરો આવશે તો અરુણ અને દીકરી આવશે તો અરુણા નામ રાખીશું. પરિવાર મરાઠી, પણ આજે જીવનના સાતમા દસકમાં પહોંચેલાં અરુણા જીવનસિંહ જાડેજા સવાયાં ગુજરાતી છે ! નાનાજી સુરતમાં સંસ્કૃતનાં શિક્ષક, દાદાજી ગાયકવાડ સરકારની નોકરીમાં, પિતાજી ભીમરાવ શ્રીનિવાસ બિલગી સેન્ટ્રલ એક્સાઈઝમાં, પણ એમ. એ. થયેલા એટલે પૂરા સાહિત્યપ્રેમી, સરકારી નોકરીને લઈને બદલીઓ બહુ થાય, તેથી ઘણાં ગામનાં પાણી પીવા મળ્યાં. ઘરમાં શુદ્ધ મરાઠી સંસ્કારો, પિતાજીને ભાઉ અને માતાજીને આઈ કહેવાનું. ઘરમાં મધ્યમવર્ગીય મરાઠી વાતાવરણ. આઈ પણ શાળામાં શિક્ષિકા, સંગીતની બધી પરીક્ષા આપેલી, દિલરુબા સરસ વગાડે. આઈ-ભાઉ બન્ને પુસ્તકપ્રેમી, ઘરમાં મરાઠી સામયિકોની સાથોસાથ ગુજરાતી સામયિકો પણ આવે. લાઈબ્રેરીમાંથી પણ પુસ્તકો લઈ આવે. પુસ્તકો વાંચવા માટે ઘરમાં આઈ, ભાઉ અને અરુણા વચ્ચે પડાપડી થાય. અરુણા સૂઈ જાય પછી રસોડાનું બારણું બંધ કરીને આઈ, ભાઉ અંદર પુસ્તકો વાંચતાં હોય ! દરેક મરાઠી કુટુંબની જેમ સાંજે દીવાબત્તી ટાણે ‘શુભમ કરોતુ કલ્યાણમ’થી લઈને સાંધ્ય શ્લોકોનું પઠન થાય, પછી જ જમવાનું. રવિવારે બપોરે જમવા ટાણે ગીતાજીના કેટલા શ્લોક મોઢે થયા એની પૃચ્છા થાય પછી જ જમવાનું મળે. એવું જ સમર્થ રામદાસ સ્વામીના ‘મનાચે શ્લોક’નું ! પાછલી ઉંમરે પણ આઈ-ભાઉ ખૂબ વાંચતા રહ્યાં. અરુણાના જન્મ વખતે આઈ બહુ એનેમિક તો ભાઉ આઈને કહે કે ‘મીઠું ભલે ઓછું ખા, પણ વાંચજે ખૂબ !’ આઈ ઉત્સવપ્રિય, બધી વાતની એને ખૂબ હોંશ. રોજનું છાંટેલું આંગણું, રંગોળી ને પૂજેલો ઉંબરો. વારેતહેવારે સજાવટ, પાંચ પકવાન, પોસાય તેવાં નવા કપડાં, બધું અરુણાએ જોયું, માણ્યું, આત્મસાત કર્યું, આજ સુધી આચરણ કર્યું.

 .

