પ્રેમનું અસ્તિત્વ – માર્જોરી પાઈઝર

મને લાગતું હતું કે તમારું મૃત્યુ હતું

દુર્વ્યય અને વિનાશ,

સહન ન થઈ શકે એવી શોકની વ્યથા.

મેં હજી સમજવાની શરૂઆત કરી છે

કે તમારું જીવન એક ભેટ હતું અને વિકસતું

અને ચાહતું મારી સાથે બચ્યું છે.

મૃત્યુની હતાશા પ્રેમના અસ્તિત્વનો વિનાશ કરે છે,

પણ મૃત્યુની હકીકત

જે અપાયું છે એનો વિનાશ કરી શકતી નથી.

તમારા મૃત્યુ અને તમારી જુદાઈને બદલે

તમારા જીવનને ફરીથી જોવાનું હું શીખી રહી છું.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

મહત્વ – માર્જોરી પાઈઝર

જીવનની બધી બાબતો કેવી મહત્વની છે,

મિત્રો અને માલિકીની વસ્તુઓ, રાજકીય સંઘર્ષો

અને માનવજાતનું ભવિષ્ય,

જાતીયતા અને રમતગમત અને કોણે કોને માટે શું કહ્યું,

અને કામધંધો અને ખરીદી,

અને થાકી જવું અને સુખી થવું

અને યુવાન થવું અને વૃદ્ધ થવું,

મૃત્યુ નજીક આવે છે

અને આપણી આસપાસની બધી રોજિંદી વસ્તુઓને હડસેલી દે છે,

ત્યાં સુધી રોજેરોજની બધી વસ્તુઓ કેવી મહત્વની છે

જ્યાંથી આપણે આવ્યાં

અને આખરે જ્યાં જવાનાં છીએ

એ મહારહસ્ય સમક્ષ

પછી આ બધી મહત્વની વસ્તુઓ

તુચ્છ બની જાય છે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

મૃત્યુ – ખલિલ જિબ્રાન

Khalil Gibran

.

ત્યાર પછી મિત્રા બોલી, હવે અમે આપને મૃત્યુ વિશે પૂછીએ છીએ.

 .

ત્યારે તેમણે કહ્યું :

 .

તમારે મૃત્યુનું રહસ્ય જાણવું છે.

 .

પણ તમે તેને કેવી રીતે જાણશો, જો તમે તેને જીવનના મધ્યમાં જ ન ખોળો તો ?

 .

દિવસ પ્રત્યે આંધળું થયેલું નિશાચર ઘુવડ તેજેનું રહસ્ય ઉકેલી શકે નહીં.

 .

જો તમે સાચે જ મૃત્યુના આત્માને જોવા ઈચ્છતા હો, તો તમારા હૃદયને જીવનના શરીર સામે ખુલ્લું મૂકી દો.

 .

કેમ કે જીવન અને મૃત્યુ એક જ છે, – જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ.

 .

તમારી આશાઓ અને ઈચ્છાઓના મૂળમાં જ તમારું મૃત્યુ પાર વિશેનું જ્ઞાન છુપાઈને રહ્યું છે;

 .

અને બરફની નીચે ઢંકાઈ રહેલા બીજની જેમ તમારું હૃદય વસંતના સ્વપ્ન જુએ છે.

 .

એ સ્વપ્નોમાં શ્રદ્ધા રાખો, કારણ કે તેમાં જ અમરતાનો દરવાજો છુપાયેલો છે.

 .

તમારો મરણનો ભય પેલા ભરવાડની બીક જેવો છે : જે, રાજા એને સ્વહસ્તે માન આપનાર છે એમ જાણતાં છતાં, એની સામે ઊભો થતાં ધ્રુજે છે.

 .

પણ એની ધ્રુજારીની નીચે – રાજાનો અનુગ્રહ થવાનો છે એનો હર્ષ જ રહેલો નથી કે ?

 .

છતાં પોતાની ધ્રુજારીને જ વધારે મહત્વ નથી આપતો કે ?

 .

કારણ, મરવું એટલે પવનમાં ખુલ્લાં પડવું અને સૂર્યના તાપમાં ઓગળવું એ સિવાય બીજું શું ?

 .

