ચાંદરણા (૪) – રતિલાલ ‘અનિલ’

સંબંધોમાં વસતું એકાંત ‘સંસ્કારી’ હોય છે.

 .

સ્મિત કરે છે તેને હાથ લંબાવવાની જરૂર પડતી નથી !

 .

સગપણ હોય એટલે વળગણ તો હોય જ !

 .

પારદર્શક હોય તેને પડછાયો હોતો નથી.

 .

માણસ રોજ રોજ ઊંઘે ત્યારે એકવાર આથમે છે.

 .

એકાંત, એક ચોરાયેલું નામ ઉકેલવા મથ્યા કરે.

 .

ગુસ્સો : મારી બહાર હું !

શરમ : મારી અંદર હું !

 .

અજાણ્યા રહેવા માટે હવે ગુફામાં નહીં, સમાજમાં રહેવું પડે છે !

 .

માણસોને ફૂલ ખરીદવા માટે કોઈના મૃત્યુની રાહ જોવી પડે છે !

 .

છેલ્લાં આંસુ સૌની પાસે અનામત હોય છે.

 .

દરેક આંસુને એક ખાનગી સરનામું હોય છે.

 .

હોઠને એકબીજાનો દ્રઢ સ્પર્શ ગમે તે “મૌન” કહેવાય !

 .

પોતે જીર્ણ કરેલું પોતે જ રફુ કરવું એ જીવન છે.

 .

ગાલ પર પહોંચતા આંસુનું સરનામું બીજું જ હોય છે.

 .

સરનામા વગરની ટપાલ સૌને માટે હોય છે !

 .

જીવવું એટલે જોડામાં કાંકરો રાખીને ચાલવું…

 .

જીવતો માણસ અંધારામાં રહી ગયો એટલે એના મુર્દા પાસે દીવો કર્યો !

 .

વસંતને બારમાસી થવાનું મન થયું ને પ્રેમ થયો !

 .

પ્રેમ જાદુ નથી, એક જ ફૂલને ગુલદસ્તો બનાવી દેતી કળા છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૩) – રતિલાલ ‘અનિલ’

ધીરજનાં બારણાં રાત્રે પણ ખૂલ્લાં રહે છે.

 .

બીજા વાવટા ફરકાવે એ માટે આપણે કાપડ વણવાનું છે.

 .

આશા કબરની માટીને કહે છે, બહાર સૂર્ય છે.

 .

કબર ખોદનારને પોતાના ભવિષ્યની જાણ હોવી જોઈએ.

 .

પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે સેતાન કામ કરે છે.

 .

પરપોટાની વોર્નિંગ છે, સમય છે, મારામાં મોઢું જોઈ લ્યો !

 .

ઊંઘમાં સરવાળો કરનારની પણ બાદબાકી થઈ જાય છે.

 .

પવન ધૂળને વહેણ, વંટોળોયો વમળ બનાવે છે.

 .

ખાલી થયાની અનુભૂતિ ચાના કપને ગરમ રાખે, માણસને નહીં.

 .

ખાનગીમાં પયગમ્બર થશો તો તમને કોઈ શૂળી પર નહીં ચડાવે !

 .

માણસ તો પોતાના વિના પણ ચલાવી લે એવો સગવડિયો છે.

 .

ખોળો પાથરવા પહેલાં લાલ જાજમ પાથરવી પડે છે !

 .

કબર એવું ઢાંકણ છે, જે ઉઘડતું નથી.

 .

માણસ ઉંબરને ઓળંગ્યા વિના પોતાને ઉલ્લંઘી જાય છે.

 .

તમારા અનુસંધાનોને તમે સંબંધો કહો છો !

 .

બારણાં બંધ કરવાથી જગત કંઈ બહાર રહી જતું નથી.

 .

સુખનું પડીકું હોય કે પારસલ – તે ખૂટી જ જાય છે.

 .

છેલ્લી સાન ન આવે એ અવસાન કહેવાય.

 .

દરેક ચાલતો માણસ કશાકમાં રોકાયેલો, અટકેલો હોય છે.

 .

છાપરું તૂટતું નથી, ઉપરવાળા પરનો ભરોસો તૂટે છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૨) – રતિલાલ ‘અનિલ’

મારા કેટલાક અસ્વીકારે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે.

 .

હાથમાં બીજાનો હાથ હોય ત્યારે તે પ્રેમી નહીં, તો જોશી હોય.

 .

સ્મૃતિ ભૂતકાળના દોરા પર ભવિષ્યનો પતંગ ચગાવે છે.

 .

