‘હોળી’ – સુચિતા કપૂર

તે દિવસથી

ગામે-ગામ,

ચોરાહે-ચોરાહે,

હોળીએ-હોળીએ,

ભટકું છું.

અંધારી રાતનાં પીછોડો ઓઢી

હોળીની રાખેય ફંફોસું છું,

ને શોધું છું,

હોળિકાની ઊડી ગયેલી

વરદાની શાલ

જેથી

નારાયણના નામે, નારાયણના વિશ્વાસે

જીવનની આગમાં કૂદી પડેલાં

નારાયણને પણ ભૂલાઈ ગયેલા,

પ્રહલાદોને

આગની જ્વાળાથી,

આગની જલનથી

રક્ષી શકાય.

 

( સુચિતા કપૂર )

હું જોઉં છું એણે – મધુમતી મહેતા

હું જોઉં છું એણે સગપણ સાંધ્યું ક્યાં છે ?

એ શોધે છે સગપણ અંદર ગાંઠ્યું ક્યાં છે !

 .

ઝરણે જીવ્યા, નદીયે જીવ્યા, જીવ્યા દરિયે

જળમાં જીવ્યા તો યે જળને જાણ્યું ક્યાં છે !

 .

પરકમ્મા પૃથ્વીની કીધી સાત વખત પણ

રૂંવાથી રુદિયાનું અંતર કાપ્યું ક્યાં છે ?

 .

જીવતરને અંતે આવ્યા છો પાછું દેવા

આપ્યું એનું માપ અમે તો રાખ્યું ક્યાં છે ?

 .

હારીને બેસી ગ્યો છેલ્લી પાટલીયે તું

ભાથામાંથી તીર હજી તેં તાણ્યું ક્યાં છે ?

 .

વેશ ભલેને આજે પહેર્યો રાજા જેવો

માગણ જેવું મનમાંથી તેં કાઢ્યું ક્યાં છે ?

 .

શ્રુતિ ને સૂરની વાતું તું આજ ભૂલી જા

તારું જંતર જો, ઈ લયમાં આવ્યું ક્યાં છે ?

 .

રૂના ખેતર વચ્ચે ઊભો ચાડી ખાતો

ધાગા જેવું કાંઈ કદી તેં કાંત્યું ક્યાં છે ?

 .

હૂંડી લઈને ગામે ગામે ફરતો રહ્યો હશે

કામ કદી શામળશા સાથે પાડ્યું ક્યાં છે ?

 .

જીવનભર મ્હેતા તો રહ્યાં એવાં ને એવાં

છુટ્ટું, કૈં ના મેલ્યું ને હૌં બાંધ્યું ક્યાં છે ?

 .

( મધુમતી મહેતા )

મા એટલે…(ત્રીજી માસિક શ્રદ્ધાંજલિ)

(23/08/1938 – 25/12/2012)
Mummy at Science-Fort Wyne

.

પ્રસુતિની વેદનાને એક બાજુ હડસેલીને જ્યારે માતા હસી પડે છે તે ઈશ્વરનો સૌથી મોટો ચમત્કાર છે. ચમત્કારની પ્રત્યેક પળ જન્માષ્ટમી છે. મા એટલે ચિત્કાર અને ચમત્કાર.

 .

( સુરેશ દલાલ )

 *

મા યુવાન થઈ વૃદ્ધ થાય છે પરંતુ તેનાં સંતાન સદા બાળક રહે છે.

 .

( ઈરિચ નોરિશ )

*

મા એ સ્વાર્થરહિત સ્નેહની જીવંત મૂર્તિ છે !

 .

( રમણલાલ દેસાઈ )

*

સુખમાં અને દુ:ખમાં જે હંમેશા રહે છે સાથે,

“મા”, તારા ચરણોની ધૂળ પણ મોતી છે મારે માટે.

 .

ના કોઈ શોખ, ના કોઈ ઈચ્છા, બસ બધું સંતાનો માટે,

કરે છે સઘળું કુરબાન, અને અફસોસ જરા પણ ના રાખે.

 .

ગુસ્સે થાય છે ક્યારેક, તે પણ આપણા સારા કાજે,

ભૂલાવી એ ગુસ્સો પળવારમાં, એ પ્રેમ પણ કેવો વરસાવે.

 .

દોડે છે દિન રાત, બધાના સમય સાચવવા ને માટે,

થાકે જો દિવસના અંતે, તો પણ પાણી સામેથી ના માંગે.

 .

રાખું જો શીશ તારા ખોળામાં, તો જિંદગી સાવ હળવી લાગે,

સઘળા દુ:ખ ને મુશ્કેલી બસ એક ક્ષણ જેવી લાગે.

 .

સુખમાં અને દુ:ખમાં જે હંમેશા રહે છે સાથે,

“મા”, તારા ચરણોની ધૂળ પણ મોતી છે મારે માટે.

