Category Archives: વાર્તા/નવલિકા

હિંદુ ધર્મ શું છે ? – મહાત્મા ગાંધી

gandhiji

.

હિંદુ ધર્મ શું છે ?

 .

હિંદુ ધર્મનું એ સદ્દભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એ કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જો મને હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને પણ ન માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા કરવી એનું નામ જ હિંદુ ધર્મ. જો આ ધર્મ હાલમાં મૃતપ્રાય, નિષ્ક્રિય અને જડ બન્યો હોય, તો તેનું કારણ એ છે કે આપણે થાકી ગયા છીએ. પરંતુ આપણો થાક ઊતરી જતાં તુરત જ, હિંદુ ધર્મ કદાચ પહેલાં કદી નહીં જોવામાં આવ્યું હોય એવા પ્રખર તેજ સાથે વિશ્વમાં ઝળકી ઊઠશે. અને ખરેખર તેથી જ હિંદુ ધર્મ બધા ધર્મ કરતાં સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે.

 .

( મહાત્મા ગાંધી )

વિદ્યાર્થીઓ માટે સફળતાનાં સ્વર્ણિમ સૂત્રો – સ્વામી વિવેકાનંદ

સ્વામીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે
સ્વામીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે

.

(૧)

મારાં બાળકો !

યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો

જ પાપ કરે છે અને અસત્ય બોલે છે.

બહાદુર માણસો હંમેશા નીતિમાન હોય છે.

નીતિમાન બનો.

બહાદુર અને સહૃદયી બનો.

 .

(૨)

મારા મિત્રો !

તમારા એક સગાભાઈ તરીકે:

જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે;

હું તમને કહેવા માંગુ છું કે આપણે જોઈએ છે

સામર્થ્ય, સામર્થ્ય;

અને હર સમયે સામર્થ્ય.

 .

(૩)

ખડા થાઓ

અને મર્દ બનો.

મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે;

મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે.

ચોમેર મર્દ બનાવનાર

શિક્ષણની આપણને જરૂર છે.

 .

(૪)

ગરીબ લોકો માટે જેનું હૃદય દ્રવે તેને

હું ‘મહાત્મા’ કહું છું, નહિ તો એ ‘દુરાત્મા’ છે.

હે મહાન આત્માઓ !

ઊઠો, જાગો !

આ દુનિયા દુ:ખના દાવાનળમાં ભડકે બળે છે

ત્યારે તમે સૂઈ શકો ખરા ?

.

(૫)

વીર યુવકો !

શ્રદ્ધા રાખો કે તમારા સહુનો જન્મ

મહાન કાર્યો કરવા માટે થયો છે.

કુરકુરિયાંના ભસવાથી ડરી જશો નહિ;

અરે, આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત

થશો નહિ. પણ ઊભા થાઓ અને કામે લાગો !

 .

(૬)

પવિત્રતા, ધૈર્ય અને ખંત બધાં વિધ્નોને જીતી લે છે.

નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો.

ખરાબ સંસ્કારોને દબાવવાનો

એક માત્ર ઉપાય એ જ છે.

પવિત્રતા એ સૌથી મોટી શક્તિ છે;

તમામ વસ્તુઓ એનાથી ડરે છે…

 .

(૭)

પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિકતા

કહેતા ; નવો ધર્મ કહે છે કે

જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.

શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી

આવવાનું જ છે. કોઈપણ વસ્તુથી ડરો નહી,

તમે અદ્દભુત કાર્ય કરી શકશો.

 .

(૮)

જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો ! તેમાં મોત છે.

જે કાંઈ બળ હોય તેને નર્કમાં જઈને પણ પકડો.

નીતિમાન થજો,

શૂરવીર બનજો.

ઉદાર હૃદયના થજો.

જાનને જોખમે પણ વીર, ચારિત્રવાન બનો.