સંપ્રદાયોથી ધર્મ થીંગડાવાળા પિતામ્બર જેવો લાગે છે.

 .

માણસ વસ્તુ જેવો હોય તો પછડાય છે, પણ પસ્તાતો નથી !

 .

પોતાની બહાર પોતાને શોધનારને બીજો માણસ જ મળે છે.

 .

વાંચો ત્યારે પોતાને શબ્દોથી નહીં, અર્થથી ભરો !

 .

માણસ હાડપિંજર ન હોય તોયે ‘ખોપરી’ હોઈ શકે છે.

 .

દુનિયા ક્યારેય સારી નહોતી, દરેક વખતે માણસો સારા હતા.

 .

પાણી પડે છે, પછડાય છે અને ઘાયલ થયા વિના ચાલવા માંડે છે.

 .

પાણી બરફ બને તો યે તેને પાણી રહેવું જ ગમે છે.

 .

માણસ ચાલે છે ને કહે છે : માથા પરથી આકાશ જાય છે.

 .

કોરા આંસુ લૂછવા માટે માણસ જ રૂમાલ થઈ શકે.

 .

સંપ્રદાયની તિરાડ કહે છે કે હું ઈશ્વરનું પ્રવેશદ્વાર છું.

 .

યમરાજા, માણસનું સરનામું બદલવા માટે જ અઅવે છે.

 .

આંગળા, આંગળા સાથે જ રમે ત્યાં સુધી સારું હોય છે.

 .

થાંભલાનું પહેલું કામ પોતાનો ભાર ઊંચકવાનું હોય છે.

 .

ઈશ્વરના હાથમાં ઘૂઘરો આપવો હોય તો એમને કાનુડો બનાવવા પડે.

 .

મોંઘા ધૂઘરામાં કાંકરા સસ્તા જ હોય છે.

 .

દિવાળી દૂર હોય તો પણ દીવો દૂર ન હોવો જોઈએ.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧) – રતિલાલ ‘અનિલ’

ratilal_anil_2

.

બહારના અંધકાર માટે બારીની તિરાડ પ્રવેશદ્વાર બનતી નથી.

 .

સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે.

 .

કેટલાક પોતે થાકે છે, કેટલાકનું મૃત્યુ થાકે છે.

 .

કોરી સ્લેટને હથેળી પણ કહી શકાય.

 .

કોઈવાર બેડી જ બે હાથને નજીક લાવે છે.

 .

દીવાના પૂમડા અને અત્તરના પૂમડા વચ્ચે પસંદગી કરવાની છે.

 .

મૃત્યુની દિશા બદલાય, પણ મસાણની દિશા ન બદલાય.

 .

પોતીકી ફૂંક ન હોય તો વાંસળી વાગતી નથી.

 .

માણસે પહેલા ભિક્ષાપાત્ર ઘડ્યું પછી પ્રાર્થના રચી !

 .

કેટલી બધી માંદગીના વિસામે થાક ઉતાર્યા પછી મૃત્યુ આવે છે.

 .

મારા બધા હસ્તાક્ષરો ચેકબુકની બહાર છે.

 .

છેલ્લી સફર એટલે પોતાના જ બારણેથી પોતે પાછા ફરવું.

 .

ચિત્તમાં સમગ્ર વિશ્વ હોય તો કોઈપણ માણસ ટાપુની નાળિયેરી નથી.

 .

જ્ઞાનની જેમ અજ્ઞાન પણ કોઈ ખીંટી પર ટીંગાયેલું હોય છે.

 .

પોતાની આંખે પોતાને જોવામાં અરીસો મદદ કરતો નથી.

 .

મારાં આંસુમાં દરિયો નથી, મારું લૂણ છે.

 .

જીવનમાં નથી એટલાં માનાર્થે બહુવચન ભાષામાં છે !

 .

હિમાલય ગંગામાં સ્નાન કરવા પડે તો ગંગા જ ન રહે.

 .

અવાચ્યને વાંચવા માટે માણસને અંતરની આંખ મળી છે.

 .

હવે દરેક લસરકો એક ઉઝરડો બની જાય છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

અલવિદા રતિલાલ ‘અનિલ’…

Anil

.

Ratilala Mulchand Roopawala 'Anil' 23/02/1919 - 29/08/2013

Ratilala Mulchand Roopawala ‘Anil’
23/02/1919 – 29/08/2013

.

વિખૂટા પડેલા બધા શે’ર મારા,

હવે શેષ હું માત્ર મક્તો રહું છું.

*

કેવી અજબ સુવાસ છે, તારા ગયા પછી,

જાણે તું આસપાસ છે, તારા ગયા પછી;

સૂરજ તપે છે તે છતાં, જાણે વસંત છે,

તારી હવામાં શ્વાસ છે, તારા ગયા પછી.

