Author Archives: Heena Parekh

मित्रता मैदानी नदी की तरह शांत होती है-आलोक टंडन

आजकल सोशल मीडिया पर दोस्ती की बहार है किंतु क्या इसे सच्चे अर्थों में दोस्ती कहा जा सकता है ? सिर्फ पसंद/नापसंद या कभी कोई टिप्पणी कर देने मात्र से दोस्ती जिंदा तो रह सकती है पर परवान नहीं चढ़ सकती। उसके लिए तो साथ-साथ, साझा अनुभव जरूरी है। हमारे जीवन में मित्रता की दो भूमिकाएं ऐसी हैं, जो उसे एक आदर्श का दर्जा देती है। हम सभी, जीवन के किसी मोड़ पर ठोंकरे खाकर गहरी हताशा में डूब जाते हैं। ऐसे में मुरझाए मन को फिर से खिलने लायक बनाने में मित्र बहुत काम आते हैं। उनका निःस्वार्थ प्रेम ही हमें फिर खड़े होकर जीवन का सामना करने की शक्ति देता है। तभी तो आचार्य रामचन्द्र शुक्ल ने मित्र को औषधि समान माना है। अपने आपको समझने, अपना सर्वोत्तम विकसित करने में मित्र बिना किसी एहसान के मदद करते हैं, जो हमें अपने जीवन का अर्थ पाने में दूर तक साथ देते हैं। यह सही है कि सभी दोस्त ऐसे नहीं होते किंतु ऐसा एक भी दोस्त मिलना या स्वयं होना, जीवन को ईश्वरीय वरदान है।

इतना तो तय है कि हर कोई, हर किसी का मित्र नहीं हो सकता पर इसमें जाति-पाति, ऊंच-नीच, धर्म-नस्ल का भाव ज्यादा मायने नहीं रखता। फिर चाहे हम कृष्ण-सुदामा, राम-सुग्रीव या दुर्योधन-कर्ण के पौराणिक उदाहरण लें या चन्द्रगुप्त-चाणक्य, तुलसीदास-रहीमदास के ऐतिहासिक उदाहरण। पहली बात तो यह है कि मित्रता रक्त संबंध नहीं है, हम अपने मित्रों का चयन करते हैं। भले ही इसके पीछे अचेतन रूप से वैज्ञानिकों के अनुसार, हम और हमारे मित्रों के बीच डीएनए की एक प्रतिशत समानता ही क्यों न हो। विवाह की तरह मित्रता का कोई बना-बनाया ढांचा नहीं होता। मित्र से महीनों बात किए बिना भी मित्रता पर आंच नहीं आती पर यह बात विवाह संबंध के बारे में नहीं कही जा सकती। मित्र के रूप में हम उन लोगों को ही चुनते हैं, जिनकी गतिविधियों, रुचियों, सोच और सरोकारों में हमसे समानता हो। तभी तो मित्र की परिभाषा अरस्तू ने ‘हम जैसा एक और’ के रूप में की है। दोस्ती के फलने-फूलने के लिए ‘भरोसा’ सबसे जरूरी होता है। हम अपने दोस्त के सामने अपने को इस भरोसे के साथ खोलना चाहते हैं कि वह हमें वैसे ही स्वीकार करेगा जैसे कि हम हैं और बुरी लगने पर भी सच बात कहने से नहीं चूकेगा जिससे हम जीवन में भटकावों से बच सकेंगे।

विद्वानों ने मित्रता के मुख्यतः तीन रूप बताए हैं- सुख मैत्री, उपयोगिता मैत्री और गुण मैत्री। हममें से अधिकांशतः पहले दो प्रकार की मित्रता को ही प्रश्रय देते हैं, लेकिन तीसरी, गुण मैत्री ही नैतिक रूप से उत्कृष्ट मानी जाती है। हम अलग-अलग व्यक्तियों के साथ मित्रता के अलग-अलग रूप से जुड़े हो सकते हैं और एक ही व्यक्ति के साथ तीनों रूपों में एक साथ भी जुड़ सकते हैं। जहां पुरुषों के बीच मित्रता में साथ-साथ कार्य-संपादन की भूमिका ज्यादा होती है वहीं, स्त्रियों के बीच मित्रता में भावात्मक, व्यक्तिगत घनिष्ठता का महत्व ज्यादा होता है।