 .

(૯)

પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહિ,

યશથી પણ નહિ, વિદ્યાથી પણ નહિ

માત્ર પ્રેમથી લાભ થાય છે;

માત્ર ચારિત્ર્ય જ

મુશ્કેલીઓની વજ્ર જેવી દિવાલો

તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

 .

(૧૦)

કાર્ય કરવું એ ઘણું સારું છે.

પરંતુ તે વિચારમાંથી આવે છે.

એટલે મસ્તકને ઉન્નત વિચારોથી,

સર્વોચ્ચ આદર્શથી ભરી દો;

તેમને દિનરાત તમારી દ્રષ્ટિ તરફ રાખશો તો

તેમાંથી મહાન કાર્યોનો જન્મ થશે.

.

(૧૧)

બહાદુર, હિંમતવાન માણસો

કે જેના લોહીમાં જોમ,

જ્ઞાનતંતુઓમાં તાકાત,

લોખંડી માંસપેશીઓ અને

પોલાદી સ્નાયુઓ હોય તેવાની જરૂર છે;

નરમ અને પોચી ભાવનાઓ નહીં

 .

(૧૨)

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય

તો તમારી પાસે પ્રચંડ ખંત

અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.

ખંતીલો માણસ કહે છે :

‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત

પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’

.

(૧૩)

સખત પરિશ્રમ કરો.

પવિત્ર અને શુદ્ધ બનો

એટલે ઉત્સાહ આવશે જ.

આપણાં જીવન

સારાં અને પવિત્ર હોય તો જ દુનિયા

સારી અને પવિત્ર થઈ શકે.

 .

(૧૪)

ઈચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા…

સમુદ્ર તરવો હોય તો

તમારામાં લોખંડી ઈચ્છાશક્તિ જોઈશે;

પહાડો વીંધી નાખવા જેટલું બળ જોઈશે;

તમે કમર કસીને તૈયાર રહો…

કશાની પણ ચિંતા ન કરશો !

 .

(૧૫)

વીરતાભર્યા વચનો અને

એથીયે વધુ વીરતાભર્યા કાર્યોની જ

આપણને જરૂર છે.

 .

( સ્વામી વિવેકાનંદ )

 

આથમતી સંસ્કૃતિનો છેલ્લો જ્યોતિ – નાનાભાઈ ભટ્ટ

‘મહાભારત’નાં મૂળમાં શાંતનુની કામવાસના પડેલી જોઈએ છીએ. એટલે જ એના વંશજોનો, કૌરવો-પાંડવોનો નાશા થયો. જ્યારે જ્યારે મોટાં મોટાં સામ્રાજ્યો પડ્યાં છે ત્યારે ત્યાંના લોકો વિષયવાસનામાં, ઉચ્છૃંખલતામાં અને મોજશોખમાં પડી ગયા હોય છે.

 .

પાંડવોના બાર વરસના વનવાસ દરમ્યાન દુર્યોધનના રાજવહીવટમાં લોકો પાંડવોને પણ ભૂલી ગયા હતા. પણ કૌરવોને રાજનીતિમાં એક વસ્તુની ખામી હતી અને તે સ્ત્રીજાતિ પ્રત્યેનો અનાદર. નારી પ્રત્યેના તુચ્છ ભાવમાં જ કૌરવોનો નાશ હતો.

 .

આપણા દેશમાં સાધુપુરુષો તો ઘણા થઈ ગયા છે, પણ અનાચાર થતો જોઈ અંતર વલોવાઈ જાય ને પોકારી ઊઠે કે, ‘આ નહીં જ થઈ શકે’ એવા થોડા હોય છે.

 .

ખરે વખતે જે અંતરથી હિંમતથી માણસે બહાર આવવું જોઈએ, તે ન આવી શકે તેને નવા યુગમાં સ્થાન નથી.

 .