અરુણાબેન બીલીમોરામાં પહેલાં બે ધોરણ ભણ્યાં…પણ પછી દક્ષિણ ગુજરાતના ખરોલી, ચીખલી ગામની બુનિયાદી શાળામાં ભણવા મળ્યું. ત્યાં છાણ ગાર માટીથી લીંપણ કરવાની બહુ મજા આવે પણ જરાયે ફાવે નહીં. તકલી-રેંટિયો કાંતવાનું જરાય ના ગમે. માધ્યમિક સળંગ નવસારીની ડી. ડી. ગર્લ્સ હાઈસ્કુલમાં. અંગ્રેજી પાક્કું કરાવ્યું નવસારીમાં જ પારેખ ક્લાસીસ ચલાવતાં રતિલાલ પારેખે. રેન એન્ડ માર્ટિનનું ગ્રામર આજે પણ તેવું જ ચુસ્ત…ભાઉને થવું હતું પત્રકાર કે સાહિત્યકાર. વડીલોના આગ્રહ અને જમાનાની માંગ એટલે સરકારી નોકરીમાં જોડાઈ ગયેલા. પોતાનું અધુરું સ્વપ્ન અરુણા પૂરું કરે તેવી દિલની ઈચ્છા એટલે અરુણાને જે વિષય લઈ ભણવું હોય તેની છૂટ મળી, નસીબવશ અરુણા પણ સાહિત્યઘેલી, અમદાવાદની આર્ટસ કોલેજમાં ગુજરાતી સાથે બી. એ. કર્યું. રોહિત પંડ્યા, ચીનુ મોદી, ઈલા નાયક જેવા ઉમંગભર્યા પ્રાધ્યાપકો મળ્યા. વકતૃત્વ, પાદપૂર્તિ સ્પર્ધાઓમાં વિજેતા બનવાની તક મળી. બોરસદ આર્ટસ કોલેજમાં એમ. એ. તો ડભોઈની કોલેજમાંથી બી. એડ કર્યું. સુરતની વાડિયા વિમેન્સ કોલેજમાં અધ્યાપકની નોકરી તો મળી પણ છાત્રાલયના ગૃહમાતા થવાની શરતે ! અરુણા હવે થયાં રેક્ટર કમ લેકચરર. હોસ્ટેલની બહેનો અરુણાથી માંડ બે-ચાર વરસ નાની. ઘર યાદ આવે તો છોકરીઓની સાથે અરુણા પણ પોતાના રૂમમાં જઈ રડવા બેસે. ભણાવવું બહુ ગમે, પ્રેમાનંદ, નરસિંહ ભણાવતાં અરુણા મેડમના સિક્કે આખો વર્ગ રડે ! છાપાંની પૂર્તિઓ, અખંડ આનંદ, જનકલ્યાણ વગેરે લીટી લીટી વાંચવાનાં. પણ પેલું રેક્ટરવાળું અરુણાને ન ફાવે, ભારે અઘરું લાગે ! સ્વભાવ નરમ તે છોકરીઓ ઉપર ધાક એવી ઊપજે નહીં. હા, છોકરીઓ અરુણાને ખૂબ માને, પણ અરુણાનું ના માને !…લગ્નની ઉંમર, રૂપે કરુપા તો નહીં જ પણ અરુણા પોતાને અરુપા માને. અઠ્ઠાવીશ વર્ષ થયાં છતાં મેળ ખાતો નહોતો…ત્યાં જીવને વળાંક લીધો….અરુણાએ ડભોઈમાં બી. એડ. કર્યું ત્યારે એની નાની બહેન મંગલની એક બહેનપણી હતી મંજુ જાડેજા. તેના પિતા ત્યારે ડભોઈના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર….એમની પછી તો સુરત બદલી થઈ. મંજુ અને મંગલનો નાતો અહીં પણ ચાલુ. મંજુ અરુણાને મળે, તેનો નાનો ભાઈ સુરેન અરુણા પાસે નિબંધ વગેરે લખાવવા આવે. અરુણા પણ એકલી એટલે મંજુના ઘરે જાય. મંજુના બાપુજી જુવાનસિંહ જાડેજા કદી ઘરે જ ના હોય. એ રાંદેર પોલીસ ઈન્સપેક્ટર. મંજુના બા અરુણાનું બહુ રાખે, પણ મંજુના બાપુજી સાથે કંઈ લેવાદેવા નહીં. અચાનક મંજુના બા કારમી બીમારીમાં સ્વર્ગે સિધાવ્યાં. બીજે વર્ષે મંજુનાં લગ્ન થઈ ગયાં. એના બાપુજી જાડેજા સાહેબની પાલનપુર બદલી થઈ ગઈ. સુરતમાં અરુણા માટે એક ઘર ઓછું થયું….લેક્ચરર તરીકે આઠ વર્ષ થયાં હતાં. ત્યાં એક દિવસ અચાનક ફરી જાડેજા સાહેબને મળવાનું થયું. ઓગણત્રીસ વર્ષ : લગ્નની ઉંમર વટાવી ગયેલી એક કન્યા અને પચાસ વર્ષનાં ચાર સંતાનોના વિધુર સદગૃહસ્થ મળ્યાં ! જાણે એકબીજાની રાહ જોતાં હોય તેવાં અધૂરા-અધૂરા બન્ને ! દોઢ વર્ષ વીતવા દીધું એ પ્રથમ આત્મીય મિલન પછી..! ચારેય સંતાનોની મરજી જાણી. તેઓ તો ઈચ્છતાં જ હતાં કે પિતાશ્રી ફરી ઠરીઠામ થાય. અરુણાના કુટુંબ દ્વારા સ્વાભાવિક વિરોધ થયો. અરુણા આગોતરું સજ્જ રહેવા ટેવાયેલાં. દોઢ વર્ષનું હોમવર્ક કરીને ત્રીસ વર્ષની ઉંમરે અરુણા હવે શ્રીમતી અરુણા જુવાનસિંહ જાડેજા બની…!

