વિદાય વેળાએ (ભાગ-૧)

(23/08/1938 – 25/12/2012)

(23/08/1938 – 25/12/2012)

અને હવે સાંજ પડી.

ત્યારે સાધ્વી મિત્રાએ કહ્યું,

ધન્ય હો આજના દિનને અને સ્થળને અને આપના આત્માને જેણે અમને વચનામૃત સંભળાવ્યાં.

ત્યારે તે બોલ્યા, શું હું બોલતો હતો કે ?

શું હું સાંભળનારોયે નહોતો કે ?

તે પછી તે મંદિરની પગથીઓ ઊતર્યા, અને સર્વ લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા. અને તે વહાણ પર જઈ પહોંચ્યા, અને તેની તૂતક પર ઊભા રહ્યા.

અને લોકો ભણી જોઈ, તે પોતાનો સાદ મોટો કરી બોલ્યા :

ઑરફાલીઝના લોકો, તમારી વિદાય લેવા પવન સૂચવી રહ્યો છે.

પવન કરતાં મારી ઉતાવળ ઓછી છે, છતાં મારે હવે જવું જોઈએ જ.

અમે ભટકનારા, હમેશાં એકાંતનો માર્ગ શોધનારા, જ્યાં એક દિવસ પૂરો કર્યો ત્યાં જ બીજો દિવસ ઊગવા દઈએ નહીં; અને જ્યાં અસ્ત પામતો સૂર્ય અમને છોડી જાય ત્યાં ઉદય પામતો સૂર્ય અમને જોઈ શકે નહીં.

પૃથ્વી ઊંઘતી હોય ત્યારેયે અમે તો ફરતા જ હોઈએ.

અમે છીએ દ્રઢ વૃક્ષનાં બીજો; અમારી પક્વતાની અને અમારા અંતરની પૂર્ણતાની દશામાં અમને પવનને હવાલે કરી સર્વત્ર ઉડાડવામાં આવે છે.

થોડો જ કાળ હું તમારામાં રહ્યો, અને તેથીયે થોડા શબ્દો મેં તમને કહ્યા છે,

પણ મારો અવાજ તમારા કાનમાં જીર્ણ થઈ જશે, અને મારો પ્રેમ તમારી સ્મૃતિમાંથી ભૂંસાઈ જશે, તો વળી હું તમારી વચ્ચે આવીશ.

અને વધારે ભાવથી અને આત્માને વધારે આધીન રહેનારી વાણીથી હું તમારી જોડે બોલીશ.

જરૂર, વળતી ભરતીએ હું પાચો આવીશ,

અને મરણ મને સંતાડી દે, અને વિશેષ મૌન મને ઢાંકી દે, તોયે વળી હું તમારી બુદ્ધિને શોધીશ.

અમે મારી શોધ મિથ્યા નહીં જાય.

અને મેં કહ્યું તેમાં જો કંઈ સત્ય હોય, તો સત્ય વધારે સ્પષ્ટ અવાજમાં, અને તમારી બુદ્ધિને વધારે અનુકૂળ વાણીમાં પ્રગટ થશે.

હું પવન સાથે જાઉં છું, ઑરફાલીઝના લોકો, પણ હું શૂન્યમાં ડૂબી જતો નથી.

અને જો આજનો દિવસ તમારી ભૂખને અને મારા પ્રેમને તૃપ્ત કરનારો ન નીવડ્યો હોય, તો તે બીજે દિવસે પાછા આવવાના કરારરૂપે થાઓ.

મનુષ્યના વિષયો બદલાય છે, પણ તેનો પ્રેમ બદલાતો નથી; તેમ જ નથી બદાલતી ઈચ્છા કે એના પ્રેમથી એના વિષયો તૃપ્ત થાય.

ત્યારે જાણો કે વધારે મોટા મૌનમાંથી હું પાછો આવીશ.

