Tag Archives: ગુજરાતી કવિતા

-તો કહેજે-અવન્તી દવે

તું ક્યારેક પેલાં કિરણોની પાર પહોંચી શકે

                તો કહેજે-

        સૂરજ ક્યારેય આવો કાજલ ન,તો !

તું ક્યારેક જળની આરપાર ખૂંપી શકે

                તો કહેજે-

        દરિયો ક્યારેય આવો આગ ન,તો !

તું ક્યારેય ચાંદના ગવનને ખોલી શકે

                તો કહેજે-

        રાત ક્યારેય આવી શ્વેત ન,તી !

તું ક્યારેય જિંદગીને પેલે સીમ પૂગી શકે

                તો કહેજે-

        મોત ક્યારેય આવું કિનખાબ ન,તું !

( અવન્તી દવે )

સૂરજ-વિનોદ અધ્વર્યુ

 પરબીડિયામાં

        તમે પાઠવ્યો સૂર્ય….

        નવો નક્કોર….

        અસલ કેસર ઝબકોળ્યો !

        અમે હરખનાં આંસુ મહીં ઘૂંટીને ઘોળ્યો.

        કરી લલાટે તિલક, જહીં દીઠું દર્પણમાં,

        ગયો ઓગળી-વહી સનેહી ! તવ સમરણમાં !….

રે !

        કેટકેટલા સૂરજ, આજલગણ, દૈ તાલી

        ગયા ઓગળી આમ, પછી પરબીડિયાં ખાલી !

અને-

        વળી આ-

        તમે પાઠવ્યો સૂર્ય….

        ભલે તો-આજ, અમેયે

        એ જ પરબીડિયામાં

        ભરી ચાંદ પાઠવશું કોડે

        સૂરજ થૈ જે મળશે તમને-

                                  -કોક પરોઢે !

( વિનોદ અધ્વર્યુ )

તૂટી ગયેલી ચપ્પલને-કૈલાસ પંડિત

તૂટી ગયેલી ચપ્પલને કાઢી નાંખતા પહેલા, 

પહેરવાના કેટલા મરણિયા પ્રયાસ, 

કર્યા હતા મેં.

 

ક્યારેક સ્કૂલના કે કોલેજના કોઈ ફ્રેન્ડને, 

કોઈ વાતે ઓછું આવી જતું ત્યારે, 

કેટકેટલા ખુલાસા કરતો હતો હું?

આજે નોકરીએ લાગ્યા પછી,

મારી પાસે ચપ્પલ બૂટના ઢગલા છે,

કોઈ ખોવાઈ પણ ગયા હોય,

મને યાદ પણ નથી.

હું હવે ફોનના ડાયલમાં કેટલાયને,

બર્થ-ડે વિશે કહી હાશ કરી દઉં છું,

એક વાર વીડિયો જોતા જોતા જ,

જમ્યા વગર સૂઈ ગયો ત્યારે,

તૂટેલું ચપ્પલ સ્વપ્નામાં આવ્યું અને

હું ઝબકી ગયો.

હવે ગોળી ખાઈ સૂઈ જવાની,

આદત પડી ગઈ છે મને.

( કૈલાસ પંડિત )

જવાની લઈને આવ્યો છું-“નાઝ” માંગરોળી

જગતમાં મહેરબાની હું ખુદાની લઈને આવ્યો છું,

વ્યથાઓ એટલે તો હદ વિનાની લઈને આવ્યો છું.

હવે તો દૂર થઈ જાશે તમારા દિલની શંકાઓ,

લૂટાવા આજ મહેફિલમાં જવાની લઈને આવ્યો છું.

કયા આધાર પર બાંધુ જગત હું મિત્રતા તુજથી,

અહીં જ્યારે હું ફાની જિંદગાની લઈને આવ્યો છું.

થયું સર્જન ઈબાદત માટે સર્જનહારની મારું,

બની બંદો પયામે બંદગાની લઈને આવ્યો છું.

