સાયબાએ – મુકેશ જોષી

સાયબાએ લઈ આપી ગુલ્લાબી સાડી,

પ્હેરી તો કહે છે કે આખા મલકમાં

જોઈ નથી આવી ગુલાબની મેં વાડી.

સાયબાએ…

 ,

માખણની કાયા પર શોભે છે સાડી

કે શોભે છે કોઈના અભરખા,

સાયબાનો પોતીકો રેશમી મિજાજ

અને સાડીનું પોત બેય સરખાં

સપનાના ક્યારામાં જિંદગી ઊગાડી

સાયબાએ…

 .

અંગો પર વહાલપનું વાવેતર કરવાનાં

સપનાંઓ જોવા હું જાગું,

સાડીને વીંટું તો ઓચિંતું થાય જાણે

સાયબાને વીંટળાતી લાગું

પાંખો પણ આપીને બાથમાં ઉડાડી

સાયબાએ…

.

( મુકેશ જોષી )

હૃદયના ઊંડાણમાંથી શબ્દો – કુન્દનિકા કાપડીઆ

રાત પડી છે અને દીવા બુઝાઈ ગયા છે

બધા જીવો અંધકારની ગોદમાં વિશ્રાંતિથી પોઢી ગયા છે.

તમને પ્રાર્થના કરવા હું મારા હૃદયને શાંત કરું છું

મારા હૃદયના ઊંડાણમાંથી શબ્દો પ્રગટ થાય છે.

 .

અલબત્ત, તમને શબ્દોની કોઈ જરૂર નથી,

તમે તો બધું જાણો જ છો

અમારા શબ્દો તો અમારા ભાવોની સ્પષ્ટતા માટે છે

પછી કદાચ એની જરૂર ન રહે.

 .

અનાદિકાળથી અમે પિંજરમાં પુરાયેલાં છીએ

અજ્ઞાન અને ઈચ્છાઓનાં બંદી છીએ

સીમાઓ બાંધી અમે જાતને સલામત માની છે

દુન્વયી પ્રાપ્તિઓને ચરમ સિદ્ધિ ગણી છે.

આ બધું પરિવર્તનશીલ છે, આજે ઊગીને કાલે આથમી જનારું છે

તે જાણીએ છીએ, છતાં વ્યવહારમાં તેથી જુદું જ માનીને ચાલીએ છીએ.

 .

જીવન તો છે એક નિરંતર વહેતી નદી

કોઈ ઘાટે, કોઈ કાંઠે તે અટકી રહેતી નથી.

પણ અમે વસ્તુમાં, વિચારમાં, વલણોમાં અટકી પડીએ છીએ

ત્યારે સ્થગિત બની જઈએ છીએ

મૃત્યુના પ્રદેશમાં મલિન બનીને રહીએ છીએ.

 .

સકળ દ્રશ્યમાન જગત એક આનંદપૂર્ણ લીલા છે

અમે અમારા કે ન્દ્રમાંથી બહાર નીકળી

જીવન સાથે વહી શકીએ

તો આ લીલાના ભાગીદાર બની શકીએ;

પછી બધી જ ઘટના એક ખેલ બની રહે,

સુખ આપો ને દુ:ખમાંથી બચાવો તે તમારી કૃપા છે,

તો સંકટ આપો ને દરિયામાં ડુબાડી દો તે પણ

તમારી જ કૃપા છે એમ સમજી શકીએ,

અમને વિશ્વાસ રહે કે બધું તમારી દ્રષ્ટિમાં જ છે.

 .

સત્તાસ્થાને વિરાજતા મનુષ્યમાં

અને રસ્તે રઝળતા ઢોરમાં

તમે જ રહેલા છો.

 .

અમારા અજ્ઞાન અને ઈચ્છાના અંધ પડદાને સળગાવી મૂકો

અમારા કોચલાને તોડી નાખો

અમે ગમે તેટલા ક્ષુદ્ર હોઈએ, તમે સમર્થ છો

તમારી ભક્તિ અમને સામર્થ્યવાન બનાવે છે.

 .

કોઈ ઘર એવું દરિદ્ર નથી, જ્યાં તમારાં પગલાં ન પડે

કોઈ હૃદય એવું જડ નથી, જ્યાંતમારું નામ ન સ્પંદે

કોઈ ક્ષણ એવી સામાન્ય નથી, જે તમારા સ્મરણથી આલોકિત ન થાય.

 .

આ નીરવ રાતે સમય શાંત છે

મને ભાન થાય છે કે હું એકાકી નથી

કોઈના સમીપ હોવાનો હું સઘન અનુભવ કરું છું

એ કોઈ તે તમે છો, ભગવાન !

