…જવાનો છું – સુરેન્દ્ર કડિયા

જોઈ ચાલાકી-ભર્યા ચહેરા, ચકિત હું રહી જવાનો છું

હું મને મારા વિનાની ભર-સભામાં લઈ જવાનો છું

 .

દઈ દઈને આટલું બસ દઈ શકું છું નામ-સરનામું

હું પવન છું; આ દિશાથી આ દિશામાં વ’ઈ જવાનો છું

 .

તું કહે તો શબ્દનું પાતાળ પણ તોડી બતાવું, લે

તું કહે તો મૌનનાં મન્વંતરો સૌ કહી જવાનો છું

 .

તું વમળ ઉપર વમળ સર્જી મને ઘેરી શકે છે, પણ

હું નદીના નીર ભેગો નીર થઈને વહી જવાનો છું

 .

તું લખે છે ને લખ્યા કરજે જ કેવળ સૂર્ય-સિતારા

હું મજાની ચાંદનીનો શેષ થઈ જવાનો છું

 .

( સુરેન્દ્ર કડિયા )

અલવિદા રતિલાલ ‘અનિલ’…

Anil

.

Ratilala Mulchand Roopawala 'Anil' 23/02/1919 - 29/08/2013

Ratilala Mulchand Roopawala ‘Anil’
23/02/1919 – 29/08/2013

.

વિખૂટા પડેલા બધા શે’ર મારા,

હવે શેષ હું માત્ર મક્તો રહું છું.

*

કેવી અજબ સુવાસ છે, તારા ગયા પછી,

જાણે તું આસપાસ છે, તારા ગયા પછી;

સૂરજ તપે છે તે છતાં, જાણે વસંત છે,

તારી હવામાં શ્વાસ છે, તારા ગયા પછી.

*

તપીને તાપમાં હું ઘેર આવ્યો તો વળી શાંતિ,

હતું વ્યાકૂળ તો યે શાંત મન મારું થયું કેવું !

મહક પામી નીરવતાની હૃદય ઘેલું પૂછી બેઠું :

‘ઘડી પ્હેલાં સૂના ઘરમાં તમે આવી ગયાં’તાં શું ?’

*

વાદળને પેલે પાર કંઈ ઝાંખો ઉજાસ છે,

સૂરજના માત્ર ભાસથી શ્રાવણ ઉદાસ છે;

ભીના વસનનો આભમાં પરદો કરી દીધો,

શ્રાવણ નથી, આ સૂર્યનો એકાંતવાસ છે !

*

હૃદયના હોય છે સંબંધ તે નશ્વર નથી હોતાં,

મળ્યાં કેડે જુદાં થઈ જાય તે અંતર નથી હોતાં;

પ્રણય તો જિંદગી છે ને વળી તે પણ સનાતન છે,

પ્રણયની ક્ષણ નથી હોતી, તે સંવત્સર નથી હોતા !

*

આમ તો સૂરતનો કહેવાતો રહીશ,

કોઈ પૂછે તો વળી ‘સૂરતી’ કહીશ !

મારે તો ચાલ્યા જવું છે હે ગઝલ !

તું કહેશે તો વળી થોભી જઈશ.

*

પ્રવાસે તો મળ્યાં’તાં કૈંક ફૂલો,

નથી એવું, ચમન ચૂકી ગયો છું;

અનુભવ યાદ કંઈ એવા રહ્યા છે :

ફૂલોનાં નામ હું ભૂલી ગયો છું !

*

ઈશ્વર કને ય જાઉં પણ માણસ મટું નહીં,

ઓળંગી જાઉં હું મને તો પણ રહું છું પાળ,

એ પણ મને મળે છતાં ઈશ્વર મટે નહીં,

ઊતરે છે ખીણમાં છતાં શિખરે રહે છે ઢાળ.

*

મને કેફ આ જિંદગીનો કહે છે :

હું દીઠા પછી યે રહસ્યો રહું છું !

અને આ જુઓ ખેલદિલીયે મારી,

હું પીધા પછી યે તરસ્યો રહું છું !

.

( રતિલાલ ‘અનિલ’ )

શાંત સરવરમાં – સુરેશ દલાલ

 શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી,

મોરપિચ્છ જેવી હવા રાધાનાં ઝાંઝર પ્હેરી ઝૂલે જી.

 .