અને શ્વાસ લેતાં અટકવું એટલે પ્રાણને સતત ચડઊતર થવાના કર્મમાંથી મુક્ત કરીને નિરુપાધિકપણે ઈશ્વર શોધવા માટે ઊંચે ચડવા અને ફેલાવા દેવો એ સિવાય બીજું શું ?

 .

મૌનની નદીનાં જળ પીને જ તમે ગાવાની શક્તિ મેળવી શકો.

 .

અને પર્વતને શિખરે પહોંચ્યા બાદ જ તમે ચડવા માંડી શકો.

 .

અને જ્યારે પૃથ્વી તમારા અવયવો પોતાનામાં સમાવી દેશે, ત્યારે જ તમે સાચું નૃત્ય નાચી શકશો.

.

( ખલિલ જિબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા )

.

આ પોસ્ટ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો.

યાદ રાખવું એટલું તો અઘરું છે – માર્જોરી પાઈઝર

.

તમે મૃત્યુ પામ્યા છો એ યાદ રાખવું એટલું તો અઘરું છે,

કોઈ પણ ક્ષણે તમે ઘરમાં હરતાફરતા હશો

એ જ રીતે, જાણે તમે રસ્તા પર ખરીદી કરતા હો,

અથવા કંઈક લખવાનું હમણાં જ પૂરું કર્યું હોય.

તમારા મૃત્યુના ભયાનક માર્ગ પર

તસુએ તસુ હું તમારી સાથે ચાલી છું,

છતાં કોઈક વાર, હજીયે, હું યાદ રાખી શકતી નથી

કે તમે મૃત્યુ પામ્યા છો.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

સૂઝ્યું નહીં – સુરેશ દલાલ

.

.

.

મોરલી ને મોરપીંચ્છને વાંકું પડ્યું

ને શ્યામને તે કંઈ કશું સૂઝ્યું નહીં

સૂરથી ઘવાયેલું રાધાનું હૈયું

મોરપીંચ્છના સ્પર્શે પણ રૂઝ્યું નહીં.

 .

યમુનાના વ્હેણમાં ખાલી ઘડાને

તરતો મૂકીને રાધા જોયા કરે.

વરસ્યા વિનાનાં શ્યામ શ્યામ વાદળાંઓ

આંસુ વિના પણ રોયા કરે.

રાસમાં રૂમઝૂમવું માંડી વાળ્યું

ને ગોપીએ કોઈને કાંઈ પૂછ્યું નહીં.

 .

કેવી આ રીસ કે વૃંદાવન કરમાયું :

ગોકુળિયા ગામની સૂની ગલી.

ઝાંઝરને કાઢીને રાધા તો એકલી

એકલી પોતાને મારગ ચલી.

પોતાનાં આંસુને પોતાના પાલવથી

રાધાએ કેમે કરી લૂછ્યું નહીં.

 .

( સુરેશ દલાલ )

તડકો – કૈલાસ અંતાણી

.

શિયાળાની સવારનો

આ કૂણો કૂણો તડકો

કેટકેટલા રંગો લઈ રેલાય

તડકો સોનેરી, રૂપેરી

તડકો નાચે ઝાંઝર પહેરી

તડકો અડકો દડકો રમતો –

શૈશવની શેરીમાં ભમતો

નાચે કૂદે ગાય.

તડકો રોજ સવારે

ફૂલો સાથે ગેલ કરે ને

પંપાળે છે પાન

કે તડકો ધીમે રહીને

રેલાતું પંખીને કંઠે ગાન

તડકો વહી ગયેલા

સમય તણો

સચવાઈ રહેલો થડકો

ગમતો અમને એવું ગમતો

શિયાળાની સવારનો આ….

 .

( કૈલાસ અંતાણી )

પ્રાર્થના – સુરેશ દલાલ

રાતરાણીની મહેકથી હું ચીતરું તારો ચહેરો મારા કાગળ પર. મારા કાગળ પર તારો ચહેરો આપોઆપ ઊપસતો આવે છે. કારણ કે મારો કાગળ કોરો છે. રાતની નીરવ શાંતિ તારા ચહેરા પર છવાયેલી છે. તારા ચહેરાની શાંત મુદ્રા મને રહીરહીને સ્પર્શે છે અને મારામાં રહેલા સંવાદને ઝંકૃત કરે છે. તારી શાંત ઝંકૃતિમાં મારી આંખ ક્યારે મીંચાઈ જય છે એની પણ મને ખબર નથી.