 .

( કુન્દનિકા કાપડીઆ )

અફસોસ છે – સુરેન્દ્ર કડિયા

એમના ઉંબર સુધી જઈને નથી ફાવી શક્યા, અફસોસ છે

આંખ કે આંસુનું સરનામું નથી માગી શક્યા, અફસોસ છે

 .

એકસો ને આઠ મણકા આયખામાં ગોઠવી દીધા પછી

એક પગલું એક પગલામાં નથી માંડી શક્યા, અફસોસ છે

.

આભ, રેતી, મેઘ, ધરતી, કૈંક રૂપે લોક સરખાવ્યા કરે

પણ હતા એવા જરીયે પણ નથી લાગી શક્યા, અફસોસ છે

 .

મેં સિતારા ખેરવેલા જેટલા, બસ એટલા ઝાકળ થયા

પણ ફૂલોની સ્નિગ્ધ સુગંધો નથી દાગી શક્યા, અફસોસ છે

 .

રોજ મારા આંગણે એ સૂર્યને રમતો મૂકે તોયે

એક લાંબી ઊંઘ વચ્ચેથી નથી જાગી શક્યા, અફસોસ છે.

 .

( સુરેન્દ્ર કડિયા )

તને કોઈ નહિ કહે – સુરેન્દ્ર કડિયા

કહેતો રહીશ હુંજ, તને કોઈ નહિ કહે

તારો વિષાદ તુંજ, તને કોઈ નહિ કહે

 .

શણગારવા હો શ્વાસ, હવે રાહ શું જુએ !

બાકી રહ્યા છે જૂજ, તને કોઈ નહિ કહે

 .

છોડી દે સારવાર, છોડ માવજત બધી

આવી ગઈ છે રૂઝ, તને કોઈ નહિ કહે

 .

ભીતરનો શંખનાદ લઈ જશે વધુ ભીતર

દેરું અપૂજ પૂજ, તને કોઈ નહિ કહે

 .

ગમતી બધીયે વાત સવિસ્તર કહી જશે

આઘેથી કોઈ ગૂંજ, તને કોઈ નહિ કહે

 .

( સુરેન્દ્ર કડિયા )

જિંદગી જીવી ગયો – કિરીટ ગોસ્વામી

એક બસ, તારા વિચારે, જિંદગી જીવી ગયો,

એટલે લાગ્યું-વધારે, જિંદગી જીવી ગયો.

 .

સ્હેજ તારી લાગણીમાં ડૂબકી માર્યા પછી,

સાવ કો’ નોખા કિનારે, જિંદગી જીવી ગયો.

 .

ભીતરે તો ફક્ત તારા એકની સંગત હતી;

ભીડમાં સૌ સાથ બ્હારે, જિંદગી જીવી ગયો.

 .

પાસ તારી આવવાનો એ જ તો રસ્તો હતો :

મોજથી દુનિયાના દ્વારે, જિંદગી જીવી ગયો.

 .

મનમાં, તારા પ્રેમની મસ્તી હતી તેથી જ તો –

પળ ધરા, બે-પળ સિતારે, જિંદગી જીવી ગયો.

 .

( કિરીટ ગોસ્વામી )

પ્રાર્થના – સુરેશ દલાલ

એક વાત તો નક્કી છે – કે આપણે બન્ને જુદા છીએ. તું ભગવાન અને હું ભક્ત. હું આત્મા અને તું પરમાત્મા. તું જેટલો અમારી બહાર છે એટલો જ કદાચ અમારી ભીતર પણ છે. આ બહાર-ભીતરની ઘટના આછી આછી સમજાય છે પણ પૂર્ણપણે પામી શકાતી નથી. આપણે જુદા છીએ એટલે તો એક થવાની વાત કરું છું. આપણે એક કેવી રીતે થઈ શકીએ એ જ મારા ચિંતન, મનનનો પ્રશ્ન છે. તારા સરોવરમાં મારે કમળ થઈને ઊગીને મારે જલકમલવત નથી રહેવું. મારે તો કરવું છે તારા સરોવરમાં સ્નાન. જ્ઞાન નથી જોઈતું. મને તો જોઈએ છે તારામાં તરબોળ થઈ શકું એવી ભક્તિ કે જેથી કોઈ જુદાપણું કે જુદાઈ આપણી વચ્ચે રહે જ નહીં.

 .

