ગયો છું – ભગવતીકુમાર શર્મા

શોધી જો શકો, શોધજો, ખોવાઈ ગયો છું;

અંધારામાં હું જાતથી અથડાઈ ગયો છું.

.

સામેથી મને આવતો જોઈ હું હસ્યો’તો,

કિન્તુ  એ ગલીથી પછી ફંટાઈ ગયો છું.

 .

આવ્યો’તો આ દુનિયામાં લઈ લાગણી અઢળક;

અડધી જ સફરમાં ઘણો ખર્ચાઈ ગયો છું.

 .

થાવું જો પ્રગટ હોય તો આ છેલ્લી ઘડી છે;

ક્ષમતાથી વધારે હું વલોવાઈ ગયો છું.

 .

મધ્યાહ્નના સૂરજનો કશો ડર નથી મનમાં;

હું ચાંદની રાતોમાંયે અંજાઈ ગયો છું.

 .

મૃત્યુના ફરિશ્તાની જરૂરત ન કશી છે;

જઈ એને કહો કે હું સમેટાઈ ગયો છું.

 .

ઈચ્છો તો મને વચ્ચેથી ફાડી યે શકો છો;

કાગળ છું, ઘણી વાર વંચાઈ ગયો છું.

 .

( ભગવતીકુમાર શર્મા )

કદાચ હું રહીશ – સુચિતા કપૂર

કાલે હું નહીં હોઉં

તારી આંખેથી એક આંસુ બની વહી જઈશ.

અને કોઈ ખૂણામાં એક યાદ બની રહી જઈશ.

 .

મારા રાગ મૌન હશે,

તારા મુખેથી એક બોલ બની વહી જઈશ.

અને તારા કાનમાં એક પડઘો બની રહી જઈશ.

 .

મારી આંખો બંધ હશે,

તારી નજરોથી એક દ્રશ્ય બની સરી જઈશ.

અને કોઈ દીવાલ પર એક તસવીર બની રહી જઈશ.

 .

મારા હોઠ બીડાયેલા હશે,

તારા મનમાંથી એક સ્મિત બની સરી જઈશ.

અને કોઈ વાતમાં એક યાદ બની રહી જઈશ.

 .

કાલે હું નહીં હોઉં,

હશે તો માત્ર પડઘા,

હશે તો માત્ર યાદો,

હશે તો માત્ર તસવીર,

હશે તો માત્ર વાતો.

ત્યારે,

ત્યારેય કદાચ હું રહીશ,

રહીશ તો તારા હૃદયમાં,

રહીશ ને ?

 .

( સુચિતા કપૂર )

સંબંધ – એષા દાદાવાળા

10692

મેં પૂછ્યું, ‘હજી યે  કહેવાની જરૂર ખરી કે હું તમને પ્રેમ કરું છું ?’

‘હા… કહેવું તો પડે જ ને’ એણે જવાબ આપ્યો

હું હસી, ‘મને એમ કે તમે સમજી જશો…’

એ પછી બધી જ વાતો કહેવી પડતી…

પ્રેમ કરું છું, રિસાઈ ગઈ છું, ગુસ્સો આવ્યો છે, કશું ગમતું નથી…

આવું બધું જ કહી – કહીને થાકી ગયેલી મેં

એક દિવસ કશું જ કહેવાનું છોડી દીધું

તે એક સાંજે

ડૂબતા સૂરજ તરફ આંગળી ચીંધી એણે પૂછ્યું,

‘હજી યે કશું કહેવાની જરૂર ખરી ?’

મેં જોયા કર્યું એની તરફ

એ હસ્યો, કહે, ‘મને એમ કે તું સમજી જશે…’

એ દિવસથી મારી બાલ્કનીએ પેલા ડૂબતા સૂરજને હથેળીનો ટેકો આપી બેઠી છું

એની ગરમીથી બળી ગયેલા હાથ મારા શરીર પરથી ખરી પડવાની તૈયારીમાં છે

અને લાલ થઈ ગયેલું આખું આકાશ મારી સામે જોઈને ખંધુ હસ્યા કરે છે…!!

 .

( એષા દાદાવાળા)

નથી કારણ – મધુમતી મહેતા

નથી કારણ છતાંયે વાતમાં કંઈ ફર્ક આવે છે,

જરા જુદા સ્વરૂપે આજ તારું દર્દ આવે છે.

 .

બધી આશા અને ઈચ્છા લઈને બંધ હાથોમાં,

સમયની પારથી માના ઉદરમાં ગર્ભ આવે છે.

 .

તમે આ આમ ઝંઝા થઈ અને ઘેરો નહીં અમને,

ઝીણી ફૂંકે બુઝાવામાં અમારો વર્ગ આવે છે.

 .

સમેટું છું મને આંખો કરીને બંધ મારામાં,

અને નવતર સ્વરૂપે મોત તારો અર્થ આવે છે.

 .

અરે મહેતા તમે જલસા કરો શી છે ફિકર તમને,

તમે જ્યાં જાવ છો પાછળ તમારી સ્વર્ગ આવે છે.

 .

( મધુમતી મહેતા )

જનમોજનમની પ્રાર્થના – સુરેશ દલાલ

મારી જનમોજનમની પ્રાર્થના છે :

હે સૂર્યનારાયણ પ્રકટો.

 .

કાળી રાતને, વાતને, સદીઓની જમાતને

ચીરીને પ્રકટો.

