પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

નિર્લેપતા,

જલકમલવત જાગૃતિની એરણ ઉપર

ક્ષણ ચૈતન્યના ઘડતા

ઘાટનું નામ નિર્લેપતા

લેતી-દેતીના કિનારા છોડીને

વળગણ વગર વહેતા રહેવાની

મોજ એ જ આનંદ-અનાસક્તિ !

અખંડ, અસ્પર્શ્ય,

અટક્યા કે અથડાયા વગર

અવિરત વહેતી બજરંગી,

મારૂતિ ઓળખનું નામ નિર્લેપતા.

 .

તું વહેતું વ્હાલ, કિનારા અમે !

 .

(૨)

સંતોષ,

પૂર્ણપ્રાર્થના અને

પારદર્શક પુરુષાર્થ પછી

સહજ ઉગતા પુષ્પની

સુગંધનું નામ સંતોષ !

સંતોષની આનંદધારાએ

જે આવી મળે અને ઉછરે

એ અલૌકિક સંબંધ,

શ્રીહરિનો પ્રગટ નિવાસ !

સત્વની અખિલાઈની ઓળખ

એ જ સંતોષ.

શૂન્યે સભરતા એ જ સંતોષ.

 .

તું સ્થિર જે ઈંટ ઉપર, એ ઈંટ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

એ તરફ – શૈલેશ ટેવાણી

ઝંઝા અને તોફાન છે કહે છે એ તરફ,

કોઈ કશીક રાહમાં જીવે છે એ તરફ.

 .

મુશ્કેલ છે શોધી અને તેના તરફ જવું,

કોઈ છતાં કહે છે એ રહે છે એ તરફ.

 .

આ તરફ દરિયો અને છે એ તરફ તો લૂ,

સઢ વિનાની નાવ શું ધસે છે એ તરફ ?

 .

ઝાંખો છે ચંદ્રમાં અને સૂરજ હતો ઉદાસ,

મોસમ ઉદાસ આટલી રહે છે એ તરફ ?

 .

ખાલી દીવાલ, રાત ને સૂમસામ વાદળી,

ગમગીન આવી રાત શું ઢળે છે એ તરફ ?

 .

( શૈલેશ ટેવાણી )

છેતરી જાશે – શોભિત દેસાઈ

ચમન ! તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,

પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખમો ધરી જાશે.

( કૈલાસ પંડિત )

 .

જીવન ઉપર ન કરતો કોઈ દી હક, છેતરી જાશે;

તને એ મોત થઈ મારી જ માફક છેતરી જાશે.

 .

ખરીદી નહીં શકે તું યોગ્ય વસ્તુ વ્યાજબી ભાવે,

બજારોમાં તને મૂલ્યોની રકઝક છેતરી જાશે.

.

નથી યાહોમ કરવાની હવે વૃત્તિ કોઈમાં પણ,

ધરીને વેશ મર્દાના નપુંસક છેતરી જાશે.

 .

ભલે હો જીવદયાનો દાવો, મુદ્દો મુખ્ય છે વેપાર;

બધા છે ખાનગીમાં ખૂબ હિંસક છેતરી જાશે.

 .

નહીં એના વિના જીવી શકાશે એક પળ કૈલાસ

જરા સાંભળજે, છે દિલનો યાચક છેતરી જાશે.

.

( શોભિત દેસાઈ )

કેટલા લોકો ? – રાજેશ વ્યાસ “મિસ્કીન”

કેટલા લોકો ? કેટલી વખત ? કેટલી રીતે ? કેટલાં સ્થળે ?

કેટલાં મોઢા ? કેટલી વાતો ? કેટલા અરથ ? હળેમળે ?

 .

કેટલી યાદો ? કેટલી સાંજો ? કેટલાં આંસુ ? કેટલા શ્વાસો ?

કેટલાં રૂપે ? કેટલું ગણિત ? બાહર ને ભીતર કેટલું છળે ?

 .

કેટલી રમત ? કેટલી સહજ ? કેટલાં જીવન ? કેટલાં હૃદય ?

કેટલા ખીલા ? કેટલા ઈશુ ? એક છાતીમાં કેટલું કળે ?

 .

કેટલાં વાદળ ? કેટલા શ્રાવણ ? કેટલી તરસ ? યાદ કશું ક્યાં ?

એકધારી આ લખચોરાસી એકધારો કૈં જીવ આ બળે.

 .

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

લઘુકાવ્ય – પરાજિત/તમન્ના

(૧)

નખ

 .

મને આ ઉઝરડાઓએ

શીખવી દીધું છે કે

કોઈને મળો ત્યારે તેના હાથ

તમારા હૃદય સુધી ન પહોંચે

તેની તકેદારી રાખીને મળવું

કોને ખબર –

કોનાં નખ ઝેરી હોય..!!

 .

(૨)

મળવું

 .

