વિશ્વદર્શન

એક સાંજે-

સાત વર્ષના મારા દીકરાએ,

એના ખભા કરતાં લગભગ ડબલ સાઈઝની

સ્કૂલબેગ ખભેથી ઉતારતાં, મને પૂછ્યું-

મમ્મી ! તને ‘ફેઈસ રીડીંગ’ આવડે ?

હું જરા ચોંકી ગઈ…

પછી-સ્વસ્થ થઈ મેં પૂછ્યું

‘ફેઈસ રીડીંગ’ એટલે શું ?

એ બોલ્યો-

જો હું તને શીખવું.

હું એને એકીટશે જોતી રહી…

એ સડસડાટ બોલવા માંડ્યો,

આપણે જેની સાથે વાત કરતાં હોઈએ-

એનો ફેઈસ જોવાનો, એની આઈઝ જોવાની.

તેથી આપણને ખબર પડે કે-

તે આપણો ફ્રેન્ડ છે કે એનીમી ?

હું ચૂપચાપ એની ભોળી આંખો જોતી રહી.

મને એની ભોળી-કુતૂહલ આંખોમાં-

અનેક પ્રશ્નોના ખડકલા દેખાયા;

મને એ – ખીણમાં પ્રશ્નોનાં ઉત્તરો ખણતો અનુભવાયો

તો શું…

હું આ ઘટનાને ‘વિશ્વદર્શન’ કહી શકું ? !

.

( હિના મોદી )

સાહિબ-ત્રિપદી(3)

(3)

.

સાહિબ, સંભાળે છે ધૂરા

ઊગેલા મનસૂબા આપોઆપ જ થાતા પૂરા.

.

ટોળે વળતો સામેથી આ પંથ સામટો પગમાં.

મુકામ આવી જીવતો થાતો જાણે કે રગરગમાં.

.

કાળમીંઢ ચિંતાના પહાડો થાશે ચૂરેચૂરા !

સાહિબ સંભાળે છે ધૂરા.

.

વાવી જાતું કોણ અને અહીં કોણ ઉગાડી જાતું ?

ખેતરના ઊભા શેઢાને એનું અચરજ થાતું !

.

સૌની સાથે રહે સારથિરૂપે સાચા શૂરા

સાહિબ સંભાળે છે ધૂરા.

.

( નીતિન વડગામા )

સાહિબ-ત્રિપદી

(૧)

.

સાહિબ, આપો એવી માળા

એક સામટાં ઉઘાડે એ નાનાં મોટાં તાળાં.

.

ટાઢ-તાપ વેઠીને નાહક ઊભે મારગ ભટક્યાં !

પડતાં ને આખડતાં તોયે ક્યાંય કદી ના અટક્યાં !

.

નજર પડે ત્યાં રુદિયાં કેવાં થૈ જાતાં રઢિયાળાં !

સાહિબ આપો એવી માળા.

.

એક અગોચર તંતુથી ભમતા જીવને બાંધો.

ફાટેલા જીવતરનું વસ્તર હળવે રહીને સાંધો.

.

મધરાતે સૂરજ ઊગે ને થાય બધે અજવાળાં !

સાહિબ, આપો એવી માળા.

.

( નીતિન વડગામા )

બસ એ જ તો તકલીફ છે

ખોઈ બેઠો છું ચરણ બસ એ જ તો તકલીફ છે

તાગવું છે તપ્ત રણ બસ એ જ તો તકલીફ છે

.

સાવ જે સામે ઊભા એ હાથ ના ઝાલી શકે

ખૂબ ઊંડું છે કળણ બસ એ જ તો તકલીફ છે

.

એક યુગને આંબવાની હોડ માંડી આપણે

છે સિલકમાં એક ક્ષણ બસ એ જ તો તકલીફ છે

.

જન્મની સાથે ખુશી થાતા અહીં પ્રત્યેક, પણ

હોય છે સાથે મરણ બસ એ જ તો તકલીફ છે

.

દ્રશ્ય તો ચોખ્ખાં ચણક ચીતરેલ છે ચારે તરફ

આંખ પર છે આવરણ બસ એ જ તો તકલીફ છે

.

