પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

ત્યાગ,

આવી મળેલુ છૂટે

એ જ નહીં પણ મેળવવાના

વલખા છૂટી જાય એ જ ત્યાગ.

વૈરાગ્યના વિસ્તારે જે કુંપળ ફૂટે

એ જ જીવંત ત્યાગ.

છોડી શક્યાનો અહંકાર પછી

સહજ છૂટે એ જ પૂર્ણ ત્યાગ.

વૈરાગ્યની ગંગામાં નિરાવરણ

પારદર્શક સ્વદર્શન

એ જ ત્યાગ દીક્ષા !

 .

તું અન્ન, ઓડકાર અમે !

 .

(૨)

દીક્ષા,

સ્પષ્ટ સમજણ સાથે સત્ય સંકલ્પે,

સહજ આયાસે સ્નેહની પગથી

ઉપર ગતિ એ દીક્ષા.

દેહદમન કે વ્યવહારની

વાડાબંધીથી દૂર,

સ્વથી સર્વજનાય જોડતો

સ્નેહસેતુ એ જ દીક્ષા.

પ્રેમની પારદર્શકતામાંથી

ઉઠતો અને પ્રસરતો પ્રાકશ

એ જ દીક્ષા, સ્વયમ તેજસ્વી

અને સર્વનો ઉજાસ

એ જ દીક્ષા ધર્મ !

 .

તું તિલક, કપાળ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- શ્યામની બા

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

1-1

2-2

.

અક્ષરધનનું અમૃત

 .

પૂણેમાં દત્તા પુરાણિક નામે એક દાદાજી છે. એમની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે. હાલમાં જોકે પથારીવશ છે. પણ હજી હમણાં સુધી એમનું એક વ્રત હતું. દિવસમાં ઓછામાં ઓછી શ્યામચી આઈ નામના પુસ્તકની એક નકલ વેચવી. એક પણ પ્રત વેચાય નહીં તે દિવસે જમવાનું નહીં. ઉપવાસ કરવાનો. ભાગ્યે જ એમને ઉપવાસ કરવાનો વારો આવ્યો છે. આવી ભક્તિથી શ્યામચી આઈ વેચનારા હોય ત્યારે એ મરાઠી પુસ્તકની પંચાવન આવૃત્તિ થાય એમાં શી નવાઈ ?

 .

શ્યામચી આઈ એટલે સંત જેવા શિક્ષક અને સમાજકારણી સાને ગુરુજીએ લખેલું માતૃપ્રેમનું મહામંગલ સ્તોત્ર. સાને ગુરુજીએ નાસિક જેલમાં પાંચ જ દિવસમાં એમનાં માતૃશ્રી યશોદાનાં વત્સલસ્મરણોનો બસો જેટલાં પાનાંનો ગ્રંથ લખ્યો. તે ગ્રંથ ૭૫ વર્ષ પહેલાં ૧૯૩૫માં પ્રગટ થયો. ૨૦૧૦માં મહારાષ્ટ્રમાં ઠેર ઠેર શ્યામચી આઈનો અમૃતમહોત્સવ ઉજવાયો. શ્યામચી આઈનો અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. આ વર્ષે મરાઠીમાં નવી આવૃત્તિ થઈ. અંગ્રેજીમાં અનુવાદ પ્રગટ થયો; ગુજરાત પણ કંઈ પાછળ રહ્યું નથી.’સ્વમાન પ્રકાશન’, અમદાવાદે ૨૦૧૧માં અરુણા જાડેજાએ કરેલો અનુવાદ શ્યામની બા પ્રગટ કર્યો અને પુસ્તક પરથી દોઢ કલાકનું નાટ્યરૂપાંતર કર્યું. એ નાટકના સાતઆઠ પ્રયોગ થયા.

 .

સાને ગુરુજીનું આ પુસ્તક મહારાષ્ટ્રમાં ઘરે ઘરે વંચાય છે. આ પુસ્તક વાંચવું કે વંચાવડાવવું એ મહારાષ્ટ્રનો એક સાંસ્કૃતિક ભાગ થઈ ગયો છે. સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે, ‘આપણી મરાઠી ભાષામાં અમૃત સાથે હોડ બકવાનું સામર્થ્ય છે.’ આચાર્ય અત્રેએ કહ્યું છે કે, ‘આવું સામર્થ્ય શ્યામની બામાં છે.’ આચાર્ય અત્રે કહે છે, ‘કેટલાક લેખકો લોહીની શાહી કરીને પછી લખતા હોય છે, પણ સાને ગુરુજીએ આ પુસ્તક પોતાનાં આંસુથી લખ્યું છે. એમાંનો અક્ષરેઅક્ષર ગુરુજીએ ભરાઈ આવેલા હૈયે અને આંખે લખ્યો છે.’

