હું છું… – ઇયાન્લા વાન્ઝાન્ટ

મારામાં રહેલી ઈશ્વરીય શક્તિની કૃપાથી હું તાજગી અનુભવું છું. શક્તિશાળી બનું છું અને શુદ્ધ બનું છું.

 .

મારાં પગલાં વ્યવસ્થિત છે, સચવાયેલાં છે અને કૃપાપાત્ર છે.

.

હું યોગ્યપાત્ર છું, હું ઉત્કંઠ પાત્ર છું.

 .

હું ઈશ્વરના પ્રેમથી આકાર પામેલી છું અને ઘડાયેલી છું.

 .

પ્રભુએમને પ્રેમથી સોંપેલાં નિયત કાર્યો માટે હું મારી ચતુરાઈ, જ્ઞાન, શક્તિથી સજ્જ છું.

 .

હું શાંતિથી, પ્રેમથી આગળ વધું છું.

 .

મારા પોતાના વિશ્વની બધી જ બાબતો અને હરકોઈ પરિસ્થિતિમાં મને પ્રભુએ અઢળક શુભ વસ્તુઓથી કૃપાપાત્ર બનાવી છે.

 .

હું હવે પ્રભુના પૂર્ણ આશીર્વાદથી આગળ વધું છું. અને ક્યારેય એ નહીં ભૂલું કે મારું જીવન માતાપિતાની શક્તિથી આકાર પામેલું છે. એ માટે હું તમારી ઋણી છું.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

આંતરિક શક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

કૃપાનિધાન મંગલ શક્તિ-

 .

તમે મને જ્યારે કહ્યું કે ચાલો આપણે ઈશ્વરના દરબારમાં જઈએ ત્યારે હું ખૂબ આનંદથી ગદ્દગદ થઈ ગઈ.

 .

જ્યારે મારું હૃદય વેદનાના અકથ્ય ભારથી ભારે હતું ત્યારે કે મારું મન મૂંઝવણથી ભરેલું હતું કે દુ:ખથી ભાંગી પડ્યું ત્યારે હું ઈશ્વરના દરબારમાં પ્રવેશ કરું છું.

 .

મારા બધા જ પૈસા પૂરા થઈ ગયા. અને બેંકના ખાતામાં પણ કશું ન રહ્યું ત્યારે, જ્યારે મારાં ખૂબ નજીકનાં સ્વજનોએ મારી સાથે છેતરપિંડી કરી અને પીઠ પાછળ દગો દીધો. મારા અત્યંત મુશ્કેલ એવા પ્રયત્નોની કદર ન કરી કે હું સાવ ખોવાયેલી લાગી અને માર્ગ શોધવામાં ભૂલી પડી ત્યારે, મેં ઈશ્વરના દરબારમાં પ્રવેશ કર્યો.

 .

હે પ્રભુ, તમારા દરબારમાં મનની શાંતિ છે. કેટલી સલામતી, કેટલી સભરતા-કેવું સ્પષ્ટ માર્ગદર્શન છે. કેટલું જતન કરો છો.

 .

તમારો પ્રેમ કેવો બિનશરતી છે. પ્રેરણા, રાહત અને છુટકારો છે-તમારી અગાધ કરુણા, પવિત્ર આનંદ, અપાર ક્ષમાવૃત્તિ; કેટલી શક્તિ છે તમારામાં.

 .

જ્યારે તમે તમારા દરબારમાં આવવાનું કહ્યું ત્યારે હું આનંદવિભોર બની ગઈ.

 .

પ્રભુ, તમારા આમંત્રણ માટે આભાર-મારું હૃદય અને મન ખૂબ હળવાશ અનુભવે છે.

 .

આ બધા માટે હું તમારી ખૂબ ઋણી છું.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

મારી આજની દિનચર્યા સાંભળવા માટે હું તમને વિનંતી કરું છું.

 .

મારા જીવનની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ જે તમારામાંથી મારું મન વિચલિત કરે એ બધાને તમે કાઢી નાખો.

 .

મારા મનમાં કોઈ પણ વિચાર કે માન્યતા કે પ્રયોજન-એ તમારા તરફ પ્રોત્સાહિત ન કરતાં હોય કે જ્યાં તમારી મહત્તા ન હોય એ બધાંને કાઢી નાખો.

 .