હોય ના સુખ જે કદી એ શોધવા દોડ્યા કરે

દોસ્ત અહીં પ્રત્યેક જણ એ જ તો તકલીફ છે

.

( ઉર્વીશ વસાવડા )

માનવ જીવનની અનંત સંભાવનાઓ

માનવ જીવનની અનંત સંભાવનાઓ-અરુણ ‘યોગી’ પારેખ

અમારી દમણિયા સોની જ્ઞાતિના ગૌરવ સમા પદ્મભૂષણ લોર્ડ ડો. ભીખુભાઈ પારેખ તથા તેમના અનુજ શ્રી અરુણ ‘યોગી’ પારેખને બે-ત્રણ વખત સાંભળવાનો મોકો મળ્યો. આજે અહીં શ્રી અરુણભાઈની એક નાનકડી પુસ્તિકા વિશે માહિતી આપું છું.

.

શ્રી અરુણભાઈની આ પુસ્તિકા ગાગરમાં સાગર સમાન છે. જેમાં એમણે શબ્દશક્તિ, ઈચ્છાશક્તિ અને વિચારશક્તિ અને આ તમામ શક્તિઓને પ્રાણવંત રાખતી ધ્યાનશક્તિને ઓળખવા પર ખાસ ભાર મૂક્યો છે. સાથે સાથે રોજ પ્રાર્થના કરવા અને ઘરમાં મંદિર રાખવા સૂચન કર્યું છે.

.

લેખક પરિચય :

.

શ્રી અરુણ ‘યોગી’ પારેખ લેખક, વક્તા અને પરિસંવાદ સંચાલક છે. પરમહંસ યોગાનંદના ઉપદેશો તથા ચિંતન અને ધ્યાનની પોતાની વર્ષોની સાધનાને આધારે સાન હોઝે, કેલિફોર્નિઆ સ્થિત અરુણ ‘યોગી’ પારેખ માને છે કે આપણાં જીવનની અનંત સંભાવનાઓનો અહેસાસ કરવાનો એક માત્ર માર્ગ આપણા વણથંભ્યા માનસિક વલણો તથા જીવનની અવિરત માંગોમાંથી માનસિક સભાનતાને થોડો સમય વેગળી કરવાનો છે.

.

મુંબઈ તેમજ અમેરિકાની એટલાન્ટીક યુનિવર્સિટીના દર્શનશાસ્ત્રના સ્નાતક અરુણ પારેખે ૧૯૯૯માં વહેલી નિવૃત્તિ લઈ જાહેર વ્યાખ્યાનો, પ્રશિક્ષણ ને પરિસંવાદો દ્વારા સમગ્ર અમેરિકા અને ભારતમાં લોકો સમક્ષ જીવનને સમૃદ્ધ કરવાનો રાહ ચિંધવાના ધ્યેયને તેમનું જીવન સમર્પિત કર્યું છે.

.

“મારા જીવનનો ઉદ્દેશ્ય જ જીવને મને જે કંઈ શીખવ્યું છે તેની ઉપયોગીતામાં સૌને ભાગીદાર બનાવવાનો છે.”

.

તેઓ લાઈફ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ તથા પોઝીટિવ એટિટ્યુડ અને રિટાયરમેન્ટના પ્રોગ્રામો ઓફર કરે છે.

.

લેખકના અન્ય પુસ્તકો :

Powers of Our Mind

Success Is Your Birthright

Meditation – A Way To Take Charge Of Your Life

Only One Life To Live

.

માનવ જીવનની અનંત સંભાવનાઓ

પ્રકાશક :

આરતી ઈન્ટેગ્રેટેડ ટ્રેઈનિંગ

Website: www.ArtiPresentations.com

Email: Yogi@ArtiPresentations.com

.

પ્રાપ્તિસ્થાન :

(૧) શ્રી ઉન્મેશ જે કાપડિયા, શિવમ, બી-૧ શિવશક્તિનગર, તાડવાડી, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯.

ફોન નં. ૦૨૬૧-૨૭૬૧૪૭૫

.