ભીષ્મના પાત્રસર્જન દ્વારા મહાભારતકાર એક એ સત્ય પણ કહે છે કે જૂની સંસ્કૃતિ વિદાય લેતી હોય છે, નવી સંસ્કૃતિ ઊભી થતી હોય ત્યારે તેને થોડો વખત કાંટાની પથારીમાં સૂવું પડે છે. આપણે અત્યારે પણ કંઈક આવી જ દશા ભોગવી રહ્યા છીએ. અત્યારે આપણે આવા ફેરફારમાં થોડી વ્યથા અનુભવી રહ્યા છીએ. પણ એ ફેરફાર આવી જ રહ્યો છે, એમ સમજીને જે એને ઝીલશે તે જ ટકી શકશે, બીજા નહીં.

 .

( નાનાભાઈ ભટ્ટ )

ચાંદરણાં (૧૫) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ ખાલી ખાતે કોરો ચેક આપીને બેલેન્સ વધારે છે.

 .

માણસ હાથી નથી એટલે તે માત્ર પ્રેમમાં જ ગાંડો થાય છે !

 .

પ્રેમની રફતાર માત્ર બે જ જણને ગિરફતાર કરે છે.

 .

પ્રેમી સિવાય કોઈ સાનમાં સમજતું નથી !

 .

પ્રેમ ભીના રૂમાલની ગડી વાળવાનું શિખવે છે !

 .

પ્રેમ અગિયારીનો આતશ હોય તો તે કદી ઓલવાતો નથી !

 .

પ્રેમ તો દીવેટીઓ દીવો છે અવસરનું તોરણ નહીં.

 .

પ્રેમ વિસ્તરે છે પણ પાતળો પડતો નથી.

 .

પ્રેમની શતાબ્દિ ઉજવવી હોય તો ૧૨૧ વર્ષ જીવવું પડે !

 .

તમે બારણાં બંધ કરશો તો પ્રેમ પોતાનું પ્રવેશદ્રાર શોધી જ લેશે !

 .

પ્રેમીઓ માત્ર એકબીજા માટે જ ‘મળતાવડા’ હોય છે !

 .

પ્રેમ અડધો અડધો થાય છે અને બે અડધે એક થાય છે !

 .

એકાંતને જીભ નથી હોતી એટલે તે પ્રેમનું સાક્ષી બને છે !

 .

વિરહ એ યાદગાર એકાંત હોય છે.

 .

આંસુની રેખા ગાલ પર અટક્યા પછી યે લંબાયા કરે છે.

 .

પ્રેમ ખેલ નથી પણ સૌથી વધારે ખેલદિલી પ્રેમમાં જ હોય છે !

 .

શહેરના નકશામાં ન આવેલા કેટલાક ઝોન માત્ર પ્રેમીઓ જ જાણે છે !

 .

મારા આંગળાની છાપ મારા દોસ્તના હાથમાં છે !

 .

કોરા પરબીડિયાને પ્રેમપત્રનું ભવિષ્ય હોય છે.

 .

આંસુ પાસે અટકી જાય તે સ્મિત સુધી પહોંચતો નથી.

 .

જેમાં તણખા છુપાયા હોય તે તણખલા કહેવાય !

 .

મને મળવાનું હું ટાળું છું ને ઉંઘ આવે છે.

 .

માળો બાંધવો નથી પડતો, ગોઠવવો પડે છે.

 .

દુ:ખ જેવું કશું પોતીકું નથી હોતું !

 .

પાણીદાર માણસે વરાળ બન્યા વિના જ ઉંચે જવાનું છે.

 .

પ્રેમની આંખો પાસે પોતીકું પ્રતિબિમ્બ હોય છે.

 .

પ્રેમ એવી ભીનપ છે. જેમાં કશું ઊગે છે ને આપોઆપ ઉછરે છે.

 .

અહીં રણ જ હશે ! મોસમ છે પણ મોસમનાં પંખી નથી !