 .

શ્યામની બાના અમૃતમહોત્સવ પ્રસંગે નાસિક જેલમાં જ્યાં ગુરુજીએ પુસ્તક લખ્યું ત્યાં જ ‘મા’ની વિભાવના સાથે સંકળાયેલો કાર્યક્રમ યોજ્યો. કેદીઓએ ભીની આંખે અને ભીનાં હૈયે એમની બાનાં સંભારણાં કહ્યાં. સાંજે નાસિકના હુતાત્માચોકથી કાલિદાસ મંદિર સુધી આ પુસ્તકનું સરઘસ કાઢવામાં આવ્યું.’ શ્યામની બાથી માંડીને ‘મેક્સિમગોર્કી’ના ‘Mother’ સુધી, વસંત બાપટથી માંડી ઉત્તમ  કાંબલે સુધીની કવિતાઓનું પઠન અને ગાન થયું. મોટી મોટી હસ્તીઓ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી.

 .

મરાઠી ભાષામાં શ્યામચી આઈનું બોલપટ બન્યું છે. તેને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળેલો. હમણાં સાને ગુરુજીના જીવન પર ફિલ્મ બની છે. કોઈ ગુજરાતી પુસ્તકનો આવો આદર-સત્કાર ક્યારે થશે તેની રાહ જોઉં છું.

 .

( મહેશ દવે )

 .

દત્તા પુરાણિકે જે પુસ્તકની દિવસમાં ઓછામાં ઓછી એક નકલ વેચવાનો ભેખ લીધો એ પુસ્તકમાંથી મને ગમતાં અંશો :

 .

 મિત્રો, જું જ્યારે ઘરે હોઉં અને જો વટસાવિત્રીનું વ્રત ત્યારે આવે તો હું અચૂક વડની પ્રદક્ષિણા કરવા જતો. મારી બાના શબ્દો હું કેમ ભૂલી શકું ! ‘પાપ કરવામાં શરમ હજો, સારું કામ કરવામાં નહીં.’

 .

મારામાં જો કોઈ સારપ કે વત્સલતા હશે તો એમાં મારા માતૃનિષ્ઠ ભાઈ અને બાળકોનાં ચારિત્ર્યનું જતન કરનારી બાનો ફાળો મોટો છે. એવી બા અને એવો ભાઈ મળવા માટે પૂર્વજન્મનાં પુણ્યો હોવાં જરૂરી છે. જેમ સત્સંગ પામવા માટે પુણ્યો જોઈએ તેમ ઊંચેરાં માતાપિતા, ઊંચેરાં ભાઈબહેનો મળવા માટે પણ પુણ્યો તો જોઈએ જ.

 .

હું અંદર ગયો અને પૂજાનાં ફૂલ કાઢ્યાં. બા દીવી લઈને આવી. એણે કહ્યું. ‘શ્યામ, પગ ગંદા ના થાય એનું આટલું ધ્યાન રાખે છે તો મન પણ ગંદુ ના થાય એનું પણ એટલું જ ધ્યાન રાખજે હં કે ! ભગવાનને કહેજે તને ચોખ્ખી દાનત આપે.’

 .

મિત્રો કેટલી સરસ વાત ! આપણાં શરીર અને કપડાંને ચોખ્ખાં કરવા માટે આપણે કેટલું ધ્યાન રાખતા હોઈએ છીએ ! કપડાં ચોખ્ખાં કરવા માટે ધોબી છે, બુટપૉલિશ કરનારા છે, શરીર માટે સુખડનો સાબુ છે. આ બધી માથાકૂટ શરીર અને કપડાં મેલાં ના થાય તે માટેની. પણ મનને ચોખ્ખું રાખવા આપણે ક્યારેય રડીએ છીએ ? પોતાનું મન નિર્મળ નથી એ માટે રડનારો તો કો’ક વિરલો જ. એવાં ઉમદા આંસુ આ દુનિયામાં જોવા મળતાં નથી. કપડાં નથી, અનાજ નથી, પરીક્ષામાં નાપાસ થયા, કોઈ મરી ગયું- તો બધાં આવીને રડે. આ બધી વાતો માટે એમની પાસે આંસુનાં હોજ ભરેલા છે જ. પણ ‘હું હજી શુદ્ધ કે નિષ્પાપ થયો નથી.’ એ માટે કોઈ તરફડ્યું છે ખરું ?’ ‘હજી મારું મન ગંદકીથી ખરડાયેલું છે’ એવું જાણીને કેટલાને દુ:ખ થાય છે ?