ખેતરોમાં ઝાકળનાં ટીપાં વેરી પ્રભાતમાં ઊડી જનારું ધુમ્મસ, ઊંચે ચડી વાદળામાં બંધાઈ, પાછું વરસાદરૂપે નીચે પડે છે.

અને એ ધુમ્મસથી હું જુદા પ્રકારનો નથી.

રાત્રિની શાંતિમાં હું તમારી શેરીઓમાં ફર્યો છું, અને અમરો આત્મા તમારાં ઘરોમાં પેઠો છે,

અને તમારા હૃદયના ધબકારા મારા હૃદયમાં થતા, અને તમારો ઉચ્છવાસ મારા મોં પર અઅવતો, અને હું તમને બધાને ઓળખતો.

સાચે જ, તમારા હર્ષ અને તમારા પ્રેમને હું અજણતો, અને તમારી ઊંઘમાં તમારાં સ્વપ્નો મારાં સ્વપ્ન બનતાં.

અને ઘણીવાર હું તમારી વચ્ચે પર્વતામાળા વચ્ચે આવેલા સરોવર જેવો થતો.

તમારાં શિખરો અને વાંકાચૂકા ચડાવોનાં, અને વળી તામરા વિચારો અને તમારી કામનાઓના ચાલી જતા ગાડરોનાંયે હું પ્રતિબિંબ ઉઠાવતો.

અને મારા શાંત (હૃદ=સરોવર) પ્રત્યે તમારાં બાળકોનું હાસ્ય ઝરણાંઓ થઈને અને તમારા તરુણોની આકાંક્ષાઓથીયે વધારે મોટાં બની તે (ગાનો) મારી પાસે આવતાં.

એ તમારામાં રહેલો અનંત હતો;

તે વિરાટ પુરુષ જેનાં તમે સૌ માત્ર જુદા જુદા કોશો (cells) અને સ્નાયુઓ જ છો,

અને જેના સૂરમાં તમારું સર્વ સંગીત કેવળ અવાજ વિનાના કંપ જેવું જ છે,

એ વિરાટ પુરુષને લઈને તમે વિરાટ છો,

અને તેના દર્શનમાં મેં તમને જોયા અને ચાહ્યા.

કારણ, એ વિશાળ સ્વરૂપમાં ન હોય એવાં કયાં અંતરોને પહોંચવાની પ્રેમની શક્તિ છે ?

કયાં સ્વપ્નાં, કઈ આશાઓ અને કઈ ધારણાઓ ને ઊંડાણને (ઊંડાણ=આકશમાં ઊંચી ઊડ, flight) ઓળંગી શકે ?

લાખનાં ફૂલથી ઢંકાઈ ગયેલા મહાન વનવૃક્ષના જેવો તે વિરાટ પુરુષ તમારામાં વસે છે. (વનવૃક્ષ=દેવદાર Oak. એમાંથી ઝરીને ફૂલની જેમ બંધાતો ગંધવાળો રસ તેને અહીં લાખ કહ્યો છે.-oakapple)

એની શક્તિ તમને પૃથ્વી સાથે જકડી રાખે છે, એની સુવાસ તમને આકાશમાં ચડાવે છે, અને ચિરંજીવિતામાં તમે અમર છો.

તમને એમ શીખવવામાં આવે છે કે સાંકળની જેમ તમેયે તમારી નબળામાં નબળી કડી જેટલા નબળા હો છો.

આ અર્ધું જ સત્ય છે. તમે તમારી જબરામાં જબરી કડી જેટાલા બળવાન પણ છો.

તમારા સૌથી અલ્પ કાર્ય પરથી તમારું માપ કાઢવું, એ સમુદ્રની શક્તિનો એની ફીણની ક્ષુદ્રતા પરથી ખ્યાલ કરવા બરાબર છે.

તમારી નિષ્ફળતા પરથી તમારે વિશે મત બાંધવો એ ઋતુઓને તેમની અસ્થિરતા માટે દોષ દેવા બરાબર છે.