પ્રભુજીનો આ પગરવ સુણી

કાન સચેતન થઈ ગયા,

એક પલકની ઝલક-ઝંખના

ધ્યાનમાં દરશન થઈ ગયાં.

 .

આકાશમાં એક કબીર-વૃક્ષ છે : ઊભું ઊર્ધ્વમૂલે જી,

શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી.

 .

હું જાણું ને કૈં ન જાણું

એવી અવસ્થા માણું છું,

જળની ઝીણી જ્યોતને ઝીલું

એવું હું તરભાણું છું.

 .

નરસિંહ, તુકા ને રૂમી-મીરાંના ઘૂમું છું વર્તુળે જી,

શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી.

 .

( સુરેશ દલાલ )

 

મારે સુખના – સુરેશ દલાલ

મારે સુખના સામ્રાજ્યના ગુલામ થવું નથી

કે નથી થવું દુ:ખના સામ્રાજ્યના સમ્રાટ.

સુખ અને દુ:ખને હાંસિયામાં ધકેલી દઈ

કોરા કાગળના આકાશમાં

પાનખરના શીતળ સૂર્યની ઉષ્મા લઈને

પ્રવાસ કરવો છે દિનાન્ત સુધી

અને રાતે ચંદ્ર થઈને

સમુદ્રનાં જળને પાગલ કરવાં છે.

ડાળે ડાળે ફૂલના દીવાની જ્યોત પ્રકટાવી શકું

તો એના અજવાળામાં

મારે મારાં નહીં લખેલાં કાવ્યો

મારા એકાન્તમાં વાંચવાં છે

અને પછી નિદ્રાની નિતાન્ત ચાદર ઓઢી

પોઢી જવું છે સ્વપ્નની કુંજગલીમાં.

 .

( સુરેશ દલાલ )

મારામાં ઊગ્યું – દત્તાત્રય ભટ્ટ ‌

મારામાં ઊગ્યું ઘાસ આ રોમાંચ એનો મઘમઘે,

મારામાં દૂઝ્યા ચાસ આ રોમાંચ એનો મઘમઘે.

 .

તારી સભામાં કેટલા મિત્રો હતા હાજર છતાં,

મુજને ગણ્યો તેં ખાસ આ રોમાંચ એનો મઘમઘે.

 .

આંખો કરીને બંધ જ્યાં યાત્રી થયો હું ભીતરી,

ખૂલતો ગયો અજવાસ આ રોમાંચ એનો મઘમઘે.

 .

એ ગામને છોડી ગયે વરસો થયાં છે તે છતાં,

ચરણોને એની પ્યાસ આ રોમાંચ એનો મઘમઘે.

 .

ગોવાળ, ગોપી, રાધિકે ને શ્યામસુંદર આજ પણ,

મારામાં રમતાં રાસ આ રોમાંચ એનો મઘમઘે.

 .

( દત્તાત્રય ભટ્ટ ‌)

ભીતરે ભીનાશ – ભગવાન થાવરાણી

ભીતરે ભીનાશ ને ભરચક ઉદાસી આપજે

હો દિવસ લથબથ પરંતુ સાંજ પ્યાસી આપજે.

 .

મોસમી હો મોગરો કે ગુલમ્હોર પર્યાપ્ત છે

અન્યને ફૂલો ભલે તું બારમાસી આપજે.

 .

મારી સંકુચિત દુનિયાથી યે આગળ છે કશુંક

વિશ્વ ભાળું એટલી ઊંચી અગાસી આપજે.

 .

કાં સફરમાં આપ કાયમ મૌનની મીરાત, કાં

શબ્દને સન્માને એવો સહપ્રવાસી આપજે.

 .

( ભગવાન થાવરાણી )

થાકીને લોથપોથ – ભરત ઠાકોર

થાકીને લોથપોથ થઈને સૂઈ જાઉં ત્યાં ઊઘડે કંઈ અણજાણી બારીઓ

 લીલાંછમ જંગલને… શ્વેત શ્યામ વાદળને… ઝરણાને ફૂલોની ક્યારીઓ

 .

દા’ડાની દોડધામ ફંગોળી

સંધ્યાના પાલવમાં માથું હું ઢાળું

હળવો ફૂલ હળવો ફૂલ હળવો ફૂલ

થઈને હું મારામાં સિંચું અજવાળું

 .