 .

મીઠાશ વસ્તુમાં નથી હોતી, એ વસ્તુ માટેની લીધેલી મહેનતમાં હોય છે, આનંદ તો કર્મમાં જ છે.

 .

દરેક વાતમાં સંસ્કૃતિ તો રહેલી જ છે. દરેક પ્રકારની વિશિષ્ટ સંસ્કૃતિઓ હોય છે. બધાની સંસ્કૃતિ મળીને રાષ્ટ્રીય સંસ્કૃતિ થતી હોય છે. દરેક રીત-રિવાજમાંય સંસ્કૃતિની સુગંધ હોય છે જ. એ આપણને પારખતાં આવડવું જોઈએ. જે નકામા રીતરિવાજ હોય એને નહીં અપનાવવાના. પણ સંસ્કૃતિનું સંવર્ધન કરનારા રીતરિવાજને મરવા દેવાના નહીં. આપણા દેશનો, આપણા સમાજનો દરેક રિવાજ એટલે એક કેળવણી જ છે.

 .

મારી બા ભલે વાત્સલ્યમૂર્તિ હતી પણ સમય આવ્યે કઠોર પણ બની શકતી હતી. એની કઠોરતામાં જ સાચું વહાલ હતું, સાચી મમતા હતી. ક્યારેક કઠોર પ્રેમથી તો ક્યારેક મીઠા પ્રેમથી બધાં સાથે વર્તતી. ક્યારેક વહાલેય કરે અને ક્યારેક વઢેય ખરી. બંને રીતેએ મને ઘાટ આપતી. મારા જેવા બેડોળ અને આળસુને એ ઘડી રહી હતી. ટાઢ અને ગરમાટો – એ બંનેથી વિકાસ થાય છે. દિવસ અને રાત બંનેથી વધુ થાય છે. નર્યો પ્રકાશ જ હોય તો નાશ જ.

 .

આ દુનિયામાં ફક્ત મમતા કે દયાથી જ નભતું નથી. જીવનને સુંદર અને સફળ કરવા માટે ત્રણ ગુણોની જરૂર રહે છે. પહેલું તો પ્રેમ, બીજું જ્ઞાન અને ત્રીજું શક્તિ એટલે કે બળ. જેની પાસે આ ત્રણેય ગુણ છે એ આ દુનિયામાં કૃતાર્થ થઈ શકે છે. પ્રેમ વગરનું જ્ઞાન નકામું છે તેમ જ્ઞાન વગરનો પ્રેમ પણ નકામો છે. પ્રેમ, જ્ઞાન વગરની શક્તિ કે શક્તિ વગરનાં પ્રેમ અને જ્ઞાન પણ નકામાં જ. આપણા જીવનમાં આ ત્રણે ગુણોનો વિકાસ જરૂરી છે. પ્રેમ એટલે હૃદયનો વિકાસ, જ્ઞાન એટલે બુદ્ધિનો વિકાસ અને શક્તિ એટલે શરીરનો વિકાસ.

 .

સ્વાવલંબન એ પાશ્ચાત્ય શિક્ષણનો પાયો છે. એના લીધે ગરદન ઊંચી રહે છે. પરાવલંબનથી નીચી થઈ જાય. મહેનત સિવાય કોઈ પાસેથી કશું લેવું નહીં અને મહેનત કરાવ્યા સિવાય કોઈને કશું આપવું નહીં. ‘તુકો ભણે : દેતો લેતો બેય નરકે પળે.’ આળસુને પોષનારોય પાપી અને આળસુય પાપી. કામ વગર કોઈને પોસવામાં ભગવાનનું પણ અપમાન છે. એટલું જ નહીં ભગવાને આપેલા હાથપગ અને બુદ્ધિનું અપમાન છે.

 .

જે રાષ્ટ્રમાં સમાજસંવર્ધક, સમાજરક્ષક, સમાજપોષક એવા શ્રમની પૂજા થાય તે રાષ્ટ્ર વૈભવના પગથિયે ચઢે છે. બાકીના ભીખના રસ્તે પડે છે.

 .

માણસ મરી જાય પણ એમના સદ્દગુણ ચમકતા રહે છે.

 .

વિચારો પ્રમાણેનાં આચરણમાં જ ભૂષણ છે.

 .

ચોરીચપાટી કરીને ક્યારેય ભાગીશ નહીં. ખરાબ સંગતિ માટે ભાગીશ નહીં. ગભરાઈને ભાગીશ નહીં.

