સાહિબ સપ્તક (૪) – નીતિન વડગામા

સાહિબ, વીરડો ગાળે રણમાં.

ખોબેખોબે ભીનપ વહેંચે ધરતીના કણકણમાં.

 .

વૈશાખી તીખા તડકાને વ્હાલ કરી વેંઢારે.

વાદળ થઈને સૌને ફળિયે વરસે અનરાધારે.

 .

રઢિયાળી રંગોળી પૂરે અવાવરુ આંગણમાં.

સાહિબ, વીરડો ગાળે રણમાં.

 .

એની આંખો સૌની પીડાનું પરબીડિયું વાંચે.

જગને રાજી જોવા એ તો રામરટણમાં રાચે.

 .

મેળ નહિ બેસે કંઈ મનવા, અધકચરી સમજણમાં.

સાહિબ, વીરડો ગાળે રણમાં.

 .

( નીતિન વડગામા )

સાહિબ સપ્તક (૩) – નીતિન વડગામા

સાહિબ, થાય જરા બસ રાજી.

અવર કશું ના યાચું ના કંઈ કરું ઝંખના ઝાઝી.

 .

રાજીપાની રેખામાંથી મળે સંપદા મોટી

હીરા-મોતી છોડી શું કામ લઈ એક લખોટી !

.

બંધ આંખથી રમતાં તોયે જીતી જઈએ બાજી !

સાહિબ, થાય જરા બસ રાજી.

 .

મેલા જીવને માફ કરી કરીને રુદિયામાં સંઘરજો.

કાલાઘેલા શબ્દોનીયે હૂંડી કબૂલ કરજો.

 .

બારેમાસ મહેકતી રહેશે મનની એ વનરાજી!

સાહિબ, થાય જરા બસ રાજી.

 .

( નીતિન વડગામા )

સાહિબ-સપ્તક (૨) – નીતિન વડગામા

સાહિબ, દર્શન ઝટપટ દેજો.

નાના-મોટા પટ પછવાડે હવે ન ઝાઝું રહેજો.

 .

સમરણનાં તંતુને ટેકે ક્યાં લગ ઊભા રહેવું ?

જીવ ઝૂરતો અંદર અંદર એ દખ કોને કહેવું ?

 .

મનના ગુના માફ કરી, પંપાળી પડખે લેજો.

 સાહિબ, દર્શન ઝટપટ દેજો.

 .

મોઢામોઢ થવાની ઈચ્છા રોમેરોમમાં ઊગે,

કેદ થયેલો કૂવો દરિયે કેમ કરીને પૂગે ?

 .

પથ્થર વચ્ચે ગીત ગૂંજતું ઝરણું થઈને વહેજો.

સાહિબ, દર્શન ઝટપટ દેજો.

 .

( નીતિન વડગામા )

નૂતનવર્ષાભિનંદન

 

દિવાળીના દીવડાનો પ્રકાશ આપના જીવનમાં

અઢળક પ્રેમ પાથરે અને દુ:ખોને અંધકારની જેમ દૂર કરે…

નવું વર્ષ તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ

લાવે એ જ શુભેચ્છા…

હિના પારેખ તથા પરિવાર

સાહિબ-સપ્તક (૧) – નીતિન વડગામા

સાહિબ, જરા ઝંખીએ ઝાંખી.

ભાંગેલી ભીતરની બારી અમે ઉઘાડી રાખી.

 .

ક્યાં કહીએ કે અમને આપો સૂરજ આખેઆખો ?

એકાદા કિરણની આંગળીએથી ચપટીક ચાખો.

 .

એક પલકમાં ઓગળશે આ જીવની બધી તુમાખી.

સાહિબ, જરા ઝંખીએ ઝાંખી.

 .

ઝીણો એ ઝબકારો ઉલેચે અઢળક અંધારા,

થીજી જાતા અચરજઘેલી આંખોના પલકારા !

 .