સાચે જ તમે સમુદ્ર સરખા છો,

અને ભારથી લાદેલાં વહાણો તમારા કિનારાઓ પર ભરતીની વાટ જોતાં ઊભાં હોય તોયે, સમુદ્રની જેમ જ, તમેયે તમારી ભરતીને ઉતાવળ આણી ન શકો.

અને તમે ઋતુઓ સરખાયે છો;

અને જોકે તમારા શિયાળામાં તમે તમારા વસંતનો ઈનકાર કરો છો, (એટલે જાણે વસંત આવનાર જ ન હોય એવું દર્શાવો છો. શિયાળો=નિરાશા, વસંત=આશા).

છતાં વસંત તમારામાં જ સૂતેલો હોઈ, પોતાના ઘેનમાં હસે છે અને ખોટું લગાડતો નથી.

એમ ન માનશો કે આ બધું હું તમને કહું છું તે એટલા માટે કે પછીથી તમે એકબીજાને કહો કે, “એણે આપણં સારાં વખાણ કર્યાં. એણે આપણી સારી બાજુ જ જોઈ.”

હું માત્ર વાચામાં જ તે કહું છું, જે તમે તમારા અંતરમાં જાણો છો જ.

અને વાચામય જ્ઞાન એટલે વાતચીત જ્ઞાનની છાયા સિવાય બીજું શું ?

તમારા વિચારો અને મારી વાચા સીલબંધ કરી રાખેલી આપણી સ્મૃતિના તરંગો માત્ર છે;

એ (સ્મૃતિ એટલે) એક દફતરખાતું જેમાં આપણી ગઈ તિથિઓની,

અને જ્યારે પૃથ્વી આપણને કે પોતાનેયે જાણતી નહોતી તે પ્રાચીન કાળની,

અને જ્યારે તે પ્રલયાવસ્થામાંથી પ્રગટ થતી હતી તે ગરબડવાળી રાત્રિઓની નોંધો રખાયેલી છે.

ઘણા જ્ઞાની પુરુષો પોતાનું જ્ઞાન તમને આપવાને અહીં આવી ગયા છે. હું તમારી પાસેથી કંઈક જ્ઞાન મેળવવા આવ્યો હતો :

અને, ખરે જ, જ્ઞાન કરતાંયે કાંઈક વિશેષમને મળ્યું છે.

એ તમારી અંદર રહેલી, અને સદાયે વધતી જતી, ચૈતન્યની જ્યોતિ;

જો કે તમે તો, એની વૃદ્ધિ તરફ દુર્લક્ષ કરી, તમારા દિવસો વહી ગયાનો શોક કરો છો.

જે જીવન શરીરની અંદરના જ જીવનને શોધે છે, તે જ કબરથી ડરે છે.

અહીં કબરો છે જ નહીં.

આ પર્વતો અને મેદાનો પાળણું અને ચડવાનું પગથિયું છે.

જ્યાં તમે તમારા પૂર્વજોને દાટ્યા હોય તે ખેતર પાસેથી જ્યારે જ્યારે તમે જાઓ, ત્યારે તેને સારી પેઠે તાપસી જુઓ; તો તેમાં તમે તમને પોતાને અને તમારાં બાળકોને હાથમાં હાથ મેળવી નાચતાં જોશો.

ખેર, કેટલીયે વાર તમે ન જાણતાંયે આનંદ કરો છો. (એટલે તમારો આનંદ યોગ્ય કારણસર હોય છે, પણ તેના કારણની તમને ખબર નથી હોતી. તમારા પૂર્વજો તમને મૂકીને કબરમાં ન ગયા હોત, તો તમે આજે નાચી શકત નહીં, અને તમે જો મરો નહીં તો ઊંચેયે ચડી શકો નહીં, અને તમારા વંશજો માટે સ્થાન ખાલી પણ કરી શકો નહીં. તમારા રૂપમાં તમારા પૂર્વજો જ વસે છે, અને તમારા વંશજોમાં તમે જ અવતાર લો છો. એ દ્રષ્ટિએ મરણ તપાસો તો એમાં ડરવા જેવું કશું નહીં જણાય.)