 .

( બિહાગ ત્રિવેદી “અનિર્ણિત” )

પ્રાર્થના – સુરેશ દલાલ

તારું જે ક્ષણે સ્મરણ કરું તે ક્ષણે મને એમ લાગે છે કે હું જીવું છું. શ્વાસ લેવો પડે એટલે લઉં છું. પ્રત્યેક પળના કાફલામાં જોડાઈ જાઉં છું પણ કોઈક પળે આ કાફલામાંથી અલગ થઈ તારી લગોલગ પહોંચી જાઉં છું. તું વિઘ્નહર્તા છે. તારાથી અલગ છું એ જ મોટામાં મોટું વિઘ્ન છે. આ સંસારમાં રહેવાનું અને તારી સાથે જીવવાનું – અગ્નિ અને જળ – બંનેનો એકી સાથે અનુભવ કરવાનો. તારા સ્મરણમાત્રથી હું બધાથી છૂટો થઈ જાઉં છું અને જઈ રહું છું તારા સાવ અજાણ્યા પ્રદેશમાં. જે પ્રદેશ જોયો નથી એનું પણ સ્મરણ હોય એનો અર્થ જ એવો કે આપણો સંબંધ એ સ્મરણ પહેલાંનું સ્મરણ છે. આપણી વાત એ સ્મરણ પહેલાંના સ્મરણની વાત છે.

 * * *

મારી પ્રાર્થના એ મારાથી મારા સુધી અને એ રીતે તમારા સુધી પહોંચવાનો એક રસ્તો છે. આ રસ્તા પર મેં આંસુ સીંચીને સ્મિતનાં ફૂલ ઉગાડ્યાં છે. આસપાસ લહેરે છે લાગણીનું લીલુંછમ ઘાસ. આ ઘાસમાંથી પવન પસાર થાય છે. એ દેખાતો નથી-પણ ઘાસના સ્પંદન દ્વારા એની અનુભૂતિ થાય છે. ભમરાઓને સોંપી દીધું છે તમારું નામ ગુંજવાનું કામ. મારા હોઠ પરથી તમારું નામ વહે છે અને એ ભમરાઓની ચંચલતામાં સ્થિર થાય છે. આંખ મીંચીને હું મારા અંધકારની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરું છું. ક્યાંક દેખાય છે ઝાંખો ઝાંખો દીવો. આ દીવો ક્યારેક દૂર લાગે છે, ક્યારેક નજદીક. ઘણી વાર એવું પણ થાય છે કે હું પગ વિના પંથ વિનાના પંથ પર ચાલ્યા કરું છું અને પાંખ વિના આકાશ વિનાના આકાશમાં ઊડ્યા કરું છું. પાળેલા ગુલામ જેવા શબ્દો તારી પ્રાર્થનામાં કામ નથી આવતા, મારા માલિક.

 

( સુરેશ દલાલ )

પાંચ તડકો લઘુકાવ્યો – પ્રીતમ લખલાણી

(૧)

પીલુડીના ઝુંડમાં

પતંગિયાંની પાંખ તળે

નિરાંત પાથરીને

બેસેલો તડકો

કેવો હરખાતો હોય છે

ધોરિયે વહેતા જળમાં થનગનતા

આભને જોઈને !

 .

(૨)

પવન સંગે

ડોલતા મકાઈના ડૂંડે

કાન માંડીને બેઠો હોય છે

વહેલી સવારનો તડકો

રણકતા શેઢાના

માધુર્યને માણવા.

 .

(૩)

રોઢે

ખેતર ભાત દઈને

ગામ પાછી ફરેલ મીઠ્ઠીની

ચૂંદડીનો છેડો જાલીને

અરે ! ક્યારે આવી ચઢ્યો

મારા ખોરડા લગી

લીલી બાજરીનો

મહેક ભીનો તડકો !

 .

(૪)

જેઠ મહિનાના ખરે બપોરે

સુકાયેલ તળાવના બાવળ તળે

બેસેલ ભેંશની પીઠે ચઢી

સાદ પાડે તડકો,

‘આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ…’

 .

(૫)

ઢળતી સાંજથી

ઠાકોરજીને ભેટવા

ઝાલર રણકવાની રાહ જોતો

ચોરાની ઓસરીમાં

ઊભો હોય છે તડકો…

 .

( પ્રીતમ લખલાણી )

દર્દ સીનામાં ભરી – અબ્બાસ રૂપાવાલા ‘રફિક’

દર્દ સીનામાં ભરી જીવી ગયો,

શ્વાસ તરછોડી, ફરી જીવી ગયો.

 .

આયનાને પૂછમાં ચ્હેરા વિશે,

બિમ્બને મનમાં ભરી જીવી ગયો.

 .