પાર કરાવે પદ નાનકડું,નાની અમથી સાખી.

સાહિબ, જરા ઝંખીએ ઝાંખી.

 .

( નીતિન વડગામા )

દીપપર્વ – હિના પારેખ “મનમૌજી”

એક કલાકથી એ બસની લાઈનમાં ઉભો હતો. બસ આવતી અને ભરાઈને ચાલી જતી. ને છતાં લાઈન તો એટલી ને એટલી જ હતી. સદનસીબે એક ખાલી બસ આવી. પાછળથી એને ધક્કો વાગ્યો અને એ ધકેલાઈને બસમાં ચઢી ગયો. બારી પાસે જગ્યા ખાલી હતી. ત્યાં જઈને એ બેઠો. બારીની બહાર નિહાળવું તો ક્યારેક આંખો બંધ કરીને વિચારવું એ એની જૂની આદત હતી.

 .

શહેરના રસ્તા પર બસ સરતી હતી..એની નજર બારી બહારના દ્રશ્યો પર ફરતી હતી. અને એની વૃદ્ધ માના શબ્દો યાદ આવ્યા. ગયા વર્ષે માએ કહ્યું હતું…”દીકરા અભિજિત, વધુ એક દિવાળી આવી રહી છે. શું આ વર્ષે પણ આપણું ઘર વહુના હાથે દીવા મૂકાયા વિનાનું જ રહેશે ?” અને ખરેખર માના શબ્દો સાચા પડ્યા હતા. એ વહુને લાવે તે પહેલાં જ માને હાર્ટએટેક આવ્યો અને ઘર દીવા મૂકાયા વિનાનું જ રહ્યું.

 .

આ વર્ષે ફરી દિવાળી આવી રહી હતી. અને એ માના શબ્દો ભૂલી શક્યો જ ન્હોતો. પણ સગાસંબંધી વિનાનો, એકલો અટૂલો એ….એને કોણ કન્યા આપે ? ને એટલે જ કદાચ આજે એ “સપ્તપદી મેરેજબ્યુરો” નામની સંસ્થામાં જઈ રહ્યો હતો. નિયત સ્થળે બસ અટકી અને એ ઉતર્યો. મેરેજબ્યુરોના પગથિયાં ચઢતાં જ રોમાબેને એને આવકાર્યો. એણે એની કથનિ કહી સંભળાવી. રોમાબેને એક આલ્બમ જોવા આપ્યું. નામ-સરનામા વિનાના વિવિધ ચહેરાઓનો એમાં સમાવેશ હતો. એ જોવા લાગ્યો.

 .

અચાનક એક ચહેરો જોઈને એ આલ્બમના પાના ફેરવતાં અટકી ગયો. સપ્રમાણ દેહાકૃતિ, ખીલેલા ફૂલ જેવું હાસ્ય, મોં પરનું ઓજસ, નિર્દોષ-શર્મિલો ચહેરો – બધું જ એને ગમી ગયું. એણે એ ફોટો રોમાબેનને બતાવીને કહ્યું : “હું આની સાથે લગ્ન કરવા ઈચ્છું છું”. ફોટો જોઈને રોમાબેન આશ્ચર્યથી બોલ્યા : “ તમે આની સાથે લગ્ન કરશો ? આ તો પૌલોમી છે. અને પૌલોમી જન્મથી અંધ છે”. એક ક્ષણએ અટક્યો, આંખો બંધ કરીને વિચાર્યું અને પછી બોલ્યો : “એ અંધ છે તેથી શું થયું? હું એની સાથે જ લગ્ન કરીશ”.

 .