વળી કેટલાક તમારી પાસે આવી ગયા છે જેઓ તમારી શ્રદ્ધાને સુવર્ણમય આશાઓ આપી ગયા છે; તેના બદલામાં તમે તેમને માત્ર ધન અને સત્તા અને કીર્તિ જ આપ્યાં છે.

મેં તમને આશાથીયે ઓછું આપ્યું છે, છતાં તમે મારા પ્રત્યે વધારે ઉદારતા બતાવી છે.

તમે મને ચૈતન્ય માટેની વધારે તીવ્ર તૃષા આપી છે.

સાચે જ, જે વડે માણસના સર્વે ઉદ્દેશો સુકાઈ જનાર હોઠ બની જાય, અને સર્વ જીવન એક ઝરણું બની જાય તે કરતાં કોઈ વધારે મોટી ભેટ હોઈ શકે નહીં.

અને મારું માન અને મારો બદલો આ જ વાતમાં રહ્યો છે કે-

જ્યારે જ્યારે હું એ ઝરણા પાસે પીવા આવું છું, ત્યારે તેનું ચૈતન્ય-નીર પોતે જ મને તરસ્યું માલૂમ પડે છે;

અને હું એને પીઉં છું ત્યારે તેયે મને પીએ છે.

(ખલીલ જીબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા)

બજારમાં – કમલ વોરા

બોરાં લઈ બેઠો છું બજારમાં
ગામ નાનું માણસ ઝાઝું
તે બોરીઓ ભરી ભરીને
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં.
બોલે છે તે બોર વેચેછે
બૂમો પાડે તે વધુ બોર વેચે છે
ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે.
કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે
કોઈ જોડકણાંનો શોર મચાવે
કોઈ ટુચકાઓ વેરે છે
કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો
નાચી લે છે.
રંગબેરંગી ચળકતાં પડીકામાં વીંટાળેલાં
બોર વચ્ચે ઠળિયા
ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં,
ક્યાંક ક્યાંક તો શરમ મૂકી
ભેળાભેળા કાંકરા પણ વેચાય છે.
ભોળિયું લોક હોંશ-હોંશે
મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે
તોલ તાજગીમાં ગોલમાલથી
બજાર ઊભરાય છે
ને સહુને બોર વેચવાં છે.
હુંય મારાં બોર લઈ આવ્યો છું ને
ચાખી ચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ.

( કમલ વોરા )

નામ…!! – એષા દાદાવાલા

સાવ કોરા કાગળ જેવી જિંદગી પર સમયે ચીતરી આપેલા તારા નામને
કોરા કાગળે ચીતર્યા કરવાનું મને ગમે
તારા નામને
ઘૂંટી-ઘૂંટીને ઘાટું તો કરું
પણ કેમેય કરીને આખું નામ એક સાથે લખાય જ નહીં…!
એક જ શ્વાસમાં બોલાઈ જતું તારું નામ
કાગળ પર ચીતરતાં યુગો લાગે ?
તારું નામ એક પઝલ જેવું.,
જિંદગીએ દોરી આપેલી ક્રોસવર્ડ પઝલ…!
જિંદગીએ દોરી આપેલા ચોકઠા વચ્ચે
વર્ષોથી તારા નામને ઘૂંટ્યા કરું છું
અને જિંદગીના ક્રોસવર્ડ ઉકેલવાની કોશિશ કરું છું
પણ આડી-ઊભી ચાવી વચ્ચે ઉકેલાઈ જતું તારું નામ
જિંદગીના ચોકઠામાં ભરવા જાઉં કે
ચોકઠા મોટા ને મોટા થતા જાય છે
હવે
મેં ક્રોસવર્ડ ઉકેલવાનું માંડી વાળ્યું છે
અને
એક જ શ્વાસમાં બોલાઈ જતું તારું નામ પણ
શ્વાસ ભરાઈ આવે એટલું મોટું થતું ગયું છે
એટલે જ
તારા નામને કાગળ પર ચીતરવાની હઠ મેં છોડી દીધી છે…!!

