શબરી મીરાં થઈને આવી – સુરેશ દલાલ

.

શબરી મીરાં થઈને આવી !

ગયા જનમનાં બોરાંઓને

બાજુ પર મૂકી દઈને એ

મંજીરા લઈ આવી

 .

રામ-શ્યામ તો એક છે :

પણ જુદા છે અવતાર

શબરી-મીરાં અલગ નથી

ને રણઝણ એક જ તાર.

મોહનજીને મન તો મીરાં

અઢળક અઢળક ભાવી.

 .

શામળિયાનો શ્યામ રંગ

મીરાંનો કંબલ કાળો

દૂજો કોઈ ડાઘ નહીં.

મારો હરિવર રહ્યો હૂંફાળો.

શિવધનુષ તો થયું મુરલિયા :

ઘટઘટમાં એ સૂરને જોને

દઈ દીધાં છલકાવી.

 .

( સુરેશ દલાલ )

હરિને જડી – રમેશ પારેખ

.

જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,

મંદિર માથે ધજા ચડે એમ હુંય ઢોલિયે ચડી !

 .

ચુમું મારા ભાયગને કે ચુમું હરિને, સૈ

ખરી પડેલી ડાળ હું પાછી ઝાડે વળગી ગૈ,

 .

કેમ કરી ઓળંગું, પરબત શી અવઢવની ઘડી !

 .

ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટિયાં અમી

હરિ જેટલા ગમ્યા એટલી મુંને મૂઈ હું ગમી !

 .

મુંને આબંવા મુજ સોંસરવી હરિ કાઢતા હડી…..

.

( રમેશ પારેખ )

 

અને… – વીરેન મહેતા

.

છે આંખમાં જેની ફક્ત ભૂતો, વિગત, પાછળ અને…

ચૂકી જશે દ્રશ્યો ઘણાં નીચે, ઉપર, આગળ અને…

 .

પરબીડિયામાં સાચવીને સૂર્ય મોકલ્યો હતો

આવ્યાં જવાબી પત્રમાં ધુમ્મસ, બરફ, ઝાકળ અને…

 .

ખરતું, વરસતું ને કદી સરસર સરે ભીતર કશું

જાણે ત્વચા હેઠળ હશે વૃક્ષો, પવન, વાદળ અને…

 .

ઊભો હતો ઉંબર ઉપર અજવાશ સાયંકાળ લગ

ખૂલ્યાં નહીં એકે ય બારી, બારણાં, સાંકળ અને…

.

છાતી સમાણાં જળ મહીં તેથી જ તો રસ્તો થયો

સ્પર્શ્યા બનીને અંગૂઠો શાહી, કલમ, કાગળ અને…

 .

( વીરેન મહેતા )

અગાસી – ગાયત્રી ભટ્ટ

.

ઘર ન જાણે એવું કંઈ કરતી અગાસી

ચાંદ પર ચોરી-છૂપી મરતી અગાસી !

 .

સાંજ થાતાં રોજ નીખરતી અગાસી

ને સૂરજના તેજથી ડરતી અગાસી !

 .

તારલાઓ રાતભર ગણતી અગાસી

ને સવારે ફૂલ-શી ખરતી અગાસી !

 .

દેખ કેવાં ફૂલ બેઠાં વેલ પર આ

દ્રશ્ય ભીનાં આંખમાં ભરતી અગાસી

 .

હોઠ પર જ્યારે ગઝલ હોઠો લખે છે

લાગતી ત્યારે તો મધઝરતી અગાસી

 .

એકલી છું હું અને આ ઓરડો છે

ઓરડામાં ડોકિયાં કરતી અગાસી!

 .

( ગાયત્રી ભટ્ટ )

તું પાનું ફેરવ – વીરેન મહેતા

..

કેટલી ઘૂંટ્યા કરી બારાખડી, તું પાનું ફેરવ

અક્ષરોને પણ હવે ખાલી ચડી, તું પાનું ફેરવ

 .

જો ઘણાં વિશ્વો ઊઘડશે મુખડાથી અંતરા લગ

કેમ નાહક એક ગણગણતો કડી, તું પાનું ફેરવ

 .

ના કશું એ છળ સિવા જે ગઈ અને જે આવનારી

આપણા તો હાથમાં બસ અબઘડી, તું પાનું ફેરવ

 .

ચાલ, ખોલી નાખ, દરવાજો હવે તો સાતમો પણ

છો ઊડે મસ્તક પછી કે પાઘડી, તું પાનું ફેરવ

 .

આ સફેદી તો નથી જાગીર કોઈની જ, દોસ્ત

શબ્દ સાથે એટલે એ બાખડી, તું પાનું ફેરવ

 .