 .

પ્રેમ, પ્રેમને જ અનુસરે છે.

 .

પ્રેમ તો કોરી કિતાબ હોય છે, વડીલો એમાં સૂચિપત્ર જોડે છે.

 .

એકાંતને જીભ નથી હોતી એટલે તે પ્રેમનું સાક્ષી બને છે !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧૪) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ અરણ્યમાંથી પસાર થતો ઉપવને જાય છે.

 .

ભીરુ પ્રેમ બેઠા બેઠા પોતાની પાંખો ફફડવ્યા કરે છે.

 .

પવનનો સાથ મળે તો રાખ પોતામાંથી જ ઊભી થાય છે.

 .

પ્રેમને દીર્ઘાયુ થવા માટે વાત્સલ્ય પણ થવું પડે.

 .

પ્રેમનાં આંસુ સુકાયાં પછી પણ ભીનાં રહે છે.

 .

પંખીને પાંખ આવે તો એના પડછાયાને પણ પાંખ આવે !

 .

કોઈ કોઈ પીડાને પોતાની સુવાસ પણ હોય છે.

 .

પ્રેમ અઘરી શોધ છે, કેમ કે તે બીજામાં (પણ) શોધવાનો હોય છે.

 .

પ્રેમ સારો અનુભવ છે, ભલે તે આપણે બીજાને કે બીજાએ આપણને કરાવ્યો હોય !

 .

ઊડી ગયેલી ચકલીનું ખરેલું પીંછું પસવારીએ તે વિરહપ્રેમ !

 .

રીસે ભરાતાં નથી તેમનું સૌન્દર્ય અપૂર્ણ રહે છે.

.

પ્રેમ ઉછેરી શકાતો નથી, તે જ તમને ઉછેરે છે !

 .

પ્રેમ અંતર રાખે છે, અને સાથે પણ રહે છે !

 .

પ્રેમ લ્હેરખી છે, અને ઝંઝાવાત પણ !

 .

પ્રેમ એ પોતામાં ફોરતી અને અજાણી દિશામાં જતી ફોરમ છે.

 .

છીપની કેદ અને અંધકાર છોડી પ્રેમનું મોતી પ્રકાશમાં આવ્યું છે.

 .

પ્રેમ એ દ્રવ છે પણ અતિ ઉત્સાહી અને ઉપદ્રવ બનાવી દે છે !

 .

પ્રેમમાં ઉજાગરો માથે નથી પડતો, લાલ થઈને આંખોમાં પડે છે.

 .

અનિદ્રા એ રોગ નહીં અફવા છે, માત્ર પ્રેમીઓ જ એ પુરવાર કરે છે.

 .

પ્રેમ હવે યજ્ઞ નથી એટલે અગ્નિ પરીક્ષા નથી.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧૩) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ, દર્ભાસને બેસવા કરતાં પાથરેલા રૂમાલ પર બેસવાનું પસંદ કરે છે !

 .

એ પ્રેમ જ છે, જે બે ખેતરો વચ્ચેની વાડને તોડી પાડે છે !

 .

જે હાથ મેળવે છે તે સોનાની વીંટી પણ મેળવે છે !

 .

પ્રેમવિહોણું જીવન એ ઋતુઓ વગરના આકાશ જેવું છે.

 .

વિરહની દૂરતામાં કોઈ માઈલ સ્ટોન નથી હોતા.

 .

વિરહમાં દૂરતા છે, પણ તે માપવાની કોઈ મેઝરટેપ નથી.

 .

‘વિરહ’એ વર્ષામાં નજીક આવતું, ‘દૂરનું આકાશ’ છે.

 .

વિરહ એ દૂર દેખાતી જ્યોતિ છે, ભયસૂચક દીવાદાંડી નથી.

 .

માણસને માણસની, સહરા જેવી તરસ લાગે તે વિરહ.

 .

