એક લસરકે – ગુણવંત ઉપાધ્યાય

એક લસરકે

અજવાળું અજવાળું કરતી

ચરણકમળની ધૂળ !

ભલે કોઈને હોય નહીં પણ અમને ભલી કબૂલ !

 .

અંજાતી જ્યાં આંખ જરાશી

અંધારું અટવાતું

પ્હો ફાટતા, ઝાકળ વચ્ચે

મારગ કરતું જાતું

કોણ કહે છે :

ઝાકળભીની ડાળી સંગે ફૂલ સરીખું ઝૂલ ?!

 .

અંતર પર અંતરની ભીની

પીંછી મઘમઘ ફોરે

પૃથ્વી પટ પર ચિત્ર અલૌકિક

રોજ કોણ આ દોરે ?

અનહદ ઊંડી

સહેજ અચંબિત આંખે ઝલમલ સૂર્ય-કિરણને પૂર !

 .

અજબ અચંબો ગજબ અજંપો

મીઠી નિદ્રા ત્યાગે,

મારામાં સૂતેલું કોઈ

આળસ મરડી જાગે

જોઉં જોઉં ત્યાં

દશે દિશા ને મધ્યે ફરકે પીતવર્ણ પટકૂળ !

 .

( ગુણવંત ઉપાધ્યાય)

કપરું હોય છે – સંધ્યા ભટ્ટ

ખેલવાનું, હારવાનું ખૂબ કપરું હોય છે

જાતને સમજાવવાનું ખૂબ કપરું હોય છે

 .

પોતપોતાનું મળે છે આભ તો સૌ કોઈને

પંખી માફક ઊડવાનું ખૂબ કપરું હોય છે

 .

પૂર્ણમાંથી અલ્પ, પાછું અલ્પમાંથી પૂર્ણ પર

ચંદ્રગતિએ ચાલવાનું ખૂબ કપરું હોય છે

 .

કાળું કાળું ઘટ્ટ અંધારું બધે વ્યાપેલું હો,

તે સમય અજવાળવાનું ખૂબ કપરું હોય છે

 .

સાંજનો વૈભવ ગુલાબી નભમાં સુંદરતા ભરે,

તે સમેટી ડૂબવાનું ખૂબ કપરું હોય છે

 .

( સંધ્યા ભટ્ટ )

થાકી જાશો – પરાજિત ડાભી

ખોટા સરવાળા જેવો હું ગણતાં ગણતાં થાકી જાશો,

માણસ નામે પુસ્તક છું હું ભણતાં ભણતાં થાકી જાશો.

 .

પીડા પાર વગરની થાશે, દર્દોથી ઉબકાઈ જવાના,

જખમો લોહીઝાણ મળ્યાછે, ખણતા ખણતા થાકી જાશો.

 .

ખળભળ થાતી બહુમાળીમાં, ઝાંખો ઝાંખો જીવ બળે છે,

ખરવા લાગ્યા કૈંક મિનારા, ચણતા ચણતા થાકી જાશો.

 .

તાકા રેશમના વણનારા હાથ મશીને બાંધેલા છે,

ઝીણાં મલમલ છોડ કબીરા, વણતા વણતા થાકી જાશો.

 .

કાચાં પાકાં સપનાંઓનાં, અરધાં પરધાં ઓધાનો છે,

શબ્દો અવતરવા લાગે તો, જણતા જણતા થાકી જાશો.

 .

( પરાજિત ડાભી )

જડતાં નથી કારણ મને – દક્ષા બી. સંઘવી

ઝાંઝવા પીતી રહું, રોકી શકે ક્યાં રણ મને !

સાવ સૂકી રેતનું છે તીવ્ર આકર્ષણ મને !

 .

વૃક્ષના જેવી કફોડી છે દશા મારી જુઓ,

ઝંખના આકાશની ને મૂળનું વળગણ મને !

 .

સૂર્યની સાથે ક્ષિતિજે આથમી જાવું અફર,

ને સતત શોધ્યા કરે અજવાસનું પ્રાંગણ મને !

 .

આયનામાં કેટલાં વર્ષો પછી જોયું અને,

મામલો ગંભીર છે; ના ઓળખું હું પણ મને !

 .

જિંદગી વિશે બધાંઆભાસ આછા-પાતળા,

છું વમળમાં, મૂંઝવે પ્રશ્નો હજી હરક્ષણ મને !

.

આમ હોવાનું ગમે છે, છે ખબર બસ એટલી;

પણ હયાતીનાં હજી જડતાં નથી કારણ મને !

 .

( દક્ષા બી. સંઘવી )

જળ બની – આહમદ મકરાણી

હુંય આવી જાઉં અંતે પાઘડીનો વળ બની,

ને ભુલાતો જાઉં કોઈ ગતસમયની પળ બની.

 .

આ સમયના વૃક્ષ પર માનવ ઝૂલે પણ ક્યાં સુધી ?

મોત કેરા હાથમાં એ જઈ શકે છે ફળ બની.

 .