*

તપીને તાપમાં હું ઘેર આવ્યો તો વળી શાંતિ,

હતું વ્યાકૂળ તો યે શાંત મન મારું થયું કેવું !

મહક પામી નીરવતાની હૃદય ઘેલું પૂછી બેઠું :

‘ઘડી પ્હેલાં સૂના ઘરમાં તમે આવી ગયાં’તાં શું ?’

*

વાદળને પેલે પાર કંઈ ઝાંખો ઉજાસ છે,

સૂરજના માત્ર ભાસથી શ્રાવણ ઉદાસ છે;

ભીના વસનનો આભમાં પરદો કરી દીધો,

શ્રાવણ નથી, આ સૂર્યનો એકાંતવાસ છે !

*

હૃદયના હોય છે સંબંધ તે નશ્વર નથી હોતાં,

મળ્યાં કેડે જુદાં થઈ જાય તે અંતર નથી હોતાં;

પ્રણય તો જિંદગી છે ને વળી તે પણ સનાતન છે,

પ્રણયની ક્ષણ નથી હોતી, તે સંવત્સર નથી હોતા !

*

આમ તો સૂરતનો કહેવાતો રહીશ,

કોઈ પૂછે તો વળી ‘સૂરતી’ કહીશ !

મારે તો ચાલ્યા જવું છે હે ગઝલ !

તું કહેશે તો વળી થોભી જઈશ.

*

પ્રવાસે તો મળ્યાં’તાં કૈંક ફૂલો,

નથી એવું, ચમન ચૂકી ગયો છું;

અનુભવ યાદ કંઈ એવા રહ્યા છે :

ફૂલોનાં નામ હું ભૂલી ગયો છું !

*

ઈશ્વર કને ય જાઉં પણ માણસ મટું નહીં,

ઓળંગી જાઉં હું મને તો પણ રહું છું પાળ,

એ પણ મને મળે છતાં ઈશ્વર મટે નહીં,

ઊતરે છે ખીણમાં છતાં શિખરે રહે છે ઢાળ.

*

મને કેફ આ જિંદગીનો કહે છે :

હું દીઠા પછી યે રહસ્યો રહું છું !

અને આ જુઓ ખેલદિલીયે મારી,

હું પીધા પછી યે તરસ્યો રહું છું !

.

( રતિલાલ ‘અનિલ’ )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

હે નાથ,

અમારી અપૂર્ણતા સાથે અમને સ્વીકારો, તારી અખંડતાના ઓજસ આંખે આંજીને અમારી નગણ્યતાને અમે ઓળખી શકીએ એવી નમ્રતામાં અમને જગાડો અને જીવાડો.

તારા અમીવર્ષણમાં અમે આનંદે છલોછલ થઈએ એવી વિશાળતાનું અમને વરદાન હો, હે દેવ !

પ્રસાદ

નિરાકાર એ નિત્ય, નૂતન, અખંડ નર્તનની દિવ્ય આનંદ અનુભૂતિ, સીમામાં બાંધી ન શકાય તેવી સંપૂર્ણ હૃદયસ્પંદના.

(૨)

હે નાથ,

તું સર્વત્ર, તારાથી બધું જ સભર એવી શરણાગતિ સાથે સર્વને હૃદયમાં સમાવી શકીએ અને સંતોષમાં સજાવી શકીએ એવા આચરણમાં અમને દોરી જાઓ. તારું જ તને અર્પણ કરીએ છીએ એવી આનસક્તિમાં અમે આનંદીએ એવા ઉજાસમાં અમને સ્થિર કરી દો, હે દેવ !

પ્રસાદ

જડેલું જીવે એ જીવ, જડેલું જ્યાં જાહેર થાય એ જગત અને આ બન્નેને જે જીરવે, જાળવે અને જીવાડે એ જગદીશ.

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

શાંત સરવરમાં – સુરેશ દલાલ

 શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી,

મોરપિચ્છ જેવી હવા રાધાનાં ઝાંઝર પ્હેરી ઝૂલે જી.

 .

પ્રભુજીનો આ પગરવ સુણી

કાન સચેતન થઈ ગયા,

એક પલકની ઝલક-ઝંખના

ધ્યાનમાં દરશન થઈ ગયાં.

 .

આકાશમાં એક કબીર-વૃક્ષ છે : ઊભું ઊર્ધ્વમૂલે જી,

શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી.

 .