મધરાતનો સમય છે. મેં પ્રકટાવ્યો છે એક દીવો. અંધકારનો મરજીવો હોય એમ હવે એ સળગે છે પોતાની મેળે, જીવે છે પોતાને બળે અને તારી કૃપાએ. આ દીવો – એને કોઈ નામની જરૂર હોય તો નામ પણ આપીએ. એનું નામ પ્રતીક્ષા છે. એ રાહ જોયા કરે છે – માત્ર તારી, જેથી જ્યોતમાં જ્યોત મળી જાય. એની પાસે માત્ર આટલી જ મિરાત છે અને એ જીવવા માટે પૂરતી છે. આ મિરાતના નામની પણ જરૂર હોય તો નામ પણ આપીએ. એનું નામ ધીરજ અને શ્રદ્ધા. મધરાતનો સમય છે. એની જ્યોતમાંથી જ પ્રકટ થશે એક સુવર્ણમય સૂરજ. તું સૂરજ અને હું સૂરજમુખી.

 .

( સુરેશ દલાલ )

જોયું નથી જાતું – નાઝિર દેખૈયા

નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું

ખીલ્યાં પહેલાં જ એ ખરતું સુમન જોયું નથી જાતું

 .

બુઝાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો

પતંગાથી શમા કેરું જલન જોયું નથી જાતું

 .

જરા જોયું જો તેજસ્વી, તુરત એ છેનવી લે છે

ગગનવાળાથી ધરતીનું રતન જોયું નથી જાતું

 .

તમારી લાગણીને હું ભલા ! કઈ રીતની સમજું ?

ખુશી જોઈ નથી જાતી, રુદન જોયું નથી જાતું !

 .

ગ્રહણ આ ચંદ્ર ફરતું ક્યાં સુધી રે’શે ભલા ‘નાઝિર’

હવે મુજથી વદન પરનું ગવન જોયું નથી જાતું

 .

( નાઝિર દેખૈયા )

તારા ગણવાથી – રમેશ પારેખ

તારા ગણવાથી રાત પૂરી ન થાય

હવે તારા ગણવાથી વાત પૂરી ન થાય

એકલવાયા રે સખી, ઘરના રહેવાસ એમાં આવા ને આવા ઉજાગરા

ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક, મારાં લોચનમાં મ્હોર્યાઁ છે ખાખરા

 .

લંબાતી ઝંખનાને છેડો નહીં ક્યાંય

હું તો પગલે પગલે રે સાવ તૂટું

કાંકરીઓ વાગવાથી ફૂટતી’તી હેલ્ય

હવે એવા દિવસો કે હું જ ફૂટું

આથમણી મેર ડૂબે સૂરજ છતાં ય મારે રોમ રોમ તડકાઓ આકરા

 .

કોડ ને કમાડ કદી ઘૂંટેલા લાભશુભ

રાતું ચટ્ટાક હજી જાગે

ઓસરીમાં આભલાનું તોરણ

તે કોઈ એક આવે તો કેટલાય લાગે

ભણકારો સ્હેજસાજ વાગ્યાથી લોહીઝાણ થઈ જાતા જોયાના કાંગરા

 .

( રમેશ પારેખ )

बात किस से करे – ‘सागर’ बुरहानपुरी

बात किस से करे के मन भी नहीं

हमजबाँ कोई हमरुखन भी नहीं

 .

न तो कमरा है और न तनहाई

पहले जैसी वो अंजुमन भी नहीं

 .

अजनबी लोग अजनबी चहेरे

हम वतन में है बेवतन भी नहीं

 .

कितनी लाशों को दफन करना है

घर में दो गज कफन भी नहीं

 .

ले के जाउं कहां उन्हें ‘सागर’

अब तो अकबर के नौ रतन भी नहीं

 .

 ( ‘सागर’ बुरहानपुरी )

પ્રભુ પધાર્યાની નિશાની – સંત તુકારામ

.

પ્રભુ પધાર્યાની નિશાની, જેને ઘેર એ આવે

ઘરબારવેવાર એના વિખેરાઈ જાયે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, ધનોતપનોત નીકળી જાયે

સંસારની માયા થકી જણ વેગળો થઈ જાયે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, જંજાળે ભેરવાવા ના દે

દેન છે, મમતાના પાશે બંધાવા ના દે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, વાણીને અટવાવા ના દે

અ-સતનો મેલ જિહ્વાએ ચોંટવા ના દે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, માયાજાળ તોડાવી દે

જાતને સકળ જગતથી દૂર કરી દે

 .

જુઓ તો, મુજ ઘરે ઠોકિયો કેવો પડાવ

તુકાને ઠેકાણે એના સઘળા અણસાર

 .

( સંત તુકારામ, અનુ: અરુણા જાડેજા )

 .

[તુકારામ ગાથા ક્રમાંક – ૩૪૪૬]