ઈતિહાસનાં જુઠ્ઠાં જંગલોને બાળી નાખો.

હજીયે અમે એના એ જ વિષચક્રમાં

શાણપણની મશાલ લઈને

ભટક્યા કરીએ છીએ

પાગલોનાં પગલાં ગણતા.

 .

યુદ્ધ, હારજીત, પ્રપંચ, કાવાદાવા, છળકપટ

તીર, તલવાર, ભાલા, અશ્વ, હાથી

બંદૂક, ટેન્ક, વિમાન, તોપ…

કોઈ કેમ હજી લગી થાકતું પણ નથી ?

 .

મારી જનમોજનમની પ્રાર્થના છે :

હે સૂર્યનારાયણ પ્રકટો.

 .

( સુરેશ દલાલ )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

અદ્વૈત,

અણુ અને અનંતનું

અન્યોન્યમાં એકરૂપ

એ જ અદ્વૈત

અણુમાં અનંતની પ્રાપ્તિ

અને અસીમે અણુનો લય

એ જ એકત્વ !

આનંદ સાગરની છોળ

આનંદ સાગરે વિલીન

એ જ અદ્વૈત,

સ્વશૂન્ય દીપનો અનંત પ્રકાશ

એ જ અદ્વૈત !

 .

તું આનંદ, સ્મિત અમે !

 .

(૨)

ચૈતન્ય,

પ્રશાંત ઈન્દ્રિયોની

પીઠીકા ઉપરથી

અનંત સાથેનું ઝળહળા

અનુસંધાન એ જ ચૈતન્ય.

નિ:સ્વાર્થ વૃત્તિઓનું,

વિરાટ વિશ્વરૂપ

એ જ ચૈતન્ય.

સર્વેશ્વરના આયનામાં

સ્વ નિખાર

એ જ ચૈતન્ય !

 .

તું ગુંજન, ગીત અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

હું માણસ – સુરેશ દલાલ

હું માણસ તરીકે જન્મ્યો ન હોત

તો કદાચ વૃક્ષ થયો હોત

કે કદાચ પંખી

કે કદાચ તારો

કે કદાચ માછલી

કૈંક તો થયો હોત.

 .

પણ,

હું માણસ ન થયો હોત તો,-

વૃક્ષની લીલાને

શબ્દશબ્દમાં આલેખતે કોણ ?

કોણ ગાતે આકાશની છટા

ને સમુદ્ર-મુદ્રા સાંભળતે કોણ ?

પણ, સારું થયું કે આપણે માણસ થયા

નહીંતર માણસની વ્યથાને જાણત કેમ ?

 .

( સુરેશ દલાલ )

સુવર્ણ કણિકા – સુરેન ઠાકર ‘મેહુલ’

જીવનમાં જે પણ મૂલ્યવાન છે,

પછી એ પ્રેમ હોય, જ્ઞાન હોય,

ડહાપણ હોય, સૌંદર્યાનુભૂતિ હોય

કે પરમની પ્રાપ્તિ હોય. એની

શોધ જાતે કરવી પડે છે. એ હાથ

લંબાવીને કોઈની પાસે માગવાની

વસ્તુ નથી. એ આપલેની વસ્તુ

છે જ નહીં એનો આવિષ્કાર જાતે

જ કરવો પડે છે. એને પામવાની

બીજી કોઈ રીત છે જ નહીં.

*

‘સ્વ’નો

સાક્ષાત્કાર કરવા માટે

નિતાંત એકલા હોવું ખૂબ

જરૂરી છે. જે માણસ  પોતાની

એકલતાથી ડરતો નથી, પણ

એને બાથ ભરીને પ્રેમ કરે છે

તે પોતાની એકલતામાં કશુંક

મૂલ્યવાન પ્રાપ્ત કરે છે.

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’ )

મને ફાવે નહીં – મધુમતી મહેતા

છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં,

હું છું ચોમાસું, અટકવાનું મને ફાવે નહીં.

 .

ફૂલ જો રાખો બિછાવી તો વળી આવી જશું,

ઠોકરો ખાતાં સિસકવાનું મને ફાવે નહીં.

.

હું સતત પહેરું મને ગમતા ભરમનો અંચળો,

મોસમોની જેમ ફરવાનું મને ફાવે નહીં.

 .

હું જડીબુટ્ટીનો પર્વત ઊંચકી લાવી શકું,

પણ ચરણમાં પુષ્પ ધરવાનું મને ફાવે નહીં.

 .

માતૃભાષાને કરું વંદન ગઝલ ને ગીતથી,

બોલી બોલીને વિરમવાનું મને ફાવે નહીં.

 .

( મધુમતી મહેતા )

તું આવશે – અનંત રાઠોડ

તું આવશે જરૂર એ સૌ ધારણાનું ખૂન

આજે કરી દઈશ હું આ બારણાનું ખૂન

 .

પાછા વળેલ પગલાંની સાચી હશે ખબર,

કહેતા હતા કે થઈ ગયું આંગણાનું ખૂન

 .

તું જઈ અને કરી દે પ્રથમ કેદ સૂર્યને

એના પછી કરીશું એ તાપણાનું ખૂન

.

મારા સુધીય હું હવે પહોંચી શકી નહીં

અંદરથી રોજ થાય છે મારાપણાનું ખૂન

 .

( અનંત રાઠોડ )