વફાનો પાઠ દેવાને તને ઓ બેવફા આજે,

હું દીપક ને પતંગાની કહાની લઈને આવ્યો છું.

કરું ને ના કરું શું ચાર દિનની જિંદગાનીમાં,

જીવન ટૂંકું ઉમીદો હદ વિનાની લઈને આવ્યો છું.

કવિ છું નાઝ હું ઊડતો રહું છું કલ્પના-પાંખે,

જગતપટ પર વિચારો આસમાની લઈને આવ્યો છું.

 

( નાઝ માંગરોળી )

જીવનભરના તોફાન-અબ્બાસ એ. વાસી “મરીઝ”

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું,

              ફકત એના મોઘમ ઈશારે ઈશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,

              છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.

અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો,

              ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,

              છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હ્રદય મારું વ્યાપક, નજર મારી સુંદર,

              કલા મારી મોહક વિચારે વિચારે.

નથી આભને પણ કશી જાણ એની,

              કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુખની વચ્ચે,

              સમયના વિના કંઈ તફાવત ન જોયો.

બધીયે મજા હતી રાતે રાતે,

              ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,

              તો એનું નિવારણ તમારું મિલન છે.

તમે આમ અવગણના કરતા જશે તો,

              થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,

              હકીકતમાં કોની છે સાચી બુલંદી.

જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,

              તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,

              ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.

નવા છે મુસાફિર વિસામે વિસામે,

              નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં

              મરીઝ એક લાચારી કાયમ રહી છે.

જનાજો જશે તો કાંધે કાંધે

              જીવન પણ ગયું છે સહારે સહારે.

( અબ્બાસ એ. વાસી મરીઝ )

આજ-રાવજી પટેલ

 

આજ આખોય દિવસ મચ્યો વરસાદ

કાલ બપોર લગી ન હતું કશુંય

તે સડકની ધાર પર ઘાસ ગર્ભકોમલ ડોકાઈ આવ્યું.

પગરખાં મહીં થોડી કનડીઓ હરેફરે…

મારે જવું-જવું-

મારે બેસવું છે ઘાસ પાસે.

આસપાસના મકાનોમાં ભીનીમદ ભરી હોય માટી એવું શાંત.

અરે, કોકને શાક લેવા પણ નથી જવું?’

મારે જવું; જવું-

કોણ ટૂંટિયું વાળીને પડ્યું માર્ગ પર?

સૂર્ય? મારી ઈચ્છારૂપે ક્યારનો ભીંજાય?

આ ગોરંભાયો ગાજે આજે મેઘસ્વર ઘુરુરુરુ ઘેર ઘેર

નેવે નેવે વહે પથ પર ખળખળ

ખુલ્લી બખ બારીઓ સકલ અંધ મનુષ્યની આંખો જેવી.

અલ્યા, કોઈને પોષ્ટઓફિસેય નથી જવું?’

મારે, જવું જવું-પણ કોને લખું?

( રાવજી પટેલ )

કેમ રહેવાય કહો છાનાં?-“આનંદ” મુનિચંદ્રજી

ભીતરના તાર સ્વયં રણઝણતા થાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

ગુંજન ના હોય અને સૂરો સંભળાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

 

દુ:ખમાંયે મુરઝાવા દીધી ના લીલપ

કે, ચહેરાઓ સ્મિત વડે દોર્યા,

જલી જલી મેળવી છે જાહોજલાલી અને

પાનખરોમાંય સદા મ્હોર્યા !

ભડભડતા દરિયા તરી નૌકા હરખાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

 

લાગણીઓ લોહી મહીં ઘૂંટી ઘૂંટીને પછી,

ઉરના ઓરસિયે લસોટી,

કેમ રે કેવાય બધી અંદરુની વાત

થાય શબ્દોની કારમી કસોટી,

આંખોમાં નવી એક આશા છલકાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

 

ભેદી બિહામણા સાચના તે રૂપ અમે

પેસી પાતાળ લીધાં શોધી,

કીધાં ન કોઈ દિ જે દોષ કિનખાબી અમે

થઈ બહુરૂપી લીધા ઓઢી !

