હિંદુ ધર્મનું એ સદ્દભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એ કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જો મને હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને પણ ન માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા કરવી એનું નામ જ હિંદુ ધર્મ. જો આ ધર્મ હાલમાં મૃતપ્રાય, નિષ્ક્રિય અને જડ બન્યો હોય, તો તેનું કારણ એ છે કે આપણે થાકી ગયા છીએ. પરંતુ આપણો થાક ઊતરી જતાં તુરત જ, હિંદુ ધર્મ કદાચ પહેલાં કદી નહીં જોવામાં આવ્યું હોય એવા પ્રખર તેજ સાથે વિશ્વમાં ઝળકી ઊઠશે. અને ખરેખર તેથી જ હિંદુ ધર્મ બધા ધર્મ કરતાં સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે.
‘મહાભારત’નાં મૂળમાં શાંતનુની કામવાસના પડેલી જોઈએ છીએ. એટલે જ એના વંશજોનો, કૌરવો-પાંડવોનો નાશા થયો. જ્યારે જ્યારે મોટાં મોટાં સામ્રાજ્યો પડ્યાં છે ત્યારે ત્યાંના લોકો વિષયવાસનામાં, ઉચ્છૃંખલતામાં અને મોજશોખમાં પડી ગયા હોય છે.
.
પાંડવોના બાર વરસના વનવાસ દરમ્યાન દુર્યોધનના રાજવહીવટમાં લોકો પાંડવોને પણ ભૂલી ગયા હતા. પણ કૌરવોને રાજનીતિમાં એક વસ્તુની ખામી હતી અને તે સ્ત્રીજાતિ પ્રત્યેનો અનાદર. નારી પ્રત્યેના તુચ્છ ભાવમાં જ કૌરવોનો નાશ હતો.
.
આપણા દેશમાં સાધુપુરુષો તો ઘણા થઈ ગયા છે, પણ અનાચાર થતો જોઈ અંતર વલોવાઈ જાય ને પોકારી ઊઠે કે, ‘આ નહીં જ થઈ શકે’ એવા થોડા હોય છે.
.
ખરે વખતે જે અંતરથી હિંમતથી માણસે બહાર આવવું જોઈએ, તે ન આવી શકે તેને નવા યુગમાં સ્થાન નથી.
.
ભીષ્મના પાત્રસર્જન દ્વારા મહાભારતકાર એક એ સત્ય પણ કહે છે કે જૂની સંસ્કૃતિ વિદાય લેતી હોય છે, નવી સંસ્કૃતિ ઊભી થતી હોય ત્યારે તેને થોડો વખત કાંટાની પથારીમાં સૂવું પડે છે. આપણે અત્યારે પણ કંઈક આવી જ દશા ભોગવી રહ્યા છીએ. અત્યારે આપણે આવા ફેરફારમાં થોડી વ્યથા અનુભવી રહ્યા છીએ. પણ એ ફેરફાર આવી જ રહ્યો છે, એમ સમજીને જે એને ઝીલશે તે જ ટકી શકશે, બીજા નહીં.