ઈરે અજવાળાની દોરીથી બાંધું હું મખમલિયા સપનાંની ભારીઓ

થાકીને લોથપોથ થઈને સૂઈ જાઉં ત્યાં ઊઘડે કંઈ અણજાણી બારીઓ

 .

સૂરજના ઊગવા કે આથમવા

બન્નેમાં અમને ના ભેદ કંઈ જ લાગે

બન્નેથી આભલાને મળતી રતાશ

અને બન્નેથી ભાવવિશ્વ જાગે…

 .

બન્ને પર ઓળઘોળ થાતા પારેવડાને, ઓળઘોળ થાતા અલગારીઓ

થાકીને લોથપોથ થઈને સૂઈ જાઉં ત્યાં ઊઘડે કંઈ અણજાણી બારીઓ

 .

( ભરત ઠાકોર )

આવતા રે’જો – મધુમતી મહેતા

જરા સરખો સમય કાઢી સવારે આવતા રે’જો,

ભલેને કામ કંઈ ના હો, લટારે આવતા રે’જો.

 .

અમે તો સૂર કે શબ્દો બની પહોંચી શક્યા નહિ પણ,

અમારા મૌનને મળવા મજારે આવતા રે’જો.

 .

અમે ઊભા અહીં બેચાર સમણાં વેચવા માટે,

કરી બહાનું ખરીદીનું બજારે આવતા રે’જો.

 .

ગમે તે વેશમાં પણ ઓળખી લેશું અમે તમને,

છળીને આજ તો સૌને ધરારે આવતા રે’જો.

.

સમેટ્યા આંખમાં તમને કરીને બંધ પાંપણને,

ભલે મોડા તો મોડા તમતમારે આવતા રે’જો.

.

બધી ભીનાશ ખોઈને બની ગ્યાં ઝાંઝવું મ્હેતા,

તો એને તરબતર કરવા વધારે આવતા રે’જો.

 .

( મધુમતી મહેતા )

સમયને સાચવી લેજો – તુરાબ ‘હમદમ’

સમયની છે બલિહારી સમયને સાચવી લેજો

એ હળવો હોય કે ભારી સમયને સાચવી લેજો

 .

ફક્ત બસ ચાલતા રહેવું એ મુદ્રાલેખ છે એનો,

તમે પણ વાત સ્વીકારી સમયને સાચવી લેજો

 .

સમય સાથે તમારે ચાલવું ને દોડવું પડશે

કરીને પૂર્વ તૈયારી સમયને સાચવી લેજો

 .

નહિ પાછો વળે જો એક વખત એ નીકળી જાશે

સમય છે સાવ અલગારી સમયને સાચવી લેજો

.

સમય ક્યારેય કોઈનો નથી થાતો, નહિ થાએ

સમયની છે ગતિ ન્યારી સમયને સાચવી લેજો

 .

સમયને ઓળખી લેતા જો ‘હમદમ’ આવડી જાશે

છે એમાં બસ સમજદારી સમયને સાચવી લેજો

 .

( તુરાબ ‘હમદમ’ )

બુદ્ધના સ્મિત જેવો – સુરેશ દલાલ

બુદ્ધના સ્મિત જેવો ઊગ્યો છે દિવસ.

બારી-બારણાં આપમેળે ખૂલી જાય છે.

સૂર્યનાં અનાક્રમક કિરણો ચૂપચાપ

પ્રવેશે છે શાંત-પ્રશાંત દિવસની અદબ જાળવીને.

 .

બહાર બગીચામાં જોઉં છું તો

મહાવીર, સોક્રેટીસ અને થોરો પણ

મૌન ધારીને બેઠા છે

રાબિયા, લલ્લેશ્વરી અને ગાંધીજી

અને આઇન્સ્ટાઈન એકમેકના એકાન્તની ઇજ્જત કરે છે.

 .

નરસિંહની કરતાલ અને મીરાંનાં ઘૂંઘરું

અરસપરસ સંવાદ કરે છે નીરવ આંખે.

રાતના આગિયાનું તેજ અને પતંગિયાની પાંખ

નરી નમ્રતાથી આપ-લે કરે છે ફૂલની સુગંધની.

 .

રાત્રિના અંધકારના બોધિવૃક્ષ તળે

બુદ્ધના સ્મિત જેવો ઊગ્યો છે દિવસ.

 .

( સુરેશ દલાલ )