( વીરેન મહેતા )

પ્રેમ – ઓશો

.

બુદ્ધિ પાપોથી ભરી હોય,

તો પ્રેમથી જ શુદ્ધ કરી શકાય છે.

જ્યારે એક વ્યક્તિને તમે પ્રેમ કરો છો,

તો તેને દુ:ખ દેવું મુશ્કેલ થઈ જાય છે.

તેનું સુખ તમારું સુખ,

તેનું દુ:ખ તમારું દુ:ખ

તેના જીવન અને તમારી વચ્ચેની

સીમા તૂટી ગઈ.

તમે એક-બીજામાં વહો છો.

જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને

પરમાત્મા વચ્ચે ઘટે છે,

તો તેનું નામ પ્રાર્થના,

આરાધના, પૂજા, ભક્તિ

એ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.

 .

.

જો પ્રેમની સંપદા તમારી પાસે હોય,

તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી,

પ્રેમ પોતે જ પર્યાપ્ત છે.

પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે.

જો તમે પ્રેમ કરી શકો,

તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઈ જશો,

તમે ઉત્સવ મનાવી શકશો.

આ અસ્તિત્વ પ્રત્યે

તમે અનુગ્રહિત થઈ જશો.

જો તમે પ્રેમ કરવા સમર્થ છો,

તો પ્રેમ જ આશિષ બની જાય છે.

.

( ઓશો )

ઝંખના – પલ્લવી શાહ

.

ક્યાંથી બંધાઈ જાય છે આ બંધનો ? આજે કાંઈ નથી, ગઈકાલે કાંઈ ન હતું અને અચાનક પળ એવી આવી અને આપણે આ લાગણીના બંધનમાં બંધાઈ ગયાં. પછી એ લાગણીની માયા એવી લાગી જાય છે કે જે ગઈકાલે કાંઈ ન હતું એ આજે, આ પળે સર્વસ્વ થઈ જાય છે. આપણે પણ આવા કોઈ બંધનમાં બંધાઈ ગયાં અને મેં મારું સર્વસ્વ તને સોંપ્યું. મારો ભુતકાળ એક વાર્તા બની ગયો અને વર્તમાન એક આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. ખબર નહિ કેમ આનંદ આનંદ ચારે તરફ વ્યાપી ગયો. અંગે અંગમાં વ્યાપી ગયો અને પવનના દરેકે દરેક કણ ઉપર મેં આપણાં નામ લખી નાખ્યાં. હવે આ પવન દરેકના કાનમાં જઈ આપણા નામની ફૂંક મારી આવે છે. દરેકે દરેક જણને ક્ષિતિજ ઉપર આપણા નામની રંગોળીઓ પૂરે છે. તને ગમે છે ને ?

.

.

જ્યારે જ્યારે હું તને મારા શબ્દો વડે શણગારવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારી પાસે શબ્દભંડોળ ખૂટી જાય છે.

.

જ્યારે જ્યારે હું તને મારા વિચારો દ્વારા શણગારવાનો પ્રયત્ન કરું છું ત્યારે હું વિચારો કરતાં કરતાં સૂઈ જાઉં છું.

 .

જ્યારે જ્યારે હું તારી સમક્ષ મારાં ગીતો ગાઉં છું ત્યારે ત્યારે હું અપલક તને નિરખ્યા કરું છું અને મારું ગાન ભૂલી તારામાં તન્મય થઈ જાઉં છું.

 .

હું વિચારું છૂં, કોણ છે તું ? જે મને મારું બધું ભુલાવી દે છે, હું જાગું છું, હું ઉઠું છું, ચાલુ છું બસ જ્યાં જાઉં ત્યાં તને જ ઝંખુ છું. શા માટે ? શા માટે ? શા માટે ?

.

.

મને વાંસળી વગાડતાં આવડતી નથી, નહિંતર મારી વાંસળીના સૂર ફેલાવી, હવામાં રેલાવી તને સંદેશો પહોંચાડત કે હું તારી રાહ જોઉં છું. મેં કાગળ તો લખ્યો છે, પણ મારી પાસે એવો કોઈ ટપાલી નથી કે જે મારો પત્ર તારા સુધી પહોંચાડે. કે નથી તારું સરનામું મારી પાસે. નહિતર હું જાતે આવીને મળી જાઉં. મારા અંતરની લાગણીઓ હવે મારા કાબૂમાં નથી અને તારી પાછળ ઘેલું થયેલું મારું હૃદય મારાથી કેમેય કરીને સચવાતું નથી. દરરોજ રાત્રીના જ્યારે બધાં જ સૂઈ જાય ત્યારે હું શણગારો સજીને તારા આવવાની રાહ જોઈને જાગરણ કરું છું અને પરોઢિયે મારી નિરાશ આંખો તડપતા હૃદય અને અતૃપ્ત ઝંખનાને લઈને હું પોઢી જાઉં છું. મારી આ અતૃપ્ત ઝંખનાને તું ક્યારે પૂર્ણ કરીશ ?