 .

જો, ભગવાને આપણને હાથપગ, આંખકાન બધું આપ્યું છે, તો પછી આપણા પગ પર કેમ ના ઊભા રહેવું ? જેનામાં બુદ્ધિ છે, જેનામાં મનોબળ છે એની પાસે બધું જ છે, આવી જ રીતે મહેનત કરીને જ મોટો થજે હોનેં બેટા, ક્યારેય પરાવલંબી ના થઈશ. પણ એમાંય એક વાત યાદ રાખજે. અભિમાન રાખીને કોઈને હીણા દેખાડવું નહીં, કોઈને તુચ્છ લેખવું નહીં. બીજાનેય આપણી પાસે હોય એ આપવું અને એનેય આપણા જેવો કરવો, બધું આવડે એવો.’

 .

પ્રત્યક્ષ ઉદાહરણથી જે શિક્ષણ મળે છે તે કેટલાંય વ્યાખ્યાનો સાંભળીને નથી મળતું. કાર્ય ચૂપચાપ બોલ્યે જાય જે શબ્દો કરતાંય અસરકારક હોય છે.

 .

ભારતીય સંસ્કૃતિ સંયમ અને સંતોષ એ બે સદ્દગુણો તેમ જ કાર્યકુશળતાના આધાર પર રચાઈ છે.

 .

જે દિવસે સાસરીપક્ષમાં વહુને વેઠવી પડતી હાડમારી બંધ થશે એ સપરમો દહાડો.

 .

ચકમક ઝરે નહીં ત્યાં સુધી તણખો થતો નથી.

 .

માણસ અનાજ સિવાય જીવી શકે પણ પ્રેમ સિવાય કઈ રીતે જીવી શકે ? પ્રેમ એ તો જીવનનું સત્વ છે.

 .

સ્થિર અને છલોછલ એવો પ્રેમ જીવનવૃક્ષને પોષે છે. જેમ વૃક્ષનાં પાંદડે પાંદડે, ડાળીએ ડાળીએ અને આખાંય થડમાં મૂળિયાંસોતો જીવનરસ ભરેલો હોય છે; બસ પ્રેમ તેવો હોવો જોઈએ. સોડાવોટરની બોટલ ફોડો કે ફુસ્સ કરતુંક ફીણ બહાર નીકળે પણ એ તો બીજી જ પળે ઊભરાઈ જનારું. આવો બીજી જ પળે અદ્રશ્ય થઈ જનારો પ્રેમ જીવનને તાજગી, સૌંદર્ય અને ઉલ્લાસ બક્ષી શકતો નથી.

 .

દરેક વાત સમજીવિચારીને કરવી, સત્ય-હિત-મંગળ ભાવના માટે કરવી એટલે જ ધર્મ. બોલવું-ચાલવું, ઊઠવું-બેસવું, ખાવું-પીવું, નહાવું-ધોવું, સૂવું-સાંભળવું, આપવું-લેવું બધામાં જ ધર્મ છે. ધર્મ એટલે હવા, ધર્મ એટલે પ્રકાશ. આપણે ગમે ત્યાં જઈએ પણ આ ધર્મની હવા આપણા જીવ સાથે જડાયેલી હોવી જોઈએ.

 .

‘ભણે તુકો થાવું સત ધર્મે સહયક’ એટલે સારાં કામમાં કોઈને પણ મદદ કરીએ. સારા કામમાં કોઈને નિરુત્સાહ કરવું એ મોટું પાપ છે.

 .

‘ભય પમાડવો, નરકમાં જાવું’ એટલે કોઈ પણ સારાં કામમાં કોકને બિવડાવવું એટલે નરકમાં જવું પડે.

 .

મિત્રો, ઘણાનો એવો સ્વભાવ હોય છે કે ઘરની બહાર બહુ જ ભલા દેખાય, બીજાને ત્યાં કામ કરે પણ ઘરે આટલુંય ના કરાવે. બહારના લોકો વખાણ કરે એ માટે માણસ લલચાતો હોય છે. ઘરનાને તરફડતા રાખીને બહારનાની વાહવાહ મેળવવા એ ત્યાં જતો હોય છે.

 .

બા અને દાદીના ઝગડા અમારા માટે નવા નહોતા. એ થતા રહેતા પણ બહુ ટકતા નહીં. એ તો અચાનક આવી ગયેલું વાવાઝોડું હોય. એકબીજા માટે મનમાં જે ઝેર ભરાયું હોય એ બહાર નીકળી જાય એટલે મન પાછું ચોખ્ખું થઈ જતું. આવાં વાવાઝોડાં આવતાં હોય છે એ મનને શાંત કરવા માટે જ. રોગ થાય છે એ શરીરનો કચરો બહાર કાઢવા માટે જ થતા હોય છે. મૃત્યુ થાય છે એ ફરીથી જીવનરસ આપવા માટે જ.