વિરહમાં ‘વિભક્તિ’ પણ ‘સંધિ’ બની રહે છે !

 .

પ્રેમ પ્રગટ થવા પહેલા સાત વાર સંતાય છે !

 .

પ્રેમ ભીંતો બાંધે છે, અને બારણું પણ રાખે છે !

 .

પ્રેમ મરતો નથી એટલે ‘ઈતિહાસ’ પણ બનતો નથી !

 .

તમારે ફના થવું હોય તો કોઈપણ કહેવાતા આદર્શને ‘વ્યસન’ બનાવો !

 .

પ્રેમ એકચિત્ર હોય છે, પછી તેનું આલ્બમ રચાવા માંડે છે.

 .

પ્રેમીની સ્મૃતિમાં એક આર્ટ ગેલેરી હોય છે !

 .

પ્રેમ : મોસમનાં વરસતાં વાદળાં સરોવરમાં સ્થાયી થાય છે.

 .

પ્રેમ આશય નથી એટલે છુપાતો નથી.

 .

એકલા પડવાના ભયથી ‘સાથી’ શોધશો તો ‘રાહદારી’ જ મળશે !

 .

ધરા પર ચાલનારો પ્રેમ, આકાશનું પક્ષી પણ હોય છે !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧૨) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ એ પોતીકી ગલી છે, નેશનલ હાઈવે નથી.

 .

પ્રેમમાં મગજ બંધ પડે છે અને હૃદય ચાલે છે.

 .

પ્રેમમાં પ્રોમિસરી નોટ, વટાવવા માટેના ચેક થઈ જાય છે.

 .

‘રમણી’થી વિસ્તરીને ‘રમણીય’ થઈ જાય તે પ્રેમ !

 .

જે સ્વયં ઉગવો જોઈએ, જેને આરોપવો પડે તે પ્રેમ નથી !

 .

આકૃતિ સ્થિર હોય પણ પડછાયા લાંબા ટૂંકા થાય તે પ્રેમ !

 .

યુવાનીમાં પ્રેમ ઊગે એ ભરબપોરે બીજો સૂર્ય ઊગવાની ઘટના !

 .

ગીતામાં પ્રેમપત્ર છુપાવી રાખવાથી તેને ‘આધ્યાત્મિક રક્ષણ’ મળે છે !

 .

યૌવન કાળે ઉઘડતો વિસ્મયલોક તે પ્રેમ !

 .

ઉદાર પ્રેમ જાણે છે : પ્રત્યેક પથ્થરમાં મૂર્તિ બનવાની શક્યતા ન હોય !

 .

પ્રેમના પાઠ ભણવામાં માસ્તરની ગેરહાજરી અનિવાર્ય.

 .

પ્રેમ એવી ‘એર’ છે, જે માણસની ‘કન્ડિશન્ડ’ નક્કી કરે છે.

 .

‘મોઢામોઢ થતાં પ્રેમ’ને આ ટિખળી ભાષા ‘ચૂંબન’ કહે છે !

 .

પ્રેમ એ એકલા જવાની ‘દિશા’, અને સાથી સાથે પાછા ફરવાનો માર્ગ છે.

 .

આભલામાં પોતાનું પ્રતિબિંબ જોવાથી સૂર્ય અને પ્રેમ નાના થઈ જતા નથી !

 .

પ્રેમ દુર્વાસા નથી, છતાં એ પણ એપોઈન્ટમેન્ટ લીધા વિના જ આવે છે !

 .

આંતરમન ક્યારેક સ્વપ્નમાં એક ચહેરાની પરેડ યોજે છે !

 .

‘ગમન-આગમન’ તો પ્રેમના પગરવના ‘આરોહ અવરોહ’ હોય છે !

 .

જુદા જુદા ક્લોઝઅપો જ પ્રેમની સંપૂર્ણ છબિ રચે છે.

 .