.

.

હું તો તારા રંગે રંગાયેલી છું બીજો કોઈ રંગ મને ગમતો નથી. દર્પણમાં જોઉં છું તો મને મારી બદલે તારું પ્રતિબિંબ દેખાય છે અને આંખો બંધ કરું તો પણ તું જ મારી ઉપર, નીચે અઅજુબાજુ બસ ચારે બાજુ ફક્ત તું જ છે. તું એક એવો તેજપૂંજ છે કે જે મારા અંગેઅંગમાં પ્રવેશી ગયો છે. તને મેળવવા મારા અણુંએ અણું ઝંખે છે. મારું હૃદય, તન મન ફક્ત તને જ ઝંખે છે. શું તું પણ મને ઝંખે છે ?

.

( પલ્લવી શાહ )

ઉત્સવ – વિંદા કરંદીકર

.

આજનો દિવસ મને ઉજવવા દો !

આજે આર કે. લક્ષ્મણે લખી

આધુનિક ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્રોહી કવિતા

અર્ધી રેખામાં, અર્ધી શબ્દોમાં :

‘નગરપાલિકા સ્વચ્છતા માટે

કચરાના ઢગલા અહીંથી ખસેડશે

તો અમે ભૂખે મરીશું’

આજનો દિવસ મને ઉજવવા દો !

કચરામાંથી અન્ન ઉઠાવીને

જીવંત રહેવાનો હક

આપણા બંધારણમાં સમાવિષ્ટ છે ખરો ?

તેમ ન હોય તો

સાર્વજનિક વસ્તુની ચોરી કરવા બદલ

આપણી સરકાર આ લોકો પર દાવો માંડી શકશે કે નહિ ?

આ પ્રશ્નનો જાણકારો ઉકેલ આણે તે પહેલાં

આજનો દિવસ મને ઉજવવા દો !

 .

( વિંદા કરંદીકર )

પથ્થર – હર્ષદ ત્રિવેદી

.

પથ્થર એ મારી કામના ક્યારેય હતી નહિ

પથ્થર એ મારી કામના છે.

કેમ કે તમે આધિપત્યના જોરે બધું જ બંધ કરી દીધું છે.

આપણાં લોહીમાં એકલો અંગારવાયું જ આવનજાવન કરે છે

અંદરની હવા, બહાર નહીં જાય તો ય જગતને નુકસાન નથી.

મને ચિંતા છે બહારની હવા અંદર નથી આવતી તેની.

મને જોઈએ ખુલ્લું આકાશ.

મને જોઈએ ધોમધખતો તાપ.

સૂસવાટે વાતો પવન જોઈએ મને.

મારી તૈયારી કાચઘરમાં દફન થવાની નથી.

આ કાચઘરને અંદરથી તોડે એવો પથ્થર

શોધું છું.

પથ્થર એ મારી કામના છે.

પથ્થર એ મારી કામના ક્યારેય ન હજો.

 .

( હર્ષદ ત્રિવેદી )

ભાગવત – વિજયાલક્ષ્મી

.

ગોધુલિ સમયે તમે સ્નાન કરીને ગૃહસ્થીના

કંકાસ અને શોરબકોરથી દૂર ભાગવતનો

સ્વકંઠે પાઠ કરવા બેસી જાઓ છો.

મને તમારો અવાજ સંભળાય છે-

‘સાંભળે છે ? ક્યાં ચાલી ગઈ ?

અહીં આવીને બેસ અને સાંભળ.’

પણ હું તો ચૂલા પાસે ખોડાયેલી

તમારું જમવાનું બનાવી રહી છું.

સેંકડો વણઉટક્યાં વાસણો, થાળી વાટકા-મારી પ્રતીક્ષામાં છે

અને સેંકડો

નાનાંમોટાં કામ

જે મારે કાલે કરવાં પડશે

મારા મેશ ખરડાયેલા હાથોથી

હું પણ ફેરવું છું

એક વિરાટ ભાગવતનાં પાનાં

છેલ્લા શ્વાસ સુધી

પૂરું ન થનારું એક ભાગવત છે

જેને હું સ્વેચ્છાથી વાંચતી જ જાઉં છું.

અને જે

તમે ક્યારેય આવીને નથી સાંભળતા.

 .

( વિજયાલક્ષ્મી, અનુ. કિશોર શાહ )