.
Category Archives: કવિતા-સમગ્ર
રસ્તો-દીવાન ઠાકોર
(૧)
પંખીઓ ઊડે છે
આકાશમાં ચિતરાયેલા અદ્રશ્ય રસ્તા પર
મંજિલ સુધી પહોંચવા.
.
(૨)
અજાણ્યાને ભેગા કરે છે
સ્વજનોને છૂટા પાડે છે
-અને રસ્તો રસ્તાને મળે છે.
.
(૩)
થાકીને, હારીને, પરવશ બનીને
ચાલું છું.
બધા માટે છે એક જ રસ્તો
આશાનો.
.
(૪)
આંખો મીંચીને પણ
ચાલી શકાય છે
અદ્રશ્ય રસ્તા પર.
.
(૫)
ક્યા જવાનું છે ?
ખબર નથી
રસ્તાને પૂછો.
રસ્તો કહે,
હું તો તમને પૂછવાનો હતો.
.
(૬)
જર્જરિત રસ્તા પણ
ચાલનારની રાહ જુએ છે.
.
(૭)
દરેકે શોધવાનો છે રસ્તો
પોતાને માટે
હજુ શોધવાના છે રસ્તા
હજારો માટે
તેઓ હવે નથી
તેમણે શોધેલો રસ્તો છે
ચાલવા માટે.
.
(૮)
જે હૃદયમાંથી પસાર થાય છે
તે રસ્તાને
વીંટો વાળીને
ખિસ્સામાં મૂકી શકાતો નથી.
.
(૯)
ખરેલાં પાંદડા સમ પડ્યાં છે
પગલાં તેના પર
રાખના ઢગલા પડ્યાં છે તેના પર
તેથી જ રસ્તો પરેશાન છે.
.
(૧૦)
આડા, ઊભા, નાના-મોટા
ભરચક, એકાકી રસ્તાઓ
મેં પસંદ કર્યા છે મારે માટે
બધાય રસ્તા ઓગળી જાય છે
અંતે રહે છે કેડી
ચાલવા માટે.
.
(૧૧)
હું ચાલતો હતો
ત્યારે એ પણ ચાલતો હતો,
હું અટક્યો વાટે,
એ પણ
હંમેશને માટે.
.
( દીવાન ઠાકોર )
એ દોસ્ત છે !-રિષભ મહેતા
સ્હેજ ડર; એ દોસ્ત છે !
દૂર સર, એ દોસ્ત છે !
.
એ ભલે નિંદા કરે,
માફ કર, એ દોસ્ત છે !
.
માર્ગ તારો રોકશે,
હમસફર એ દોસ્ત છે !
.
રાહ દેખે ક્યારનો-
ચાલ ખર; એ દોસ્ત છે !
.
એ ભલે ચડતો શિખર,
તું ઊતર; એ દોસ્ત છે !
.
ચાલ એને બેઠો કર,
ઝાલ કર; એ દોસ્ત છે !
.
આવશે પાછો જરૂર-
દ્વાર પર; એ દોસ્ત છે !
.
( રિષભ મહેતા )
છોડ તું-ધ્વનિલ પારેખ
તારી ભીતર હોય અવઢવ છોડ તું,
રોજ વધતી જાય સમજણ છોડ તું.
.
પારદર્શક હોય માણસ સારું છે,
બાકી તૂટી જાય સગપણ છોડ તું.
.
સુખનું એવું કોઈએ ઠેકાણું નથી,
એવું જો લાગે તો સુખ પણ છોડ તું.
.
રાત આખી સળગે દીવો શક્ય નાં,
તો પછી ઓ દોસ્ત અવસર છોડ તું.
.
ચોતરફથી છે સવાલો સામટા,
હોય ઉત્તર એક, ઉત્તર છોડ તું.
.
શ્વાસની દુકાન છે, રકઝક ન કર,
આપશે એ ઓછું વળતર, છોડ તું.
.
એક ચહેરો બારી થઈને ઝૂરતો,
આખરે એવું ય વળગણ છોડ તું.
.
( ધ્વનિલ પારેખ )
પાણી સ્તોત્ર
પાણીને પાણી ડુબાડે એવું પાણી જોઈએ,
પાણીથી પાણી ઉગાડે એને માણી જોઈએ.
.
પાણીને પણ માનવી જેવું જ મન કૈં હોય છે,
ચાલ, એને હાથ હળવે ઝાલી નાણી જોઈએ.
.
ધોધરૂપે ધસમસ પડે છે, પથ્થરો તોડી રહે,
હોય છે રેશમ સમું એ, ચાલ તાણી જોઈએ.
.
વાદળ ઉપર વાદળ પહેરી ગર્જતું ને દોડતું,
કોની પરે એ કેટલું વરસ્યું પ્રમાણી જોઈએ.