मित्रता के जिस आदर्श रूप की चर्चा हम ऊपर कर आए हैं, उसका दायरा आज सिकुड़ता नज़र आ रहा है। भावनात्मकता के स्थान पर अपना सुख और व्यापारिकता हावी होती जा रही है। हम एक-दूसरे का उपयोग करने के लिए दोस्ती करने लगे हैं। ऐसा नहीं है कि दोस्त एक दूसरे के काम नहीं आते किंतु यह मित्रता का प्रधान उद्‌देश्य नहीं है। उसका उद्‌देश्य तो हार्दिक, प्रेमपूर्ण आत्मीयता को गहराना है, विस्तार देना है। रोमांटिक प्रेम में पहाड़ी झरने की तरह आवेग, तीव्रता अधिक होती है किंतु यह अस्थायी साबित होता है। मित्रता मैदान में नदी की धारा की तरह शांत, लेकिन स्थायी होती है और जीवन के अंतिम पहर तक साथ देती है। एक श्रेष्ठ जीवन के लिए यह नितांत वांछनीय है।

( आलोक टंडन )
रिसर्च फैलो, इंडियन काउंसिल ऑफ फिलोसॉफिकल रिसर्च प्रोजेक्ट

રાણી છે-દિવ્યા સોની “દિવ્યતા”

કોઈની કહેલી વાતમાં, મારી ઉમેરી છે !
તેલ પરની આગમાં, મેં હોમ્યું પાણી છે.

સનસની એક તાજા ખબર જન્માવી છે;
શ્યામેં કહ્યું’તું રાધા, ને થૈ મીરા દીવાની છે !

આ એક વાત હવે રહી રહીને સમજાણી છે;
હું કરું તે બધું ફોગટ, ઘરઘરની કહાણી છે !

છોડી દે કદાચ વ્યાજ, પણ માથે તવાઈ છે,
શાહુકારની અર્ધાંગિની, એનાથીય શાણી છે !

સંતોષની આ લગડી, જીવતરની કમાણી છે,
જીવનના આ જયકારે “દિવ્યતા” જ રાણી છે !

( દિવ્યા સોની “દિવ્યતા” )

એક કામ પતે-ભાવેશ ભટ્ટ

અસલ સ્વરૂપ બતાવો તો એક કામ પતે
તમે મને ન બચાવો તો એક કામ પતે

કરી શક્યો નહીં સાબિત વજૂદ તું તારું
‘નથી’નો આપ પુરાવો તો એક કામ પતે

ધરા ઉપર જે પડ્યો છે યુગોનો ગુંચવાડો
કોઈ ઉકેલ જો લાવો તો એક કામ પતે

સમય થયો છે છતાં ડૂબતો નથી સૂરજ
નજર તમારી હટાવો તો એક કામ પતે

ગુનો કરે ન ફરી ક્યાંય શ્વાસ બનવાનો
હવાનું નાક દબાવો તો એક કામ પતે

( ભાવેશ ભટ્ટ )

તાન્કા-ઉમેશ જોષી

૧.
સપનાઓ છે
પતંગિયાં જેવાં જ
ઊડ્યા કરે છે
એક મનથી બીજે
ઝાકળ ભીની પાંખે.

૨.
તરલ હતાં
વાદળ કીકીઓમાં
ઘેરાયેલા ને
સમય થંભી ગયો
ઉભયની સામે જ.

૩.
ઢળતી સાંજે
હવે આવે છે યાદ
મન મળ્યાનું
ત્યાં ફૂલ ખીલી ગયું
પાનખરની ડાળે.

( ઉમેશ જોષી )

હું કોની છું રૈયત ?-ચિનુ મોદી

આ કોની રિયાસત, આ કોની ઈમારત ?
મને કોઈ કહેશો હું કોની છું રૈયત ?

આ ધરા આભ કોના ? અહીં રાજ કોના ?
આ કોની નમાજો ને કોની ઈબાદત
મને કોઈ કહેશો હું કોની છું રૈયત ?

હવાઓ નિરંતર, કિરણ પણ નિરંતર
અહીં સૂર્ય ને ચંદ્ર ઊગે નિરંતર
મળે તેજ સામે તિમિરને ઈજાજત
મને કોઈ કહેશો હું કોની છું રૈયત ?

અહીં શહેર શેરી, ને, મસ્જિદ ન ડેરી
સતત ચાલતી શ્વાસોની હેરાફેરી
અહીંયા જ જહન્નમ, અહીંયા જ જન્નત
હશે કલ્પના કે હશે એ હકીકત ?
મને કોઈ કહેશો હું કોની છું રૈયત ?