(૨) શ્રી અંજન લાલાજી, આર-૧૦/૨, બાંગુર નગર, જયશ્રીધન સોસાયટી, ગોરેગામ (પ.) મુંબઈ-૪૦૦૦૯૦. ફોન નં. ૦૨૨-૨૮૭૯૮૫૦૯.

.

પૃષ્ઠ : ૨૦

.

મૂલ્ય : Indian Rs. 20/-

US $ 5.00

ભયની સૂચિ

દરેક વખત ડરતાં રહેવા કરતાં

તો સારું છે

એક વાર

ડરનું પોતાનું

લિસ્ટ બનાવી લે

જાણી લે

એમના વિશે

અને પછી ડરવું

એક-એકથી

.

ડર આવે સૌથી પહેલાં

એ બારણેથી

જે ખુલ્લું હતું

એ કહેતાં-

અમે તમને ભય-મુક્ત કરીશું

કોને કહીએ એ વખતે

અને હમણાં પણ કોને કહીએ

સૌથી વધારે એમનાથી જ ડરીએ છીએ.

.

ભયભીત કર્યા ગુરુજનોએ

સૌથી વધારે

પિતૃઓએ ભયભીત કર્યા

સ્વામી, પ્રિયજન, સગાસંબંધીઓએ પણ…

.

મિત્રોથી પણ ઊંડે ઊંડે ભયભીત છીએ

કોણ જાણે ક્યરે કોણ ખતમ કરશે

વિશ્વાસોથી

.

બહુ દૂરથી

એક ઈશારામાં

સમગ્ર સૃષ્ટિ નષ્ટ કરવાવાળાથી

ડરેલા છીએ,

અને ડરતાં રહીએ છીએ પળેપળે

એકલા સૂતાં-જાગતાં ભીડમાં

પણ પોતાના પડછાયાથી પણ ડરીએ છીએ

.

ડર બહાર ઘાયલ થવાના

ભીતર પડ્યા પડ્યા મરી જવાના

લૂંટાઈ જવાના, સપનાના, ભયથી

ભર નિદ્રામાં ડરવાના

સ્વપ્નામાં જાતે મરી જવાના ભયથી

.

સહેલું નથી લિસ્ટ બનાવવાનું

ડરનું

ભયભીત કંપિત કરી મૂકે છે

આટલા બધા ભય વિચારીને

અને જાણીને એમનાં કારણો.

.

( અંબિકા દત્ત, અનુ. સુશી દલાલ )

કોને ખબર ?

એક પરપોટો પુન: પાણી થશે, કોને ખબર ?

આપણી પૃથ્વી ય ધૂળ ધાણી થશે, કોને ખબર ?

.

જાત ઓળખતાં જ અણજાણી થશે, કોને ખબર ?

શાહીના સ્પર્શે સહજ શાણી થશે, કોને ખબર ?

.

ઊડતા પંખીની પરછાંઈ જે પકડે જાળમાં

પારધી એ સતનો સહેલાણી થશે, કોને ખબર ?

.

આવી પહોંચી છે કોઈ ગંગા પ્રગટવાની ઘડી

કઈ ક્ષણે કથરોટ આ કાણી થશે, કોને ખબર ?

.

બહુરૂપી છે જિંદગી: ઝીંકાઈને એ ધણ થશે

પીલવાને એ તરત ધાણી થશે, કોને ખબર ?

.

કેટલાં વર્ષે મળ્યો મોકો તો મળીએ એમને

એ બહાને આજ ઉઘરાણી થશે, કોને ખબર ?

.

પાથરી બિસ્તર કબરનો શી રીતે સૂવું,-કહે ?

કે સલાહે, મિત્ર, સૂફિયાણી થશે, કોને ખબર ?

.

અવનવીન અર્થો લઈ સરતો સમય સંસારમાં

તે છતાં આ વિશ્વ જૂનવાણી થશે, કોને ખબર ?

.

સાચવી લો ઓસના ટીપાંનો ઈશ્વર આંખમાં

જો સરી જાશે તો સરવાણી થશે, કોને ખબર ?

.

( હરીશ મીનાશ્રુ )

મારું જીવન તમે લઈ લો

[audio:https://heenaparekh.com/wp-content/uploads/2010/09/03-Track-3.mp3|titles=03 – Track 3]

.