 .

ભૂલ એ માનવીનું અને ક્ષમા એ પ્રભુનું ભૂષણ છે.

 .

બાને મદદ કરાવનાર પર જે હસે એ તો જંગલી જ કહેવાય.

 .

જેને ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય એ એનું સ્મરણ કરીને જે કામ કરે એમાં ભગવાન પોતે આવીને મદદ કરે જ.

 .

ભગવાન મળે એ માટે તો ઘણાં પુણ્ય કરવાં પડે. પુણ્યશાળીને જ ભગવાન મળે. ખૂબ પુણ્ય કરવાનાં, બધાંને મદદ કરવી, બધાને ઉપયોગી થઈ પડવું એટલે ભગવાન જરૂર મળે.

.

મિત્રો, બાના એ સ્ફૂર્તિલા શબ્દો મને આજેય સાંભરે છે – પુરુષોના હૃદયમાં કોમળતા, પ્રેમ, સેવાવૃત્તિ, કષ્ટો સહેવાની તૈયારી, ચૂપચાપ કામ કર્યે જવું- એ બધી બાબતો ઉદ્દભવે નહીં ત્યાં સુધી એમનો સંપૂર્ણ વિકાસ થયો છે એવું કહી શકાય નહીં. એવી જ રીતે સ્ત્રીઓનાં હૈયાં પણ ધીરભર્યાં હોય, વખત આવ્યે કઠોર પણ બની જાણે કે પુરુષની ગેરહાજરીમાં ધીરતાથી ઘર પણ ચલાવી લે એવા ગુણસભર હોય તો જ એનો સર્વાંગી વિકાસ થયેલો ગણાય.

 .

ભગવાન રીસે ના ભરાય. એમને તો વિદુરજીની ભાજીય ભાવે, એય કેટલા સ્વાદથી ! ચાટી ચાટીને થાળી સફાચટ કરી નાખેલી, તોય જાણે ધરાય નહીં. ભગવાને સુદામાના ભાવભર્યા પૌંઆ પણ કેટલા પ્રેમથી ખાધેલા. જાણે કોઈ દિવસ જોયા જ ના હોય તેમ.  જોને, રુક્મિણીને પણ આપવા તૈયાર નહોતા. ભગવાન ભૂખ્યા જ હોય છે, પણ એને ભાવથી કોણ ધરે ? લાખોમાં કો’ક જ. ભાવથી ધર્યું હોય એ જ એના પેટમાં જાય. ભૂખ્યા ભગવાન ખાલી પાંદડું ખાઈનેય ઓડકાર ખાય. એને જે કાંઈ ધરો એ ભાવે ધરો, એ એને માટે દૂધના દરિયાથીય વધુ છે.

 .

ભગવાનને બધા જ રૂપ ગમે. એણે માછલાનું, કાચબાનું, ડુક્કરનું, સિંહનું-બધાનું રૂપ લીધું. ભગવાનને દરેક રૂપ પવિત્ર લાગે. ભગવાન તો દરેક દેહમાં છે જ. એ ગજેન્દ્ર માટે દોડીને આવે, ઘોડાને ખંજવાળે-પસવારે, ગાયો ચારે. એને કુબ્જાય ગમે અને શબરીય. એને ગુહ નાવિક ગમે, જટાયુ પક્ષી ગમે, હનુમાનજી જેવો વાનર પણ ગમે. શ્યામ, ભગવાનને બધાં વહાલાં હોય છે, કારણ કે બધાં એનાં જ છે. મને જે ગમે છે એ તું કરે છે તેમ ભગવાનને ગમે એવું પણ કરતો રહેજે હોં કે. પણ શ્યામ, એક વાત છે કે જે પોતાનાં ભાઈબહેનોને પ્રેમ ના કરે એ ઊતરતા લોકોને કઈ રીતે પ્રેમ કરી શકે ? પહેલાં ઘરના સભ્યોને પ્રેમ કરો. પછી સંત એકનાથની જેમ કો’ક દલિતની દીકરીને આશરો આપવાની હિંમત પણ આપોઆપ આવશે.

 .

મારા ભારતમાં દેવ જ ના રહ્યો રે

સઘળો અંધકાર ભારતમાં જ ભર્યો રે

જ્યાં નથી દયા ને સ્નેહ ત્યાં દેવ કેમ વસે ?