તું આવતી નથી

તોય કહું કે – આવજે

તું કશું જ લઈને ગઈ નથી

તોય કહું કે – સાચવજે.

બાકી કશું જ નથી બચ્યું

સ્મૃતિનાં આ ખાલી

ખખડતા ખડિયામાં

તો કેમ કહું કે-

મળીએ…..!!

 .

( પરાજિત/તમન્ના )

એ પછી હું છું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન

બધા જ રસ્તા પૂરા થાય એ પછી હું છું,

કશું જ ક્યાંય ના દેખાય એ પછી હું છું.

.

બધા જ ગ્રંથ અને સમજણો અધૂરા છે,

જરાક આટલું સમજાય એ પછી હું છું.

 .

બધા જ અક્ષરો… ઉચ્ચાર – અર્થમાં સરખા,

બધું જ મૌનમાં બોલાય એ પછી હું છું.

 .

નજરમાં જાય સમેટાઈ બધું ઈચ્છા થઈ,

નજરમાં કૈં જ ના સમાય એ પછી હું છું.

 .

બધી જ સીમા બધા અંત તો ઈશારા છે,

લખાણ બ્હારનું વંચાય એ પછી હું છું.

 .

બધું જ જોઈ શકે તું થતું અહીં મિસ્કીન,

અને અજાણ્યો બની જાય એ પછી હું છું.

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

પ્રેમ,

ગમા-અણગમા પે’લે પારના

સહ અસ્તિત્વનું અખંડ

વિશ્વદર્શન અને પ્રતિક્રિયાવિહીન

વિચાર શૂન્યતાનો પડઘો

એ જ પ્રેમ !

સ્વને સર્વેશ્વરમાં ઓગાળી દેતું

રસાયણ એ જ પ્રેમ

સત્ય ખોજની શરૂઆત અને

અંતિમપ્રાપ્તિ સુધી પથરાયેલ

રાધાતત્વ એ જ પ્રેમ.

 .

તું ગંધ-સુગંધ, નાસિકા અમે !

 .

(૨)

નમ્રતા,

અહમ શૂન્ય અસ્તિત્વનો સાગર

શા પટે વિસ્તાર એ જ નમ્રતા

સ્વીકારના ચરમશિખરે,

સ્વ-લોપનો સૂવર્ણ કળશ

એ જ નમ્રતા !

પરમતત્વની સાવ લગોલગ પહોંચી,

તેને પામી ગયાની

પરખનું નામ નમ્રતા.

કીડીનાપગની ઝાંઝર થઈ,

એકત્વના ગીતનું ગુંજન

એ જ ‘કબીરાઈ’,

નમ્રતાનું અનંત પોત !

 .

તું મલમલ, માદરપાટ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

કૈંક જાણે કે – રાકેશ હાંસલિયા

કૈંક જાણે કે થવામાં છે,

આજ મૂંઝારો હવામાં છે.

 .

કેમ લંબાશે મદદ માટે ?

હાથ પંડિતોના પૂજામાં છે !

 .

સાંભળે છે વાત બસ દિલની,

કોઈના ક્યાં એ કહ્યામાં છે !

 .

ઊંચકાવે તું જ ગોવર્ધન,

જોર ક્યાં મારી ભુજામાં છે !

 .

શૂન્યથી મનને ભરી દેતું,

કૈંક એવું આ જગામાં છે !

 .

મૌન બેઠાં છે બધાં શાથી ?

ખોફ કોનો આ સભામાં છે ?

.

પ્રાર્થના ? ‘રાજેશ’ના હોઠે !

આજ નક્કી એ નશામાં છે !

 .

( રાકેશ હાંસલિયા )

બારી – હર્ષ બ્રહ્મભટ્ટ

બારી ખોલી

સસલાની જેમ તરત

અંદર આવ્યો તડકો;

પછી

સન્નાટો લઈને આવી બપોર;

પછી આવી સૂમસામ સાંજ;

પછી હળવેકથી પ્રવેશી

ઉદાસ રાત,

પણ-

વરસાદની વાંછટ જેવો એ

સમય

રહી ગયો

બારી બ્હાર.

 .

( હર્ષ બ્રહ્મભટ્ટ )

ચકચૂર થઈ શકે – કરસનદાસ લુહાર

પીધા વિનાય પણ જે ચકચૂર થઈ શકે છે;

ખાલી થઈને પણ એ ભરપૂર થઈ શકે છે !

 .

પૂરેપૂરું પોતાનું નૈકટ્ય એ જ પામે;

ઈચ્છે તો જાતથી પણ જે દૂર થઈ શકે છે !

 .

ઘેઘૂર છાંય વાળી એ વૃક્ષતાને વરશે;

જે લાગણીનાં લીલાં અંકૂર થઈ શકે છે !

 .

હોઈ શકે ખરેખર સાચા તવંગરો એ;

દારિદ્રયના જે દેશે મશહૂર થઈ શકે છે !

 .

( કરસનદાસ લુહાર )