મારા હૃદયનાં દરેક અનુભવ, સ્મૃતિ કે ઈચ્છા-જેમાં તમારો હેતુ ન સરતો હોય એ-તમે લઈ લો. મને હંમેશાં એ સ્મરણમાં રહે કે જે તમારી યોજનામાં મારે માટે પ્રેમ છે એ જ મારી મુક્તિ છે. બાકી બધું જ મારી કલ્પના અને ભયનું જ કારણ છે.

 .

મારા વહાલા પ્રભુ, હું સમજું છું કે મારે તમને કેવી રીતે પ્રાર્થંના કરવી એ પણ મને આવડતું નથી. તમારા આશીર્વાદ એ માટે યાચું છું.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

હું ઈશ્વરના પવિત્ર સાંનિધ્યમાં તરબોળ છું. મારા અંતરત્માના ઊંડાણથી ઊઠતી પ્રાર્થનાઓ શ્રદ્ધાની પાંખો વડે ઊડી વિશ્વની અંદર તરે છે. કેવા મહા આનંદની વાત છે કે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે એ સંભળાય છે. અને જ્યારે મારી પ્રાર્થનાઓ સંભળાય છે ત્યારે તેના (મને) ઉકેલ મળે જ છે.

 .

હું એકદમ ચિંતામાં, દુ:ખમાં હોઈશ ત્યારે એ યાદ રહેશે કે આવેલા તોફાનની વચ્ચે અપાર શાંતિ છે. આ અનુભવની શાંતિ એ જ ઈશ્વર તારી સંનિધિ છે. મારે ત્યાં જ રહેવું છે.

 .

હું જાણું છું કે ઈશ્વર બધું જ સાંભળે છે, બધું જ જાણે છે, તો હે કૃપાળુ પરમાત્મા, મારા વિચારો તમારા તરફ ગતિમાન થાય એ જ પ્રાર્થના. એને માટે હું તમારી ખૂબ ખૂબ આભારી.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

હે મંગલમય શક્તિ તને મારા મનમાં વસવા માટે હું પ્રાર્થના કરું છું.

 .

હે કલ્યાણમય શક્તિ મારા મનને બદલી નાખો.

 .

ઈશ્વર, તમે જે મારા જીવનમાં પૂર્ણ યોજના કરી છે તેમાં મારો દરેક વિચાર એકરૂપ બને.

 .

હે મંગલમય શક્તિ, તમે મારા અંતરાત્મામાં વાસ કરો અને મારા અંતરમાં પરિવર્તન લાવો.

 .

ઈશ્વરના પ્રેમનું જ્યાં પ્રતિબિંબ ન પડતું હોય એવી દરેક લાગણી, યાદશક્તિ અને અનુભવને નિષ્ફળ બનાવો.

 .

હે મંગલમય શક્તિ, તમે મારા જીવનમાં આવો. તમને હું હૃદયપૂર્વક આવકારું છું.

 .

મારા જીવનની દરેક પરિસ્થિતિ, સંજોગ અને વ્યવસ્થાને તમે બદલી નાખો.

 .

મારા જીવનને ઈશ્વર તમે તમારી કૃપા, કરુણા અને ભવ્યતાનું પ્રતિબિંબ બનાવો.

 .

મારો પ્રત્યેક અંશ જે તમારા ગુણ સાથે ન જોડાતો હોય તેને બદલી નાખો.

 .

ઈશ્વર, હું જાણું છું કે તમારી એ પૂર્ણ યોજના છે કે હું ખૂબ આનંદથી, શાંતિથી, સભરતાથી અને સંવાદિતાથી જીવું.

 .

હે મંગલમય શક્તિ, તમે મારા મનમાં, હૃદયમાં અને જીવનમાં આવો-તમે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પામવામાં મને સફળ કરો. તમારી સંનિધિ આપવા માટે ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને આભાર માનું છું.

 .

એમ જ થવું જોઈએ અને થશે એવી મારી શ્રદ્ધા છે.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

અહીં કશું જ જતું કરવાનું કે સુધારવાનું નથી. ઈશ્વરને પ્રાર્થના કરું છું તમારે પ્રગટ થવાનું છે.

 .

હે પ્રભુ, તમે મારા મનમાં વસો.

હે વાત્સલ્યમૂર્તિ ઈશ્વર તમે મારા હૃદયમાં વસો.

પૂર્ણસ્વરૂપ પરમાત્મા તમે મારા સ્વાસ્થ્યમાં વસો.

ઐશ્વર્યવાન પ્રભુ તમે મારી સંપત્તિના રૂપમાં આવો.

પ્રભુ, તમારી સંનિધિ મારામાં આનંદરૂપે આવે એવી પ્રાર્થના.