પ્રેમ એક એવો સ્પર્શવાદ છે, જે સ્મૃતિ બની જાય છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

 

ચાંદરણા (૧૧) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ અશિષ્ટ નથી, તેમ શિષ્ટાચાર પણ નથી !

 .

પ્રેમાળ રોષમાં હેતાળ તેજસ્વિતા હોય છે.

 .

પ્રેમ એ આરતી ઉતાર્યા વિના વહેંચાતો પ્રસાદ છે.

 .

પ્રેમમાં સબ ભૂમિ ગોપાલકી નહીં, અડધી ભૂમિ રાધાની !

 .

અજંપ પ્રેમ ગૂંગળાય છે, પણ પરપોટો નથી બનતો !

 .

પ્રેમ ઈન્દ્રધનુષ છે, પણ ઈન્દ્રધનુષ્ય જેવો અલ્પાયુ ન હોય !

 .

વિગ્રહરેખા ભૂંસીને બે શબ્દના સમાસ બનાવે તે પ્રેમ !

 .

પ્રેમના સ્વર્ગમાં એક જ અપ્સરા હોય છે !

 .

પ્રેમ ઋષિ નથી એટલે સોમરસ પીધા વિના જ મસ્ત રહે છે !

 .

વિરહ એટલે પોતે સર્જેલા ચિત્રને દૂરથી જોયા કરતો ચિત્રકાર.

 .

પ્રેમ વનવાસે જાય છે ત્યાં પણ ઝાંખરા દૂર કરી પુષ્પ ક્યારી રચે છે.

 .

ફુલ તો સાવ શાંત પણ એની તીવ્ર ગંધ તોફાની હોય છે.

 .

પ્રેમ છલકાતો રહીને પોતાને અધૂરો અનુભવ્યા કરે છે.

 .

અખંડ પ્રેમમાં પણ એક શયનખંડ હોય છે.

 .

‘પ્રેમ’ શબ્દ ડિક્ષનરીમાં પણ એનો અર્થ હૃદયમાં હોય છે.

 .

પ્રેમમાં કોઈ આકાશે જાય છે, કોઈ આકાશને નીચે આણે છે.

 .

પ્રેમ ઈતિહાસ બને ત્યારે વર્તમાન હાજરીપત્રક બની જાય છે.

 .

પ્રેમ એક ઉષ્મા છે, તે દઝાડતો અગ્નિ પણ બની શકે છે.

 .

પ્રેમની ભાષા હોય છે, વ્યાકરણ નહીં, પ્રેમની ભૂમિ હોય છે, ભૂમિતિ નહીં.

 .

પ્રેમનો સંયમ ને સાધના સાધુબ્રાન્ડ નથી હોતાં !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧૦) – રતિલાલ ‘અનિલ’

કબ્રસ્તાનમાં આવેલા વૃક્ષ પર પ્રેમ જ માળો બાંધે છે.

 .

હૈયામાં પ્રેમ હોય તે આ જગત પાસે માત્ર માળાનું ઘાસ જ માંગે છે !

 .

પ્રેમ દિશા નથી, દિશાઓ વિહોણું આકાશ છે.

 .

પ્રેમ, પ્રયોજન વગરનું ઈજન પણ હોય !

 .

સૂર્યનો દિવસ પ્રકાશથી, માણસનો દિવસ પ્રેમથી ઊગે છે !

 .

‘અંગત’ બાબતમાં પારંગત હોય તો તે પ્રેમ !

 .

પ્રેમ શરૂ થતો નથી, માત્ર ગુપ્તવાસમાંથી બહાર આવે છે.

 .

પ્રેમ ક્ષણને સમય અને સમયને ક્ષણ બનાવી દે છે !

 .

પ્રેમ પ્રવાહની જેમ પસાર થાય છે અને સરિતાની જેમ રહે છે.

 .

પ્રેમ ઉજાગરાની મશાલને દીવો બનાવી દે છે.

 .