 Arunaben J. Jadeja

વડોદરાના ડી.વાય.એસ.પી. જુવાનસિંહ જાડેજાની દીકરીઓ જ પોતાની નવી મા માટે પાનેતર, ઘરચોળું અને હાથીદાંતનો શુકનનો ચૂડલો લઈ આવી. ચારેય સંતાનોનાં લગ્ન તો થઈ ગયેલાં. સંતાનોને અરુણાએ કહેલું : ‘તમારા માટે તો હું આજે પણ તાઈ છું, તમારા બાપુજી સાથેનો મારો સંબંધ બદલાયો છે.’ મોટી દીકરી નિર્મળા અને જમાઈરાજ ધર્મેન્દ્રસિંહે મન મોટું કરી પોતાની ત્રીજી અને સૌથી નાની દીકરી મીકુ અરુણાતાઈના ખોળામાં મૂકીને એમને માતૃત્વ અર્પ્યું. અરુણાતાઈ તો ન્યાલ થઈ ગયાં !…આમ છતાં, અરુણાને અઘરું તો પડ્યું. અ-સાધારણ સંજોગોમાં, માથે તો ઓઢવાનું પણ ગામડે લાજ પણ કાઢવાની. બહુ વખણાયેલી પેલી નિખાલસતા ગામડામાં જોવા ન મળી. અરુણાબહેનના જ શબ્દોમાં કહું તો : ઉંમર સિવાય પણ ઘણો તફાવત. એ ઊંચા, હું નીચી. એ ગુજરાતી, હું મરાઠી. એ ક્ષત્રિય, હું બ્રાહ્મણ. એમનો સમાજ પ્રમાણમાં બંધિયાર, હું ખુલ્લા વાતાવરણમાંથી આવેલી. એ ગુસ્સાવાળા, હું પ્રમાણમાં શાંત. પૂરાં ૨૧ વર્ષનો તફાવત, પણ એમણે ક્યારેય કપલ લગાડ્યો નહીં. સધિયારામાં ઉંમરનો બાધ ક્યાં નડે ? હા, મીકુની નાનકડી બહેનપણીઓ કહે કે તારા નાના બાપુના વાળ તો ધોળા છે પણ તારા નાનીમા ડાઈ કરે છે. મીકુ મને પૂછે કે હેં, તાઈ ડાઈ એટલે શું ? મીકુને હું કેમ સમજાવું કે બેટા હું ય ડાઈ નથી કરતી પણ… લગ્નનાં ત્રીજે વર્ષે વડોદરાથી અમદાવાદ બદલી અને ત્યાં જ ૧૯૮૮માં જુવાનસિંહ જાડેજા નિવૃત થયા. ૧૯૮૩ થી ૨૦૧૩, પૂરાં ત્રીસ વર્ષથી અમદાવાદ. ‘લગ્નને ૩૨ વર્ષ પૂરાં થયાં. બન્નેનો એક સરખો શોખ, સંગીત, મોટેભાગે શાસ્ત્રીય ! વર્ષમાં બે વાર તો કચ્છમાં જવાનું જ. કારણ કચ્છમાં અમારા ભાઈઓનો લગભગ ૮૫ જણનો પરિવાર. સાસુ-સસરા સ્વર્ગે સિધાવ્યાં અને મીકુ (સીઈપીટી) સેપ્ટમાંથી પદવીધર બની અમેરિકા ગઈ. થયું કોઈ સારું કામ કરીએ. ઘરેથી, માનદ, કોઈ પગાર નહીં, અંધશાળામાં રીડર બની. દસ-બાર ધોરણના સવાર ને કોલેજના બપોરે, એમ અંધ વિદ્યાર્થીઓ ઘર આવે. ઘરની જેમ જ આ બાળકો માટે પણ હું તાઈ. ભણતર સાથે સંસ્કાર સિંચન પણ કરું જ.’

 .