જ્યાં નથી જરાય બંધુભાવ ત્યાં દેવ કેમ વસે ?

દેવ નથી રે મંદિરે

દેવ નથી રે અંતરે

દેવ તો સાવ મર્યો રે… મારા ભારતમાં.

 .

હું ભાઈને પ્રેમ નહોતો કરતો અને ઝાડને પ્રેમ કરવા નીકળ્યો હતો. આ તો છેતરપિંડી જ. જે ભાઈને પ્રેમ ના કરે એ ઝાડને શું કરવાનો !

 .

જે શિક્ષણ માણસને બીજાના હૃદય સુધી લઈ જતું નથી, બીજાના હૃદયમંદિરની સત્યદ્રષ્ટિનાં દર્શન કરાવતું નથી એ શિક્ષણ શિક્ષણ નથી. શિક્ષણને લીધે દરેક વસ્તુ, દરેક વ્યક્તિ એટલે જ્ઞાનમંદિર છે એવું થવું જોઈએ. આ બધા બાહ્ય દેખાવની અંદર જે દિવ્ય-ભવ્ય સૃષ્ટિ રહેલી છે એનાં દર્શન જ્યાં સુધી થતાં નથી, ઝાંખાપાંખાંય થતાં નથી ત્યાં સુધી આપણને મળેલું શિક્ષણ વ્યર્થ સમજવું. હૃદયનો વિકાસ એ એક મહત્વની, અતિ મહત્વની અને જીવનમાં સુંદરતા તેમ જ મૃદુતા લાવનારી વાત છે.

 .

આપણી પહોંચ બહારનું કામ કરવુંય બરાબર નહીં. આપણાથી થાય તેટલું કરવું. એટલું ના કરીએ અને એદીની જેમ પડી રહીએ એય સારું નહીં. કામચોરી તો બહુ જ ખરાબ.

 .

સામુદાયિક કામમાં આપણાથી જે થાય એટલું આપણે આળસ છોડીને કરવું જોઈએ. એમાં શેની શરમ ? કીડીએ કીડી પ્રમાણે કામ કરવું, હાથીએ હાથી પ્રમાણે કામ કરવું.

 .

ભણજે ભલે. પણ સારો થજે. ભણેલું માણસ બગડી જાય એની બહુ બીક લાગે. ભલે બહુ ના ભણો, બહુ મોટા ના થાઓ.કશો વાંધો નહીં પણ મનથી ચોખ્ખા રહેજો. હું તો ભગવાનને રોજ કહું કે મારા છોકરા મોટા માણસ ના થાય તો ચાલશે પણ એમને ગુણવાન બનાવજે.

 .

અનુભૂતિ એ જ અનુભવ. જીવનમાં જે અનુભવીએ, એ જ જ્ઞાન.

 .

નાનપણમાં મેં તને માર્યો હશે પણ એ તારા ભલા માટે જ ને ? તો પછી ભગવાન તો મારા કરતાં કેટલોયગણો દયાળુ છે. એના પર ભરોસો રાખવો. ઝેરનો પ્યાલો આપે કે અમૃતનો એના પર શ્રદ્ધા હોવી જોઈએ.

.

પુસ્તક વાંચ્યા પછી ‘શ્યામચી આઈ’ ફિલ્મ જોવાનું મન થાય તો…

.

. .

શ્યામની બા – સાને ગુરુજી, અનુવાદ : અરુણા જાડેજા

પ્રકાશક : સ્વમાન પ્રકાશન

પૃષ્ઠ : ૨૦૮

કિંમત : રૂ. ૨૦૦/-

ફૂલની એક ડાળીને – સુરેશ દલાલ

ફૂલની એક ડાળીને

કાચની બારી સાથે પ્રેમ થયો.

 .

બારી તો બંધ

ને ડાળી તો અંધ

આ કેવો સંબંધ !

રે, પૂછો નહીં કેમ થયો ?

ફૂલની એક ડાળીને કાચની બારી સાથે પ્રેમ થયો.

 .

કોઈક દિવસ બારી તો ખૂલશે એ આશામાં,

ડાળી તો ઝૂલ્યા કરે : સૌરભની ભાષામાં

ગુનગુનતી ગીત : પણ અંતે નિરાશામાં.

 .

ફૂલપાન ખરી ગયાં

સ્વપ્નો સૌ મરી ગયાં

ને જીવવાનો વ્હેમ થયો

રે, પૂછો નહીં કેમ થયો ?

 .

( સુરેશ દલાલ )

સ્વીકારી ના શકાય – ગુણવંત ઉપાધ્યાય

સ્વીકારી ના શકાય, નકારી શકાય ના;

સપનું, સમય ને આભ મઠારી શકાય ના.