ઓ પ્રેમ ! તું તો તાજી કબર પર તાજું ઈંડું પણ મૂકી શકે છે !

 .

પ્રેમમાં વાયદાનો વેપાર નહીં, વ્યવહાર થાય છે !

 .

દરેકની સામે જિંદગી ‘પડી ’છે, કોઈક જ તેને ‘ઊભી’ કરે છે.

 .

કશું ન કરી શકાય ત્યારે પ્રેમ તો કરી જ શકાય છે !

 .

પ્રેમ એવો પ્રકાશ છે, જેમાં માત્ર બે જ જણ દેખાય છે !

 .

પ્રેમમાં ઘડિયાળ બંધ પડે છે અને સમય ચાલે છે !

 .

પ્રેમ અંધ નથી હોતો, તે એક વ્યક્તિને અવશ્ય જુએ છે !

 .

પ્રેમ એવી સુવાસ છે, જે ત્રીજી વ્યક્તિ માટે નિર્ગંધ હોય છે.

 .

ગણિતથી દૂર રહ્યા વિના પ્રેમની નજીક પહોંચી શકાતું નથી.

 .

પ્રેમ એ સહિયારી અંગતતા છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૯) – રતિલાલ ‘અનિલ’

પ્રેમમાં પડેલો સૂર્યવંશી, ચંદ્રવંશી થઈ જાય છે !

 .

પ્રેમમાં ગણિત આવે છે ત્યારે પ્રેમી મહેતાજી થઈ જાય છે !

 .

શણગાર ઉતાર્યા વિના રાજારાણી પ્રેમ ન કરી શકે !

 .

રઘવાયો પ્રેમ લાગે, સંયમ યમ જેવો લાગે !

 .

પ્રેમ પૂજા કરવા માંડે ત્યારે તે કર્મકાંડી થઈ જાય છે.

 .

કોઈ જુદાં પડવા માટે મળે છે, કોઈ ફરી મળવા માટે જુદાં પડે છે !

 .

પ્રેમ એવો સોનામહોર સિક્કો છે, જેની પરની મુદ્રા બદલી શકાતી નથી.

 .

‘પ્રેમ’ પુરુષજાતિનો શબ્દ હોવાથી તે અર્ધસત્ય છે !

 .

પ્રેમ, શૂન્યમાંથી સર્જન કરે છે, તેમ પોલા શૂન્ય વચ્ચેની હવા પણ કાઢી નાખે છે !

 .

પ્રેમનું ગુરુત્વાકર્ષણ ધરતી પર આણીને આકાશે લઈ જાય છે !

 .

પ્રેમ આષાઢી મેઘની જેમ ઘેરાય છે ત્યારે અનરાધાર વરસે પણ છે !

 .

પ્રેમ પેઈંગ ગેસ્ટ હોવાથી એનું સરનામું કેર ઓફ જ હોય !

 .

સંવનન તો મધપુડો રચવાની પ્રક્રિયા હોય છે !

 .

પ્રેમના દરિયામાં પણ ચાંચિયાનાં વહાણ ફરતાં હોય છે !

 .

પ્રેમને કાળીચૌદશ નહીં, ચૌદશિયા નડે !

 .

કોઈ પ્રેમનું મંદિર બાંધતું નથી, કેમ કે મંદિર ‘સાર્વજનિક’ હોય છે !

 .

પ્રેમ ઊર્જા હોવાથી પ્રેમીઓ હૂંફાળા હોય છે !

 .

પ્રેમ આખું ગીત ગાતો નથી, માત્ર ધ્રુવપંક્તિ દોહરાવ્યા કરે છે : ‘હું તને ચાહું છું !’

 .

પ્રેમ : અગિયાર અગિયાર અમાસ પછી દિવાળી આવે છે !

 .

પ્રેમ એટલે સાથીની શોધમાં આગળ જતી એકલની પગદંડી !

 .

( રતિલાલ ‘અનિલ’ )