( એષા દાદાવાલા )

કેટલીક ત્રિપદી – એસ. એસ. રાહી

-રેતના વસ્ત્રો નદી ધોતી હતી,
પણ કશું ઊજળું થયું ના એટલે
આંખ એની બેતમા રોતી હતી.
*
-એ સુરા માટેની કાળી દ્રાક્ષ છે,
પણ મેં એ ડોકમાં પહેરી લીધી
મેં કહ્યું કે શુદ્ધ એ રુદ્રાક્ષ છે.
*
કાળજું કઠણ કરીને, દિલ લઈને આવ તું,
હું અજાણ્યા દ્વીપ પર આવી ચડ્યો છું સ્વપ્નમાં
તો અલિફ-લૈલાની જૂની વારતા સંભળાવ તું.
*
-તલવાર-તીર કંઈ નથી,પણ દિલ ઘવાય છે,
કાંટાળો તાજ પહેરીને ઊભો છું પાદરે
પણ એમ ક્યાં આ ગામના રાજા થવાય છે ?
*
-ફાગણનો વાયરો છતાં ચોમેર ભેજ છે,
પગમાં ચુભે છતાંય ગમે છે એ બેહિસાબ
કાંટાની કેડી પર તો ગુલાબોની સેજ છે !
*
-બદલાઈ ગયો આખો જમાનો,વિચાર કર,
માણસને પૂજવાનો શિરસ્તો રહ્યો નથી
જો થૈ શકે તો પીર થવાનો વિચાર કર.
*
હું સમેટી ના શક્યો ખેલને,
તો તમે આખું જીવન સાથે રહ્યા
મેં ઉતારી’તી અમસ્તી હેલને.
*
-આ દિશા સંજોગની યાચક હશે,
જો નવો રસ્તો મળી આવ્યો મને
પંચતત્વો પણ ખરા વાચક હશે.
*
-લીંબોળી ચાવી ચાવી હું કડવો બની ગયો,
ખિજડાને મેં ઉતાવળે ગુલમ્હોર કહી દીધું
બસ તે ઘડીથી હું પછી અડવો બની ગયો.

( એસ. એસ. રાહી )

સ્વચ્છ આકાશ – મનીષા જોષી

કોઈક સુસ્ત સાંજે

આકાશમાં અચાનક દેખાઈ જતા

મેઘધનુષને જોઈને

સહેજ ચીડ ચડે છે.

શું હવે આ મેઘધનુષ પર

લપસણીની જેમ સરકવાનું ?

કે આ રંગોને ઓળખવાનો ઢોંગ કરવાનો ?

રંગ સાપેક્ષ કે નિરપેક્ષ,

એ વિચાર પણ હવે વ્યર્થ લાગે છે.

અત્યારે તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે

મારી બારીની બહાર મને દેખાય

એક કોરું, સ્વચ્છ, ખાલી આકાશ.

એટલું ખાલી એટલું સફેદ

કે મારી આંખો એમાં શોધી શકે

વર્ષો પહેલાં

મારી સાવ પાસેથી થઈને

ઊડી ગયેલા

એ સફેદ પક્ષીને.

 .

( મનીષા જોષી )

ઋતુ – મનીષા જોષી

મારા ઘરની અગાશી પર હું ખાસ જતી નથી.