બિડેલાં લોચનોથી સઘળું દેખાય

હવે કેમ રહેવાય કહો છાનાં?

(આનંદ મુનિચંદ્રજી )

મિત્રને યાદ કરવો એટલે-કવિતા ચોકસી

મિત્રને યાદ કરવો-

એટલે ઘટ્ટ અંધકારમાં ખુલ્લું-ખુલ્લું રડી દેવું

અને પછી ઓચિંતું હસી પડવું.

તું સંવેદી શકે કે હું તને યાદ કરી રહી છું?

ગાઢા શિયાળામાં તેં દીધેલી સગડીનો કેસરિયો ઉજાસ

મારા રુંવે-રુંવે આછેરી ગરમાશ ભરી ગયો છે.

ભર વરસાદે તેં મોકલાવેલો

ફોરાંભર્યા લીલા પાંદ નો પત્ર

પીળો પડી રહ્યો છે

અને મારી આંખમાં ચમકી રહી છે

અજાણ્યે જ ધસી આવેલ અશ્રુબિંદુની સેર.

હું તને યાદ આવતી હોઈશ-

રેડિયો પર પ્રભાતિયાં સંભળાતાં હશે ત્યારે

અથવા બપોરની ખાટ્ટીમીઠ્ઠી છાશ પીતી વેળાએ.

અને સાંજના ઘેરાતા અંધારે

કોઈ પક્ષીની પાંખ ફફડે

તેમ હું તારામાં ફફડી જતી હોઈશ,

એ તો ચોક્કસ.

તને યાદ કરવો

એટલે મારે મને યાદ કરવી

અને વેદનાના રંગોને

મેઘધનુનો આકાર દઈ

સુખ-સુખ વગોળવું એટલું જ પ્રિય!

( કવિતા ચોકસી )

માણસ-વેણીભાઈ પુરોહિત

 કરવતથી વહેરેલાં

ઝેરણીથી ઝેરેલાં

કાનસથી છોલેલાં,

તોય અમે લાગણીનાં માણસ.

બોમબોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,

તોપ તોપ ઝીંકેલાં, આગ આગ આંબેલાં,

ધણધણ ધુમાડાના

બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં:

તોય અમે લાવણીનાં માણસ.

ખેતરમાં ડૂંડામાં

લાલ લાલ ગંજેરી,

શ્યામ શ્યામ સોનેરી,

ભડકે ભરખાયલ છે: દાણા દુણાયલ છે:

ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં-

તોય અમે વાવણીનાં માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં…દૂધિયાં પિરોજાં,

દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,

માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં:

કાંઠેથી મઝધારે

સરગમને સથવારે,

તોય અમે આવણી ને જાવણીનાં માણસ.

ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.

કરવતથી…

( વેણીભાઈ પુરોહિત )

હેતનો અનગળ ખજાનો-સ્નેહી પરમાર

હેતનો અનગળ ખજાનો ખૂલશે

બંધ થાશે દ્વાર પાંખો ખૂલશે

ખૂલવાનો અર્થ જાણી લો પ્રથમ

દ્વાર ખખડાવો, દીવાલો ખૂલશે

દુનિયાની કોઈ પણ દુર્ગમ જગા

જાતના ભોગળ હટાવો, ખૂલશે

ફૂલની સમજણ લઈ ખખડાવજો

ખોલનારો આખ્ખે-આખ્ખો ખૂલશે

ત્યારે તારાં દ્વાર થાશે દ્વારકા

મારી ભીતરનો સુદામો ખૂલશે

ખૂલવા ઉપર લખી આખ્ખી ગઝ્લ

ક્યારે સ્નેહી તારી આંખો ખૂલશે

( સ્નેહી પરમાર )