મેઘલી કાળી મજાની રાતમાં,

પ્રેમ-કિસ્સાઓ સ્મરી જીવી ગયો.

 .

જિંદગી કડવી હતી તો શું થયું,

હું કઝાને કરગરી જીવી ગયો.

 .

હું ‘રફીક’ છું, હું કદી ડરતો નથી,

મોતને પણ બથ ભરી જીવી ગયો.

.

( અબ્બાસ રૂપાવાલા ‘રફિક’ )

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !

 .

કર્યો શ્યામને પ્રેમ; કર્યો કોણે આ અંબર તળે ?

પથ્થરને જો કર્યો હોત, આવ્યે ભૂકંપના ચળે !

દૈવજ્ઞો છો માને, એને સતત ભ્રમણના યોગો;

ગ્રહો-બ્રહો તો ઠીક, એ હાથે કરી રચે સંજોગો !

 .

કલહ, કપટ ને યુદ્ધપ્રિય માધવ જો જો પસ્તાશે !

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

 .

ઉદ્ધવજી ! એક તૃણ ખેંચો તો સાથે આવે માટી;

ઈશ્વર જાણે કઈ ધાતુથી ઘડી કૃષ્ણની ઘાટી !

રહી શકે એ નિર્મમ, ઉદ્ધવ ! જલમાં અંબુજ પેઠે;

નથી સાંભળ્યું કોઈ કને કે કૃષ્ણ યાતના વેઠે !

.

પણ અંતે, માધવને મન ગોકુળ આખ્ખું વમળાશે !

 .

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !

 .

( વીરુ પુરોહિત )

કોના વિષે – સોનલ પરીખ

શું હોઈ શકે

એકલતાની પરાકાષ્ઠા ?

 .

તારી ગેરહાજરીમાં જે અનુભવતી હતી તે ?

પણ તેમાં તો એક અર્થ હતો :

એક કારણ હતું;

એક દુ:ખભર્યું પણ આકર્ષણ હતું

 .

તો શું હોઈ શકે એકલતાની પરાકાષ્ઠા ?

તારી હાજરીમાં આજકાલ

જે અનુભવાય છે તે – કદાચ

 .

ઘટ્ટ ખાલીપણાની

ભેંકાર ભીંતો

ને શૂન્યતાની ચારે બાજુથી

ધસી આવતી છત

 .

આ શબ્દની બારી તો મળી છે

શ્વાસ લેવા,

પણ કોના વિષે વિચારીને

હું ફૂંક મારું

મારા ફેફસામાં ?

 .

( સોનલ પરીખ )

અજવાળાની ચોવટ – ખલીલ ધનતેજવી

અજવાળાની ચોવટ કરવા બેઠો છે,

અંધારાનો વહીવટ કરવા બેઠો છે !

 .

વારાફરતી બંનેને ભંભેરે છે,

બંનેમાં સમજાવટ કરવા બેઠો છે !

 .

મહેફિલમાંથી ધક્કો મારીને કાઢો,

આવ્યો ત્યાંથી ખટપટ કરવા બેઠો છે !

.

એને ક્યાં તાણાવાણાની સમજણ છે,

ખાલી અમથો ઝીણવટ કરવા બેઠો છે !

 .

વાંચેલું બોલેલું સૌનું શીખીને,

એ પોતાને પોપટ કરવા બેઠો છે !

 .

બીજાને તકલીફો આપીઆપીને,

ખુદને માટે ફાવટ કરવા બેઠો છે !

 .

દર તહેવારે આડો ફાટે એ માણસ,

સંબંધોમાં વધઘટ કરવા બેઠો છે !

 .

સોચી સમજીને લખવાનું હોય ખલીલ,

ગઝલોમાંતું ઝટપટ કરવા બેઠો છે.

 .

( ખલીલ ધનતેજવી )

ન આવ્યો – ભગવતીકુમાર શર્મા

સૂનકારથી સાદ ન આવ્યો;

મને મોર પણ યાદ ન આવ્યો.

 .

મેલીને મરજાદ ન આવ્યો;

આંખોમાં વરસાદ ન આવ્યો.

 .

પરદો તો વેળાસર ઊઘડ્યો;

યાદ મને સંવાદ ન આવ્યો.

 .

કાસદ થઈ આવ્યાં પારેવાં;

પણ અક્ષર એકાદ ન આવ્યો.

 .

સળંગ સૂત્રતા શી જળવાઈ !

દુ:ખોમાં અપવાદ ન આવ્યો.

 .

કુરુક્ષેત્ર, સ્વજનો, સ્નેહીઓ;

કેમ મને અવસાદ ન આવ્યો.

 .

કંઠ શુષ્કને કાન ના સરવા;

એક અનાહત નાદ ન આવ્યો.

.

( ભગવતીકુમાર શર્મા )