મારું જીવન તમે લઈ લો, અને એને

હે પ્રભુ, તમને સમર્પિત થવા દો.

.

મારા આ હાથ તમે લઈ લો, અને એમને

તમારા પ્રેમના આવેગથી ગતિમાન બનવા દો.

.

મારી ક્ષણો અને મારા દિવસો તમે લઈ લો

અને એને અવિરામ સ્તુતિમાં વહેવા દો.

.

મારા આ પગ તમે લઈ લો અને એમને

તમારા માટે ઝડપી અને સુંદર બનવા દો.

.

મારો અવાજ તમે લઈ લો

અને મને કેવળ, હંમેશાં મારા પ્રભુ માટે જ ગાવા દો.

.

મારા હોઠ લઈ લો, અને એમને

તમારા સંદેશાઓથી ભરેલા રાખો.

.

મારું રૂપું લઈ લો અને મારું સોનું લઈ લો

એક કણ પણ હું મારી પાસે ન રાખું.

.

મારી બુદ્ધિ લઈ લો અને એની દરેક શક્તિનો

તમને ઠીક લાગે તેમ ઉપયોગ કરો.

.

મારી સંકલ્પશક્તિ લઈ લો

અને એને તમારી બનાવી લો

હવે પછી એ મારી ન રહે.

.

મારું હ્રદય લઈ લો, એ તો તમારું પોતાનું જ છે

એને તમારું રાજસિંહાસન બનાવો.

.

મારો પ્રેમ લઈ લો, મારા પ્રભુ !

એના ખજાનાનો ઢગલો હું તમારા ચરણે ઠાલવું છું.

.

મારી જાત તમે લઈ લો

અને હું હંમેશાં, ફક્ત, સંપૂર્ણપણે

તમારા માટે જ બની રહીશ.

.

( ફ્રાન્સેસ રિડલે હેવરગલ )

.

( “પરમ સમીપે”માંથી, ઉદ્દગાર : અંકિત ત્રિવેદી )

ચાડિયો

ખેતરમાં

માણસ આકારનો ચાડિયો જ શા માટે

.

કોઈ શિકારી બાજ અથવા

હિંસુ પશુની પ્રતિકૃતિ મૂકી શકાય

.

પણ માણસને ખબર છે કે

આમ કરવાથી પંખીઓ ડરતાં નથી

.

તેઓ બાજની પાંખ નીચે

બિલ્લીના પેટ ઉપર

કે સિંહના મોંની બખોલમાં

માળા બાંધશે

દાણા ખાશે અને ખવરાવશે

.

માણસ અને ચાડિયા વચ્ચેનો ભેદ

પંખીઓ પારખી શકતાં નથી

.

માણસ

સાપ જેમ સરકે છે

બિલ્લી જેમ લપાઈને છાપો મારે છે

બાજની જેમ ચીલઝડપ કરે છે

અને ચાડિયા જેમ

સ્થિર થઈ ઊભો રહી જાય છે.

.

( અરવિંદ ભટ્ટ )

વણજારા

ઉતાર પોઠ, સાંઢણી ઝુકાવ, વણજારા !

હવે તો બસ કે આ છેલ્લો પડાવ, વણજારા !

.

કયા પડાવનો પીડે અભાવ, વણજારા !

હજી છે કેટલાં બાકી તળાવ, વણજારા !

.

કયા તે વણજારાને કરવી રાવ, વણજારા !

દીધો તેં વણજારા જેવો જ ઘાવ, વણજારા !

.

ગયાં ક્યાં તાંસળીભર્યા અમલ અને કેસર ?

બન્યો શું અંજળીઓમાં બનાવ, વણજારા ?

.

રહે ન સાંઢણી… ન રાવટી… ન તું કે હું…

દઈ તે આખરી કરપીણ ઘાવ, વણજારા !

.

ન મેંય શંખલાં આ પ્રાણમાં પરોવ્યાં હોત

ન હોત તારીમારી વચ્ચે વાવ, વણજારા !

.

( લલિત ત્રિવેદી )