 .

સવારે જાગું છું અને જોઉં છું તો પંખીના ટહુકામાં તારું અજવાળું મને સંભળાયા કરે છે. તું અઅમ ને આમ જ અઅકાર અને નિરાકારની લીલા રમ્યા કરે છે. મારો આકાર તારી લગોલગ પહોંચવા ઝંખ્યા કરે છે અને તું પ્રતીતિ આપે છે કે તું અમારાથી અલગ નથી.

 .

*

એક ગલીમાંથી બીજી ગલીમાં, બીજી ગલીમંથી ત્રીજી ગલીમાં જઈએ છીએ એવું ઘણીય વાર વિચારોનું પણ હોય છે. વિચાર પાસે પૂર્ણવિરામ મૂકતાં આવડવું જોઈએ. વિચારના વા-વંટોળિયા બધું ખેદાનમેદાન કરી મૂકે છે. વિચારો શાંત મનને ડહોળી નાખે છે. વિચારોની ભીસમાં ભીંસાવાને બદલે વિચારમાંથી નિર્વિચાર તરફ જવું એ જ યાત્રા, એ જ સાચી પ્રાર્થના. પ્રાર્થના અનેક રીતે થતી હોય છે. કર્મની એકાગ્રતા એ પ્રાર્થના. ધ્યાનના મંદિરમાં પ્રવેશ કરવો એ પ્રાર્થના છે. કોઈનાં આંસુ લૂછવાં એ પ્રાર્થના છે. કોઈકના ઉદાસ હોઠ પર સ્મિતની ધજા ફરકાવવી એ પ્રાર્થના છે. મુક્ત મને હસવું એ પણ પ્રાર્થનાનો જ પ્રકાર. પ્રાર્થનાની એક જ પૂર્વશરત : એ સહજ હોય. જીવનમાં જે કંઈ સહજ હોય એ પ્રાર્થના.

( સુરેશ દલાલ )

તમારી નજરમાં – ચિનુ મોદી

ઘણાં કારણોસર પીડાયો છું હું

તમારી નજરમાં પરાયો છું હું.

 .

અરીસા બધા એકસરખા નથી;

ફક્ત એક-બેમાં જણાયો છું હું.

 .

બિછાવી હતી જાળ જળમાં તમે

ગગનગામી છું, પણ, ફસાયો છું હું.

 .

બધાં પુષ્પ જ્યારે સુગંધિત થયાં

વસીને બગીચે, દબાયો છું હું.

 .

ફરે ચાકડો આપમેળે અને

રમતવાતમાં આ રચાયો છું હું.

 .

જનમ જેમ વ્હાલા મરણ ! જાણ તું

સ્વજના છું, સગો છું, માડી જાયો છું હું.

 .

નથી યાદ ‘ઈર્શાદ’ કરવું કશું

બરફ પણ અડે તો દઝાયોછું હું.

 .

( ચિનુ મોદી )

ગોરજટાણું-(૨) – ભગવતીકુમાર શર્મા

.

હરિ, તમારાં ચરણકમળ પર હું ઝાકળનું બિંદુ,

તમે કરો દ્રષ્ટિ તો બનું હું શરદ પૂનમનો ઈન્દુ.

 .

ક્યારે રાત પડે-ની મારે કરવી પડી પ્રતીક્ષા,

સૂર્ય ઊગે તે પહેલાં મેં પણ પૂરી કરી પરીક્ષા

ઝમ્યું કમળદળ પર હું-જાણે મોતી મઢેલો સિંધુ…

હરિ, તમારા…

 .

મુજથી ભીનાં કમળપુષ્પને મળ્યાં તમારાં ચરણ,

ધન્ય થયો અવતાર ને મારું પલળ્યું અંત:કરણ.

પળ બે પળનું આયખું મારું-જાણે ઊડ્યું પરિન્દુ !

હરિ, તમારા…

 .

( ભગવતીકુમાર શર્મા )