ને થોડા દિવસો રહીને દિવાળી આવી. દિવાળીની ઢળતી સંધ્યાએ પૌલોમીનો હાથ પકડીને એ પોતાના ઘરે લઈ આવ્યો. અને કહ્યું : “આ આપણું ઘર છે અને આ રહ્યો માનો ફોટો. ચાલ આપણે માની તસ્વીર સામે દીવો પ્રગટાવીએ”. દીવો પ્રગટાવવામાં એણે પૌલોમીની મદદ કરી. દીવો પ્રજ્વલિત થયો. અંધકારભર્યા રૂમમાં પ્રકાશ ફેલાયો. માની તસ્વીર, પૌલોમીની આંખો એ પ્રકાશમાં ચમકી ઊઠી. અને એણે માને મનોમન કહ્યું : “મા, આજે મેં બે દીપ પ્રગટાવ્યા. એક આપણા ઘરમાં અને એક પૌલોમીના જીવનમાં. તું ખુશ છે ને મા ?”

 .

તસ્વીર બની ગયેલી માનું મોં બે દીપના ઉજાસમાં હસી રહ્યું.

 .

( હિના પારેખ “મનમૌજી” )

લે જરા – ખલીલ ધનતેજવી

લે જરા તારામાં સ્થાપી જા મને,

સ્હેજ મારામાંથી કાપી જા મને.

 .

મારી ભીતર ધગધગે છે તાપણું,

તું ય જો ઈચ્છે તો તાપી જા મને.

 .

મારું કદ પહેલેથી જે છે એ જ છે,

લે ફરી એકવાર માપી જા મને.

 .

ઘોર અંધારનો લાવારસ છું હું,

મીણબતી ! લે જરા પી જા મને.

 .

સૂર્ય છું, પણ ક્યાં જઈને આથમું,

રોજ તારી સાંજ આપી જા મને.

 .

હું ય વંચાયા વગરનો શબ્દ છું,

તું ખલીલ, આંખોમાં છાપી જા મને.

 .

( ખલીલ ધનતેજવી )

પ્રાર્થના – રવીન્દ્રનાથ ટાગોર

(૧)

‘બંદીવાન ! તને કોણ બંધનમાં નાખી ગયું, એ તો તું મને કહે !’

 .

‘બંધનમાં બીજું કોણ નાખે ? મારો સ્વામી. મારો માલિક. એણે મને બંધનમાં નાખ્યો. એક વિચાર મને આવ્યોહતો : દુનિયાના તમામ લોકોને પૈસામાં ને સત્તામાં મારી પછવાડે રાખી દઉં તો હું ખરો ! એ વિચારની ધૂનમાં મેં ધનના ઢગલેઢગલા ભેગા કરવા માંડ્યા, રાત-દી જોયા વિના, આડુંઅવળું નિહાળ્યા વિના ! એ રીતે જે મારા સ્વામીનું હતું, તે પણ મારા ખજાનામાં ભેગું કર્યું. પછી થાકીને જ્યારે હું નિદ્રામાં પડ્યો, ત્યારે શય્યા પણ મારા સ્વામીની હતી, તેમાં જ હું લોટી ગયો. પછી હું જાગ્યો, અને જાગીને જોઉં છું, તો મારા પોતાના જ લક્ષ્મીગૃહમાં હું બંદીવાન હતો !’

 .

‘પણ બંદીવાન ? તને બંધનમાં નાખ્યો એ તો ઠીક, પરંતુ આવું ન છૂટે કે ન તૂટે, એવું બંધન તને કોણે બાંધ્યું ?’

 .

‘એ તો મેં પોતે જ બાંધ્યું છે ! મેં જ મારું બંધન સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે. મને મારી શક્તિનો ગર્વ હતો. એ આખી દુનિયાને બંધનમાં રાખી શકે અને છતાં એ પોતાને મુક્ત રાખી શકે ! મારી આ માન્યતાના વેગમાં ને વેગમાં, મેં તો રાત ને દિવસ જંગી ભઠ્ઠીમાં લોહ ગાળ્યું ને જબ્બર ઘણ-ઘાથી એને મજબૂત બનાવ્યું. મારી આ લોહ-સાંકળી મેં જ ઘડી કાઢી. એવી અભેદ્ય બની ત્યારે એક આશ્ચર્ય મેં જોયું!