.
બર્ફમાં પામી રૂપાંતર ઊંઘતું ને જાગતું,
એ સમજવા હાથને પણ સ્પર્શની વાણી જોઈએ.
.
સમજાય જીવાનામૂલ્ય તો હાથમાં પાણી લીઓ,
શ્વાસ ને ઉચ્છવાસની સાચી કમાણી જોઈએ.
.
( યોસેફ મેકવાન )
अँधेरे में बुद्ध-गगन गिल
अँधेरे में बुद्ध
अपनी प्रतिमा से निकलते हैं
.
अपनी काया से निकलते हैं
अपने स्तूप से निकलते हैं
अस्थि-पुंज से निकलते हैं
.
अँधेरे में बुद्ध
परिक्रमा करते हैं
माया की
मोक्ष की
पृथ्वी की
.
काँटे की नोंक पर
ठिठकते हैं
अँधेरे में बुद्ध
.
दुख उनके लिए है
जो उसे मानते हैं
दुख उनके लिए भी है
जो उसे नहीं मानते हैं
.
सिर नवाते हैं
अँधेरे में बुद्ध
.
अगरबत्ती जलाते हैं
सामने उसके
जो है
जो नहीं है
.
एक मुद्रा से दूसरी मुद्रा तक
एक प्रतिमा से दूसरी प्रतिमा तक
अँधेरे में बुद्ध
अपनी जगह बदलते हैं
जैसे उनकी नहीं
दुख की जगह हो
.
( गगन गिल )
રાત આખી-ગગન ગિલ
તોફાની રાત હશે અને પ્રેમ ઠોકશે તારા હૃદયનો દરવાજો.
તોફાની રાત હશે અને પ્રેમ બોલાવશે તને
હવાની પેલે બાજુથી. તોફાની રાત હશે અને પ્રેમ કૂદી પડશે
બારીની બહાર. રાત આખી તને ઊંઘમાં દેખાશે એના માથા
પરનો ઘા જ્યારે પ્રેમ પલળતો હશે તારા દરવાજાની બહાર,
પોતાના જ લોહીમાં.
.
સવારે તું આવીશ તારા ઓરડાની બહાર.
.
ક્યાંય નહીં હોય પ્રેમ. નહીં હોય વૃક્ષ દાડમનું.
.
( ગગન ગિલ, અનુવાદ : કુશળ રાજેશ્રી-બીપીન ખંધાર)
.
મૂળ ભાષા : હિન્દી
આગ સળગે છે-રાજેશ વ્યાસ “મિસ્કીન”
ગજબ ધ્યાનસ્થ છું બાહર ને ભીતર આગ સળગે છે,
ન આવે ખ્યાલ સુદ્ધાં એમ જબ્બર આગ સળગે છે.
.
ડરી જાશે, તો શ્વાસો જાણતા બધ્ધું ઠરી જાશે,
હ્રદયના નામ પર એવી નિરંતર આગ સળગે છે.
.
પછી રોકાય ક્યાંથી બોલ સંસારી, એ અલગારી,
ગયું દેખાઈ જેને કે ઘરેઘર આગ સળગે છે.
.
પછી અદ્રશ્ય કોઈએ હાથ સાચવતો રહે, એને,
સતત આઠે પ્રહાર જ્યારે ખરેખર આગ સળગે છે.
.
તણખલાને ય આવે આંચ ના સંભાળતો – જોતો,
તકેદારી સ્વયમ રાખે છે ઈશ્વર આગ સળગે છે.
.
અને જે કૈ બચી જાતું બધું સોનું બની જાતું,
આ ચપટી રાખમાં મિસ્કીન સધ્ધર આગ સળગે છે.
.
( રાજેશ વ્યાસ “મિસ્કીન” )
ત્રણ કૃષ્ણ કાવ્યો-યોગેશ જોષી
(Devansh Raval, Valsad as Kanha)
.
દૂરથી
વહી આવતા
વાંસળીના સૂરનો
હળવોક
સ્પર્શ થતાં જ
વાંસવનમાં
વાંસ વાંસને
ફૂટ્યા ફૂલ !
*
પહાડ આ ઊઠાવવાને પ્રેમનો;
આંગળી મેં કૃષ્ણની માગી હતી.
*
મારગ
.
નથી મારા માથે ટોપલો.
નથી ટોપલામાં નવજાત કાનુડો.
નદીમાં ઊમટેલાં
ગાંડાતૂર પૂર જોઈને જ
ઝંપલાવ્યું’ તું આ…મ…
ને તોય
કેમ આ પાણી
બે ભાગમાં વહેંચાઈ જઈને
કરી આપે છે મારગ ?!
ક્યાં લઈ જવા ?!
.
( યોગેશ જોષી )
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?-કૃષ્ણ દવે