.

સહેજે તરાવી કે પછી તારી શકાય ના,

તરણાંથી આખી જાત ઉગારી શકાય ના.

 .

કાગળ ઉપર કલમથી વ્યથા, વંચના, વિરહ;

અંધાર, આંસુ, આહ ઉતારી શકાય ના.

 .

ભાલે ઊગેલ સૂર્ય અચાનક ડૂબ્યા પછી-

આકાશ ખાલીપાનું વિચારી શકાય ના.

 .

ખાલી કૂવામાં એ જ ઉતારી પછી કહે :

તારા જ કર્મફળ છે વિદારી શકાય ના.

 .

ભીંતો વિહોણાં ઘરમાં ફરે ચામાચીડિયાં-

ટોળાં કબૂતરોનાં નિવારી શકાય ના.

 .

અભિશાપને લીધે જ મળી છે ભલે મતિ,

‘ગુણવંત’ નામે ઊંઘ ઉધારે શકાય ના.

 .

( ગુણવંત ઉપાધ્યાય )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

સ્વધર્મ,

સહજ, સત્ય સંકલ્પ

અને સ્નેહ સભર

ધારાએ કલ્યાણ કર્મના

શિવલીંગની પૂજા

એ જ સ્વધર્મ.

દેખીતા સ્થૂળ લાભાલાભથી દૂર,

બહુજનહિતાય શ્વાસની સુગંધ

એ જ સ્વધર્મ

કર્મેશ્વરનું રોકડુ રૂપ

એ જ સ્વધર્મ !

 

તું દ્રષ્ટિ, દર્પણ અમે !

 

(૨)

શ્રદ્ધા,

‘થાઓ’ એવી પ્રાર્થના

‘થયુ’માં પડઘાય

એ જ શ્રદ્ધા !

સંકલ્પ અને સિદ્ધિ

વચ્ચેના શૂન્ય અંતરના

ગતિ વિસ્ફોટનું નામ શ્રદ્ધા

કર્તાપણાના નિરસને,

સર્વેશ્વરની સર્વોપરિતાનું

સાક્ષીભાવે પૂજન

એ જ શ્રદ્ધા-સાક્ષાત્કાર !

 

તું સાઈ, શરણાગત અમે !

 

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

મા એટલે…(ચોથી માસિક શ્રદ્ધાંજલિ)

(23/08/1938 - 25/12/2012) Mummy in New York

(23/08/1938 – 25/12/2012)
Mummy in New York

.

પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્યથયું. એટલે જ તેણે “મા’નું સર્જન કર્યું !

 .

તારાઓ આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે.

 .

( હારગ્રેવ )

.

જગતમાં સહુના ઉપકારનો બદલો વળી શકે છે, ભક્તિભાવ વડે પ્રભુના ઉપકારો પ્રિછ્યાનો સંતોષ પણ વળે, બદલો નથી વાળી શકાતો એકમાત્ર માતાના ઉપકારનો !

 .

જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી.

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મુકે ?

જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી.

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’)

 

 

ભાઈ દે તો – ખલીલ ધનતેજવી

ભાઈ દે તો મિત્ર જેવો ભાઈ દે,

જિન્દગી અથવા તો એકલવાઈ દે !

 .

તું ખુદા શિખર દે અથવા ખાઈ દે,

પણ મને જીવનમાં બેપરવાઈ દે !

 .

લાખ અપરાધો ભલેને એ કરે,

જીભ પર એની ફક્ત સચ્ચાઈ દે !

 .

એ પછી તો સો વરસ જીવી શકીશ,

મોતને વાતોમાં તું અટવાઈ દે !

 .

જ્યાં ને ત્યાં જોયા કરે છે ચોતરફ,

એની આંખોમાં નજર સલવાઈ દે !

.

જો વિવેચક, હું સરળ રસ્તો કહું ?

આ ગઝલને મોરથૂથૂં પાઈ દે.

 .

મુખ્ય લોહીની સગાઈ પણ ખલીલ,

મા પછી તું મિત્રને સરસાઈ દે !

 .

( ખલીલ ધનતેજવી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

પ્રાર્થના,

જે પ્રાપ્ત, તેની પ્રસન્ન પહોંચ

એ જ પ્રાર્થના !

પ્રત્યેક પળમાં પરમની

પ્રગટ હાજરીનાં

અહેસાસનો શબ્દોચ્છવ

એ જ પ્રાર્થના.