ગયા વર્ષે પાનખરમાં ખરેલાં પાંદડાં,

હજી પડ્યા છે, ત્યાં

મેં એમના રંગ બદલતા જોયા હતા.

ગયા શિયાળની એ બરછટ ઠંડી પણ

પડી છે હજી, કોઈ પ્રેક્ષકની જેમ,

મારા ઘરની ભીંતોમાં.

મારી શુષ્ક ત્વચા, આ દીવાલો જેવી,

પાસે છતાં દૂર દૂર.

રાત્રે હું મારી ત્વચાથી બચીને

એમ સંકોરાઈને સૂઈ જઉં છું

જાણે વરસાદમાં

કોઈ અજાણ્યા ઘરમાં આવી ચડેલા જીવડા

નજર બચાવીને બારીએ બેસી જાય.

ગયા ચોમાસામાં

હું આંગણામાં બહાર ભૂલી ગઈ હતી

એ પ્યાલામાં વરસાદનું પાણી ભેગું થયું હતું

એ પણ છે હજી, મારી પાસે

તો એ ઉનાળામાં મારા ઘરની આસપાસ ખીલી ઊઠેલા

ગરમાળાનાં પીળા ફૂલોની સાથે સાથે

મારા શરીરનો રંગ પણ પીળો થઈ ગયો હતો

તે પણ હજી ક્યાં બદલાયો છે ?

ઋતુઓ બદલાય છે એ વાત સાચી

પણ ક્યારેક ઋતુઓને રોકાઈ જવું હોય છે.

ઋતુઓ આવે કે જાય

પીળા થઈ ગયેલા મારા શરીર પર

બારેમાસ શોભે છે,

પીળા, સુવર્ણના અલંકાર

અને મારા વાળમાં

બારેમાસ શોભતા રહે છે,

પીળા, ગરમાળાનાં ફૂલો.

 .

( મનીષા જોષી )

તું…!! – એષા દાદાવાળા

તું આધાર છે, એવું નહીં કહું

નહીંતર આધારિત થઈ જવાનો ભય લાગશે મને…

તું દીવાલ છે એવું પણ નહીં કહું

નહીંતર બારી કે દરવાજાની જરૂર ઊભી થશે મને…

તું આકાશ છે એવું પણ નહીં કહું

આકાશ અનંત છે અને અનંતતાથી નફરત છે મને

એક શરૂઆત અને અંત તો હોવો જ જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું.

તું છત છે એવું પણ નહીં કહું

છત આભ સાથેનો સંબંધ તોડી આપે છે અને આભ સાથે જોડાયેલા રહેવું

મારી જરૂરિયાત છે

તો પછી તને શું કહું ?

હવા ? ના, એ તો બધાની જરૂરિયાત હોય…

શ્વાસ ? ના, એ તો બંધ થઈ જાય…

પાણી ? ના, એ તો સૂકાઈ જાય…

અગ્નિ ? ના, એ તો ઓલવાઈ જાય…

તો પછી હું તને કહું શું ?

શ્વાસ-ઉચ્છવાસ વચ્ચેનો સમય…?

કદાચ હા જ…!

તને ખબર છે ?

જિંદગી જીવવા માટે

શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેનો સમય ખૂબ અગત્યનો હોય છે

એ ખોરવાઈ જાય તો

જિંદગી દાવ પર લાગી જાય છે…

એટલે મારા માટે તું શ્વાસ-ઉચ્છવાસ વચ્ચેનો એ સમય જ છે સાચે જ…!!

 .

( એષા દાદાવાળા )

તમે ક્યાં છો ? – પ્રજ્ઞા દી. વશી

વરસતી સાંજ વ્હેતી ક્ષણ હૃદય બેબશ, તમે ક્યાં છો ?

ભીતર છે આગ એવી કે બની પરવશ, તમે ક્યાં છો ?

 .

વિરહની ડાળે બેસી એક કોયલ જ્યાં ટહૂકી ત્યાં,

ગૂંજે વૈશાખનાં પગરવ બની કર્કશ, તમે ક્યાં છો ?