શક્તિશાળી પ્રભુ મારું અને મારા પરિવારનું રક્ષણ કરો.

 .

મારા જીવનમાં શાંતિ સ્વરૂપે અને આનંદસ્વરૂપે આવવા માટે પ્રભુ, હું તમારો ખૂબ આભાર માનું છું. તમે મારા જીવનના કેન્દ્રસ્થાને છો.

 .

હે પ્રભુ, મારો બચાવ કરવા માટે, રક્ષણ કરવા માટે, માર્ગદર્શન માટે અને મને લાગતીવળગતી કોઈ પણ પરિસ્થિતિમાં સંભાળવા માટે, દરકાર લેવા માટે અને જે સમયે, જે કરવું જોઈએ તે બધામાં શક્તિ પ્રેરવા માટે ખૂબ ખૂબ આભાર.

 .

મારા સંબંધો અને દેહને સારા રાખવા માટે, બધી જરૂરિયાતો પૂરી કરવા માટે આભાર.

 .

સૌથી વધારે તો પ્રભુ મને જેવી છું તેવી સ્વીકરવા માટે, મારે શેની જરૂર છે એ જાણી બધી પૂરી કરવા માટે-એ પણ હું માંગું એ પહેલા આપવા માટે-તમારો ખૂબ આભાર.

 .

આજે હું સમજું છું અને સ્વીકારું છું કે કશું જ નિશ્ચિત નથી. નક્કી કરવાનું કે બદલાવાનું કે સુધારવાનું નથી, કારણ કે એ તો પ્રભુ પોતે જ પ્રગટ થઈને કરશે.

 .

એ માટે ખૂબ ખૂબ આભાર.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

સાંજ પડી ગઈ – કુમાર જૈમિની શાસ્ત્રી

માણસ નામે પરબીડિયું ને જીવતર નામે કાગળ

લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ

 .

ટૂંકાટચ કાગળમાં લખવા

લાંબાચોડા અક્ષર

લખતાં-ભૂંસતાં વહી જવાનો

મોંઘો-મૂલો અવસર

 .

ધારો કે આકાશ લખું તો ચડી આવતાં વાદળ

લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ

 .

પરબીડિયા ને કાગળ વચ્ચે

આમ કશો ક્યાં નાતો ?

કાગળ તોયે પરબીડિયામાં

ફૂલ્યો નથી સમાતો

 .

સરનામામાં લખી દીધું બસ મુકામ પોસ્ટ ‘શામળ’

લખતાં લખતાં સાંજ પડી ગઈ, લખી શકું ના આગળ

 .

( કુમાર જૈમિની શાસ્ત્રી )

મેં દીઠું અજવાળું! – દત્તાત્રય ભટ્ટ

એક ઝાટકે તોડી નાખ્યું અજગર સરિખું તાળું,

મેં દીઠું અજવાળું!

 .

લખેલ એક્કે અક્ષર નહિ ને આખ્ખો કાગળ વાંચું,

કો’ સમજે કે ના સમજે પણ હું સમજું તે સાચું.

મેં દીઠું અજવાળું!

 .

નિરાંતવાં બસ વ્હેતા રે’વું સાગર સરિખી મોજ,

પોતા સુધી પહોંચો ત્યાં તો પૂરી થાતી ખોજ.

ઝળહળ ઝળહળ જ્યોત ઝળહળે; સ્થિર થતું પાંખાળું,

મેં દીઠું અજવાળું!

 .

( દત્તાત્રય ભટ્ટ )

છુપાવી છે – અનંત રાઠોડ ‘અનંત’

લીલુંછમ સાવ કૂણું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

ને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

..

ઘણાયે વ્હાલથી જ્યાં વૃક્ષને વાવ્યાં હતાં, પાણીય સીંચ્યું, એ જ ઉપવનમાં પછી

બહુ ઠંડા દિલે દિવાસળી ચાંપ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

 .

મને પૂછી રહ્યા છે પર્ણ, ફૂલો, ડાળખી આ સ્તબ્ધતાનો અર્થ ને હું ચૂપ છું

કુહાડીનું ઘરે મ્હેમાન થઈ આવ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

 .

બધાં વૃક્ષો કનેથી બંધ આંખે નીકળ્યો છું, કોઈથી મેં આંખ મિલાવી નથી,

આ મારી આંખમાં એક ઝાડવું ઉગ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

 .

( અનંત રાઠોડ ‘અનંત’ )