હું જાણું ને કૈં ન જાણું

એવી અવસ્થા માણું છું,

જળની ઝીણી જ્યોતને ઝીલું

એવું હું તરભાણું છું.

 .

નરસિંહ, તુકા ને રૂમી-મીરાંના ઘૂમું છું વર્તુળે જી,

શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી.

 .

( સુરેશ દલાલ )

 

મારે સુખના – સુરેશ દલાલ

મારે સુખના સામ્રાજ્યના ગુલામ થવું નથી

કે નથી થવું દુ:ખના સામ્રાજ્યના સમ્રાટ.

સુખ અને દુ:ખને હાંસિયામાં ધકેલી દઈ

કોરા કાગળના આકાશમાં

પાનખરના શીતળ સૂર્યની ઉષ્મા લઈને

પ્રવાસ કરવો છે દિનાન્ત સુધી

અને રાતે ચંદ્ર થઈને

સમુદ્રનાં જળને પાગલ કરવાં છે.

ડાળે ડાળે ફૂલના દીવાની જ્યોત પ્રકટાવી શકું

તો એના અજવાળામાં

મારે મારાં નહીં લખેલાં કાવ્યો

મારા એકાન્તમાં વાંચવાં છે

અને પછી નિદ્રાની નિતાન્ત ચાદર ઓઢી

પોઢી જવું છે સ્વપ્નની કુંજગલીમાં.

 .

( સુરેશ દલાલ )

મારામાં ઊગ્યું – દત્તાત્રય ભટ્ટ ‌

મારામાં ઊગ્યું ઘાસ આ રોમાંચ એનો મઘમઘે,

મારામાં દૂઝ્યા ચાસ આ રોમાંચ એનો મઘમઘે.

 .

તારી સભામાં કેટલા મિત્રો હતા હાજર છતાં,

મુજને ગણ્યો તેં ખાસ આ રોમાંચ એનો મઘમઘે.

 .

આંખો કરીને બંધ જ્યાં યાત્રી થયો હું ભીતરી,

ખૂલતો ગયો અજવાસ આ રોમાંચ એનો મઘમઘે.

 .

એ ગામને છોડી ગયે વરસો થયાં છે તે છતાં,

ચરણોને એની પ્યાસ આ રોમાંચ એનો મઘમઘે.

 .

ગોવાળ, ગોપી, રાધિકે ને શ્યામસુંદર આજ પણ,

મારામાં રમતાં રાસ આ રોમાંચ એનો મઘમઘે.

 .

( દત્તાત્રય ભટ્ટ ‌)

મા એટલે…(આઠમી માસિક શ્રદ્ધાંજલિ)

DSC01529

(23/08/1938 – 25/12/2012)

.

‘મમ્મી’ – કેટલો મીઠો શબ્દ છે !
તું પ્રત્યક્ષ ન હોય ત્યારે
અંધકારભર્યા ઓરડામાં આ શબ્દ ઉચ્ચારતાં જ
મારા આખ્ખા શરીરમાં ઝણઝણાટી ફેલાઈ જાય છે.
.
મમ્મી ,
વહેલી સવારે ઉઠતીવેળાએ તારું મૌનભર્યું સ્મિત ,
તારી આંગળીનાં ટેરવાંનો ખરબચડો સ્પર્શ ,
દૂર બેઠા બેઠા ઘરમાં તારી હિલચાલને
ધ્યાનથી નીરખવામાં મળતો આનંદ,
વિદાય વેળાએ તારી આંખમાં ધસી આવતાં
અશ્રુને ખાળવાની તારી મથામણ –
અને
તેમાં મળતી નિષ્ફળતાની ચાડી ખાતો
તારો રૂંધાયેલો અવાજ .
મમ્મી, આ બધું મારા અસ્તિત્વમાં
સંતાઈ ગયું છે .
.
મમ્મી,
હું તને કદીય શબ્દથી શણગારીશ નહીં .
હું તને ‘ તું ઈશ્વર છે ‘ એમ કહીશ નહીં .
આપણને મળેલાં સુખ,  દુ:ખને સાથે બેસી માણીશું
પરસ્પરને સાંત્વન અને ક્ષમા આપીશું
એકમેકની સંભાળ લઈશું
અને આપણી આખરી વિદાય સુધી એકબીજાંને
ભરપૂર પ્રેમ કરીશું કે જેથી
એક સંતોષભર્યા જીવનની અંતિમ ક્ષણને
આપણે બે હાથ લંબાવી આવકારી શકીએ
ને
સવારે ઉઘડતાં પુષ્પના હાસ્ય સાથે
આપણે ચાલી નીકળીએ … … … !
.
( દિનેશ પરમાર )