 .

બીજાને બંધનમાં રાખવા માટે તૈયાર કરેલી મારી એ લોહ-સાંકળી, મને જ બંધનમાં જકડી રહી હતી !

 .

‘મારું બંધન, મેં જ સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે, એમ જ કહો ને?’

.

(૨)

મારી જાણ બહાર હે મારા નાથ ! તું સામાન્યમાં પણ સામાન્ય જનની જેમ, કેટલી વખત મારા અંતરમાં આવી આવી ને ચાલ્યો ગયો ?

 .

તેં મારી ત્વરિત દોડી જતી અનેક પળોને સ્પર્શ કર્યો અને તે અમર થઈ ગઈ !

 .

આ બધું મારા અજાણપણામાં થઈ ગયું. પણ આજે જ્યારે એ પળોને નીરખવાની હું અકસ્માત તક લઉં છું, ને તારા સ્પર્શની નિશાની જોઉં છું, ત્યારે એને મારા ક્ષુલ્લ્ક આનંદ અને શોકમાં સેળભેળ થઈ ગયેલી નીરખું છું.

 .

પણ એ દર્શાવે છે કે મારા શૈશવકાલની ધૂળની રમતમાંથી તું અવગણના કરીને પાછો ફરી ગયો ન હતો. તે વખતના નિર્દોષ આનંદમાં, જે તારો પગરવ મેં સાંભળ્યો હતો, તે જ તારો પગરવ આજે, એક એક તારકમાં અને એક એક નક્ષત્રમાં સંભળય છે !

.

( રવીન્દ્રનાથ ટાગોર )

મારી અંદરથી – પ્રફુલ્લ પંડ્યા

મારી અંદરથી નીકળીને, કોઈક ક્યાંક ચાલ્યું ગયું છે;

હવે હું પણ રહ્યો નથી મારામાં !

હવે એકલતા વચ્ચે એક ઊભું છે નામ;

બાકી આખી કઠપૂતળી ગઈ ગારામાં!

 .

હતાં રૂપ અને રંગ એનાં નોખાં-નોખાં;

ને આખી દુનિયાની સ્હેલ એણે કીધી !

પાછી સઘળે જઈ આવી અને બેઠીને વાત;

એણે ક્યાંય નહીં પહોંચ્યાની કીધી !

મારી અંદર પીગળીને મીણ ક્યાંક જઈ બેઠું;

એથી આભ આખ્ખું ધ્રુજે છે તારામાં !

 .

દિવસે સમજાય નહીં સૂરજ ને

રાતના ચાંદાને જઈને હું પોંખું !

બંને પાસેથી મને શીખ મળી એટલી કે

જીવન તો ખાલીખમ્મ ખોખું !

ખાલીખમ્મ ખોખાથી નીકળેલી વાત;

હવે વહેતી થઈ છે એકતારામાં…

 .

( પ્રફુલ્લ પંડ્યા )

સુખદુ:ખ છે – હેમેન શાહ

સુખદુ:ખ છે મનની પાટી પર, જગ્યા જરાય નહિ

ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહિ.

 .

દાવા-દલીલ માટે જરૂરી છે બારીકી,

મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહિ.

 .

તરતું મૂકી લખાણ, ખસી જાવ બાજુએ,

કાગળની હોડીને કદી ધક્કા મરાય નહિ.

 .

માપી, ગણી શકો એ બધું કામનું નથી,

 જો છે મહત્વનું તો એ તોળી શકાય નહિ.

 .

નાનું જરાક રાખો અનુસ્વાર ‘હું’ ઉપર,

આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.

 .

અંતે ખરી જવાનીને તાકાત જોઈએ,

પ્હેરો સુગંધ એટલે ફૂલો થવાય નહિ.

 .

( હેમેન શાહ )