( ચિનુ મોદી )

હમકો ના કુચ બી માલૂમ-હરીશ મીનાશ્રુ

ઝાકળના પેગ પાંચ મારી ગુલાબ ઝૂમે ઐસી ક્યૂં આંખ લાલઘૂમ
કેમ કરી દારૂનાં ટીપાં ટપોરી બની બેઠાં દરખની લૂમ
હમકો ના કુચ બી માલૂમ

પતલી ગલીસે કબીર કોઈ આયા
ને વડને સમેટી લીધો બીજમાં
દર્પણને ડૂલ કરી, ગુલ કિયા અપ્પુનકા
પડછાયા ખીજમાં ને ખીજમાં

અપને હી બંદે કો અગુવા કરીને કૈસે મુરશિદ ભી ખુદ હુવા ગુમ
હમકો ના કુચ બી માલૂમ

ટપકા ડાલુંગા ઉસે વિરહીનાં આંસુની જેમ
મારી પાંપણની ધારથી
ખલકત કો બોલું ખલ્લાસ : વાર કર ડાલું
આશિકના તેજ હથિયારથી

નામ કોઈ પૂછે તો હમકો ક્યા કહને કા ; મજનૂ યા મૌલાના રુમ
હમકો ના કુચ બી માલૂમ

( હરીશ મીનાશ્રુ )

અંધારું થાય-વિમલ અગ્રાવત

આંખ મીંચીએ તો અંધારું થાય,
એથી સૂરજ કંઈ આથમી ન જાય !

મનમાં તો એમ હોય આપણું ઉગાડેલું અંધારું આપણને ઢાંકશે,
બાકસને હાથવગું રાખશું ને ખપ પડ્યે ચપટીભર અજવાળું આપશે,
આમ જીવતર કંઈ ઝળહળતું થાય ?
આંખ મીંચીએ તો અંધારું થાય.

બીજાની ઝળહળથી પોતાના પડછાયા કેમ કરી બાળવા ?
બારી ને બારણાં તો બંધ કરી દઈએ પણ ચાંદરણાં કેમ કરી વાળવાં ?
કદી અંધારું ઓલવી શકાય ?
આંખ મીંચીએ તો અંધારું થાય.

( વિમલ અગ્રાવત )

સત કહો કે ભ્રમણા-વિમલ અગ્રાવત

સત કહો કે ભ્રમણા
આંખ મીચું ત્યાં અજવાળાનાં ફૂલ ખીલે કંઈ નમણાં !
સત કહો કે ભ્રમણા

તિમિર ભરેલી તલાવડી ને ફરતે નહીં કોઈ પાળ,
તળિયે તેજના ફણગા ફૂટે મૂળની મળે ન ભાળ,
રાત બની કંઈ રમણા,
સત કહો કે ભ્રમણા.

તેજ-તિમિરની રંગછટાનાં દ્રશ્યો કૈં ચીતરાતાં,
ખુલ્લી આંખે ખોવાયેલાં પંખી ફરતાં પાછાં,
ટહુકા કરશે હમણાં,
સત કહો કે ભ્રમણા.

( વિમલ અગ્રાવત )

વણજાર-ઉષા ઉપાધ્યાય

કાફલો ઊપડવાની તૈયારી હતી,
આખું આકાશ સંકેલીને
ઊંટની પીઠે લદાઈ ગયું હતું,
વહેતી નદીને
મશકમાં બંધ કરી દેવાઈ હતી,
ઊંટના પગે બાંધેલી ઘૂઘરીઓ
રણઝણી રહી હતી,
કાફલો થનગની રહ્યો હતો
ક્ષિતિજની લકીરમાં સમાઈ જવા,
સહુની આંખો મંડાઈ હતી
ઊગમણા દેશ તરફ,
સહુના પગ હવે
આ ઊપડ્યા કે ઊપડશે…
પણ, મારા પગ જાણે ગળી ગયા હતા
હૈયેથી સાદ ઊઠતો હતો-
“અરે થોભો, થોભો !
કોઈ જણસ રહી ગઈ છે
આ વેરણછેરણ નિશાનીઓમાં…”
પણ કોઈ સાંભળતું ન હતું
સૌને ઉતાવળ હતી
આગળ ને આગળ જવાની
ને હું રેતના ઢૂંવાઓ વચ્ચે
રેત થઈને વીખરાતા મારા મનના
કણકણને સમેટવા-બાંધવા
મથી રહી હતી…

( ઉષા ઉપાધ્યાય )

હરે-ફરે છે-ભાર્ગવ ઠાકર

અધકચરી ભ્રમણાનું જાળું ગજવામાં લઈ હરે-ફરે છે,
થોડું પોતીકું અજવાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

જાંબુડી તડકાને સ્પર્શી, પળમાં એ સોનેરી કરશે;
ગરમાળા ઘેઘૂર ઉનાળું, ગજવામાં લઈ હરે-ફરે છે.

છેતરવામાં નિષ્ફળ રહેશે અખબારી આંસુઓ ત્યારે,
ખપ પૂરતું એ સ્મિત છિનાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

વૈરાગી વાઘાની સળનાં ચાઠાં ક્યાંથી હોય શરીરે !
એ તો કાયમ પોત સુવાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

વિસ્મયની ઓપાર જવાનો રસ્તો કેમ કરીને ઊઘડે ?
શંકાનું લોખંડી તાળું ગજવામાં લઈ હરે-ફરે છે.

( ભાર્ગવ ઠાકર )