એકત્વના આરાધનની

અખંડ આનંદધારા

એ જ પ્રાર્થના !

 .

તું વાદક, વાંસળી અમે !

 .

(૨)

ધર્મ,

વ્યવહારે ઉઠતી અને

વિશ્વે ફેલાતી વિવેક સુગંધ

એ જ ધર્મ.

શૂન્ય સ્વથી અસીમ સર્વેશ્વર

ભણીની ગતિનું યાત્રાગાન

એ જ ધર્મ

પ્રકૃતિ, પુરુષ, પદાર્થ

અને પ્રાણીમાં વિલસી રહેલ

પરમને પૂર્ણે પામવા

એ જ સ્નેહધર્મ !

 .

તું ધર્મધજા, દંડ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

હે નાથ,

તું પ્રેમ બનીને પ્રગટી રહ્યો છે ત્યારે

તને પૂર્ણ પામવાની અમારી પાત્રતાને

શુદ્ધ અને સિદ્ધ કરી દે.

અમારી દ્રષ્ટિમાં પ્રેમનું આંજણ થઈને

અમને તારા ભણી દોરી જાઓ, હે દેવ !

 .

પ્રસાદ :

જે વહેતું રહે, વિસ્તરતું રહે, શુદ્ધ હોય અને વિશુદ્ધ કરે,

પોષે અને પાવક કરે, અનંત પ્રસરે અને અસીમ હોય,

સમેટાઈ રહે અને સ્વને તથા સર્વને સિદ્ધ કરે એવા ઉજાસનું નામ જ પ્રેમ.

 .

(૨)

હે નાથ,

અમારા ઘન-અહંકાર, અંધકારને તારા તેજ અને તાપમાં ઓગાળી દે.

તારા પ્રેમમાં અમને પારદર્શક અને પવિત્ર કરી દે.

અમારા કર્તાભાવમાં તારી કરુણામાં વહેવડાવી દે, હે દેવ !

 .

પ્રસાદ :

ઈન્દ્રિયોના આધારે ઘટ્ટ થતો રહેતો અહંકાર એ જ ક્ષણિક સુખ. આત્મતત્વને અહમના ઓઝલમાંથી મુક્ત કરી દે, તે જ આનંદ. સુખને માત્રા અને મૂલ્યનું છોગું લાગી શકે, પણ આનંદ એ તો અનંતધારા.

 .

સુખી થતાં થતાં વધુ સુખી થવું એ સાફલ્યની ગતિ પણ સુખી કરતાં કરતાં આનંદિત થઈ રહેવું એ સાર્થક્યનો સાક્ષાત્કાર.

 .

(૩)

હે નાથ,

સંકલ્પની વેદી પર, સ્વ-શૂન્ય થઈ રહેવા ક્ષણોની આહૂતિનું યજ્ઞકર્મ અમને આપો.

પ્રગટીને પ્રકાશ થઈ રહેવાનીઆત્મસિદ્ધિમાં અમને ઉજાળો, હે દેવ !

 .

પ્રસાદ :

શાસ્ત્રજ્ઞાન, પાંડિત્ય, ધર્મના કર્મ વિધી વિધાન આ તો સાધન માત્ર.

સાધનને જ વળગી રહ્યે સિદ્ધિ છટકી જવાની.

ક્ષણના ફેરે સૂર્યદર્શનનું સુખ અમાસ થઈ રહે એ જ કમભાગ્ય.

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

બે કાવ્યો – સુરેશ દલાલ

(૧)

પંખીના ટહુકાથી ઊઘડે એવું

વહેલી સવારનું મૌન મને આપો.

 .

દિવસની ડાળ પર ઝૂલ્યા કરું

શબ્દોને અર્થોને ભૂલ્યા કરું

ભીતર ને ભીતર હું ખૂલ્યા કરું

ફૂલની સુવાસથી છલકે એવું

ઊજળી સવારનું મૌન મને આપો.

 .

મનની મિરાતનો હોય એક પ્રાંત

સરોવર જેવો હોય રસ્તો પણ શાંત

ચાલું પણ પગલાંમાં નીરવ એકાન્ત

પોતાના આભથી પ્રકટે એવું

ખુલ્લી સવારનું મૌન મને આપો.

.

(૨)

કવિતા અને જીવનના રાજમાર્ગે ઊભેલો હું

શબ્દનો મિત્ર છું

અને અનુભવનો પરમ મિત્ર.

 .

જ્ન્મ પહેલાંની

અને મૃત્યુ પછીની ક્ષણ સાથે

મારો નાતો બાંધું છું

નિરાકાર મૌન સાથે.

.

( સુરેશ દલાલ )