 .

હજી તો આગને ના સાંપડ્યો વેરી પવનનો સાથ

છતાં તણખો બને છે યાદનો આત્શ, તમે ક્યાં છો ?

.

પ્રવાસી પ્રેમની છું ને આ યાદી કૈં મુકામોની

વચાળે તમને મળવાનું કરું સાહસ, તમે ક્યાં છો ?

 .

ધીરે ધીરે, થતી ચાલી અહલ્યા રાહ જોતી હું

જીવે સંવેદના સ્પર્શો બની પારસ, તમે ક્યાં છો ?

 .

મને વરસાદ ગમતો એનો મતલબ એ થયો પ્રિયે !

જગત આખું બને છે પ્રેમરસ સારસ, તમે ક્યાં છો ?

.

( પ્રજ્ઞા દી. વશી )

સ્ત્રી – એષા દાદાવાળા

રોજ સવારે સાડીની સાથે લપેટાય છે

મારા શરીર ફરતે એક આગ

ધીમી આંચે ઉકળવા મૂકેલા દૂધની જેમ

મારામાં પણ આવે છે ઉભરો

ધીમી આંચે સળગતી હું, ઉભરાઈ જવાની અણી પર હોઉં

ત્યાં જ બર્નર ઓફ થઈ જાય

અને તપેલીમાં શમી જતા દૂધની જેમ જ મારામાં પણ શમી જાય એક ઉભરો…!

રાત્રે સાડી બદલું ત્યારે શરીર પરથી કપડાં બદલાઈ જાય

પણ આગ તો એવીને એવી જ રહે, શરીર સાથે લપેટાયેલી…!

એ સ્પર્શે ત્યારે જાણે ગરમ તવી પર પાણી છંટાયું હોય એવો અવાજ અવે ‘છમ્મ્મ્મ્મ!!’

પછી વરાળ નીકળે આખા શરીરમાંથી !

શરીરમાંથી નીકળેલી વરાળ આંખોમાં ભેગી થાય

પાણી વરસે પણ ખરું

પણ પાણીના એ દસ-બાર ટીપાં પેલી આગને ઠારવામાં નિષ્ફળ નીવડે

અને હું

આગમાં બળી મરેલી ઈચ્છાઓનો અગ્નિ સંસ્કાર કર્યા વગર

પાણીના આ દસબાર ટીપાં વચ્ચે જ એને વહાવી દઈ

બીજા દિવસે ફરી પાછી એક નવી નક્કોર સાડી વીંટાડી લઉં છું

શરીર ફરતે લાગી ગયેલી પેલી જ આગની ઉપર…!!

 .

( એષા દાદાવાળા )

ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !

 .

અમે ઓળખી શક્યાં નહીં ‘ને મૃગજળ પાછળ દોડ્યાં;

છીપ નીરખતાં રજત ગણીને અઢળક શાને મોહ્યાં ?

તૃષ્ણા કીધી ગગનકુસુમની, કેવળ પામ્યાં છલના;

સકળ વિશ્વનું છદ્મ લઈ, શું કરી કૃષ્ણની રચના ?

 .

હશે, અમે અબળા તો મૂળથી બન્યાં કપટનો ભોગ !

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

 .

વાંસ વધ્યાની પેર અમારો પ્રેમ ક્ષણેક્ષણ વાધ્યો;

છતાંય અંબર-ઊંચો માધવ નથી લગીરે સાધ્યો !

દેવ-દેવીઓ મથે છતાં ક્યાં ભાગ્ય શકે છે જાણી;

કહી શકે છે કોણ ? માછલી પીએ કેટલું પાણી ?

 .

હોય ઉછીનું સુખ અસ્થાયી; અલ્પ પામીએ ભોગ !

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

 મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !

.

( વીરુ પુરોહિત ‌)