જુવાનસિંહની નોકરી આકરી હતી, વળી બન્ને મળ્યાં હતાં મોડાં, એટલે સાથે તો નિરાંતે રહ્યાં જ ન હતાં. તેથી ૨૦૦૦ની સાલમાં નિર્ણય કર્યો કે : બચેલો સમય સહજીવનની સુગંધ માણવામાં જ ગાળવો છે માટે સમાજના કે સાહિત્યના કોઈપણ કાર્યક્રમમાં ન જવું. અરુણાબેન આજ સુધી સાહિત્યના એક પણ કાર્યક્રમમાં ગયાં નથી, તેથી તેમને કોઈએ જોયાં નથી. હા, ઘરે બેસીને સાહિત્ય જગત સાથે તેમનો સંબંધ પ્રગાઢ છે. વચ્ચે એક વાચકે તેમને કહેલું : આ તો સારું છે કે જનકલ્યાણમાં તમારો ફોટો આવે છે નહીં તો અમને એમ કે સાચે જ કોઈ અરુણા જાડેજા છે ખરાં કે નહીં ? દિલાવરસિંહ જાડેજાએ અખંડ આનંદથી અરુણાબેનને લખતાં કર્યાં. કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ સામે ચાલીને પુ. લ. દેશપાંડેના અનુવાદનું કામ સોંપ્યું. વિનોદ ભટ્ટ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલની પ્રેરણા અને રતિલાલ બોરીસાગર તો ‘ફાધર, ફિલોસોફર એન્ડ ગાઈડ.’ અરુણાબહેન આદરથી કહે છે : લોકો સાત ગરણે ગાળીને પાણી પીવે. સાહિત્યની બાબતે હું ‘સાગરે’ ગાળીને પાણી પીવું છું, બધું બોરીસાગર સાહેબને પૂછી પૂછીને જ કરવાનું. ૨૦૦૫માં પહેલો અનુવાદ બહાર પડ્યો ને આજ સુધીમાં બારેક અનુવાદો આવ્યા, વખણાયાને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પણ પામ્યા ! મૌલિક લેખો અનેક લખાયા. પોતાનાં મૌલિક બે પુસ્તકો ‘લ-ખવૈયાગીરી’ અને ‘સંસારીનું સાચું સુખ.’

 .

પતિ મહોદયની પોલીસ કારકિર્દી-ગાથા પતિ પાસે લખાવી, સંકલન કરી ‘હૈયું, કટારી ને હાથ’ પુસ્તક છપાયું અને પોંખાયું પણ ! રસોઈ એમનો સ્વભાવ છે. રસવતી અને સરસ્વતી બેઉની કૃપા છે. એમના ૪૮મા વર્ષે ગાડી અને પચાસમા વર્ષે કોમ્પ્યુટર ચલાવતાં શીખ્યાં છે. મંજુએ બાવનમાં વર્ષે પ્રવેશેલી અરુણાતાઈને પેજ મેકરમાં ગુજરાતી ટાઈપ શીખવ્યું. આજે અરુણાબહેન ફોન પર વાતો કરવા કરતાં શુદ્ધ ગુજરાતીમાં કોમ્પ્યુટર પર પત્રવ્યવહાર વધુ પસંદ કરે છે. સાલસ, સહજ અને સ્વીટ એવાં અરુણા જાડેજા વાત પૂરી કરતાં કહે :’દર દશેરાએ ક્ષત્રિય રિવાજ પ્રમાણે શસ્ત્રની અને મરાઠી રિવાજ પ્રમાણે સરસ્વતીની પૂજા સાથે જ થાય. આમ શસ્ત્ર-સાહિત્ય પૂજા એ અમારા સહિયારાપણાનું પ્રતીક.’

 .

( ભદ્રાયુ વચ્છરાજાની )

.

“વિશ્વ સાહિત્ય સંગમ” બ્લોગ પર અરુણાબેન જાડેજાનો પરિચય :

 .

http://gujaratisahityasangam.wordpress.com/2012/06/03/arunaben-jadejaa/

 .

આ સાઈટ પર અરુણાબેન જાડેજા દ્વારા અનુવાદિત, સંપાદિત પુસ્તકોની માહિતી :

 .

હૈયું, કટારી અને હાથ – જુવાનસિંહ જાડેજા, સંકલન : અરુણા જાડેજા

 .

શ્યામની બા – સાને ગુરુજી, અનુવાદ : અરુણા જાડેજા

.

ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત, અનુવાદ : અરુણા જાડેજા

સુવર્ણ કણિકા – સુરેન ઠાકર ‘મેહુલ’

જીવનમાં જે પણ મૂલ્યવાન છે,

પછી એ પ્રેમ હોય, જ્ઞાન હોય,

ડહાપણ હોય, સૌંદર્યાનુભૂતિ હોય

કે પરમની પ્રાપ્તિ હોય. એની

શોધ જાતે કરવી પડે છે. એ હાથ

લંબાવીને કોઈની પાસે માગવાની

વસ્તુ નથી. એ આપલેની વસ્તુ

છે જ નહીં એનો આવિષ્કાર જાતે

જ કરવો પડે છે. એને પામવાની

બીજી કોઈ રીત છે જ નહીં.

*

‘સ્વ’નો

સાક્ષાત્કાર કરવા માટે

નિતાંત એકલા હોવું ખૂબ

જરૂરી છે. જે માણસ  પોતાની

એકલતાથી ડરતો નથી, પણ

એને બાથ ભરીને પ્રેમ કરે છે

તે પોતાની એકલતામાં કશુંક

મૂલ્યવાન પ્રાપ્ત કરે છે.

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’ )