કેટલાં ડગલાં ભરે એની ખબર ક્યાંથી પડે ?

આ ધરા પણ છેતરે છે હરઘડી જ્યાં છળ બની.

 .

હર દશા સામે રહી છે પૂતળું થૈને સદા,

કેટલીને ભાંગવી ! ઊભો નિરર્થક બળ બની.

 .

આમ હોવું આગ વચ્ચે ચોતરફ ભડકે બળે;

હરઘડી વરસી રહી એની કૃપા તો જળ બની.

 .

( આહમદ મકરાણી )

એ જ વેળા – કરસનદાસ લુહાર

શુષ્કતાની એ વિલક્ષણતા જ અલગારી હતી;

રણ વચોવચ છમ્મલીલી એક જે ક્યારી હતી.

 .

ભરબપોરે ધૂળની પીડાને તેં ઠારી હતી;

પાડીને કુમકુમ પગલીઓ કેડી શણગારી હતી.

 .

હું વિજય પામું હતો એવો જ આશય એટલે

તેં જ જાણી જોઈને આખી રમત હારી હતી !

 .

સ્વપ્ન તારાં આવતાં’તાં મારી આંખોમાં સતત,

સાવ ટૂંકી રાતને મેં ખૂબ વિસ્તારી હતી.

 .

વિશ્વ આખુંયે જઈ સામે પડી ઊભું હતું,

એ જ વેળા તેં કરી મારી તરફદારી હતી.

 .

આપણે ખુશીઓ ભલે રાખી અલગ; પણ છેવટે

વેદના જે કંઈ હતી બેઉની સહિયારી હતી.

 .

( કરસનદાસ લુહાર)

પહોંચ્યા હતાં – સાહિલ

માંડ પગલાં ઉંબરે પહોંચ્યા હતાં

પણ વિચારો પાદરે પહોંચ્યા હતાં

 .

સહુ ગણતરીમાં જ ગોથાં ખાય છે

જ્યાં પહોંચ્યા આશરે પહોંચ્યા હતાં

 .

નોંધ-નકશા હાથમાં એમ જ રહ્યાં

મંઝિલે તો ઠોકરે પહોંચ્યા હતાં

 .

ના થયું આખર સુધી નક્કી કશું

ક્યાં સુધી એકંદરે પહોંચ્યા હતાં

 .

દોડવાનું બીડું લઈ જન્મયાં છતાં

મૃગજળો ક્યાં સ્ત્રોવરે પહોંચ્યા હતાં

 .

લીલીછમ વનરાઈનાં શમણાં લઈ

લોક ઝાડી ઝાંખરે પહોંચ્યા હતાં

 .

પળ મહીં પહોંચી ગયા શેરી સુધી

એ ય ક્યાં સાહિલ ઘરે પહોંચ્યા હતાં ?

 .

( સાહિલ )

દોષ ના આપો – ઉર્વીશ વસાવડા

નથી મંઝિલ મળી એનો ચરણને દોષ ના આપો

કશું દેખાય ના તો આવરણને દોષ ના આપો

 .

હકીકત છે તમે એકેય પણ બારી નથી ખોલી

 બધે અંધાર છે ઘરમાં કિરણને દોષ ના આપો

 .

નજર સામે પડેલું સત્ય સમજાતું નથી એને

લખ્યું વાંચી નથી શકતો અભણને દોષ ના આપો

 .

નથી સંભવ હિસાબો રાખવા વીતેલ વરસોના

ઘણું ભુલાય છે એમાં સ્મરણને દોષ ના આપો

 .

કશું ના બહારથી આવે, અનર્થો હોય છે ભીતર

મળે જો શાપ તો વાતાવરણને દોષ ના આપો

 .

ન ચેતવણી કશી, ના કૈં સમય આપે, ઉપાડી લે

ફરજ આધીન વર્તન છે મરણને દોષ ના આપો

 .

( ઉર્વીશ વસાવડા )

એકલવાયું લાગે છે – નીલકંઠ વેદ

અહીં બધું પરાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

 .

આ આરસ જેવા રસ્તા

તો યે નથી ચાલવું મારે

તારા વિના જીવ આ મારો

બળી રહ્યો અત્યારે

 .

ઝૂરાપાનું ગીત ક્યાંકથી

એવું ગવાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

.

સૂની નજરથી જોઉં મકાનો

જોઉં ઈમારત જૂની

દૂરથી મને વ્યાકુળ કરે

કાયા કોઈ ખુશ્બુની

.

તમે મૂકી અહીં ફરવા આવ્યો :

તારું દિલ ઘવાયું લાગે છે

મને એકલવાયું લાગે છે

 .

( નીલકંઠ વેદ )

મા – અનિલ ચાવડા

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે,

દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

 .

સહેજ અડતાંમાં જ દુ:ખો સામટાં થઈ જાય છે ગાયબ,

મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

 .

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,

મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

 .

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,

મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

 .

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,

મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

 .

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,

મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

 .

( અનિલ ચાવડા )